સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.

વિકિસ્રોતમાંથી
← સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મકામ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ. →


પ્રકરણ ૨૩.
સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.
[૧]ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।
यत्रोपकरणीभा वामायातयेवविधेा जनः । भवभूति.

સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં ર્‌હેતો અને તેની સાથે વિહારપુરી અને રાધેદાસ તથા આશ્રમ સંભાળનાર એક બે જણ ર્‌હેતાં. આજ તો વિહારપુરી પણ ભિક્ષાર્થે ગયેા હતેા. આશ્રમ પાછળની ગુફામાં સરસ્વતીચન્દ્ર ફરતો હતો. રાધેદાસ આગલા દ્વારને ઓટલે બેઠો બેઠો વાંચતો હતો. આશ્રમ સંભાળનાર સાધુઓ સ્વયંપાકાદિ કાર્યની તૈયારી કરતા હતા.

સુરગ્રામનાં દર્શનને દિવસે સરસ્વતીચન્દ્રના મસ્તિકમાં કંઈ કંઈ નવા સંસ્કાર ભરાવા પામ્યા હતા. ગિરિ ઉપરથી ઉતરતાં અનભિજ્ઞાત કુમુદ મળી અને તેનાં ઇંગિતે તેમ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષીઓ પેઠે


  1. * આવા (મહાત્મા)નો વિપાક પરમ અદ્ભુત થાય છે - કે જેના કલ્યાણ માટે આવાં મહાશય મનુષ્ય સાધન ભૂત થાય છે. ઉત્તરરામ


ઉરાડ્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મ્હેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો આના મસ્તિકમાં મધપુડોજ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અને કૌટુમ્બિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાન પત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈ કાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તે આ સર્વે વિચારો કરતાં કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.

“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥*[૧] સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?


  1. *ચંડકૌશિક

“ચંદ્રકાંત, મ્હારા કંપતા હૃદયને આધાર આપવાને અને આ ગુંચવારામાંથી મને મુક્ત કરવાને ત્હારી સાત્વિક બુદ્ધિનો ખપ છે, તું મ્હારે માટે ભટકે છે - હું તને શોધું છું - પણ હજી સુધી સંયોગ થતો નથી."

જે સાધુ ચન્દ્રકાન્તને મળ્યો હતો અને રાત્રે તેને પાછાં મળવાનો સંકેત કરી મળ્યો ન હતો તે સુન્દરગિરિ ઉપર પાછો આવ્યો હતો. પોલીસ પોતાના શોધમાં છે, પોલીસ પોતાની ગતિ તપાસે છે, અને પોતાની અને ચન્દ્રકાંતની વાતનો ને સંકેતનો પોલીસને પત્તો મળ્યો છે એટલું જાણતાં સાધુ સંકેત તોડી પાછો પર્વત ઉપર આવ્યો હતો અને નવીનચન્દ્રજીનું નામ અને સ્થાન પ્રકટ કર્યા વિના આ સંકેત સિદ્ધ થાય એમ નથી એવા સમાચાર સરસ્વતીચન્દ્રને તેણે કહ્યા હતા. ચાર પાંચ દિવસ વાત ત્હાડી પાડવી ને પછી યોગ્ય માર્ગે પાછી ઉપાડવી એવો માર્ગ સર્વેયે ફહાડ્યો. ચંદ્રકાંતના મેળાપમાં આમ વિલમ્બ થયો અને એનો ખપ તો આમ તીવ્ર થયો. વિચારમાં ને વિચારમાં તે શતપત્ર કમલનાં ભરેલા ઝરાના ઝીણા ગાનમાં લીન થયો. કોમળ ન્હાના ઘાસમાં એક વસ્ત્ર ઉપર તેની શયા હતી તેમાં હાથનું અશીકું કરી સુતો. ઉપરના વડની ડાળીએ લટકતી હતી તના ઉપર એની દૃષ્ટિ ઠરી. અને અંતે પાસે પડેલાં બે ચાર પુસ્તકો ઉપર એ દૃષ્ટિ જતાં ઉઠ્યો ને બેઠો થયો.

અલખ-મઠની પુસ્તકશાળાનાં સર્વ પુસ્તકોને સંગ્રહ એની દૃષ્ટિને સ્વાધીન કરી દેવામાં આવ્યો હતો. અલખમાર્ગના યોગીએ સર્વ ઐહિક આમુત્રિક વિષયોનાં શાસ્ત્રો જાણતા અને સંસાર જ્યારે એમ માને છે કે શાસ્ત્રોનો મ્હોટો ભાગ માત્ર વાંચવા સાંભળવાને છે અને આ કલિયુગમાં પાળવાને નથી, ત્યારે આ યોગીયો તે સુન્દરગિરિ ઉપર હજી સત્ય યુગ જ ગણતા અને જે કોઈ શાસ્ત્રને સ્વીકારતા તેના સર્વ ઉપદેશ પાળતા. પણ સંસારમાં શાસ્ત્રીઓ માત્ર પ્રાચીન શાસ્ત્રનાં લક્ષણ જુવે છે, ને તેમાંથી અનુકૂળ લક્ષણો સ્વીકારી, પ્રતિકૂળ લક્ષણને કલિયુગને નામે ત્યાગ કરવાનો – અને એ ત્યાગના વિષયમાં સંસારનાં અશિક્ષિત મનુષ્યોના સ્વચ્છન્દ આચાર પાળવાનો - માર્ગ આ શાસ્ત્રીઓ અનિન્દિત ગણે છે અને લોકસંગ્રહને અશાસ્ત્ર માર્ગે પ્રવર્તવા દે છે; ત્યારે આ યોગીયોનો સંપ્રદાય પ્રાચીન કાળથી એવો જ હતો કે જે લક્ષ્યથી શાસ્ત્રો અને તેનાં લક્ષણો બંધાયાં છે તે લક્ષ્ય ઉપર જ અનિમિષ સાત્વિક દૃષ્ટિ રાખી, પ્રસંગે પ્રસંગે લક્ષ્ય વસ્તુનું સિંહાવલોકન કરી, અલખ-અલક્ષ્ય-ના લખ પ્રવાહની ગતિ પ્રમાણે શાસ્ત્રોને અને લક્ષણોને ઉત્કર્ષ આપવો અને એ લખવિભૂતિના ઉત્કર્ષની મર્યાદામાં જે કાંઈ શાસ્ત્રશાસન આવે તે સંપૂર્ણ કળાથી પાળવાં. લક્ષ્યાલક્ષ્ય સંપ્રદાયનું કામતંત્ર પણ આ આધારે અને આ પ્રયોજને જ રચાયલું હતું. જેટલો રસ સરસ્વતીચન્દ્રને એ વાંચવામાં પડ્યો હતો તેથી અધિક રસ, એ તંત્રના આચાર વિહારમઠમાં પળાતા હતા તે જોવામાં, એને પડ્યો હતો. ગઈ કાલ વિષ્ણુદાસજી ત્રણે મઠની નિરીક્ષા કરવા ગયા હતા તેની સાથે એ પણ ગયો હતો, અને પરિવ્રાજિકામઠ તેમ વિહારમઠની યોજનાઓ આ દેશને માટે અપૂર્વ લાગી અને પાશ્ચાત્યદેશેમાં અનવસ્થિત લાગી, પણ યદુનન્દનના “ગ્રન્થભંડાર”માં દૃષ્ટિ પડ્યાથી એમ પણ સંભવિત લાગ્યું કે આ દેશના સૌભાગ્યકાળમાં આર્ય જનસમૂહની વ્યવસ્થા પણ કંઈક આવી જ હશે. એ કાળનું ચિત્ર આ કાળની સાથે સરખાવતાં એના હૃદયમાં આપણી અર્વાચીન સ્થિતિને માટે શોક ઉદય પામ્યો અને ભવિષ્યને માટે ભયચિત્ર પ્રત્યક્ષ થયું.

