લાલકિલ્લાનો મુકદ્દમો/પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની

વિકિસ્રોતમાંથી
← 'હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી' લાલકિલ્લાનો મુકદ્દમો
પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬
આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની →


પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની
: ૧૩ :
૮ મી ડિસેમ્બર : શનિવાર

જાપાનીસ પરદેશખાતાના એક અમલદાર શ્રી એાહ્‌ટાએ આજે બચાવ પક્ષના સૌ પહેલા સાક્ષી તરીકે શુદ્ધ અંગ્રેજીમાં જુબાની આપી. એમની સોગંદવિધિ વેળા એમના હાથમાં કોઈ ધાર્મિક પુસ્તક હતું નહિ. એમણે કહ્યું કે -

'જાપાનીસ પરદેશખાતાનો હું એક અમલદાર છું. આખી લડાઈ દરમિયાન મેં મારો આ હોદ્દો જાળવ્યો છે. આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત ૧૯૪૩ની ૨૧મી ઑક્ટોબરે થઇ હતી. જાપાનની સરકારે એની સાથે એક આઝાદ અને સ્વતંત્ર સરકાર તરીકેનો સંબંધ રાખ્યો હતો અને શક્ય તેટલી બધી મદદ એને કરી હતી. ”

તે પછી શ્રી ભુલાભાઈએ કેટલાક દસ્તાવેજોની નકલો રજૂ કરી. અસલ દસ્તાવેજો ટોકીઓમાંના અમેરિકન લશ્કરી સત્તાવાળાઓ પાસે છે અને આ ખટલામાં ઉપયોગ કરવા માટે એમણે એની નકલો પૂરી પાડી છે. પછી શ્રી એાહ્‌ટાએ કહ્યું કે આઝાદ હિંદ સરકારની સ્થાપના અને તેના સ્વીકારને લગતી જાપાની સરકારના માહિતી ખાતાની એક જાહેરાતનો મૂળ મુસદ્દો એમણે ઘડ્યો હતો. ૧૯૪૩ની ૨૩મી ઑકટોબરે જાપાની સરકારે કરેલું નીચેનું નિવેદન પણ સાચું હોવાની એમણે ખાતરી આપી :-

'શ્રી સુભાષચંદ્ર બોઝની આગેવાની નીચે સ્થાપાયેલી આઝાદ હિંદ સરકાર અંગે જાપાનની શાહી સરકારને શ્રદ્ધા છે કે સ્વતંત્રતા માટેની હિંદી પ્રજાની લાંબા કાળની ઉમેદો પરિપૂર્ણ કરવામાં આ એક અગત્યનું પગલું છે અને તેને પૂરી મદદ કરવાનો એ કોલ આપે છે. એ સરકારનો આઝાદ હિંદની કામચલાઉ સરકાર તરીકે જાપાની સરકાર સ્વીકાર કરે છે અને આથી જાહેર કરે છે કે એનું ધ્યેય હાંસલ કરવા માટે તેને પોતાના તરફથી શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે.'

તે પછી બૃહદ્ પૂર્વ એશિયાઇ રાષ્ટ્રોના સંમેલન સમક્ષ ૧૯૪૩ની ૬ ઠ્ઠી નવેંબરે જાપાની વડા પ્રધાન સેનાપતિ ટેાજોએ કરેલા એક ભાષણની નકલ શ્રી ભુલાભાઈએ સાક્ષીને આપી. એ ભાષણમાં ટોજો આમ બોલ્યા હતા :–

'આઝાદ હિંદની કામચલાઉ સરકારનો પાયો, હવે વધુ મજબૂત બન્યો છે અને એ સરકાર નીચે હિંદી દેશભકતોએ પોતાનું નિશ્ચલ ધ્યેય હાંસલ કરવાનો અફર નિર્ધાર કર્યો છે, એટલે આ પ્રસંગે હું જાહેર કરું છું કે આઝાદી માટેની હિંદની લડતમાં મદદ કરવાના પોતાના નિર્ધારની પ્રથમ સાબિતિ તરીકે, શાહી જાપાની દળોના કબજામાં અત્યારે રહેલી હિંદી ધરતીનાં આંદામાન અને નીકોબાર ટાપુઓને આઝાદ હિંદની કામચલાઉ સરકારની હકૂમત નીચે ટૂંક સમયમાંજ મૂકવા જાપાનની શાહી સરકાર તૈયાર છે. હિંદુસ્તાનને તેની આઝાદીની લડતમાં સંપૂર્ણ સહકાર આપવાનો જાપાનનો નિર્ધાર છે. જાપાન એ જોવા આતુર છે કે સામે પક્ષે હિંદીઓ પણ એ દિશામાંના પોતાના પ્રયત્નો બમણા કરે.'

