શીલવંત સાધુને વારે વારે નમીએ

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
શીલવંત સાધુને વારે વારે નમીએ
ગંગાસતી



શીલવંત સાધુને વારે વારે નમીએ

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….