“કેટલો વિનિપાત ! જે દેશમાં આ શાસ્ત્ર રચાયાં અને પળાયાં તેમાં આજ કેટલી અધોગતિ છે ? અથવા એમ પણ કેમ ન હોય કે સુંદરગિરિ ઉપર જે વ્યવસ્થા સાધુજનો આમ અગ્નિહોત્ર પેઠે જાળવી રહ્યા છે તેવી વ્યવસ્થા આ વિશાળ દેશમાં જળવાઈ શકી નહી ? આ સ્ત્રીજનનાં કૌમારવ્રત અને વૈરાગ્ય, આ સાધુઓનાં સરલ ચિત્તનાં સંવનન અને રસોત્કર્ષ – એ સર્વ દિવ્ય પદાર્થ પાળનાર સાધુજનોની સાધુતા કે સરલતા આ વિશાળ લોકસમૂહમાં શી રીતે આવવાની હતી ? અને તે આવે નહી તો આ જ દિવ્ય પદાર્થો આ સંસારને વિષરૂપ કરી મુકે એમાં શી નવાઈ ? શું આ ઉત્કર્ષ અર્વાચીન કાળમાં ન આવી શકે? પાશ્ચાત્ય સંસારમાં એ ઉત્કર્ષનાં અમૃતફળ અને વિષફળ ઉભય છે – તે જોનાર ત્યાંના વિદ્વાનો અને રાજપુરુષો સ્વદેશી આચારવિચારનાં ચક્રની ચતુરતાથી ફેરવી શકે છે અને તેમના દેશીઓ તેમનામાં વિશ્વાસ રાખી શકે છે. ત્યારે પરદેશી વિદ્યાથી મોહિત ગણાતા વિદ્વાન દેશીઓ ઉપર અને પરદેશી રાજપુરુષોની ચતુરતા ઉપર આ દેશ શી રીતે શ્રદ્ધા રાખવાનો હતો ? જ્યાં સુધી દેશમાં આવી શ્રદ્ધા વિકાસ પામે અને શ્રદ્ધેય ગણાવા ઇચ્છનાર વિદ્વાનો અને રાજપુરુષો આ શ્રદ્ધાને યોગ્ય થાય – પોતાની શક્તિથી, વૃત્તિથી ઉદારતાથી અને પ્રયાસથી લોકની શ્રદ્ધાના સુપાત્ર બને ત્યાં સુધી સર્વ દેશોત્કર્ષની વાત વૃથા છે. શકુન્તલાના હરિણના હૃદયમાં દુષ્યંતે વિશ્વાસ ઉત્પન્ન કર્યો નથી ત્યાં સુધી એ હરિણ દુષ્યંતના હાથમાંનું કોમળ ઘાસ ખાવાનું નથી અને શકુન્તલા જે આપશે તે એ હરિણ ખાશે. મ્હારા વિદ્વાન ભાઈયો ક્‌હે છે કે જુના લોક અમારો ઉપદેશ સાંભળતા નથી અને પરાપૂર્વની રૂઢિથી ચાલે છે તે ખરું છે, પણ એ દોષ કોનો ? જુની રૂઢિઓ અનેક અનુભવોના માખણ જેવી છે તે આજ સુધી લોકહિતની પોષક ગણાઈ છે. તે ગણના ખરી કે ખોટી હો, પણ તેમના અને તેના ઘડનારા ઉપર લોકને દૃઢ પાયાવાળી શ્રદ્ધા છે અને પરદેશી રાજ્યકર્તાએ ઉત્પન્ન કરેલા દેશી પણ યુવાન્ વર્ગની બુદ્ધિ ઉપર તેમને વિશ્વાસ સ્વાભાવિક રીતે નથી. કાળબળે આજ નષ્ટ થતી આ રૂઢિઓને મ્હારા ભીરુ દેશી બાન્ધવો શાથી વળગી ર્‌હે છે ? ઓ મ્હારા અનેકધા દુઃખી દેશ ! ત્હારે માથે અનેક વાદળ તૂટી પડ્યાં છે, પડે છે ને પડશે. અને અમાવાસ્યાની ગાઢ અંધકાર ભરી રાત્રિ સર્વની દૃષ્ટિને નિષ્ફળ કરી દે છે તે કાળે, ઓ મ્હારા દેશ, ન્હાનું બાળક માતાને વળગે તેમ તું આ શ્રદ્ધાને વળગી ર્‌હે છે – એ શ્રદ્ધાના એક દીપથી જેટલું તું દેખે છે તેટલું આકાશમાં વસતા અનેક પરદેશી તારાઓના પ્રકાશથી તું દેખતું નથી, તો તે તારાઓનાં પૃથ્વીના કોઈ સરોવરમાં પડેલાં પ્રતિબિમ્બ જેવા મ્હારા વિદ્વાન ભાઈઓના પ્રકાશથી મ્હારો દેશ કંઈ જોઈ શકે નહી તો તેમાં શી નવાઈ છે ! એ શકુન્તલા જેવી ઓ રૂઢિ દેવી ! જેવી હું તને કુચ કરતી દેખું છું તેવો જ આ દેશને ત્હારાં વસ્ત્ર ખેંચી પકડી રાખતો દેખું છું એ દર્શન મ્હારું હૃદય વલોવે છે.

[૧]यस्य त्वया व्रणविरोहणमिङ्गुदीनाम्
तैलं न्यषिच्यत मुखे कुशसूचिविद्धे ।
श्यामाकमुष्टिपरिवर्द्धितको जहाति
सोऽयं न पुत्रकृतकः पदवीं मृगस्ते ॥

“ No doubt, we of the new generation have done nothing to deserve the confidence of our uneducated countrymen. We are only echoing voices that have come from the West! –'Tis a foreign voice reflected


  1. ૧ (હે શકુન્તલા !) આ મૃગનું બચ્યું ત્હારું બાળક જેવું ત્હેં કરી લીધેલું છેસામો (શ્યામાક) મુઠીએ મુઠીએ ખવડાવી ત્હેં એને મ્હોટું કરેલું છે, એના મુખમાં દર્ભનો કાંટો વાગ્યો ત્યારે ઘા રૂઝાડવા તેમાં ઇઙ્ગુંદીનું તેલ ત્હેં પુરેલુંછે; તે મૃગબાળક (અત્યારે તું જવા બેઠી ત્યારે સ્વાભાવિક પ્રીતિથી )ત્હારો માર્ગ રોકી બસે છે તે તે માર્ગને છોડતું જ નથી. ( શાકુન્તલ.)
by our hollow-vaulted brains,and those, that perceive

it, refuse to be led by it. We have never even as much as attempted to find out the wisdom of our ancestors and yet we have condemned them unheard; and if somewhere we have dubbed that wisdom with the name of folly, nowhere have we tried to recognise that Wisdom. I think there is more common sense and sounder patriotism in the stubborn and wholesale refusal, by Our masses, to consider or even hear and endure the latest, fantasies of their seduced boys. When we shall have studied that ancient wisdom and considered both sides, the people will hear us, follow us, and even accept our theories of the follies of our best ancestors. We shall then have deserved the confidence of the people.”

