સરસ્વતીચંદ્ર ભાગ ૪/ગંગાયમુના.

વિકિસ્રોતમાંથી
← પુત્રી. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ગંગાયમુના.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સમાનવર્ત્તન. →


પ્રકરણ ૫૦.
ગંગાયમુના.
બહેની ! એ તો કામણગારો રે !
ત્હારે માટે સર્વથી ન્યારો રે !

કુમુદબ્હેન ! આ સંસારના દમ્ભને છોડી જે રાત્રિ જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ હતો અને જેને માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો એ રાત્રિને તમે પણ એમની સાથે જઈ જોઈ આવ્યાં ખરાં !” તમ્બુની અંદરની કનાત અને બ્હારની કનાત આગળની દોરીયો વચ્ચે તમ્બુના દ્વારમાં થઈને આવજા કરતી અને એના એક સ્તમ્ભને ઝીલતી ઝીલતી કુસુમ બોલી – “લ્યો પાછા આ એમના લેખ.”

“હા, હું જોઈ આવી ને એ લેખ તો તને જ આપવાને માટે લાવી છું. ” કુમુદ એક ખુરસી ઉપર બેઠી બેઠી બોલી. “મને આપીને શું કરશો ને તેમ આપવાનો તમને શો અધિકાર ?” સામી ખુરશી ઉપર બેસતી બેસતી કુસુમ બોલી.

કુમુદ૦– મ્હેં ઘણો વિચાર કરીને અને ઘણા અધિકારથી તને એ લેખ આપ્યા છે તે રાખ.

કુમુદ૦– તે ક્‌હેશો તો ખરાં કની?

કુમુદ૦– તે ક્‌હેવાનું છે જ. હું એમની જોડે જઈ એમના હૃદયના અલખ ભાગને જોઈ આવી, અને હવે એમના લેખમાં એ અલખ જગવવાનો અધિકાર મને નથી તે તને સમજાવ્યું. સંસારનું પરમ કલ્યાણ કરવાનો એમનો પરમ અભિલાષ મ્હારાથી સિદ્ધ કરાવાય એમ નથી તેના સાક્ષી ચન્દ્રકાંતભાઈ, ને ત્હારાથી કરાવાય એમ છે તેના સાક્ષી પણ એ જ!

“ઓત્ તમારું ભલું થાય ! ધીમી ધીમી લાંબી લાંબી વાતો કરીને ભોળાં બ્હેને અંહી વ્હાણ આણ્યું કે ?” આંખો ચગાવી ઉચું જોતી, મ્હોં પ્હોળું કરી, બોલતી બોલતી કુસુમ ઉભી થઈ અને અંતે વિચાર કરતી કરતી બોલતી હોય તેમ હાથ લાંબો કરી ધીરે પણ દૃઢ સ્વરે બોલી ઉઠી; “એ તો તમારો મર્મ સમજી, પણ કુમુદબ્હેન, એમાં તો તમારું કાંઈ વળે નહી ! હં – બોલો હવે.”

કુમુદ૦ – જો, આ કાગળમાં એક સાધુજને કવિતા લખી આપી છે તે ગા જોઈયે –

કુસુમ તે લેઈ ગાવા લાગી.

“મોરલી અધર ચ્હડી રે
“મોરલી અધર ધરી રે
“સો મોરલી અધર ચ્હડી રે !
“સો મોરલી અધર ધરી રે !”

“વારું, ઠીક આ બધું લાંબું લાંબું હું કંઈ નથી ગાતી – એ મને આપીને શું ક્‌હેવાનું કરો છો ? ”

કુમુદ૦– અલખ હૃદયનું ગાન શ્રીકૃષ્ણજીવનના ઓઠ ઉપર મોરલીમાં ચ્હડે ત્યારે જ સંસાર એ ગાનને લખ કરે. કુસુમ ! જેના હૃદયમાં આવું આવું અલખ ગાન ભરેલું મ્હેં આ લેખમાં જોયું તેને લખ કરાવનારી મોરલી મ્હારાથી થવાતું નથી તે વિચારી મ્હારું હૃદય ફાટી જાય છે.

કુસુમ૦– એટલી વાત તો હું માનું છું. તમે જે આટલો સંસાર જોયો ન હત તે તમે આ દુ:ખમાં ન પડત. निःस्नेहो याति निर्वाणं स्नेहोऽनर्थस्य कारणम् - નિઃસ્નેહી નિર્વાણનું સુખ પામે છે ને સ્નેહ અનર્થનું મૂળ છે. પણ પિતાજી ક્‌હે છે કે अनारम्भि हि कार्याणां प्रथमं बुद्धिलक्षणं અને आरव्घस्यान्त गमनं द्वितीयं बुद्धिलक्षणम्. તમને સઉયે મળી આરંભના ખાડામાં નાંખ્યા તે હવે તમારું બુદ્ધિલક્ષણ એ કે તમારે અંત સુધી જવું; ને હું તો તમારાથી ચેતી ગઈ છું ને અનારમ્ભ જે પ્રથમ બુદ્ધિલક્ષણ છે તેને જ પકડી લીધું છે - અને - હવે તો - ભુલ્યે ચુક્યે -એ રસ્તે “કધી ભી ન જાઉંગી – કધી ભી ન જાઉંગી.”

કુસુમે ખભા વીંઝ્યા.

