સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૫. મરકી—૧

વિકિસ્રોતમાંથી
← ૧૪. ’કુલી લોકેશન’ એટલે ઢેડવાડો ? સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૫. મરકી—૧
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૬. મરકી—૨ →


૧૫. મરકી—૧

લોકેશનનું ધણીપતું મ્યુનિસિપલિટીએ લઈ લીધું કે તુરત ત્યાંથી હિંદીઓને ખસેડ્યા નહોતા. તેમને બીજી અનુકૂળ જગ્યા આપવાની વાત તો હતી જ. તે જગ્યા મ્યુનિસિપલિટીએ નક્કી નહોતી કરી. તેથી હિંદીઓ તે જ 'ગંદા' લોકેશનમાં રહ્યાં. ફેરફાર બે થયા. હિંદીઓ ધણી મટી શહેર સુધરાઈખાતાના ભાડૂત બન્યા ને ગંદકી વધી. પહેલાતો હિંદીઓનું ધણીપતું ગણાતું ત્યારે તેઓ ઈચ્છાએ નહીં તો ડરને માર્યે પન કંઈક ને કંઈક સફાઈ રાકહ્તા. હવે 'સુધરાઈ' નો કોને ડર? મકાનોમાં ભાડૂતો વધ્યા ને તેને સાથે ગંદકે અને અવ્યવસ્થા વધી.

આમ ચાલી રહ્યું હતું. હિંદીઓનાં મન ઊંચા હતા, તેવામાં એકાએક કાળી મરકી ફાટી નીકળી. આ મરકી જીવલેણ હતી. આ ફેંફસાની મરકી હતી. તે ગાંઠિયાની મરકી કરતાં વધારે ભયંકર ગણાતી હતી.

સદ્‌ભાગ્યે મરકીનું કારણ લોકેશન નહોતું. તેનું કારણ જોહાનિસબર્ગની આસપાસ આવેલી એઅનેક સોનાની ખાણોમાંની એક ખાણ હતી. ત્યાં મુખ્યત્વે હબસીઓ કામ કરનારા હતા. તેમની સ્વચ્છતાની જવાબદારી તો કેવળ ગોરા માલિકોને શિર હતી. આ ખાણ અંગે કેટલાક હિંદીઓ પણ કામ કરનારા હતા. તેઓમાંના ત્રેવીસને એકાએક ચેપ લાગ્યો. ને તેઓ એક સાંજે ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાને રહેઠણે આવ્યા.

આ વેલા ભાઈ મદનજિત 'ઈંડિયન ઓપીનિયન'ના ઘરાક બનાવવા ને લવાજમનું ઉઘરાણું કરવા આવ્યા હતા. તે લોકેશનમાં ફરતા હતા. તેમનામાં નિર્ભયતાનો ગુણ સરસ હતો. આ દરદીઓ તેમના જોવામાં અવ્યા ને તેમનું હ્રદય બળ્યું. તેમણે મને સીસાપેને લખી એક કાપલી મોકલી. તેનો ભાવાર્થ આવો હતો: 'અહીં એકદમ કાળી મરકી ફાટે નીકળી છે. તમારે તુરત આવીને કંઈક કરવું જોઈએ, નહીં તો પરિણમ ભયંકર આવશે. તુરત આવજો.'

મદનજિતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબ્જો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા. હું મારી સાઈકલ ઉપર લોકેશન પહોંચ્યો. ત્યાંથી ટાઉનક્લાર્કને હકીકત મોકલી, ને કેવા સંજોગોમાં કબજો લીધો હતો તે જણાવ્યું.

દાક્તર વિલિયમ ગૉડફ્રે જોહાનિસબર્ગમાં દાકતરી અક્રતા હતા, તેમને ખબર પહોંચતા તે દોડી આવ્યા ને દરદીઓના દાક્તર અને નર્સ બન્યા. પણ ત્રેવીસ દરદીઓને અમે ત્રણ પહોંચી વળી શકીએ તેમ નહોતું.

શુદ્ધ દાનત હોય તો સંકટને પહોંચી વળવા સેવકો અને સાધનો મળી જ રહે છે એવો મારો વિશ્વાસ અનુભવ પર બંધાયેલો છે. મારી ઑફીસમાં કલ્યાણદાસ, મણેકલાલ અને બીજા બે હુંદીઓ હતા. છેલ્લા બે ના નામ અત્યારે મને યાદ નથી. કલ્યાણદાસને તેમના બાપે મને સોંપી દીધા હતા. તેમના જેવા પરગજુ અને કેવળ આજ્ઞા ઉઠાવવાનું સમજનાર સેવક મેં ત્યાં થોડાં જ જોયાં હશે. કલ્યાણદાસે સુભાગ્યે તે વેળા બ્રહ્મચારી અહ્તા. એટલે તમે તે જોખમનું કામ સોંપતા મેં કદી સંકોચ ખાધો જ નહોતો. બીજા માણેકલાલ મને જોહાનિસબર્ગમાં જ લાધ્યા હતા. તે પણ કુંવારા હતા એવો મને ખ્યાલ છે. ચારે મહેતાઓ કહો કે સાથી કહો કે પુત્ર કહો, તેમને હોમવાનો નિશ્ચય કર્યો. કલ્યાણદાસને પૂછવાપણું હોય જ શું? બીજા પૂછતં જ તૈયાર થઈ ગયા, 'જ્યાં તમે ત્યાં અમે,' એ તેમનો ટૂંકો જવાબ હતો.

મિ. રીચને મોટો પરિવાર હતો. તે પોતે તો ઝંપલાવવા તૈયાર હતા, પણ મેં તેમને રોક્યા. તેમને આ જોખમમાં સંડોવવા હું મુદ્દલ તૈયાર નહોતો, મારી હિંમત જ નહોતી. પણ તેમણે બહારનું ઘણું કામ કર્યું.

શુશ્રુષાની આ રાત્રિ ભયાનક હતી. મેં ઘણા દરદીઓની સારવાર કરી હતી. પણ મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દાક્તર ગૉડફ્રેની હિંમતે અમને નીડર કરી મૂક્યા. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું. પાણીછાણી આપવાં તથા તેમનું મેલું વગેરે સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું જ.

ચાર જુવાનિયાઓની તનતોડ મહેનતથી ને નીડરતાથી મારા હર્ષનો પાર ન રહ્યો.

દાક્તર ગૉડફ્રેની હિંમત સમજાય, મદનજિતની પણ સમજાય, પણ આ જુવાનિયાની? રાત્રિ જેમ તેમ ગઈ. મને યાદ છે તે પ્રમાણે તે રાત્રિએ તો કોઈ દરદી અમે ન ગુમાવ્યો.

પણ આ પ્રસંગ એટલો કરુણા જનક છે તેટાલો રસિક ને મારી દ્રષ્ટિએ ધાર્મિક છે. તેને સારુ હજુ બીજાં બે પ્રકરણો જોઈશે જ.