“જે લોકશ્રદ્ધા નવા વિદ્વાનો ઉપર નથી બેસતી તે આ અલખના યોગીઓ ધારે તો કેટલી વારમાં મેળવી શકે ? સંસારને શુદ્ધ કરવાને માટે જોઈએ તેટલું સંસારનું જ્ઞાન, રસિકતા અને વૈરાગ્ય, નિ:સ્વાર્થ અને સ્વયંભૂ કલ્યાણ કરવાની વાસના, અને આ પુસ્તકો અને આ સંપ્રદાય : એ , સર્વ સાધનથી લોકનું શું શું કલ્યાણ ન થઈ શકે? સંસારના અતિસંસર્ગથી જાતે ભ્રષ્ટ થવાના ભયથી – યોગ્ય ભયથી – આ સાધુઓ સંસારીઓથી દૂર રહી તેમનું જેટલું કલ્યાણ થાય એટલું કરવાને માટે દૂરથી અલખ જગાવે છે પણ સંસાર બ્હેરો છે તે એ કયાંથી સાંભળે ? સરસ્વતીચંદ્ર, આ સાધુકુળનો ઉત્કર્ષ કરવો એ ત્હારો ધર્મ છે. ”

“એમના આચાર સંસારથી અત્યન્ત જુદા હોવા છતાં સંસાર તેમના ઉપર શ્રદ્ધા શા માટે રાખે છે? તેમના પવિત્ર શાસ્ત્રમુદિત લોકમુદિત આશય ઉપર લોકને સ્વાભાવિક શ્રદ્ધા છે તેમને અભિમાન નથી, મદ નથી; તેઓ સંસારીઓની સેવા કરવા સુધી તત્પર છે અને મ્હારા જેવા માર્ગમાં જડેલા પ્રાણી ઉપર આટલી કૃપા રાખે છે. તેઓ શરીરધર્મનાં શાસ્ત્ર પાળે છે, રસધર્મ પાળે છે, વૈરાગ્યની શુદ્ધ કળા પામે છે, લોકકલ્યાણને પોતાની વિભૂતિ ગણે છે, અને પોતાના અને પારકાને એક ગણી પરમ – અલખમાં લીન થાય છે. विगतमानमदा मुदिताशयाः–તે આ લોક જ છે.”

“ જો મધુરી કુમુદ જ હોય તો આ કલ્યાણસ્થાનમાં આવી મહાત્મ પરિવ્રાજિકાઓમાં તેને પૂર્ણ શાંતિ મળશે અને તેટલા જ્ઞાનથી મ્હારું હૃદયશલ્ય શાંત થશે. મ્હારો અને તેનો સંસર્ગ ભયંકર છે – હવે તે દૂર જ રાખવો. પણ એ ઘેર જાય તે ઠીક કે અંહી ર્‌હે તે ઠીક ?” આ પ્રશ્ન ઉઠે છે એટલામાં રાધેદાસ અંદર આવ્યો. એના સામું જોયું. પાસે આવી રાધેદાસ બોલ્યો, “ જી મહારાજ, ચંદ્રાવલી મૈયા આપનું દર્શન ઇચ્છેછે છે.”

“ મ્હારું દર્શન ! શા માટે !”

“એ તો તેમના હૃદયમાં જે મંત્ર હોય તે ખરો. મને તે અલખ છે.

"તો પુછો તો ખરાં ! સ્ત્રીજનને મળવું આ વેષને કે દેહને ઉચિત નથી.”

“પરિવ્રાજિકા મઠની પરમ પવિત્ર અધિષ્ઠાત્રીને તેમના હૃદયનો મંત્ર પુછવાનો કોઈ સાધુજનને અધિકાર નથી. તેમનો આત્મા સ્ત્રીરૂપ નથી ? અને આપનો આત્મા તેથી ભિન્ન પુરુષરૂપ નથી. પવિત્ર કલ્યાણ આશયને કાળે અલખનો ભેખ લખ વસ્તુમાત્રને માટે ઉચિત છે. જી મહારાજ, ભગવતી ચન્દ્રાવલી મૈયા જ્યારે પ્રવૃત્તિ સ્વીકારે છે ત્યારે કોઈ પરમ કલ્યાણ કાર્યને અર્થ જ એ પ્રવૃત્તિને સ્વીકારે છે અને તેમનાં સાધન પણ શુદ્ધ ધર્મ્ય અને રમણીય જ હોય છે. ગુરુજીની પાસે પણ એ ભગવતીની ગતિ અપ્રતિહત છે.”

નવીનચંદ્ર સાંભળી રહ્યો અને કંઈક વિચારમાં પડી અંતે બોલ્યો, “વિહારપુરી.........”

“તેમની અનુમતિ પ્રાત:કાળથી જ મળી ગઈ છે” : રાધેદાસ વચ્ચે બોલ્યો.

સર૦– રાધેદાસજી, તમારી આવી શ્રદ્ધાના પાત્રનો સત્કાર કરવાને વિધિ શો છે ?

રાધે૦- ગુરુજીને માટે જેવો અાદર રાખો છો તેવો જ અા ભગવતી માટે રાખજો. જી મહારાજ, અલખ માર્ગનો સંપ્રદાય એવાંને એવું જ કહી સંબોધે છે કે,

[૧]शिशुत्वं स्त्रैणं वा भवतु ननु वन्द्याऽसि जगतः ।
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः ॥

સર૦– એ અભિલાષ મને અનુકૂળ છે. આપ આગળ ચાલો ને મ્હારું તેમને અભિજ્ઞાન કરાવો.

બે જણ આશ્રમ બ્હાર ગયા ત્યાં ઓટલા ઉપર ચન્દ્રાવલી બેઠી હતી. નવીનચન્દ્રને જોઈને તે ઉભી થઈ. બે જણ પરસ્પર પ્રત્યક્ષ થતાં તત્ક્ષણ રાધેદાસ બોલ્યો.

“ચન્દ્રાવલીમૈયા, આ અમારા નવીન જેવાતૃક - જેને માટે તમે આટલે દૂરથી આવ્યાં છો. નવીનચન્દ્રજી, આ અમારાં મંગલમૂર્તિ મૈયા – જેનો ઉત્કર્ષ આપના શ્રવણપુટને પ્રાપ્ત થયો છે જ.”

અત્યારે ચન્દ્રાવલીનાં સર્વ અંગ સુન્દરતા અને પવિત્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમ્ર અને તૃપ્ત થઈ સરસ્વતીચન્દ્ર મસ્તક નમાવી બાલ્યો “મૈયા,

[૨]"अञ्जलिरकारि लोकैर्ग्लानिमनाप्तैव रञ्जिता जगती ।
"सन्ध्याया इव दृष्टिः कस्य मनोज्ञा न भगवत्याः ॥

“આ શરીરમાંનું હૃદય આ૫ને શિરવડે નમે છે અને આપની પવિત્ર આજ્ઞા જાણવા ઈચ્છે છે. ”

ચન્દ્રાવલી - સાધુનું હૃદય સાધુને ઓળખી લે છે. રાધેદાસ, મ્હારે એમની સાથે કંઈ મંત્ર કરવો છે.

રાધે૦- હું તેને અનુકૂળ જ છું. આપના શ્રવણપંથથી દૂર પણ નયનપથમાં પેલા ઝાડ નીચે બેસું છું અને સંજ્ઞા કરશો ત્યાં નિકટ આવીશ.

રાધેદાસ તેટલે છેટે ગયો ને ત્યાં બેઠો. તે બેઠો ત્યાં સુધી તેના ઉપર દૃષ્ટિ રાખી, તે પછી ચંદ્રાવલીએ સરસ્વતીચંદ્ર ઉપર દૃષ્ટિ કરી. એ નીચું જોઈ રહ્યો હતો.