સાક્ષીએ કહ્યું કે મૂળ જાપાનીસ ભાષણનો આ સાચો અને સત્તાવાર અનુવાદ છે. વધુમાં એમણે જણાવ્યું કે આઝાદ હિંદ સરકાર ઉપરના જાપાનીસ સરકારના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે શ્રી હાચિયાની નિમણુંક કરવામાં આવી હતી. ઊલટતપાસમાં સાક્ષીએ જણાવ્યું કે આંદામાન અને નીકોબાર ટાપુઓની સેાંપણી કરવા માટે જાપાનીસ સરકારે શું પગલાં લીધાં હતાં તેની એમને જાણ નથી.

બીજા જાપાનીસ સાક્ષીએાની જુબાનીનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં મદદ કરવા માટે સાક્ષીને અદાલતમાં રહેવાની અને બચાવપક્ષના મેજ ઉપર બેસવાની રજા અદાલતે શ્રી ભુલાભાઈની વિનંતિથી આપી. બીજા જાપાનીસ સાક્ષી શ્રી માત્સુઓ મોટોએ કહ્યું કે, '૧૯૪૨ના નવેંબરથી ૧૯૪૪ના ઑક્ટોબર સુધી અને ફરી પાછો ૧૯૪૫ના મે થી તે લડાઈના અંત સુધી હું જાપાનીસ સરકારના પરદેશખાતાનો નાયબ-પ્રધાન હતો. અગાઉ હું સંધિ-ખાતાનો કાર્યવાહક હતો. પરદેશો સાથેની સંધિને લગતી બાબતોનો નિકાલ આ ખાતું કરતું હતું. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના થયાની મને ખબર છે. આઝાદ હિંદ સરકારને લગતા કેટલાક દસ્તાવેજો મેં ટોકીઓમાંની પરદેશખાતાની કચેરીમાં જોયા હતા. જર્મની, ઇટલી, મુચુકુઓ, ચીન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ અને બરમાએ આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર કર્યો હતો.”

બૃહદ્ પૂર્વ એશિયા-દિનના સંમેલનમાં ૧૯૪૩ ની ૬ઠ્ઠી નવેંબરે વડાપ્રધાન ટોજોએ કરેલા ભાષણની એક નકલ એમને બતાવવામાં આવતાં સાક્ષીએ કહ્યું કે એ વખતે પોતે ત્યાં હાજર હતા અને એ નિવેદન સાચું છે. ઊલટતપાસમાં એમણે જણાવ્યું કે –

“૧૯૪૦ના ડિસેંબરથી ૧૯૪૨ના નવેંબર સુધી હું સંધિ-ખાતાનો કાર્યવાહક હતો. આ સમય દરમિયાન ટોકીઓમાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘ સાથે મારે કાંઈ સંબંધ હતો નહિ... રાશબિહારી બોઝને હું ઓળખતો નથી. પણ હિંદી સ્વાતંત્ર્ય સંઘ સાથે એમનો કાંઇક સંબંધ હતો એ હું જાણું છું.

સવાલ : લડાઇ જાહેરાત પહેલાં લાંબા કાળથી જાપાનીસ સરકાર હિંદી સ્વાતંત્ર્ય સંઘની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતી હતી ખરી?

જવાબ : એ વિષે હું કાંઈ પણ જાણતો નથી.

સ૦ – લડાઈ પહેલાં લાંબા વખતથી હિંદમાં અશાંતિ ઊભી કરવાની અને તેને ઉત્તેજન આપવાની જાપાનીસ સરકારની નીતિ હતી?

જ૦ – એવી કોઈ નીતિ વિષે મને કાંઈ ખબર નથી. સ૦ – કામચલાઉ સરકારનો સ્વીકાર કરવાના પ્રશ્નની વિચારણા સૌ પહેલી ક્યારે થઈ તે તમે કહી શકશો?

જ૦ - ૧૯૪૩ના ઑક્ટોબર કે નવેંબરના અરસામાં.

સ૦ - મલાયામાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘના નેતાઓએ ૧૯૪૨ના માર્ચ જેટલા વહેલા જાપાની સરકારને કામચલાઉ સરકારને સ્વીકાર કરવાનું તેમજ પોતાના સાથી રાજયોને પણ એનો સ્વીકાર કરવા કહેવાનું કહ્યું હતું ખરું ?

જ૦ – મને એનો ખ્યાલ નથી.

સ૦ – તમે સુભાષચંદ્ર બોઝને એાળખતા હતા?

જ૦ - ૧૯૪૩ના એપ્રિલમાં એ જ્યારે જર્મનીમાંથી આવ્યા ત્યારે હું પહેલવહેલો એમને મારા સરકારી રહેઠાણે મળેલો.

જ૦ – એમને જર્મનીથી મોકલવાનું જાપાનીસ સરકારે જર્મન સરકારને કહેલું ?

