રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/ચિલ્લણા

વિકિસ્રોતમાંથી
← જ્વાલાદેવી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ચિલ્લણા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુજ્યેષ્ઠા →




३०–चिल्लणा

વિશાલા નગરીના મહારાજા ચેટકની કન્યા હતી. ચેટક રાજાને સાત પુત્રીઓ હતી. પાંચનાં લગ્ન થઈ ગયાં હતાં. ચિલ્લણા અને સુજ્યેષ્ઠા કુમારી હતી. એ બહેનો રાજભવનમાં દેવકુમારી સમ દીપતી. બન્ને સુશિક્ષિત અને ધર્મકાર્યમાં પ્રીતિવાળી હતી અને સર્વ કળાઓમાં નિપુણ હતી. બન્ને બહેનેનો સ્નેહ અપૂર્વજ હતો.

રાજા શ્રેણિક સાથે ચિલ્લણાનું લગ્ન થયું હતું. ચિલ્લણા જેવી પત્ની પામ્યાથી રાજા શ્રેણિક પોતાને ભાગ્યશાળી ગણતો હતો. બન્નેનો સંસાર સુખી હતો. બન્ને હંમેશાં વિદ્યા, કળા અને ધર્મની ચર્ચા કરતાં. ચિલ્લણા સાહિત્યની પણ અનુરાગી હતી અને સુંદર સમસ્યા-પૂર્તિથી પતિને ઘણી વાર પ્રસન્ન કરતી.

રાજા શ્રેણિકે એને સારૂ એક સ્તંભવાળું ઘર બંધાવ્યું હતું. ત્યાં એક સુંદર બગીચો પણ હતો. સતી ચિલ્લણા ત્યાં બેસી ધર્મનું આરાધન કરતી. ગરીબોને દાન તથા અભણ મનુષ્યોને જ્ઞાન આપવામાં એનો ઘણો સમય જતો. એવી સદાચારી પત્નીના સમાગમથી રાજા શ્રેણિક પણ ધાર્મિક બન્યો હતો.

મહાવીર પ્રભુ ચિલ્લણાના સમાગમમાં આવ્યા હતા અને તેના સદ્‌ગુણોને લીધે તેને માટે ઘણું માન ધરાવતા હતા.

એક સમયે રાતને વખતે નિદ્રામાં રાણી ચિલ્લણા બોલી ઊઠી: “એને કેમ હશે ?” રાજા શ્રેણિક એ વખતે જાગતો હતો. એણે એ વાક્ય સાંભળ્યું અને પત્નીના ચારિત્ર્ય માટે એને શંકા ગઈ. પુરુષને સ્ત્રી માટે એક વખત શંકા ઊપજે પછી એની સારાસારનો વિચાર કરવાની વિવેકબુદ્ધિનો નાશ થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષ પણ એ સમયે સાહસ કરવા તૈયાર થઈ જાય છે. રાજા શ્રેણિકને પણ ઘણો ક્રોધ ઊપજ્યો અને તેણે રાણીને સખ્ત સજા કરવાનો વિચાર કર્યો. એવામાં સતીના સદ્‌ભાગ્યે શ્રીમહાવીરસ્વામી એ નગરમાં પધાર્યા. રાજાએ તેમનો ઘણો સત્કાર કર્યો અને પોતાના હૃદયની શંકા એમની આગળ જણાવીને પૂછ્યું: “મારી સ્ત્રી સતી છે કે વ્યભિચારિણી ?” મહાવીરસ્વામીએ કહ્યું: “તારી સર્વે સ્ત્રીઓની પેઠે ચિલ્લણા પણ સતી છે. એવી પત્ની પામવી એ પૂર્વજન્મના સત્કર્મનું ફળ છે. એનાથી પ્રસન્ન રહેવાને બદલે તેં એને માટે શંકા આણી એ તારો મહાન અપરાધ છે. ગઈ કાલે એણે સાધુને નિમંત્રણ આપ્યું હતું. એમની પાસે ઓઢવાને કાંઈ વસ્ત્ર ન હતું. શિયાળાનો દિવસ હોવાથી ચિલ્લણાને ઘણી દયા ઊપજી હતી, એથીજ સ્વપ્નમાં પણ એનો એ વિચાર આવતાં એ લવી ઊઠી હતી કે, ‘એને કેમ હશે ?’ અર્થાત્‌ આવી ટાઢમાં એ બિચારા સાધુની શી દશા થતી હશે ?”

મહાવીરસ્વામીએ કરેલા આ ખુલાસાથી રાજાને સંતાપ થયો અને આવી દયાળુ પત્ની માટે સંદેહ આણવા સારૂ પશ્ચાત્તાપ કરવા લાગ્યો.

ત્યાર પછી ચિલ્લણા ઉપર સ્વામીનો પ્રેમ પહેલાં કરતાં પણ અધિક બન્યો હતો. પતિની માનીતી સ્ત્રી હોવા છતાં સપત્નીઓ સાથે તેનો વ્યવહાર બહુ પ્રેમભર્યો હતો.

શ્રીમહાવીરસ્વામી પાસે ચિલ્લણાએ દીક્ષા લીધી હતી અને ધર્મસાધનામાં શેષ જીવન ગાળી મુક્તિની અધિકારી બની હતી.