કુમુદ૦– જો એ બીજું બુદ્ધિલક્ષણ પકડ્યાથી મ્હારું દુ:ખ મટે એમ હત તો હું પ્રારબ્ધના અંત સુધી જાતે જાત જ. પણ તેમ કર્યાથી તો ઉલટું સર્વ કાર્ય વણસે છે ને સંસારનું કલ્યાણ કરવાની મહાશક્તિ અને અપૂર્વ વૃત્તિ વાળા મહાત્માની શક્તિ અને વૃત્તિ પત્થર ઉપર પડતી વૃષ્ટિ પેઠે નિષ્ફળ થાય છે. મ્હારે તો હવે એક જ અધિકાર – વિહારપુરી અને ચન્દ્રાવલીનો સંસાર જેવો સંસાર કરી નાંખવાનો – રહ્યો છેઃ મહાશક્તિ મહાલક્ષ્મી જગદમ્બા સ્વરૂપે આકાશથી પૃથ્વી સુધી વ્યાપી ર્‌હે છે ને આવાં નવરાત્રિમાં આ સંસારને ગરબે રમવા નીકળે છે તે આકાશમાં એ મહાત્મા ચંદ્ર પેઠે ફરશે અને રંક કમુદ છેક નીચેના તળાવમાં તેને જોઈને જ વિકસશે – ઈશ્વરે મને એ જ અધિકાર આપ્યો છે - મહેશ્વર કે મહેશ્વરીને કપાળે સરસ્વતીચંદ્ર ચંદ્ર પેઠે ચળકશે ને દૂર પૃથ્વી પર ખાબોચીયામાં પડી પડી રંક કુમદમાળ તો એ પિતા ક્‌હે કે માતા ક્‌હે તે દેવને ચરણે રહી એ ચંદ્રનાં માત્ર કીર્તિકિરણને પોતાના હૃદય ઉપર ધારશે –

ગરબે રમવાને ગોરી નીસર્યો રે લોલ,
શિરે ચન્દ્ર ને પગે તે કુમુદને ધર્યા રે લોલ !

- એ ભાલતિલક ને હું ચરણકમળ – એમજ નિર્માણ થયલું છે.

કુસુમ– એમ ર્‌હેવાનું તમારું ભાગ્ય હોય તો તે પણ શું ખોટું છે ?

કુમુદ૦-સુંદરગિરિનાં આભલાંમાં એ ચન્દ્ર ઢંકાઈ ર્‌હે તો કુમુદ તેની કીર્તિના પ્રકાશનો ફાલ જોઈ શકે એમ નથી, ને તે નહીં જોઈ શકે તો ત્હારી કુમુદ અકાળે કરમાશે ! કુસુમ ! વગર વાદળના સ્વચ્છ આકાશના તારામંડળમાં જ્યારે ચન્દ્ર પૂર્ણ પ્રકાશથી રાજ્ય કરી ર્‌હેશે ત્યારે જ કુમુદ એની સંપૂર્ણ કીર્તિને પ્રત્યક્ષ કરી ખીલી ર્‌હેશે !

કુસુમ૦– એ તો ખરું. કુમુદ૦– તો કુસુમ ! એ વાદળાંને વીખેરનારી પવનલહરી થઈ મ્હારી કુસુમ શું એની કુમુદને પ્રફુલ્લિત નહી કરે ? કુસુમ, ત્હારી કુમુદ સંસારની દૃષ્ટિયે કલંકિત થઈ છે, એ ફુલ હવે નિર્માલ્ય થયું છે, એનો સુગન્ધ એમાંથી લેવાઈ ગયો છે ને બીજા દેવને એક વાર ધરાવેલું નૈવેદ્ય આ મહાત્મા ધરશે તો લોકની દૃષ્ટિમાંથી એ મહાત્માનું માહાત્મ્ય ઉતરી જશે. કુસુમ, તું દોષહીન અણસુંઘ્યું કુસુમ એ મહાત્માનું માહાત્મ્ય સુરક્ષિત રાખવાને સમર્થ છે.

કુસુમ કંઈક વિચારમાં પડી હતી તે જાગી.

“કુમુદબ્હેન, એમાંનું કંઈ ન વળે. તમે કોઈ રીતે કલંકિત થયાં નથી, તમારાં હૃદય નંગકુંદન પેઠે જોડાયાં છે તે જોડાયલાં ર્‌હે તો જ મ્હારું હૃદય તૃપ્ત ર્‌હેશે. જો સંસાર તમારામાં કલક ન છતાં કલંક ગણે એવો અાંધળો છે તેનું કલ્યાણ કરવાનું તમારે કાંઈ કામ નથી ! એ સંસારની સાથે તમારે શી લેવાદેવા છે ? એ સંસાર એવાં કલ્યાણ પામવાને યોગ્ય જ નથી.”

કુમુદ૦- આવા મહાત્માના અલખ ગાનને પ્રકટ કરવાની લક્ષણવતી મોરલી શું મ્હારી કુસુમ નહી થઈ શકે ? મ્હારી અને મ્હારા ચન્દ્રની વચ્ચે અંતરાય નાંખનારી વાદળીને વીખેરનારી પવનની લ્હેર જેવી શું મ્હારી કુસુમ નહી થાય ?

કુસુમ૦– મ્હારે સુખનો તિરસ્કાર છે તેને તમારે સુખી કરવી છે, ને તમે દુ:ખી છો તેમણે દુ:ખમાં પડી ર્‌હેવું છે. સરસ્વતીચંદ્રને સુખી કરવાની શક્તિ મ્હારામાં નથી ને સંસાર જેને સુખ ગણે છે તે સુખ મને સુખી કરી શકે એમ નથી. હું જેવી છું તેવી જ પરમ સુખી છું.