જ૦ – એમને જાપાન મોકલવાની વ્યવસ્થા જર્મન સરકાર સાથે કરવામાં આવી હતી.

સ૦ – એટલા માટે કે એ જાપાનને મદદ કરે?

જ૦ – ના. એટલા માટે કે હિંદની સ્વતંત્રતાની માગણી કરવાથી જાપાનીસ યુદ્ધનેમોને મદદ થશે એમ માનવામાં આવતું હતું. સાથે સાથે, હિંદની સ્વતંત્રતા મેળવવામાં જાપાનીઓ આ માણસને મદદ કરવા માગતા હતા.

સ૦ – જાપાનીઓએ પોતાની મેળે જ કર્યું હતું કે કોઈની વિનંતિથી ?

જ૦ – પોતાની મેળે જ.

સ૦ – લડાઈ જીતવાનો આ એક રસ્તો છે એમ જાપાનીસ સરકાર માનતી હતી ? જ૦-જાપાનીસ યુદ્ધનેમોને મદદ કરવાનો એ રસ્તો હતો.

સ૦-જ્યારે સુભાષ બોઝને તેડાવવામાં આવ્યા ત્યારે જાપાનીસ સરકાર એમ જાણતી હતી કે આઝાદ હિંદની કામચલાઉ સરકારના અને આ૦ હિં૦ ફો૦ ના વડા એમને બનાવવાના છે ?

જ૦-હું સમજું છું ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ બેઉના વડા થના૨ા હતા.

સ ૦-એ જાપાનમાં ક્યારે આવેલા ?

જ૦–૧૯૪૩ના એપ્રિલના અરસામાં.

સ૦–કામચાઉ સરકારની સ્થાપના થવાની છે એ તમે ક્યારે સાંભળ્યું ?

જ૦-૧૯૪૩ના એપ્રિલના અરસામાં, જાપાનીસ સરકારને ખબર હતી કે એવી સરકારની સ્થાપના થવાની છે; અને સુભાષચંદ્ર બોઝ તેના વડા થવાના છે, અને જાપાનીએ એ સરકારનો સ્વીકાર કરશે તેમજ એને મદદ કરશે,

સ૦–આઝાદ હિંદની સરકારનો સ્વીકાર કરવો એ જાપાનીસ યુદ્ધવ્યૂહનો એક ભાગ હતો ?

જ૦–એથી જાપાનની યુદ્ધનેમોને મદદ મળે એ એને માટેનું એક જ કારણ હતું.

સ૦–આઝાદ હિંદ સરકારનો સ્વીકાર કરવાનું જાપાને જ તેના સાથી રાજ્યોને કહેલું ?

જ૦-સુભાઝ બોઝે જાપાનીસ સરકાર દ્વારા તેના તમામ સાથી રાજ્યોને કામચલાઉ સરકાર(નો સ્વીકાર) કરવાનું કહેલું.

સ૦–પોતાના યુદ્ધવ્યૂહના એક હિસ્સા તરીકે જાપાનીસ સરકારે પોતાના સાથીરાજ્યોને કામચલાઉ સરકારનો સ્વીકાર કરવાનું કહેલું ?

જ૦–એમણે એમ કર્યું કારણકે એ જાપાનના લાભમાં હતું. જાપાનને લાગેવળગે છે ત્યાં સુધી આઝાદ હિંદ ફોજની આઝાદીની લડાઈ સમૂળગી સ્વતંત્ર હતી. અને જાપાનીસ નિયંત્રણ નીચે નહોતી. ચીનની નાનકીંગ–સરકારે આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર કરેલો.

સ૦-નાનકીંગ સરકાર જાપાનીઓના કાબૂ હેઠળ હતી ?

જ૦-જાપાનીસ લશ્કર ત્યાં હતું ખરું, પણ એ ત્યાંનો કબજો સંભાળવા માટે નહોતું. એ નાનકીંગ સરકારને મદદ કરતું ખરું પણ જાપાન અને તેના સાથી રાજ્યો એ સરકારને બિલકુલ સ્વતંત્ર ગણતાં હતાં.

સ૦–તે સિવાય દુનિયાનાં બીજાં કયાં રાષ્ટ્રોએ નાનકીંગ- સરકારનો સ્વીકાર કર્યો હતો ?

જ૦-સ્પેઈને નાનકીંગ સરકારને સ્વતંત્ર ગણીને તેનો સ્વીકાર કર્યો હતો......ફિલિપાઈન્સ અને થાઈલેન્ડમાં પણ જાપાનીસ લશ્કર હતું પણ એ ત્યાંનો કબજો સંભાળવા માટે નહોતું. આ દેશોને તે સ્વતંત્રતા આપી ચૂક્યું હતું. બરમાનું પણ એમ જ હતું. બરમામાંના જાપાનીસ લશ્કરનું સંખ્યાબળ હું જાણતો નથી.

