સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨. ગોખલેની સાથે પૂનામાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧. પહેલો અનુભવ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨. ગોખલેની સાથે પૂનામાં
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. ધમકી એટલે ? →


૨. ગોખલેની સાથે પૂનામાં

હું મુંબઈ પહોંચ્યો કે તરત મને ગોખલે એ ખબર આપી હતી: 'ગવર્નર તમને મળવા ઈચ્છે છે, અને પૂના આવતા પહેલાં તેમને મળી આવવૌં યોગ્ય ગનાશે.' તેથી હું તેમને મળવા ગયો. સામન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:

'તમારી પાસેથી હું એક વચન માંગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઈચ્છું છું'

મેં જવાબ દીધો:

'એ વચન આપવું મારે બહુ સહેલું છે, કેમકે સત્યાગ્રહી તરીકે મારો નિયમ જ છે કે કોઈની સામે પગલું ભરવું હોય તો પ્રથમ તો તેનું દ્રષ્ટિબિંદુ તેની પાસેથી સમજે લેવું અને જ્યાં લગી તેને અનુકૂળ થવાતું હોય ત્યાં લગી અનુકૂળ થવું. દક્ષિણ આફ્રિકામાં આ નિયમનું મેં હંમેશા પલન કર્યું છે, ને અહીં પણ તેમ જ કરવાનો.'

લૉર્ડ વિલિંગ્ડને આભાર માન્યો ને બોલ્યા:

'જ્યારે મળવું હોય ત્યારે તમે મને તુરત મળી શકશો ને તમે જોશો કે સરકાર ઈરાદા પૂર્વક કંઈ ખોટું કરવા ઈચ્છતી નથી.'

મેં જવાબ આપ્યો:

'એ વિશ્વાસ પર તો હું નભું છું'

હું પૂના પહોંચ્યો. ત્યાંના બધાં સ્મરણો આપવા હું અસમર્થ છું. ગોખલી અને સોસાયટીના અન્ય સભ્યોએ મને પ્રેમથી નવરાવ્યો. મને યાદ છે તે પ્રમાણે બધા સભ્યોને તેમણે પૂના બોલાવ્યા હતા. બધાની સાથે ઘણી બાબતમાં દિલ ખોલીને મારી વાતો થઈ, ગોખલેની તીવ્ર ઈચ્છા હતી કે હું પણ સોસાયટીમાં જોડાઉં. મારી ઈચ્છા તો હતીજ. પણ સભ્યોને એમ લાગ્યું કે સોસાયટીના આદર્શો ને તેની કામ કરવાની રીતે મારાથી જુદાં હતાં. તેથી મારે સભ્ય થવુંકે નહીં તેને વિષે તેમને શક હતો. ગોખલેની માન્યતા હતી કે, મારામાં મારા આદર્શ્ને વળગી રહેવાનો જેટલો આગ્રહહતો તેરલો જ બીજાઓના આદર્શને નભાવવાઅનો ને તેમની સાથે મળી જવાનો સ્વભાવ હતો. 'પણ મારા સભ્યો હજી તમારા એ નભાવી લેવાના સ્વભાવને ઓળખતા નથી થયા. તેઓ પોતાન આદર્શને વળગી રહેનારા, સ્વતંત્ર ને મક્કમ વિચારના છે. હું ઉમેદ તો રાખું જ છું કે તેઓ તમને કબૂલ કરશે. પણ કબૂલ ન કરે તો તમે એમતો નહીં જ માનો કે તેમને તમારા પ્રત્યે ઓછો આદર કે પ્રમ છે. એ પ્રેમ અખંડિત રહે તે ખાતર જ તેઓ કશું જોખમ લેતા ડરે છે. પણ તમે સોસાયટીના કાયદેસર સભ્ય થાઓ કે ન થાઓ, હું તો તમને સભ્ય તરીકે જ ગણવાનો છું.'

મેં મારી ધારણા તેમને જણાવી અહ્તી. સોસાયટીનો સભ્ય બનું કે ન બનું, તો પણ મારે એક આશ્રમ કાઢીને તેમાં ફિનિક્સના સાથીઓને રાખીને બેસી જવું હતું. ગુજરાતી હોઈ ગુજરાતની મારફતે સેવા કરવાની મારી પાસે વધારે મૂડી હોવી જોઈએ., એ માન્યતાથે ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું એવી મારી ઈચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો અહ્તો, તેથી તેમણે કહ્યું:

'તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ મારે તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારું જ આશ્રમ ગણવાનો છું.' આરું હ્રદય ફુલાયું. પૈસા ઉઘરવવાના ધંધામાંથી મને મુક્તિ મળી માની હું તો બહુ રાજી થયો, ને હવે મારે મારી જવાબદારીએ નહીં ચલાવું પડે, પણ દરેક મૂંઝવણમાં મને રાહદાર હશે એ વિશ્વાસથી મારી ઉઅપ્રથી મોટો ભાર ઊતર્યો એમ લાગ્યું.

ગોખલે એ સ્વ૦ દાક્તર દવેને બોલાવીને કહી દીધું:' ગાંધીનું ખાતું આપના ચોપડામાં પાડજો, ને તેમને તેમના આશ્રમને સારુ થય તેમના જાહેરખર્ચને સારુ જે પૈસા જોઈએ તે તમે આપજો.'

પોના છોડી શાંતિનિકેતન જવાની હવે તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી રાતે ગોખલી મને ગમે એવી ખાસ મિત્રોની પાર્ટી અક્રી. ત્માં જે ખોરાક હું ખતો તેવો જ સૂકો ને લીલા મેવાનો ખોરાક તેમણે મંગાવ્યો હતો. પાર્ટી તેમની કોટડીથી થોડાં જ ડગલા દૂર હતી. તેમાં પણ આવવાની તેમની મુદ્દલસ્થિતી નહોતી, પણ તેમનો પ્રેમ તેમને કેમ રહેવા દે? તેમણે આવવાનો આગ્રહ રાખ્યો. આવ્યા તો ખરા, પણ તેમને મૂંઝારી આવી ને પાછ જવું પડ્યું. આવું તેમને વખતો વખત થતું એટલે તેમણે ખબર દેવડાવ્યા કે અમારે પાર્ટી તો ચાલુ જ રાખવાની. પાર્ટી એટલે સોસાયટીના આશ્રમમાં મહેમાનઘરની પાસેના ચોગાનમાં જાજમ આથરી બેસવું. મગફળી, ખજૂર વગેરે ચાવવાં, અને પ્રેમ વાર્તા કરવી ને એકબીજાંના હ્રદય વધારે જાણવાં.

પણ આ મૂંઝારી મારા જીવનને સારુ સામાન્ય અનુભવ નહોતી થવાની.