  1. ૧. ત્હારામાં બાળકપણું હો, કે સ્ત્રીપણું હો ! તો પણ જગતે વન્દન કરવાયોગ્ય તું છે જ, ગુણિજનમાં પૂજાનું સ્થાન તેમના ગુણ છે – તેમની સ્ત્રી-જાતિપણું કે પુરૂષપણું નથી તેમ તેમનાં વયનાં વર્ષ પણ નથી. (ઉત્તરરામ.)
  2. ર. સંધ્યાની દૃષ્ટિ જેવી સુન્દર-રમણીય છે તેવીજ આ૫ ભગવતીની દૃષ્ટિકોને નથી? એ દૃષ્ટિ પડતામાં લોકો અંજલિવડે હાથ જોડવા મંડી ગયા અનેપૃથ્વી, ગ્લાનિને પામી નથી ત્યાર પ્હેલાં તો, એ દૃષ્ટિથીજ રંજિત થઈ.( પ્રાચીન )

ચન્દ્રા૦-નવીનચંદ્રજી, હું આ ઓટલે બેસું છું, તમે આ પગથીયા ઉપર બેસો. મ્હારે અતિવિસ્ત્રમ્ભની ગોષ્ટિ કરવાની છે.

જિજ્ઞાસા, આતુરતા, પ્રીતિ, લજજા, અને કમ્પને અનુભવતો સરસ્વતીચંદ્ર તે પ્રમાણે બેઠો અને નીચલું પગથીયું જોઈ રહ્યો. ચંદ્રાવલી પણ બેઠી.

ચન્દ્ર૦- નવીનચંદ્રજી, સુન્દરગિરિ ઉપર આપની કીર્તિ આ સૂર્યના પ્રકાશ પેઠે પ્રસરી રહી છે; પણ હું તો નિમ્ન પ્રદેશમાંથી આપના પૂર્વાશ્રમની કથા સાંભળી આવી છું.

સર૦– આપની કીર્તિના શ્રવણપાનમાં જેવી શાન્તિ છે તેવી મ્હારા પૂર્વાશ્રમની કથામાં ક્લાન્તિ છે. મૈયા, એ આશ્રમનો શુદ્ધ ઇતિહાસ ગુપ્ત છે.

ચન્દ્રા૦- તમારે તે ગુપ્ત રાખવાની ઈચ્છા હશે પણ મને તો તે ઇતિહાસના સાક્ષિભૂત હૃદયના કરેલા ઉદ્ગારથી જણાઈ છે.

સર૦– એ હૃદય જે દેહમન્દિરમાં હતું તે મન્દિર નષ્ટ થયું છે.

નિ:શ્વાસ મુકી સરસ્વતીચંદ્રે નેત્ર ઉપર હાથ ફેરવ્યો.

ચન્દ્રા૦ – એ મન્દિર નષ્ટ નથી થયું પણ મ્લાન થયું છે. નવીનચંદ્રજી, એ મન્દિરમાંના હૃદયની કુંચી લઈને હું આવી છું અને તમને હું તે સોંપી દઈશ.

સર૦- એ કેમ મનાય? આપ એક શરીરની વાર્તા કરતાં હશો અને હું બીજા શરીરની વાર્તા કરતો હઈશ.

ચન્દ્રા૦– આ ગિરિના તરસ્થાનમાં તે શરીર તમે દીઠું છે ને એ હૃદયનો કટાક્ષ તો કાલ તમને લાગી ગયો છે.

સર૦– એ શરીરનું નામાભિધાન જુદું છે.

ચન્દ્રા૦- તમે તમારું નામ બદલ્યું તેમ એ મધુર શરીરને અમે મધુરીનામે ઓળખીયે છિયે. એ નવીન પણ ઉચિત નામ મ્હેં જ પાડેલું છે.

સર૦– જો આપ ક્‌હો છો તેવી જ સ્થિતિ હોય તો મ્હારી એક ચિન્તા શાન્ત થશે. આપ જેવાના સત્સંગથી એ શરીરમાંનું વિકલ હૃદય શાંત થશે અને મને ભુલશે, એ શરીરનું સત્ય નામ જણવવાની મ્હારા ઉપર આપ કૃપા કરી શકશો, તો સર્વ પ્રશ્નોનું સમાધાન થશે.

ચન્દ્રા૦- તે નામ મ્હારાથી પણ ગુપ્ત છે. પણ નામ વિનાની સર્વ હૃદયગુહાની હું તલસ્પર્શી થઈ છું. સર૦– મૈયા, આપ આજ્ઞા કરશો તે હું સાંભળીશ. માત્ર ગુપ્ત નામ રાખનારની ગુપ્ત વાર્તા પ્રકટ ન કરવી એટલો ધર્મ સાચવીશ.

ચન્દ્રા૦- એ તો ઉચિત છે. આપણી વાતોની સરત એટલી કે તમારું બેનું ૫રસ્પર અભિજ્ઞાન સંપૂર્ણ થાય તો જ મ્હારી તમારી કથાઓ સત્ય ગણવી ને અભિજ્ઞાન અપૂર્ણ થાય તો સર્વ વાત સ્વપ્નવત્ ગણવી.

સર૦– તો આજ્ઞા કરો.

ચન્દ્રા૦- આપ આ આશ્રમમાં સર્વની સાથે શયન રાખો છો તેને સ્થાને ગુરુજી જાતે જ નીરાળો એકાન્તવાસ આપે તો આપે સ્વીકારવો.

સર૦– ગુરુજીની ઇચ્છા તે આજ્ઞા જ છે.

ચન્દ્રા૦– આપની ઇચ્છા પુછે તો તેમાં પણ આ યોજનાને જ અનુકૂળ ર્‌હેવું.

સર૦– આ આશ્રમમાં હું ગુરુજીની પ્રસન્નતા જ ઇચ્છું છું – બીજી ઇચ્છા દર્શાવતો નથી.

ચન્દ્રા૦– દર્શાવતા નહી હો, પણ રાખતા તો હશો જ.

સર૦ – હૃદયતંત્રમાં તો જે હોય તે ખરું.

ચન્દ્રા૦- નવીનચંદ્રજી, તૃષિત ચકોરી ચન્દ્રપ્રકાશથી જ તૃપ્ત થશે.

સર૦– મૈયા, તેને ઉપદેશ કરજો કે જે શમપ્રકાશ ચન્દ્રાવલીમૈયા વિહારપુરીજીને આપે છે તે જ પ્રકાશ ચકોરીને અનેક ચન્દ્રની માળા જેવાં ચન્દ્રાવલી મૈયા આપી શકશે.

ચન્દ્રા૦– તેમાં તમે શું કર્યું ? નવીનચંદ્ર,

[૧]“अयि कठोर शमः किल ते प्रियः
स नु शमो नु शमस्य विडम्बना ।
परगॄहे किमभूद्धरिणीदॄशः
कथय नाथं कथं वत मन्यसे ॥"

સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધારા અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઉંડા પ્રચ્છન્ન આવેશમાં પડી મુખે મન્દ મન્દ બોલવા લાગ્યો.


  1. ૧. અહો કઠોર પુરૂષ ! તને શમ પ્રિય છે તે ઠીક. પણ આ તે ત્હારો શમ કેશમને નામે શમની વિડમ્બનાને તું દેખે છે ? પારકાગૃહમાં મૃગનયનીનું શુંથયું હશે તે ક્‌હે તો ખરો ! (તેનો નાથ થઈ તેના ઉપર ત્હારા નાથપણાનો ત્હેંઅધિકાર વાપર્યો છે તે) નાથ ! તું આમાં શું માને છે? (ઉત્તરરામ ઉપરથી)
“જેટલો આરોપ મુકો તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મ્હારે

દુષ્યન્તનું સદ્ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો –”

ચન્દ્રા૦- તે અંશ હું પ્રાપ્ત કરાવીશ.

સરસ્વતીચંદ્રે આ સાંભળ્યું નહી ને આગળ બોલતો ગયો.