ભુલાભાઈ-હિંદુસ્તાન અંગેની જાપાનીસ યુદ્ધનેમો શી હતી?

જ૦–હિંદને લગતી જાપાનીસ યુદ્ધનેમો તેને સ્વતંત્ર બનાવવાની હતી.


: ૧૪ :
૧૦મી ડિસેંબર : સોમવાર

બચાવપક્ષના ત્રીજા સાક્ષી હતા શ્રી રેન્ઝુ સાવાડા. એમણે કહ્યું કે ૧૯૪૪ના ઑક્ટોબરથી ૧૯૪પના મે સુધી એ જાપાની પરદેશ- ખાતાના નાયબ-પ્રધાન હતા, મુત્સદ્દી-ખાતાની નોકરીમાં એ ૧૯૧૪માં દાખલ થયેલાં, અને લંડન, પેરિસ અને બીજા સ્થળોમાંના એલચીખાંતાઓમાં વીસથી વધુ વર્ષો કામ કર્યું હતું. સ૦-તમે પરદેશખાતાના નાયબ-પ્રધાન હતા તે કાળ પૂરતી જ તમારા જવાબોની મર્યાદા રાખીને મને જણાવો કે, આઝાદ હિંદની કામચલાઉ સરકાર વિષે તમને જાણ હતી ?

જ૦-હા.

સ૦–એ સરકાર ઉપર નીપોનના એક એલચીની નિમણુંક કરવા સાથે તમારે કાંઈ સંબંધ હતો ?

જ૦-હા.

સ૦–એલચી નિમવાનો નિર્ણય ક્યારે લેવાયો હતો ?

જ૦–૧૯૪૪ના નવેંબરમાં

સ૦–એલચી તરીકે કોની નિમણુંક કરવામાં આવેલી ?

જ૦–શ્રી હાચિયાની.

સ૦–પોતાની કામગીરીની શરૂઆત એમણે ક્યારે કરેલી ?

'જ૦–આઝાદ હિંદ કામચલાઉ સરકારની બેઠક રંગુનમાં એ ૧૯૪૫ના માર્ચમાં પહોંચ્યા હતા એમ હું ધારૂં છું

ઊલટતપાસમાં–

સ૦–શ્રી હાચિયાની એલચી તરીકે નિમણુંક કરવામાં આવી તેને લગતા કોઈ દસ્તાવેજો છે ?

જ૦–કામચલાઉ સરકાર ઉપર એક પ્રતિનિધિ મોકલવાના પોતાના નિર્ણયની સરકારે જાહેરાત કરી હતી.

સ૦-એ જાહેરાત ક્યાં કરાઈ અને કઈ રીતે ?

જ૦-સત્તાવાર ગેઝેટમાં.

સ૦–શ્રી હાચિયા ૧૯૪૫ના માર્ચમાં રંગુન પહોંચ્યા પછી એમની તરફથી તમને કાંઈ સંદેશા મળ્યા હતા ?

જ૦-હા.

સ૦-એ મોજૂદ છે ? જ૦–એ ટોકીએામાં છે.

સ૦-શ્રી હાચિયા રંગુન ગયા ત્યારે એમને કાંઈ દસ્તાવેજો. એટલે કે કાગળો કે એળખાણ–પત્રો આપવામાં આવ્યા નહોતા એનું કારણ એ હતું કે આઝાદ હિંદની સરકાર કામચલાઉ હતી. પણ શ્રી હાચિયા રંગુન પહોંચ્યા પછી શ્રી સુભાષચંદ્ર બોઝના કહેવાથી જાપાનીસ સરકારે એળખાણ–પત્રો આપવાનો નિર્ણય કર્યો. એળખાણ -પત્રો ઉપર નામદાર શહેનશાહના રીતસરના સહીસિક્કા કરવામાં આવેલા, અને ૧૯૪૫ના મેની અધવચ્ચે એ શ્રી હાચિયાને મોકલવામાં આવેલા. પણ ટપાલ વ્યવહારના ત્યારના સંજોગોને કારણે એ એમના મુકામે ખરેખર પહોંચ્યા નહોતા.

સ૦–શ્રી હાચિયા પાસે ઓળખાણ–પત્રો નહોતાં તેથી હકીકતમાં તો એમણે એલચી તરીકે કામ કર્યું જ નહોતું એ તમે જાણો છો ?

જ૦-એમણે કામ કર્યું જ હતું. કામચલાઉ સરકારના પરદેશ- પ્રધાનની મુલાકાતે એ ગયેલા, અને એળખાણ-પત્રો રજૂ થયાં તે પહેલાં પરદેશ–પ્રધાને પણ એમની વળતી મુલાકાત લીધેલી. એલચી તરીકે એ કામ કરી શકે તેવી સ્થિતિમાં હતા એમ હું માનું છું.