કુમુદ૦– બ્હેન, તું સ્વાર્થી નથી ?

કુસુમ૦- જો સ્વતંત્ર ર્‌હેવામાં સ્વાર્થીપણું આવી જતું હોય તો એ સ્વાર્થ મને બહુ વ્હાલો છે.

કુમુદ૦- જો સ્વતંત્રતા તને પ્રિય છે તો આ મહાત્મા સંપૂર્ણ રીતે અાપશે.

કુસુમ૦– એ તો છોકરાં સમજાવવાની વાત છે.

કુમુદ – મ્હારી સાથે આવો આવો પ્રસંગ પડ્યા છતાં, અત્તરની શીશી ઉપર ડાટો વાસી રાખે તેમ, જેણે મને પવિત્ર રાખી છે તેને, હારી ઇષ્ટ સ્વતંત્રતામાં રજ પણ ન્યૂનતા થતાં, તે કંટક પેઠે સાલશે એવું શું તું ધારતી નથી ? કુસુમ૦- ન્યૂનતા થાય તે પછી સાલે તે નકામું. એ ન્યૂનતાનો પ્રસંગ જ દૂર રાખવો.

કુમુદ૦- જેણે આજથી ચન્દ્રકુમુદના જેવો, વિહારપુરી ને ચન્દ્રાવલી જેવો, અશરીર – કેવળ માનસિક - સ્નેહનો યોગ મ્હારી સાથે જન્મારો રાખવાની સજ્જતા દર્શાવી છે તે ત્હારા ભયનો પ્રસંગ સરખો નહી આવવા દે એવું તું ધારતી નથી ?

કુસુમ૦- સજ્જ હોય માટે સમર્થ પણ છે એમ કંઈ ક્‌હેવાય ?

કુમુદ૦– હું અનુભવની વાત કહું છું કે તે મહાસમર્થ ત્યાગી છે.

કુસુમ૦– મને કાકીએ કહ્યું છે કે સ્ત્રીઓ જેવી દૃઢતા પુરુષોમાં નથી – પુરુષો ભલે પોતાની સ્તુતિ કરે.

કુમુદ૦– કાકીએ સત્ય કહ્યું છે. પણ જેમ સામાન્ય રીતે પુરૂષો કરતાં સ્ત્રીયો નીચી હોય છે છતાં પુરુષો કરતાં ઉંચી સ્ત્રી પણ મળી આવે છે તેમ પુરુષોમાં પણ આવા ત્યાગી હોય છે–

કુસુમ૦- બ્હેન, તમે જે અણીશુદ્ધ પવિત્ર રહ્યાં છે તે તમારી જ શક્તિનું ફળ છે ને તમારા હૃદયની પ્રીતિ તમારી જીભને તમારી આત્મસ્તુતિના માર્ગથી આડી વાળે છે.

કુમુદ૦– મ્હેં તને સત્ય કહ્યું હતું તે ફરી કહું છું કે હું અત્તરની શીશી પેઠે ઢોળાઈ જવા જેવી થઈ હતી; તેને આ સમર્થ ત્યાગીએ સિદ્ધી કરી ને મ્હારી પવિત્રતાનું અત્તર અમર રાખ્યું. જેણે અઢળક લક્ષ્મીનો મ્હારો, અને ઇન્દ્રપુરીજેવી મુંબાઈનો ત્યાગ કર્યો તે મહાત્મા મન્મથના અગ્નિ ઉપર દાઝ્યાવિના ચાલી શકે એમાં તને શું આશ્ચર્ય લાગે છે ?

કુસુમ૦– આશ્ચર્ય તો કાંઈ નથી. માત્ર અનુભવીયોનો અભિપ્રાય છે.

કુમુદ૦– ત્હેં એમનાં સ્વપ્નોનો સાર જાણ્યો ને એમણે ધારેલા સમારમ્ભનો સાર જાણ્યો. તે કામમાં ખરચવા રાખેલી લક્ષ્મી તેમને એાછી પડે છે માટે પુત્રાદિ ઉપાધિ પણ જોઈએ નહી એવો તેમનો નિશ્ચય છે તે પણ ત્હેં જાણ્યું છે; અને કુમુદ સાથેનો સંસાર પણ ઇચ્છતા નથી પણ કુમુદને દીધેલા દુઃખના પ્રાયશ્ચિત્તરૂપ ગણીને જ સ્વીકારવા ધારે છે – તે તને કહ્યું.

કુસુમ૦– તે પણ હશે. પણ મને આ કથાનો જ કંટાળો આવ્યો છે. તમે બીજી વાત ક્‌હાડો. કુમુદ૦– જે આ વાતનો તને કંટાળે હોય તે મ્હારું દુઃખ નિવારવા તું રાજી નથી ને મ્હારે હવે બીજી વાત શી કરવાની છે ? કુસુમ, આપણો સમાગમ આટલાથી પુરો થશે અને કુમુદ પરિવ્રાજિકામઠમાં કરમાતા સુધી ર્‌હેશે. જેનું કલ્યાણજીવન સફળ કરવાની મ્હારી છેલી આશા ત્હેં ધ્વસ્ત કરી છે તે મહાત્માએ સગી માતાને અભાવે સંસાર છોડ્યો, પ્રીતિ છોડી, મુંબાઈનગરી જેવું ઉત્કર્ષસ્થાન છોડ્યું, અને સંસારનું મહાકલ્યાણ કરવા તેણે ધારેલું છે ને સમર્થ છે તે મહાકલ્યાણ સુપાત્ર સહધર્મચારિણીને અભાવે ઈશ્વરને સોંપી દેઈ પોતે યદુશૃંગના બ્રહ્મચારી બાવા થઈને એ સુગન્ધવાળું ફુલ રણની ઉકળતી રેતીમાં ચીમળાઈ આયુષ્ય પુરું કરશે. હવે આ વિના બીજો માર્ગ તેમને પણ નથી ને મ્હારે પણ નથી.