૧.[૧]सुतनु हृदयात्प्रत्यादेशव्यलीकमपैतु ते
किमपि मनसः संमोहो मे तदा बलवानभूत् ।
प्रबलतमसामेयंप्रायाः शुभेषु हि वृत्तयः
स्रजमपि शिरस्यन्धः क्षिप्तां धुनोत्यहिशङ्कया ॥

“આ શબ્દો બોલી, શકુન્તલાને ચરણે પડી, દુષ્યન્તે ક્ષમા મેળવી. મૈયા, હું એવી ક્ષમા મેળવવાને ઇચ્છું છું, પણ તે ક્ષમાને માટે દુષ્યન્તની યોગ્યતા હતી એવી મ્હારી નથી. મને કોઈનો શાપ ન હતો, મ્હારા મનને ઇષ્ટ જનની વિસ્મૃતિ ન હતી, અને મ્હેં ફુલની માળાને સર્પ જાણી ફેંકી દીધી નથી. ઉભય હૃદયની પ્રીતિ જાણી, સર્વ વાત પ્રત્યક્ષ છતાં, કોમળ સુન્દર અને સુગન્ધ પુષ્પમાળાને, જાણી જોઈને ગ્રીષ્મમધ્યાન્હમાં સૂર્યના તડકાવચ્ચોવચ બળી જાય એમ, મુકી દીધી. ક્ષમા માગવાને પણ મ્હારો અધિકાર નથી, છતાં આ અધમ હૃદય ક્ષમાને ઇચ્છે છે. તે મળે એટલે સંસારમાં મને બીજી વાસના નથી.”

સરસ્વતીચંદ્ર દીન મુખે ટટાર થઈ બેઠો.

ચન્દ્રાવલી દયાર્દ્ર થઈ. તેનાં નેત્રમાં જળ આવ્યું: “નવીનચન્દ્રજી, મધુરીનો મધુર હૃદયસાગર ક્ષમાના તરંગોથી ઉભરાય છે ને ઉછળે છે અને તેથી જ એની પ્રીતિની શુદ્ધિનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. એ કોમળ હૃદયઉપર અમાવાસ્યાના અપ્રત્યક્ષ ચન્દ્રનો સંસ્કાર પણ બળ કરે છે ને બળના પ્રત્યેક હેલારાની સાથે અનેક તરંગ ઉભા થાય છે. નવીનચંદ્રજી, એ તરંગે તરંગે શોક અને ક્ષમાના આમળા વીંટાય છે. એ માટે તમે નિઃશંક ર્‍હો.”


  1. ૧.ઓ સુન્દર શરીરવાળી ! મ્હેં ત્હારો સ્વીકાર ન કર્યો તેના ડાઘ ત્હારા હૃદયમાંથી હવે દૂર જાવ ! તે પ્રસંગે મ્હારા મનમાં કોઈ બળવાન્ સંમોહ થયો હતો. જેની આશપાશ અંધકાર બળવાળો છે તેની વૃત્તિયો શુભ પદાર્થ પ્રતિ આવી જ થઈ જાય છે, અન્ધના શિર ઉપર પુષ્પની માળા નાંખો તો સાપ જાણીને તેને પણ તરછોડી ક્‌હાડી નાંખે. (શાકુન્તલ )

સર૦– તેની ઉદારતા જેમ જેમ આમ વધે છે તેમ તેમ મ્હારી કૃપણતા વધારે વધારે ક્ષુદ્ર લાગે છે, મ્હારો દોષ ક્ષમાને માટે વધારે વધારે અપાત્ર થાય છે, અને મ્હારું પ્રાયશ્ચિત્ત વધારે વધારે દુર્લભ બને છે.

ચન્દ્રા૦– મહાત્મા ! તમારું એ માહાત્મ્ય મ્હારી મધુરી ઉત્તમ રીતે પ્રત્યક્ષ કરે છે અને માટે જ એના હૃદયના ચીર વધારે વધારે દારૂણ થતા જાય છે.

સર૦- હરિ ! હરિ ! હું શું કરું? મૈયા, મ્હોરું પ્રાયશ્ચિત્ત નથી જ.

એની આંખમાં વળી આંસુ સરવા લાગ્યાં.

ચન્દ્રા૦– પ્રીતિતંત્રમાં સ્ખલન પામનારનું પ્રાયશ્ચિત્ત એ જ કે પ્રીતિપાત્ર જનના હૃદયને વશ થવું અને એ હૃદય પ્રીત પ્રસન્ન થાય એવાં થવું.

સર૦– તેના હૃદયમાં પવિત્ર સંસ્કારો જ છે - જેને લીધે મ્હારી આ સ્થિતિથી જ એ હૃદયની પ્રીતિ થશે.

ચન્દ્રા૦- તે તેમ છે કે અન્યથા છે તેનો તો નિર્ણય હજી કરવાનો છે.

સર૦– એમાં શંકા નકામી છે. એ હૃદયની અન્યથાસ્થિતિ અશકય છે.

ચન્દ્રા૦– તમે તમારી હાલની સ્થિતિ એને પ્રસન્ન કરવા સ્વીકારો છો કે તમારા પોતાના હૃદયના ઉલ્લાસથી ?

સર૦– ગુરુજીનો આદેશ છે કે મ્હારે પ્રવાહપતિત સ્થિતિને અનુકુલ ર્‌હેવું.

ચંન્દ્રા - તમારું હૃદય જેવું ઉદાર ઉદાત્ત છે તેવું જ પ્રીતિતંત્રમાં મુગ્ધ છે, મ્હારી મધુરી આ પર્વત ઉપર ચ્હડી આવી તે શું તમને આ સ્થિતિમાં અચલિત જોવાને માટે ? તમારા પૂર્વાશ્રમના મનોરાજ્યનું સ્મરણ કરી, મન મનનું સાક્ષિ છે એમ સમજી, આ પ્રશ્નનો ઉત્તર દ્યો.

સર૦– તે એમ સમજે છે કે હું દુ:ખી છું અને મને દુ:ખી સમજી દુઃખમાંથી મુકત કરવાની વાસનાએ તેને અંહી સુધી પ્રેરી છે.

ચન્દ્રા૦– તે શું તમે દુ:ખી નથી ?

સર૦– એની ક્ષમા મળ્યે મ્હારું દુ:ખ શાન્ત થશે.

ચન્દ્રા - જો તમારું દુઃખ એટલાથી શાન્ત થવાનું હોય તો તમે તેના શરીરના પતિના ગૃહમાં ગયા તે શા માટે ? શું તમે ત્યાં એના દુઃખની મશ્કરી કરવાને માટે ગયા હતા ? સર૦– તેના મનમાં હું એવો દુષ્ટ હઉ તો તેમ ગણવું.

ચન્દ્રા૦– નવીનચંદ્રજી, જે આવેશને બળે તમે તમારા પિતાનો ત્યાગ કર્યો તે જ આવેશને બળે તમે તમારા પ્રીતિપરિપાકની અવગણના કરી. એ જ અવગણના તમારી પવિત્ર પ્રીતિએ સ્વીકારી નહી અને એ અવગણનાની અવગણના કરી તમારી પ્રીતિએ તમને મધુરી પાસે મોકલ્યા. તમારી ઉદાત્તતા એવી છે કે આટલી વાત તો તમે તરત સ્પષ્ટ સ્વીકારવાના.

પળવાર લજજાથી નીચું જોઈ સરસ્વતીચંદ્ર બેાલ્યો. “મ્હારા હૃદયતંત્રનું પૃથક્કરણ કરવામાં તમારી પ્રજ્ઞા સફલ હોય એટલી સફલ મ્હારી પોતાની દુ:ખમાં ડુબેલી પ્રજ્ઞા થઈ શકે એમ નથી.”