સ૦–આ મુલાકાતે જવા અને વળતી મુલાકાત મેળવવા સિવાય શ્રી હાચિયાએ એલચી તરીકે કાંઈપણ કામ કર્યું હતું !

જ૦–પરદેશ પ્રધાન સાથે એમને કચેરી-વ્યવહાર શા થયા તે હું જાણતો નથી.

સ૦-તમે તો એટલું જ જાણો છો કે એમણે મુલાકાત લીધી હતી.

જ૦-હા.

જ૦–કામચલાઉ સરકારના પરદેશ પ્રધાનનું નામ તમે જાણો છો ? જ૦-ના.

સ૦–પરદેશ પ્રધાને વળતી મુલાકાત લીધેલી એ તમે ક્યાંથી જાણ્યું ?

જ૦–શ્રી હાચિયાના અહેવાલમાંથી.

સ૦–હું તમને કહું છું કે શ્રી હાચિયા પાસે એળખાણ-પત્રો નહોતા તેથી એમની સાથે કાંઈપણ વ્યવહાર રાખવાનો શ્રી સુભાષચંદ્ર બોઝે ઈન્કાર કરેલો ? એ સાચું છે ?

જ૦-હા, શ્રી હાચિયાના અહેવાલ પ્રમાણે એ સાચું છે.

સ૦-અને તમે એમ કહો છો કે શ્રી સુભાષચંદ્ર બોઝના કહેવાથી જાપાનીસ સરકારે એળખાણ–પત્રો મોકલવાનો નિર્ણય કરેલો ?

જ૦-હા.

'સ૦–એ વિનંતિ લેખિત હતી ?

જ૦-ના.

સ૦–એવી મતલબનો કોઈ અહેવાલ શ્રી હાચિયા તરફથી તમને મળ્યો હતો ?

જ૦—હા.

સ૦–હકીકતમાં તો એાળખાણપત્રો એમને રંગુન કદી પહોંચ્યા જ નહોતા ને ?

જ૦-ના.

સ૦-ટોકીઓથી એળખાણ-પત્ર રવાના થયા તેની તારીખ તમે આપી શકશો ?

જ૦–૧૯૪૫ના મેની અધવચમાં

'સ૦–બ્રિટિશ લશ્કરે તે(મે)ની ૩જીએ રંગુનમાં પ્રવેશ કર્યો હતો તે તમે જાણો છો ?

જ૦-હા. સ૦–અને જાપાનીસ સેનાએ એપ્રિલની ૩૦મી સુધીમાં રંગુન ખાલી કરી નાખ્યું હતું ?

જ૦—હા.

સ૦–સુભાષચંદ્ર બોઝ પોતે એપ્રિલની ૨૪મીએ રંગુન છોડી ગયા હતા ?

જ૦–મને ખબર નથી.

સ૦-શ્રી હાચિયાએ રંગુન ક્યારે છોડ્યું હતું ?

જ૦-લગભગ એપ્રિલની આખરમાં.

સ૦-અને એળખાણ–પત્રો શ્રી હાચિયા માટેના હતા ?

જ૦—હા, એ જ્યાં હોય ત્યાં એમને એ મોકલી આપવાના હતા.

સ૦—એ કઈ જગ્યાએ મોકલી અપાયા હતા તે તમે જાણો છો ?

જ૦- ના.

સ૦–રંગુન છોડ્યા પછી શ્રી હાચિયા ક્યાં હતા તે તમે નથી જાણતા ?

જ૦-ના.

સ૦-એ જાપાન પાછા ફરેલા ?

જ૦–ના. એ બેંગકોક ગયેલા.

સ૦–બેંગકોકમાં એ લડાઈના અંત સુધી, એટલે કે ઑગસ્ટની અધવચ સુધી રહેલા ?

જ૦- હા.

સ૦-બેંગકોકથી તમને એમની તરફથી એકેય અહેવાલ મળ્યો નહોતો ?

જ૦–સંદેશાવ્યવહાર જરાય હતો જ નહિ. તે પછીના સાક્ષી શ્રી તેરુરો હાચિયાએ કહ્યું કે-

'આઝાદ હિંદની કામચલાઉ સરકાર ઉપરના એલચી તરીકે મને જાપાનીસ સરકારે મોકલેલો. ૧૯૪૫ના માર્ચમાં હું રંગુન પહોંચ્યો, અને કામચલાઉ સરકારના પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીને મળ્યો. રંગુનમાં હું ૧૯૪૫ની ૨૪મી એપ્રિલ સુધી હતો. કામચલાઉ સરકારના બીજા એક સભ્ય શ્રી અય્યરને હું મળેલો. ૨ંગુનથી હું બેંગકોક ગયેલો અને કામચલાઉ સરકાર પણ રંગુનથી બેંગકોક ખસેડવામાં આવેલી. મને દિલ્હી લાવવામાં આવ્યો ત્યાં સુધી હું બેંગકોકમાં જ હતો.'