કુસુમ૦– ને તમારી ધારણા પ્રમાણે હું વર્તું તો તમે તમારો જન્મારો કયાં પુરો કરશો ?

કુમુદ૦– મ્હારા અને મ્હારાં પવિત્ર દેવીના દુ:ખથી મ્હારા સસરાજી સંન્યસ્ત લેવા ધારે છે તેમને આશ્વાસન આપવા હું તેમને ઘેર જઈશ. મ્હારાં અલકબ્હેન અશિક્ષિત છે પણ ત્હારા જેવાં જ તીવ્ર અને ત્હારા જેવાં જ માયાળુ છે તેમની જોડે ત્યાં કાળક્ષેપ કરીશ. મ્હારાં દેવી ન્હાનો પુત્ર મુકી ગયાં છે તેને ઉછેરવામાં, વિદ્યા આપવામાં, અને સદ્ગુણી કરવામાં ત્હારા બનેવીના જીવનું શ્રાદ્ધ અને તર્પણ માનીશ. બાકીનો કાળ સુવર્ણપુરમાં રહી તમ દમ્પતીના સમારંભનો લાભ સુવર્ણપુરનાં કુટુમ્બોમાં પ્રસારવા યત્ન કરીશ અને મ્હારા સસરાજી તેમાં ધનથી અને રાજ્યથી આશ્રય આપશે. વર્ષમાં કંઈક કાળ ગુણીયલ પાસે, કંઈક ત્હારી પાસે, અને કંઈક ચન્દ્રાવલીબ્હેન અને મોહનીમૈયા જેવાંના સત્સમાગમમાં, ગાળીશ, અને યથાશક્તિ તેમને તમને સુવર્ણપુરમાં બોલાવીશ, બાકી મ્હારું આયુષ્ય જેટલો અવકાશ આપશે તે સર્વ કાળ સારા ગ્રન્થ જોવામાં અને પરમાત્માના ચિન્તનમાં ગાળીશ. કુસુમ, મ્હારું આયુષ્ય મ્હારા ચન્દ્રને અને તને કલ્યાણપ્રવૃત્તિઓમાં સફળ લોકયાત્રા કરતાં જોઈ નિવૃત્ત અને તૃપ્ત થશે, તમને બેને, ગુણીયલને, પિતાજીને અને મ્હારા શ્વશુરકુટુંબને સુખી જોઈ સુખી થશે, અને તને ક્હેલાં કાર્યમાં તમારા જેવી જ પ્રવૃત્તિ રાખતાં મ્હારા ચન્દ્રનો અહોનિશ ધ્યાનયોગ પામશે. ક્‌હે વારુ, એ પછી કુમુદનું આયુષ્ય સફળ કરવાને શું બાકી રહ્યું ?

કુસુમ૦- તમે જ શાસ્ત્ર ક્‌હાડ્યું છે કે પ્રીતિને આગળ કર્યા વિનાનું તમારું થયેલું લગ્ન સાધુજનો વાઞ્ચનાલગ્ન ગણે છે – ને મ્હારું એવું લગ્ન કરાવવા તમે ઉભાં થાવ છો તે શું ?

કુમુદ૦– એ પ્રીતિનું બીજ ત્હારામાં નથી એવું નથી.

કુસુમ૦– ખોટી વાત ! ખોટી જ વાત !

કુમુદ૦– ચન્દ્રકાન્તભાઈએ સરસ્વતીચંદ્રને ત્હારી કેટલીક વાતો કહી છે તેથી હું સમજી છું કે એ મહાત્મા રત્નનગરી આવ્યા હતા તે કાળે ત્હારે બાલભાવનો જે ઉમળકો એમના ઉપર બીજરૂપે વવાયો હતો ત્યાં ઈશ્વરે એકાન્તમાં પણ ઉચિત વૃષ્ટિ કરી છે ને એ બીજના અંકુર ફુટી નીકળ્યા છે. હું તમારો યોગ કરાવીશ ત્યારે એ અંકુર વિકાસ પામી પુષ્પફળ ધારવાને સમર્થ થશે.

કુસુમ૦– ચંદ્રકાંતભાઈ મ્હારા કાળજાની વાત શી સમજે ? બધાં સરસ્વતીચંદ્રનો દોષ ક્‌હાડતાં હતાં ત્યારે મ્હેં તેમનો જરી પક્ષ કર્યો એટલે કાકીએ ને બધાંએ એનો ગમે તેવો અર્થ કર્યો – તે સઉ ફોકટ.