ચંદ્રા૦— મહાત્મા ! તમારું રસિક ઉદાત્ત માહાત્મ્ય એવું છે કે તેને તમે પોતે જોઈ શકતા નથી. પણ તમારું જે માહાત્મ્ય તમે જાતે જોઈ શકતા નથી તે મ્હારી મધુરીની પ્રીતિ સ્પષ્ટ પ્રત્યક્ષ કરી શકે છે, જેમ આપણે આપણું મુખ આપણી આંખેથી જોઈ શકતાં નથી પણ કાચમાં જોઈએ તો જ દેખાય તેમ મહાત્માઓનાં માહાત્મ્ય તેમને પોતાને જણાતાં નથી પણ તેમના ઉપર વિકસતી અન્ય હૃદયની પ્રીતિના નિર્મલ કાચમાં જ જણાય છે.

સર૦– હા ! મ્હારી દુષ્ટતાનું માહાત્મ્ય એ રંક હૃદયને સોળે કળા સાથે પ્રત્યક્ષ જ છે.

ચન્દ્રા૦– મહાત્મા ! જો તેના હૃદયમાં એવી ભાવના હોય તો એ હૃદય ધરનારી તે મધુરી નહી ! મ્હારી મધુરીના મધુર પ્રીતિને તમે કેવા ભાસો છો તે સાંભળી લ્યો.

[૧]"व्यतिकरितदिगन्ताः श्वेतमानैर्यशोभिः
सुकृतिविलसितानां स्थानमूर्जस्वलानाम् ।
अकलितमहिमानः केतनं मङ्गलानाम्
कथमपि भुवनेस्मिंस्त्वादृशाः संभवन्ति ॥"

સર૦- હરિ ! હરિ ! હું મહા દુષ્ટ ઉપર તેનો ઉપકાર અપાર થઈ ગયો। મૈયા, હું મ્હારો જે દારૂણ દોષ જોઉં છું તેને જોવાને જ્યારે એ ઉદાર હૃદય આટલું અશકત છે ત્યારે મને ક્ષમા તો કોણ આપવાનું હતું? હવે તો ઈશ્વર આપે ત્યારે !


  1. ૧.ઉજ્વલ શ્વેત થતા યશવડે દિશાના છેડાએાને જેમણે રંગ્યા હોય છે, સુકૃતના પ્રતાપી વિલાસેાનાં જેઓ સ્થાન છે, જેમનો મહિમા કળાયો નથી, અનેક મંગલોની ધ્વજારૂપ જેઓ છે એવા ત્હારા જેવા મહાત્માઓ પૃથ્વીમાં પૃથ્વીમાં મહાભાગ્યે જ ક્‌વચિતુ જન્મે છે (ઉત્તરરામ ઉપરથી)

ચન્દ્રા૦– જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં [૧] तरति शोकमात्मवित्.

સર૦– શોક જશે, પણ થયું પાપ નહીં ધોવાય.

ચન્દ્રા૦- ગુરુજી, તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે ને ત્યારે તમે અનુભવશો કે–

[૨]भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः |
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥

સર૦– માતાજી, સત્ય ક્‌હો છો, પણ મ્હારા મોહનું આવરણ આ ક્ષણે દૃઢ છે.

ચન્દ્રા૦- મ્હારે આવી યોજના સાધવી છે કે તમારો ને મધુરીનો એકાન્ત સમાગમ થાય અને તમે બે પરસ્પર અવસ્થા સાંભળી, સમજી, પરસ્પર સમાધાન કરો, અને તે પછી તમારી બેની ઈચ્છા પ્રમાણે યોગ કે વિયોગ જે ઉચિત હશે તે સાધવામાં અમે સાધનભૂત થઈશું.

સરસ્વતીચંદ્ર વિચારમાં પડી અંતે બોલ્યો.

“એથી ફળ શું ?”

ચન્દ્રા૦- તેનું દુ:ખ તમે સમજી લેજો અને તમારું દુ:ખ એ સમજી લેશે. તેનો વ્યાધિ જાણી તેનો ઉપાય તમારા સમાગમમાં હોય તો તે સમાગમ તમે તેને આપશો એ જ તમને ક્ષમા મળી સમજવી. એનું ઔષધ બીજું કાંઈ હોય તો તે આપવા યત્ન કરશો તો તે પણ તમને ક્ષમા મળી ગણવી. જો તમે એમ સમજતા હો કે ક્ષમાથી તમને શાંતિ મળશે તો તો આટલું કરવા તમે બંધાયેલા છો. જો તમારું દુઃખ તમે નહી સમજતા હો તો મધુરીનું હૃદય તો તે અવશ્ય સમજી લેશે અને તેનો ઉપાય કરશે. નવીનચંદ્રજી, જે પરિશીલિત પ્રીતિથી તમારાં બેનાં હૃદય ઓતપ્રોત ન્યાયથી સંધાયાં છે તે પ્રીતિના તંતુ ઉપર બલાત્કાર કરવાથી ઉભય હૃદય ખેંચાય અને ત્રુટે એ પ્રીતિની પ્રકૃતિ છે. કેટલાક કાલ ઉભય હૃદયના તંતુઓનાં યથાપ્રાપ્ત સમાગમનું પાલન કરે, અને ધીમે ધીમે ઉભયની કળાથી ઉભયની વૃત્તિથી, ઉભયના સંયુકત અભિલાષથી, અને ઉભયના પ્રયત્ન


  1. ૧. આત્મા જાણનાર શેાકને તરે છે.
  2. ૨. એ પરાવાર દૃષ્ટિ થાય છે ત્યાં હૃદયગ્રન્થિ ભેદાય છે, સંશય માત્રનો છેદ થાય છે, ને આનાં કર્મ ક્ષીણ થઈ જાય છે. (પંચદશી.)

સંવાદ [૧]થી , એ હૃદયના તન્તુઓને ક્લેશ પ્હોચે એમ છુટા કરો. એટલે અંતે નવીનચંદ્રજી વિહારપુરીના છત્રરૂપ થશે અને મધુરી ચન્દ્રાવલીની વસ્ત્રકુટીમાં રહેશે, જો ક્લેશ વિના એ તુન્તુ છુટે નહી તો તેમનું પાલન કરવું અને જુદાં જન્મેલાં જીવન તન્તુના શાન્ત સુન્દર પટને સુન્દરગિરિના વિહારમઠના ભૂષણરૂપ કરવા."

સરસ્વતીચંદ્ર હબક્યો.

“મૈયા, ક્ષમા મેળવવાને એ જ માર્ગ લેવો પડે તે નવીનચન્દ્ર વશે કે કવશે તેને માટે સજજ થાય એમ ધારો, પણ મધુરીનું પોતાનું હૃદય, એને એના પતિ ઉપરનો પ્રેમ, અને એ પતિ પ્રતિનો એને પતિવ્રતાધર્મ – એ ત્રણ વાનાં શું આ માર્ગને અનુકૂળ છે ?”

ચન્દ્રા૦- એ વિચાર કરવાનો મધુરીને છે – તમારે નથી."

સર૦– એને પુણ્યમાર્ગે પ્રેરવી એ મ્હારી પ્રીતિનો પ્રધાન અભિલાષ છે.

ચન્દ્રા૦– હું જાણી પ્રસન્ન - અતિપ્રસન્ન છું. તમારી બેની પ્રીતિ ચંદ્ર અને કુમુદના જેવી પરસ્પરશરીરને દૂર રાખનારી પણ દૃષ્ટિસંયોગ અને મનઃસંયોગનું રક્ષણ કરનારી છે. એવી સૂક્ષમ પ્રીતિને માટે જ તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રચવાની અમ સાધુજનોની યોજના છે. તમારાં સ્થૂલ શરીરને અસક્ત ર્‌હે કે સકત ર્‌હે તેમાં અમે ઉદાસીન છીયે.