સ૦–તમે રંગુન આવ્યા ત્યારે કાંઈ એાળખાણ-પત્રો લાવેલા ?

જ૦-હુ કાંઈ ઓળખાણ–પત્રો લાવ્યો નહોતો. પણ પહોંચ્યા પછી પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીની મુલાકાતે હું ગયેલો. રંગુન જતાં પહેલાં હું ટોકીએામાં હતો. રંગુન જવાનો હુકમ મને જાપાનીસ પરદેશ-પ્રધાન શ્રી શિગેમિત્સુ તરફથી મળેલો. આઝાદ હિંદ સરકાર ઉપર મને મોકલવામાં આવ્યો તે અગાઉ હું જાપાનીસ મુત્સદ્દી-ખાતામાં હતો. પોલેન્ડમાંના જાપાનીસ એલચીખાતામાં પણ હતો, બલ્ગેરીઆ ખાતેનો એલચી હતો અને પરદેશ ખાતાના ટોકીઓમાંના સાંસ્કારિક ખાતાનો વડો પણ કેટલાક વખત માટે હતો. હું રંગુન કોઈ ઓળખાણ-પત્રો લઈ ગયેલો નહિ. કારણકે મને એ આપવામાં આવ્યા નહોતા. એ આપવામાં આવ્યા નહોતા કારણકે આઝાદ હિંદ સરકાર એક કામચલાઉ સરકાર હતી એની મને જાણ કરવામાં આવેલી.

સ૦–તમને ઓળખાણ-પત્રો શા માટે નથી આપવામાં આવ્યા. તેની પૂછપરછ તમે કરેલી ખરી ?

જ૦-વાતચીતમાં મને જણાવવામાં આવેલું કે ઓળખાણ-પત્રોની જરૂર નથી. પાછળથી મને એક તાર મળેલો કે ઓળખાણ–પત્રો

રવાના થઈ ચૂક્યા છે, પણ મને એ પહોંચેલા નહિ.
ઊલટતપાસમાં:–

સ૦-તમે રંગુન જવા ઊપડ્યા ત્યારે કાંઈ કાગળિયાં સાથે લઈ ગયેલા ?

જ૦-ના.

સ૦-જાપાનીસ સરકાર તરફથી કોઈનીય ઉપર લખાયેલા કાગળ તમારી સાથે નહોતા ?

જ૦–મારી સાથે હું કાંઈ કાગળિયાં લઈ ગયો નહોતો. પણ રંગુન પહોંચ્યા પછી પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીની મુલાકાતે હું ગયેલો અને એમને મેં એમ કહેલું કે મને એલચી નીમવામાં આવ્યો છે. તે પછી શ્રી અય્યરને પણ હું મળેલો.

સ૦–કર્નલ ચેટરજીને તમે પહેલવહેલા ક્યારે મળેલા ?

જ૦– મને ચોક્કસ તારીખ યાદ નથી, પણ પહોંચ્યા પછી થોડા દિવસે.

સ૦-કર્નલ ચેટરજી અને શ્રી અય્યરને તમે એક વાર મળેલા કે બે વાર ?

જ૦–કર્નલ ચેટરજી મારે ઘેર બે-ત્રણ વાર આવેલા અને શ્રી અય્યરને તો હું એકજ વાર મળેલો એમ ધારું છું. રંગુનમાં હું શ્રી સુભાષચંદ્ર બોઝને મળ્યો નહોતો.

સ૦–તમને મળવાનો એમણે ઈન્કાર કરેલો ?

જ૦–હા. મને મળવાને એમણે ઈન્કાર કરેલો.

'સ૦-હું ધારું છું કે તમને કાંઈ કારણ કહેવામાં આવ્યું હશે ?

જ૦–મને લાગે છે કે મારી પાસે એળખાણ-પત્રો નહોતા તેથી એમણે મને મળવાનો ઈન્કાર કર્યો હતો. મને એ વાત કર્નલ ચેટરજીએ કરેલી.

સ૦–તે પછી જ તમને એળખાણ–પત્રો મોકલવાનું તમે જાપાનીસ સરકારને કહેલું ? જ૦–કર્નલ ચેટરજી દ્વારા કરાયેલી શ્રી બોઝની વિનંતિને લીધે મેં મારા ઓળખાણ–પત્રોની માગણી કરતો તાર ટોકીઓ કર્યો. હું રંગુન પહોંચ્યા પછી ચાર-પાંચ દિવસે એ તાર મોકલાયો. જાપાનીસ સરકાર તરફથી મને તાર મળેલો કે એ એળખાણ-પત્રો મોકલી રહી છે.