કુમુદ૦– હેતુ વિનાનો પક્ષપાત તે જ સ્નેહ એવું સાધુજનો લક્ષણ ક્‌હે છે. એવો પક્ષપાત ત્હારા હૃદયમાં ઉદય પામ્યો છે એની શું તું ના ક્‌હે છે ? આપણા લોક ન્હાનાં બાળકોમાં વિવાહના વાગ્દાનકાળથી અાવો પક્ષપાત રોપાવાના પ્રસંગ આણે છે ને સપ્તપદીકાળે એ પક્ષપાત પરિપાક પામ્યો ગણી લગ્ન કરે છે – લોકની અધોગતિને લીધે તેઓ આ મર્મ સમજતા નથી ને આવા પ્રસંગે આણવાના યોગ્ય વિધિ કરતા નથી. ભગવાન્ મન્મથ સંકલ્પયોનિ છે અને આવા પ્રસંગોથી ઉત્પન્ન થયલા સંકલ્પ પરિપકવ કરવામાં આવે ને યોગ્ય વયે લગ્ન કરવામાં આવે તો સપ્તપદીની પ્રતિજ્ઞાઓ યથાર્થ રૂપે લેવાય એવું મ્હારા સ્વપ્નના નાગલોક ગણતા. એવા જ પ્રસંગોએ મ્હારી અને સરસ્વતીચંદ્રની પ્રીતિને પ્રકટ કરી, ને એવા જ પ્રસંગોથી ત્હારી પ્રીતિનાં બીજ રોપાયાં છે તે યોગ્ય વિધિથી પરિપાક પામ્યા વિના ર્‌હેવાનાં નથી.

કુસુમ૦– એ તમારું શાસ્ત્ર જે હો તે હો. પણ મ્હારામાં તે પ્રીતિ નથી જ. ને સામાપક્ષમાં તો એ પ્રીતિનું મૂળ પણ નથી એવું તમારે કહ્યા વિના ચાલે એમ નથી. કુમુદબ્હેન, ફોકટ ફાંફાં શાને મારતાં હશો ?

કુમુદ૦– ત્હેં જ લખ્યું હતું કે 'દેખ મછેન્દર, ગોરખ આયા' એવું તેમને ક્‌હેવાનો તારે અધિકાર છે.

કુસુમ, ખભા ઉંચા કરી, મ્હોં મરડી, બોલી, “વારુ ! એવું કહ્યું તેમાં શું આવી ગયું જે ? આમ ઉંધા ઉંધા અર્થ કરતાં આ સાધુઓમાં રહી શીખ્યાં હશો ?

કુમુદ૦– જે સાધુઓમાં રહીને હું શીખી તે તને ઉંધા અર્થ કરનાર લાગતા હોય તો તેમના ભેગાં જવાને ઠેકાણે હું કહું છું ત્યાં જા.

કુસુમ૦- હવે આ પ્રકરણ બંધ કરીશું ?

કુમુદ૦– ગમે તો એ પ્રકરણને અને આપણે બેનો – બે સમાગમ સાથેલાગા બંધ કર, અને ગમે તો બે સમાગમને સાથેલાગા ચાલવા દે.

કુસુમ૦– જાઓ, પિતાજી, તમે, ગુણીયલ, ને સરસ્વતીચંદ્ર,-એ ચારનો એક જ મત થાય તો તે કરું – ને ત્રણમાંથી એક જણનો મત જુદો પડે તો મ્હારી મરજી પ્રમાણે કરું – તો ?

કુમુદ૦– એટલું કરીશ તો બહુ છે.

કુસુમ૦- જો, જો, હાં, છેતરાશો ! એ ચાર મત એક થવાના નથી; ને નહી થાય તો તમે મ્હારી મરજી પ્રમાણે ચાલવા બંધાવ છે ?– ને ભુલી, પાંચમો દાદાજીનો મત પણ ખરો. એક કાકીનો નહી.

કુમુદ૦– હા, હું યે બંધાઉ ને તું યે બંધા.

કુસુમ૦– બંધાવ જોઈએ.

કુમુદ૦– આ હું બંધાઈ – મ્હારું વચન છે.

કુસુમ૦– બંધાવ છો ? – જો જો હો ?

કુમુદ૦– હા, બંધાઈ પણ તું બંધ ને.

કુસુમ૦– હું યે નહી બંધાઉ ને તમે યે ન બંધાશો, બે જણ મોકળાં રહીશું.

કુમુદ૦– મને બાંધી હવે કાંઈ છુટાશે ?

કુસુમે નિઃશ્વાસ મુકયો : “ત્યારે શું હું બંધાઈ જ ?"

કુમુદ૦– શું કરવા નિઃશ્વાસ મુકે છે ? બે જણ બંધાયાં છીયે.

કુસુમ૦– એ તો કાંઈ ઠીક ન થયું.

કુસુમને ગળે હાથ મુકી, એને ઉઠાડી, એને સાથે લેઈ, કુમુદ તંબુબ્હાર નીકળી.

“કુસુમ, આ સામેની વાડોપાર ગુલાબના છોડ તું દેખે છે ? ” કુમુદે પુછ્યું.

કુસુમ૦– હા. કુમદ૦– આ પણે આગળ વંટોળીયામાં છુટી ધુળ ઉડે છે ને કાંટાવાળા દીંટા ઉપર આ ગુલાબ બંધાઈ રહ્યા છે તે પણ વાથી હાલે છે, એ બેમાંથી સારું જીવન કેાનું ?

કુસુમ૦– મને આજ કાંઈ સુઝતું નથી. તમારે માથેથી ઉતરેલું ચક્ર મ્હારે માથે આવી બેઠું છે તેની વેદનામાં મને તમારું ગુલાબ પણ ગમતું નથી ને ધુળ પણ સુઝતી નથી.

કુમુદ– આ ધુળ છુટી છે તે સ્વતંત્રતાથી સુખમાં મ્હાલે છે ! ને ગુલાબ લોકનું કલ્યાણ કરવાને સરજેલાં છે તે બીચારાં આમ કાંટાઓ વચ્ચે બંધાઈ વીંઝાઈ રહ્યાં છે !

કુસુમ બોલી નહી.