સર૦- કારણ ?

ચન્દ્રા૦- અમારા ન્યાયથી તો તમે એના મન્મથાવતારે વરાવેલા શુદ્ધ એક પતિ છો, અને એના શરીરના પતિને તો અમે જાર ગણીયે છીએ.

સર૦– સંસારની ભાવના એથી વિપરીત છે.

ચન્દ્રા૦– હા, અમારી અને સંસારની ભાવનાઓમાંથી તમારી ઇચ્છા હોય તેને સ્વીકાતો ને ઇચ્છા હોય તેને ત્યજો. એમાં અમારે ઉદાસીનતા છે. સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ કામ તૃપ્ત થશે તો તે જ પરમ અલખને જગવનાર થાય છે. સ્થૂલ કામ તે માત્ર સાધનરૂપ છે - તેના વિના ફળ પ્રાપ્ત થાય તો અમારે એ કામ ઉપર પક્ષપાત નથી.


  1. ૧. બે જણના પ્રયત્ન પ્રતિ પ્રયત્નની એકફળતા युगपदनेकार्थसिद्धिरपि द्दश्यते। यथा मेषयोरभिघाते कपित्थयोर्भेदे मल्लयोर्युद्धे तेनोभयोरपि सदृशी सुखप्रतिपत्तिः।।
    जातेरभेदाद्दम्पत्योः सदृशं सुखमिष्यते ।
    तस्मात्तथोपचर्या स्त्री यथाग्रे प्राप्नुयाद्रतिम्।। (કામતંત્ર.)

સર૦– તમારે ઉદાસીનતા છે, પણ મ્હારે તો તે કામ વર્જ્ય અને અધર્મ્ય છે એવો ઉપદેશ સ્થિર કરવો પડશે.

ચન્દ્રા૦- તો તેમ કરજો. સૂક્ષ્મ કામ તૃપ્ત થયો એટલે અલખ કલ્યાણનો ધર્મ સચવાયો સમજીયે છીએ.

સર૦– પણ સ્થૂલ કામની દષ્ટિમર્યાદામાં અને બાણપથમાં પડવાનું કારણ શું ?

ચન્દ્રા૦– તમે કરેલો અપરાધ – એ મુખ્ય કારણ છે. તેનું પ્રાયશ્ચિત્ત ઈચ્છો છો – એ વચન તમારા હૃદયનું હોય તો તે બીજું કારણ પછી કેટલાં કારણ માગો છો ? વિષનો વિષવડે પ્રતીકાર કરો.

સર૦– હું આ યોજના સાંભળી ભયથી કમ્પું છું. મૈયા, શુદ્ધ જીવોને ભ્રષ્ટ થવાના ભયમાં નાંખવા એ આ સ્થાનના પુણ્ય માર્ગોને ઉચિત નથી.

ચન્દ્રાવલી ભ્રૂકુટી ચ્હડાવી બોલી. “શું ઉચિત નથી ? એ રંક મુગ્ધાની તમે પ્રીતિ કરી અને પછી તેને કુવામાં નાંખી અને હવે તેમાંથી તમારે તેને ક્‌હાડવી ઉચિત નથી? કે એ કુવામાં પડવાનું તમારા સ્વાર્થી હૃદયને ભય લાગે છે અને એ ભયમાંથી પોતે જાતે મુક્ત રહેવાની અન્તર્વાસનાથી આ નિર્ભય બાળાને શુદ્ધ માર્ગ દેખાડવાનો દમ્ભ કરવો એ ઉચિત નથી ? જો તમે સંસારીઓના માર્ગ પ્રમાણે ધર્માધર્મ ગણતા હો અને એવા ધર્મના આગ્રહી હો તો જે ભયથી તમે ડરો છો તેનાથી ડરો નહી ને એ ભયકાળે પણ તમારા ધર્મ પ્રમાણે શુદ્ધ રહેવાનું પૌરુષેય બળ ધારો. કલ્યાણ ફળને માટે યુદ્ધ કરવું પડે તો તેને માટે રખાય એટલાં કવચ અને શસ્ત્રાસ્ત્ર રાખો અને અક્ષત ર્‌હો. પણ એ ભયથી કાયર બની, ઉચિતાનુચિતના અનુચિત વિચારોથી દોલાયમાન થઈ જે કાર્ય જાતે ધર્મ્ય અને કલ્યાણકારક તેમ તમારા પ્રાયશ્ચિત્તરૂપં છે તે કાર્ય કરવામાં પાછા ન પડો અને વ્યગ્ર ન થાવ. જે તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ હું યેાજુ છું તેમાં તમે અધર્મ કે અકલ્યાણ દેખો છો ?”

સર૦- આ ભય વિના બીજું કાંઈ નથી.

ચન્દ્રા૦- સૂક્ષ્મ શરીરના સમાગમ અને સૂક્ષ્મ પ્રીતિના ચમત્કાર આજ સુધીમાં તમને અનિવાર્ય અને અપ્રતિહતગતિ જણાયા નથી ?

સર૦– મૈયા, હું નિરુત્તર છું.

ચન્દ્રા૦– તમારાં ઉભયનાં હૃદયની શાન્તિ એ સમાગમ વિના બીજા કોઈ માર્ગથી સાધ્ય છે ?

સર૦- હું એવો બીજો માર્ગ દેખી શકતો નથી, છતાં આ સમાગમ ઇચ્છતો નથી ને તેનું કારણ કહી દીધું છે. ચન્દ્રા૦– તમને ક્ષમા મળવાનો પ્રસંગ માત્ર એવા સમાગમ કાળે જ છે એ તમે જોઈ શકે છો ?

સર૦- એ જોવાનું હવે કાંઈ બાકી રહ્યું નથી.

ચન્દ્રા૦- તો, નવીનચંદ્રજી, આ ભયનો ત્યાગ કરો અને જે એક જ કલ્યાણનો પન્થ છે તે સ્વીકારો. સંસારની રચેલી વિવાહવઞ્ચના ઉપર શ્રદ્ધાને લીધે તમારો માનેલો ધર્મ જ મધુરી પાળે છે, અને તે પાળે છે ત્યાં સુધી તમારે સમાગમ ઇચ્છવાની લઘુતા તેના હૃદયને પ્રાપ્ત થઈ નથી. એ તો એમ જ જાણે છે કે,–

[૧]मर्यादानिलयो महोदधिरयं रत्नाकरो निश्चितः
सर्वाशापरिपूरकोऽनुगमित: संपत्तिहेतोर्मया ॥
शम्बूकोपि नलभ्यत किमपरं रत्नं महार्ध परम्
दोषोऽयं न महोदषेः फलमिदं जन्मान्तरीयं मम ॥

“મધુર દુ:ખની રસિક અમારી મધુરી તમને સુખ ઇચ્છે છે પણ પોતાને માટે તમારું સુખ ઈચ્છતી નથી. હું આવી છું તે મ્હારા હૃદયની અને સર્વ સાધ્વીઓની પ્રેરણાથી આવી છું. તેઓ એક પાસથી તમારી શક્તિ દેખે છે અને બીજી પાસથી મધુરીનું દુ:ખ દેખે છે ત્યારે નિ:શ્વાસ મુકી અશ્રુપાત કરી, તમને તિરસ્કાર પૂર્વક ક્‌હે છે ને ક્‌હાવેછે કે,–

"[૨]लज्जामहे वयमहो वचनेपि हन्त
सांयात्रिकाः सलिलराशिममी विशान्ति ।
अंसाधिरोपिततदीयतटोपकण्ठ-
कौपेयकाम्बुदृतयो यदुदीर्णतृष्णाः ॥