બચાવપક્ષના તે પછીના સાક્ષી પણ એક જાપાની મેજર-જનરલ કાટાકુરા હતા. એમણે કહ્યું કે-

'૧૯૪૩ દરમિયાન જાપાનીસ વડા મથકના ચીફ ઑફ સ્ટાફ તરીકે હું રંગુનમાં હતો. આ૦ હિં૦ ફો૦ વિષે અને આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના વિશે પ્રસંગોપાત મને જાણવા મળતું, છતાં કોઈ ચોક્કસ વિગતોની મને જાણ નથી. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના અંગે શ્રી સુભાષચંદ્ર બોઝને હું ૧૯૪૩ના જુલાઈમાં રંગુનમાં મળ્યો હતો. કામચલાઉ સરકાર શા માટે સ્થાપવામાં આવી. હતી એ શ્રી બેાઝે મને સમજાવેલું.'

શ્રી સુભાષચંદ્ર બોઝ સાથેની એમની વાતચીતમાં એમણે સાક્ષીને શું કહેલું તે જણાવવાનું શ્રી ભુલાભાઈએ સાક્ષીને કહ્યું. પણ એ તો સાંભળેલી વાતની જુબાની થાય એમ જજ-એડવોકેટનો અભિપ્રાય થવાથી અદાલતના પ્રમુખે સવાલને દફતર ઉપર લેવા દીધો નહોતો. આગળ ચાલતાં સાક્ષીએ જણાવ્યું કે દક્ષિણમાંની સેનાના વડા જનરલ તેરાઉચીના ફરમાનથી એમણે ઇમ્ફાલવાળી લડાઈની વ્યૂહરચના કરેલી એ લડાઈમાં આ૦ હિં૦ ફો૦એ શો ભાગ ભજવ્યો હતો એવા શ્રી. ભુલાભાઈના સવાલના જવાબમાં સાક્ષીએ કહ્યું કે આ૦ હિં૦ ફો૦ હિંદની આઝાદી માટે લડી હતી. પણ એ જવાબને સાક્ષીનો વ્યક્તિગત અભિપ્રાય ગણીને અદાલતે એને દફતર પર લેવા દીધો નહોતો. સાક્ષીએ જણાવ્યું કે જાપાનીઓની સાથેજ આ૦ હિં૦ ફો૦ને અલગ લડાયક કામગરી સોંપવામાં આવી હતી. ૧૯૪૪ના જાન્યુઆરીમાં રંગુનમાં એક ગેરીલા રેજિમેન્ટ આવી હતી. એ રેજિમેન્ટ જેમના હાથ નીચે હતી તે કૅ. શાહનવાઝને સાક્ષીએ અદાલતમાં એાળખી બતાવ્યા ૧૯૪૪ના ફેબ્રુઆરી કે માર્ચમાં એ રેજિમેન્ટ મોરચા ભણી ઊપડી ગઈ હતી. આ રેજિમેન્ટને શી કામગરી સોંપવામાં આવી હતી એવા એક સવાલના જવાબમાં સાક્ષીએ ન્યાયાધીશોના મેજ પાસે જઈને એક આકૃતિ દોરીને સમજાવ્યું કે આખી આ૦ હિં૦ ફો૦ને એક ચોક્કસ હરોળ ભેદવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

સ૦–એમની રેજિમેન્ટ જ્યાં લડતી હતી એ વિભાગ એકલા કૅ. શાહનવાઝ ખાનના વર્ચસ્વ હેઠળ જ હતો ? એમની સાથે કોઈ જાપાનીસ અફસર હતો ?

જ૦–મને યાદ છે ત્યાં સુધી કૅ૦ શાહનવાઝની સાથે સંપર્કખાતાનો એક અફસર હતો, પણ મને એની ખાતરી નથી.

સ૦-આ૦ હિં૦ ફો૦ અને ઇમ્ફાલ મોરચા પરના સંયુક્ત 'કમાન્ડ' વચ્ચે શી સમજણ હતી ?

જ૦–જ્યારે લડાયક હિલચાલ ચાલતી ન હોય ત્યારે આ૦ હિં૦ ફો૦ સ્વતંત્ર હતી અને હિલચાલ ચાલુ હોય એટલા વખત દરમિયાન એ જાપાનીઓના કાબુ હેઠળ હતી.

સ૦–હિંદુસ્તાનનો કોઈ પ્રદેશ કબજે કરાય તો તેનું શું કરવું તે વિશે કશી સમજણ હતી ?

જ૦-હિંદનો જે કાંઈ પ્રદેશ અમે કબજે લઈએ તે આ૦ હિં૦ ફો૦ ને સોંપી દેવામાં આવે એવી સમજણ હતી.