કુમુદ૦– લોક ઘણું ખરું સ્વતંત્ર સુખ પાછળ દોડે છે તે આવા વંટોળીયામાં આ ધુળ પેઠે ગુંચવાય છે.–

કુસુમ૦– એ તો સત્ય.

કુમુદ૦– તેમાંનો સમજુ ભાગ સુખને સ્થાને સ્વતંત્રતા શોધે છે અને સમજુઓમાં પણ દૂરદર્શી હોય છે તે અન્ય સ્વતંત્રતાને સ્વચ્છંદ જેવી માને છે ને માત્ર ઉપાધિથી દૂર ર્‌હેવાની આ ઉપલા આકાશના જેવી સ્થિતિને જ સ્વતંત્રતા ગણી સંન્યાસ અથવા ત્યાગ શોધે છે.

કુસુમ૦– મ્હારે એ જોઈએ.

કુમુદ૦– એવા પણ જીવ છે કે જે જીવરાજ શેઠના પ્રવાસને સફળ કરવા તેમના ઉપાધિઓમાં ગુલાબ પેઠે બંધાઈ વીંઝાઈ ર્‌હે છે - પાણીમાં ને પવનમાં કમળ પેઠે ર્‌હે છે ! પણ કમળ ઉપર પાણી ર્‌હે ને હાથેલીમાં પારો ર્‌હે એમ ઉપાધિઓ ચારે પાસ તરવરવા છતાં આ જીવો એ ઉપાધિઓથી અસ્પૃષ્ટ ર્‌હે છે અને તે છતાં પોતાનો સમાગમ પામેલા પાણીને સુશોભિત અને સુગંધિત કરે છે અને પારાના વિષથી નિર્ભય રહી પારાનો લોકકલ્યાણકર પ્રયોગ કરે છે. કુસુમ ! સરસ્વતીચંદ્ર સ્વતંત્રતા ઇચ્છતા નથી પણ આવી અસ્પૃશ્યતાનું અને કલ્યાણવૃત્તિનું ધારણ કરે છે. જીવનમુક્તિ અને મનુષ્યધર્મનો સમાગમ આવી રીતે જ થાય છે. તું સંન્યાસની સ્વતંત્રતા ઇચ્છે છે. હું તને, સરસ્વતીચંદ્ર જેવી – ગુલાબ અને કમળ જેવી- થયલી જોવા ઇચ્છું છું. ત્હારી ઇચ્છા પ્રમાણે સર્વનો એક મત થશે તે પ્રમાણે સ્વીકારવા ત્હેં સમજીને હા કહી છે તો હવે શા માટે મુંઝાય છે ? તું ક્‌હેની કે તું સ્વતંત્ર રહી શું કરીશ ? ત્હારા આયુષ્યનો સુકાળ કેમ ગાળીશ ? કુસુમ૦–સદ્વસ્તુ વાંચીશ, જાણીશ, ને સ્વસ્થ રહીશ.

કુમુદ૦– બીજી કાંઈ કલ્યાણકર ક્રિયા કે ફળ વિના આટલા એકલપેટા સ્વચ્છન્દી નિષ્ફળ જીવનથી તને સંતોષ છે ? ત્હારા વાંચ્યાનું અને જાણ્યાનું ફળ બીજા કોઈને શું થશે ? પાણી ભરેલાં વાદળાં વાદળમાં જ વેરાઈ જાય તેમ ત્હારા સુંદર જીવનને વેરી નાંખવાને માર્ગે તું ચ્હડતી નથી ? કુસુમ, આ સામે સુભદ્રાનો અને રત્નાકરનો પુણ્ય સંયોગ આ ગિરિરાજ ઉપરથી આપણે જોઈ શકીયે છીયે તે જરી જો !

કુસુમે દૃષ્ટિ કરી પણ ઉત્તર ન દીધો.

કુમુદ૦– સુભદ્રા મીઠા જળની ભરેલી છે પણ પોતાના તીર ઉપરના પ્રદેશ વિના બીજાને તેનો લાભ મળતો નથી – મળી શકે એમ નથી – પણ એનાં વેગભર્યો જળ મહાસાગરમાં ભળે છે, ભળે છે પણ મહાસાગરને મીઠો કરી ન શકતાં એનું પોતાનું જળ, ખારું બની, દેખાતું બંધ થાય છે અને જયાં ત્યાં મહાસાગરનું જળ ખળખળતું દેખાય છે ! પણ ત્યાં જ એમનું અદ્વૈત સમજવું ! સુભદ્રા પોતાની શક્તિ પ્રમાણે આ મહાસાગરની જળસમૃદ્ધિને પોષે છે – તેમાં વધારો કરે છે, પૃથ્વી ઉપરનાં દૂરનાં અનેક ગુપ્ત સ્થાનોમાંથી કંઈ કંઈ પદાર્થો ખેંચી આણે છે ને – તે શા શા છે તે જાણવા હોય તો ચાર દિવસ ચંદ્રાવલી બ્હેનના ચોતરા આગળ ઉભી ઉભી જોયાં કરજે – એ ખેંચી આણેલા પદાર્થોથી રત્નાકરનાં ઉંડાં મર્મસ્થાન ભરાય છે – ને રત્નાકર રત્નાકર થાય છે. એ રત્નાકર ઉપર પૃથ્વીની નૌકાઓ દોડ્યાં કરે છે ને સંસારને સાંકળે છે, એ રત્નાકર પૃથ્વી ઉપરના આ સર્વે વાતાવરણને પલાળે છે ને પ્રાણીમાત્રનાં જીવનમાં પળે પળે નવા જીવ ભરે છે, એ રત્નાકર એથી પણ વધારે ઉંચે ચ્હડી આકાશની મેઘમાળાઓનું સ્વરૂપ ધરે છે અને મેઘમાળાઓના ભવ્ય સંચય સંસારનું શું શું કલ્યાણ નથી કરતા ! કુસુમ, તું એકલી કૌમારવ્રત પાળી શું કરવાની હતી ? એકલો પડેલો પાણીનો રેલે ધુળમાં ભળી જાય છે, મનુષ્યોના ચરણની રજમાં ચંપાઈ જાય છે, ને તડકામાં ઉડી જાય છે ! તેવું ત્હારું જીવન થશે. જે મહાત્માનાં અંતઃસ્વપ્ન ત્હેં જોયાં અને જેનાં કલ્યાણ કાર્યનું મનોરાજ્ય ત્હેં દૃષ્ટિગોચર કર્યું તે મહાત્માના હૃદયરત્નાકરની તું રંક સુભદ્રા થઈશ તો પણ એાછી વાત નથી; તો આ તો એની ગંગા એની બ્રહ્મપુત્રા, અને એની સિન્ધુ એ સર્વ મહાનદીઓનું કામ કરવાને તું એકલી જ સમર્થ છે ને તારા વિના એ કામ કરવાને આખા ત્રિભુવનમાં કોઈ સમર્થ નથી ! તો કુસ્મ, શું એવું પુણ્ય જીવન પ્રાપ્ત કરવા તને અભિલાષ નથી થતો ? કુમુદથી એ બનવું અશક્ય છે – એ તો તું ગંગા થઈશ તો ત્હારી યમુના થશે, અને તું એ બેની ગંગા નહી થાય તો તું પણ પાણીનો રેલો ને કુમુદ પણ પાણીનો રેલો ! આપણે આ રત્નાકરનાં ગંગાયમુના જેવાં થઈશું તો ગુણીયલના સુખનો સમુદ્ર ઉભરાશે – આપણે પુત્રીઓ જ એના હૃદયને આજ જડમૂળથી તોડી પાડીયે છીયે તો એ હૃદયરૂ૫ રત્નછત્રને ટકાવનાર સોનાના દાંડા થઈશું ! - અને આપણા પિતા આપણે માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર થયા છે તેને આપણે પરમ પ્રતિષ્ઠા આપીશું ! બાકી લક્ષ્મીનંદનની વૃદ્ધાવસ્થાના આશીર્વાદ આપણા ઉપર રેલાશે, મ્હારા શ્વશુરને તું આટલા આશીર્વાદ દેછે તેના કુટુમ્બના કલ્યાણનાં આપણે સાધન થઈશું, – અને એવાં અનેક સત્કાર્ય – જેને તું ન્હાનાં ગણતી હોય તો ન્હાનાં ને મ્હોટાં ગણતી હોય તો મ્હોટાં–એ સત્કાર્યનાં આપણે સાધક થઈશું. અને,– કુસુમ, આ સર્વે મહાફળની આપણે ઉપેક્ષા કરીયે તો પણ જે મત્સ્યેન્દ્રનાથ જેવા મહાત્માનું ગોરખકૃત્ય કરવા તું તત્પર થઈ છે, જે મહાત્માના પુણ્ય જીવનથી – આ તંબુના દંડથી તંબુની આ દોરીઓ રહી છે તેમ – ટકી રહેલી મ્હારી અને સુન્દરગિરિપરના સંસારમાંનાં સાધુજનોની આશાઓ એ મહાત્માને ટકાવી ટકી રહી છે, તે મહાત્માના જીવનને અને તેની સાથે મ્હારી અને આ સર્વની પવિત્ર આશાઓનાં મને રાજ્યને સફળ કે નિષ્ફળ કરવાં એ એક કુસુમના હાથમાં છે ! તે તું નિષ્ફળ કરીશ, સ્વચ્છન્દ કુમારિકા રહી પેલી ધુળ પેઠે આથડીશ, તો – પિતા પોતાની ઉદારતાને લીધે ને ગુણીયલ પોતાના પતિવ્રતને લીધે તને સ્વતંત્રતા આપે છે ખરાં – પણ તેમનાં ભાગ્યની અવદશા મ્હારે ત્હારે હાથે થયેલી જોઈ આપણે સંસારમાં સ્વચ્છન્દ અને ક્રૂર પુત્રીઓનાં દૃષ્ટાંતરૂપ થઈશું, નવી કન્યાઓને વિદ્યા અને સ્વતંત્રતા મળવાનો સંસાર નિષેધ ગણશે તેનાં કારણ થઈ પડીશું, એ કન્યાઓનાં અદૃષ્ટ દુર્ભાગ્યને ઉપરથી પૃથ્વી ઉપર ઉતરી આવવાની નીસરણીયો થઈશું, અને તેમનાં મહાપ્રયત્ને ચ્હડતાં સદ્ભાગ્યને રોકી દેવાના દાદરા થઈશું ! અને કુમુદને કપાળે તો ત્હારા વિના એકલો પડનાર આ મહાત્માનું સર્વે સામર્થ્ય અને મનોરાજ્ય પડી ભાગ્યું જોવાનું જ બાકી ર્‌હેશે. હવે વધારે ક્‌હેવાની મ્હારી શક્તિ નથી – ડુબાડ કે તાર, જીવાડ કે માર,- જ્યાં સુધી સંપૂર્ણ પ્રસન્ન થઈ પ્રીતિથી એ મહાત્માને ત્હારા ગંગા જેવા નિર્મળ હૃદયમાં સ્વીકારવા તું તત્પર થાય, ત્યાં સુધી એ મ્હારું કહ્યું માને એમ નથી, હું એમને ઠગું એમ થવાનું નથી, તેમ જ ત્યાં સુધી આ રાજહંસ આકાશમાં સંચરવા સમર્થ થાય એમ નથી અને કુમુદ, એમને જડ પૃથ્વી ઉપર નિરાહાર આયુષ્ય ગાળતા જોઈ પોતાના રંક આહારનો કોળીયો પામે એમ નથી. કુસુમ, હું ક્‌હેવાનું કહી રહી - તારું મનોગત કહી દે એટલે ગમે તો હું તરત જાઉં ને ગમે તો ત્હારી પાસે રહું ને સર્વથા નિશ્ચિન્ત અને કૃતકૃત્ય થાઉં. હું ત્હારા ઉપર બળ કરતી નથી ને કરવાની નથી ! સર્વના એકમત પ્રમાણે ચાલવાની ત્હેં હા કહી છે. અને તું તે પ્રમાણે ચાલીશ એ પણ હું જાણું છું. પણ તે વસ્તુ સર્વેને ગમતી હોય પણ ત્હારા હૃદયમાં જરી પણ અણગમતી હશે તો તેથી ત્હારો જન્મારો બગડશે તે મ્હારાથી નહીં ખમાય. માટે જ હું, ત્હારા મનને બુદ્ધિ આપી, ત્હારા મનને આ વાત ગમતી થાય તો જ તેમાં પ્રવૃત્ત થવા ઇચ્છું છું. ત્હારા હૃદયને એક ખુણે પણ આ વસ્તુ ન ગમતી હોય તો દુ:ખી કુસુમ કરતાં દુ:ખી કુમુદ સારી ! માટે મને ત્હારા મનની ખરેખરી વાત કહી દે કે તું સુખી શાથી થઈશ ? અનેક જનના કલ્યાણના આ કાર્યથી તું સુખી થાય એમ હોય નહી તો મ્હારે એ કાર્ય નથી અારંભવું. મ્હારો પોતાનો સંકલ્પ તો એટલો જ છે કે એ કાર્ય આરંભવાની ના ઠરશે તો હું માતાપિતાને અપકીર્તિ કે હાનિ ન વેઠવી પડે ને આ મહાત્માની મ્હારાથી દૃષ્ટિસેવા થાય એવી રીતે - પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના ચંદ્ર તેની પ્રદક્ષિણા કરે છે તેમ – પરિવ્રાજિકામઠમાં આયુષ્ય પુરું કરીશ ! કુસુમ, તને કીયે માર્ગ સુખ થશે તે કહી દે ! કુમુદ તો દુ:ખમાં જન્મી છે, દુ:ખમાં વસી છે, ને દુ:ખમાં મરશે ! પણ સુખમાં જન્મેલી મીઠા જળની માછલી જેવી કુસુમને ખારા પાણીમાં નહી નાંખું. તું હસતા મુખથી કહી દે – મ્હારું મુખ હસે કે રુવે તેની રજ ચિન્તા તું કરીશ નહી ! કુસુમ, ત્હારું મનોગત કહી દે ને મને મુકત કર ! હવે બીજો એક શબ્દ નહી પુછું ને પુછ્યું તેટલાની ક્ષમા કરજે.