સ૦–આ મુક્ત કરાયેલા પ્રદેશોનું તંત્ર કોણે સંભળાવાનું હતું એ વિષે જાપાનીસ 'હાઈ-કમાન્ડ' અને આ૦ હિં૦ ફો૦ વચ્ચે કાંઈ સમજણ હતી ?

જ૦–એની ઉપર કામચલાઉ સરકારનો કાબુ રહેવાનો હતો.

સ૦–મુક્ત કરેલા પ્રદેશોમાંથી વિજેતા સૈન્યના હાથમાં જે શત્રુ-સરંજામ આવે તેને અંગે શી સમજણ હતી?

'જ૦-તમામ શત્રુ-સરંજામ કામચલાઉ સરકારને સોંપી દેવાનો હતો. સ૦ – જાપાનીઓએ અને આ૦ હિં૦ ફો૦એ હિંદની સરહદ ઓળંગી ત્યારે કરાયેલી જાહેરાતો વિષે તમને કાંઈ જાતમાહિતી છે ?

જ૦ – એ વખતે કરાયેલી બે જાહેરાતો વિશે હું જાણું છું. એક શ્રી સુભાષચંદ્ર બોઝે કરેલી કે તેઓ હિંદની સ્વતંત્રતા માટે લડી રહ્યા હતા. બીજી લેફ્ટેનન્ટ-જનરલ કાવાબાએ કરેલી કે જાપાનીઓએ કબજે કરેલા તમામ પ્રદેશો હિંદીઓને સોંપી દેવામાં આવશે. એ જાહેરાતો હું અહિં રજૂ કરી શકું તેમ નથી.

ઊલટતપાસ દરમિયાન:–

જ૦ - ઇમ્ફાલવાળી લડાઈના વ્યૂહની યોજના ૧૯૪૪ના જાન્યુઆરીમાં થઇ હતી. એ લડાઇની શરૂઆત ૧૯૪૪ના માર્ચમાં થઈ હતી. એનો અંત ક્યારે આવ્યો તે હું જાણતો નથી. ૧૯૪૪ના જાન્યુઆરીમાં બર્મામાંની જાપાનીસ સેનાનું સંખ્યાબળ ૨૩૦,૦૦૦નું હતું.

સ૦- ૧૯૪૪ના જાન્યુઆરીમાં બરમામાંની આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ ૧૦,૦૦૦નું હતું ?

જ૦ - વધુમાં વધુ ૧૦,૦૦૦નું.

સ૦ - આ૦ હિં૦ ફો૦ની કઇ કઇ રેજિમેન્ટોએ ઇમ્ફાલવાળી લડાઈમાં રીતસરનો ભાગ લીધો હતો તે તમે જાણો છો ?

જ૦ – બધાં મળીને ત્રણેક ડિવિઝનો હતાં. આ૦ હિં૦ ફો૦ના એક ડિવિઝનમાં ૭,૦૦૦૦ થી ૮,૦૦૦ સૈનિકો હતા. એમ ધારું છું, પણ ચોક્કસ નથી કહી શકતો.

સ૦ – તમે કહ્યું કે જાન્યુઆરીમાં બરમામાંની આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ ૧૦,૦૦૦નું હતું. તમે એમ સૂચવો છો કે ઇમ્ફાલને મોરચે લડતા આ૦ હિં૦ ફો૦ના દળોના સૈનિકો ૧૦,૦૦૦ થી વધુ હતા?

જ૦ – ઇમ્ફાલને મોરચે આ૦ હિં૦ ફો૦ના ૧૦,૦૦૦ થી વધુ સૈનિકો હતા એમ હું માનું છું.

સ૦ – એ ક્યાંથી આવેલા?

જ૦ – હું ધારું છું કે સિંગાપુરથી ઘણા આવેલા, અને આ રીતે ૧૦,૦૦૦ની મૂળ સંખ્યામાં વધારો થયો હતો. કેટલાક માણસો બરમામાંથી પણ આવેલા. હું ધારું છું કે એમની સાથે ભળી જવા હિંદમાંથી પણ કેટલાક આવેલા, પણ કેટલા આવેલા તે હું નથી જાણતો.

સ૦- હિંદમાંથી પણ કેટલાક્ આવેલા તે તમે ક્યાંથી જાણ્યું?

જ૦- મેં એ સાંભળ્યું હતું.

સ૦- ઇમ્ફાલ મોરચા પરની આ૦ હિં૦ ફો૦ રેજિમેન્ટોના નામ ગેરિલા રેજિમેન્ટ નં. ૧, ૨. અને ૩ હતાં?

જ૦ - હું ધારું છું કે એ જ હતાં

સ૦ - ઇમ્ફાલવાળી લડાઇને પરિણામે આ૦ હિં૦ ફો૦ના સૈનિકોમાંથી કમી થયા હતા તે તમે કહી શકો તેમ છો?

- ના.