કુસુમન– બ્હેન, તમારા બોલે બોલ સાચા છે ને અનુભવના છે. તમે મ્હારું કલ્યાણ ઇચ્છો છો એવી મ્હારી શ્રદ્ધા છે ને એ કલ્યાણનો માર્ગ તમે બતાવો છો તે પણ સાચો છે એ તમે સ્પષ્ટ કર્યું તે હું પ્રત્યક્ષ કરી શકું છું વાંધો માત્ર એટલો છે કે મ્હારા હૃદયની કેવી વૃત્તિ છે તે હું સમજી શકતી નથી. વૈદ્ય આપણી નાડી જોઈ રોગ પારખી ઔષધ કરે તેમ તમે સર્વ મ્હારા હદયની પરીક્ષા કરી જે ઔષધ કરશો તેથી મ્હારું કલ્યાણ થશે એમ હું હવે માનું છું. મ્હારા શરીરમાં માંહ્ય શું છે તે હું જાણતી નથી તેમ મ્હારા હૃદયમાં કેવી નાડીયો છે તે પણ જાણતી નથી. મ્હારો વૈદ્ય શોધી ક્‌હાડે કે તમે જ ઔષધ કરો – મને કાંઈ સમજાતું નથી.

કુમુદ૦– એ ચિકિત્સા ને ઐાષધ સુન્દરગિરિના સાધુજનોને મન સહજ છે ને તેમનો અભિપ્રાય પણ હું લઈશ.

એક બીજાને ગળે હાથ મુકી બે બ્હેનો તમ્બુની દોરીયો વચ્ચે ને દોરીયોબ્હાર ફરતી ફરતી વાત કરી રહી એટલામાં તો પાછલો પ્રહર થઈ ર્‌હેવા આવ્યો, સૂર્ય નમવા લાગ્યો, અને બે જણીયો છુટી પડી, કુમુદ જે માર્ગેથી આવી હતી તે માર્ગ ઉપર દૃષ્ટિ કરી, વાત બંધ કરી. અાશપાશનો દેખાવ જોતી, ઉભી રહી ત્યાં તંબુમાં કાંઈક શબ્દ થયો. બે જણીયો તંબુમાં પાછી ફરી તો એક ચન્દ્રાવલી ઉભેલી હતી.