“મધુરીએ તમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી અને સાધુજનોના આગ્રહથી આવવા હું સજજ થઈ ત્યારે એક રસાર્દ્ર સાધ્વીએ તમને ક્‌હેવાનું મને કહ્યું છે કે–


  1. ૧. આ મહાસાગર મર્યાદાનું સ્થાન છે, નિશ્ચિત રત્નાકર છે, અને સર્વઆશાએાને પરિપૂર્ણ કરનાર છે, અને સંપત્તિને માટે મ્હેં તેનું અનુગમન કર્યુંપણ મને એક પઈસો પણ ન મળ્યો તો મૂલ્યવાન્ રત્નની તો વાત જ શીકરવી ? આ કંઈ મહાસાગરનો દેાષ નથી, પણ મ્હારા પોતાના જ જન્માંતરનુંફળ છે (પ્રકીર્ણ).
  2. ર. આ તો એવું જ કે તે ક્‌હેતાં પણ અમે લાજીએ છીએ, તે એ કેઆ સાંયાત્રિકો ( વહાણમાં ફરનાર વ્યાપારીયો ) આવા પાણીથી ભરેલાસાગર ઉપર જાય છે છતાં અત્યંત તૄષાવાળા થઈ કુવાના પાણીથી ભરેલીમસકો એ જ સાગરના તીર ઉપર એમને ખભા ઉપર લેઈ રાખવી પડેછે. (પ્રકીર્ણ)
"[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
रत्नैरुद्दीपयसि पयसा यत्पिधत्से धरित्रीम् ।
धिक् सर्वं तत्तव जलनिधे यद्विमुच्याश्रुधाराः
तीरे नीरग्रहणरसिकेनाध्वगेनोझ्झितोऽसि ॥

“સર્વ સાધુસ્ત્રીઓ તમારી સૂક્ષ્મ માનસિક પ્રીતિનો જ ફ્લોદય ઇચ્છે છે. સ્થૂલ પ્રીતિનો વિચાર તેમનાં હૃદયમાં લઘુમાત્ર છે. હે રાજહંસ ! તમે માત્ર અશરીર માનસપ્રીતિના માનસ સરોવરની જ કમલિનીને જ તમારા સૌહૃદથી સનાથ કરો તો તેટલું બસ છે. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી તમને ક્‌હાવે છે કે.–

"[૨]कच्चिदेव समयं समागतं
त्वां न विस्मरति शश्वदम्बुजम् ॥
मानसे विहर हंस मानसे
मा विमुञ्च पुनरस्य सौहृदम् ।।

“વિહારમઠની અધિષ્ઠાત્રી અનેક તંત્રોના વિચાર કરી નિર્ણયપૂર્વક ક્‌હાવે છે કે–સંસારમાં પરમ અલખના અસંખ્ય લખ ખેલોમાંથી તમને જે આશય પ્રિય હશે તે રમણીય જ હશે. તમારું અલખ બોધન અને લખ તૃપ્તિ ઉભય રમણીય જ થયાં. તો પણ મધુરીની માનસ પ્રીતિ વિના ન્યૂનતા છે.

"[૩]सैव सेव सरसी रमणीया
यत्र यत्र वलते तव रागः ।
राजहंस रसिक स्मरणीया
श्रीमता तदपि मानसकेलिः ॥

  1. ૧. મોજાવડે તું ગગનનો સ્પર્શ કરે છે, રત્નો વડે તું પાતાળને પ્રકાશિતકરે છે, અને ધરતીનું તું આચ્છાદન કરે છે; ત્હારા એ સર્વ પરાક્રમને ધિક્કાકાર છે-કારણ પાણી લેવાનો રસીયો પ્રવાસી ત્હારા તીર ઉપર અાંસુની ધારાઓ મુકી ત્હારો ત્યાગ કરે છે (પ્રકીર્ણ).
  2. ર. હે હંસ ! માત્ર થોડો સમય અા કમળને ત્હારો સમાગમ થયો હતો;તેટલામાં તો નિત્ય કાળ સુધી તે તને ભુલતું નથી, માટે માનસ (સરોવર)માં વિહાર કર - રે – માનસમાં વિહાર કર, પણ આવી મિત્રતાનો ત્યાગન કરીશ. ( પ્રકીર્ણ).
  3. ૩. જેના જેના ભણી ત્હારી પ્રીતિ વળે છે તે તે જ સરસી (સરોવ૨)રમણીય છે; તો પણ હે રસિક રાજહંસ, તું શ્રીમાન્ છે. તેણે માનસક્રીડાસ્મરવી જોઈયે છીયે. ( પ્રકીર્ણ )

“અને છેલું વાક્ય–તમારા ઉચિતાનુચિત અને ધર્માધર્મના વિચાર સંબંધે – હું કહું છું તે એટલું જ કે-

"[૧]हा हन्त मानससर:सलिलावतंस
रे राजहंस पयसो: प्रविवेचनाय ।
चेच्छक्तिमान् खलु भवान्न तदा किमु स्यात्
किं वा कपोत उत वा कलविङ्कपोतः ॥

“જો મ્હારી સર્વ વાત તમે સ્વીકારતા હો પણ માત્ર શમસુખના અભિલાષથી અથવા પરમ જ્યોતિના યોગના લાભથી મધુરીને તેની સંમતિ વિના દૂર રાખતા હો તો તમે અલખમાર્ગનો યોગ સમજ્યાં નથી તે ગુરુજી પાસે સમજી લેજો. આ ગિરિરાજના યોગીઓ અલક્ષ્ય અને લક્ષ્ય ઉભયના યોગી છે અને લક્ષ્યને તિરસ્કાર કરવામાં પોતાના અદ્વૈતને બાધ ગણે છે. એ માર્ગમાં તો શ્રી અલખની લખવિભૂતિને પૂજનીય ગણી અલખ જ્યોતિનો સમાધિ જનકમહાત્માના જેવો સાધવો એજ શ્રેષ્ઠ ગણાય છે .શ્રી રામચંદ્રને મુખે જે જનકની સ્તુતિ થઈ છે કે–

[૨]छत्रछाया तिरयति न यद्यन्न च स्प्रष्टुमीष्टे
द्दप्यन्द्र्न्ध्द्विपमदमषीपङ्कनामा कलङकः ।
लीलालोलः शमयति न यच्चामराणां समीरः
स्फीतं ज्योतिः किमपि तदमी भूभुजः शीलयन्ति ॥

“સત્ય વાત છે કે સંસારમાં ર્‌હેવું અને શમસુખ સાચવવું એ ઉભય ક્રિયાઓનું સમકાલીન સંમેલન ઘણું વિકટ, સૂક્ષ્મ, અને દુર્લભ છે અને તે મેળવતાં મેળવતાં ઉભય ક્રિયામાં ઉભયભ્રષ્ટ થતાં હશે. પણ જે ચિત્ત તે પરમ લાભને પામી શકે છે તેનું માહાત્મ્ય અલૌકિક થાય છે, તેમનાથી લોકનું અપૂર્વ કલ્યાણ થાય છે, અને લોક જેને ઇશ્વરેચ્છા ક્‌હે છે અને અમે જેને અલખનું લખવાસનાસ્વરૂપ


  1. ૧. હા ! અરેરે ! માનસસરોવરના સલિલના ભૂષણરૂપ ઓ રાજહંસ !દુધપાણીનો વિવેક કરવા, જ્યારે તું જ શકિતમાન નથી ત્યારે એ વિવેક તેશું કપોત કરી શકશે કે ચકલાનું બચ્ચુ કરી શકશે? ( પ્રકીર્ણ)
  2. ર. આ મહારાજ જે શુધ્ધ અનિર્વચનીય જ્યોતિનું ધ્યાન ધરે છે તેજ્યોતિને, એમના છત્રની છાયા ઢાંકતી નથી, મત્ત ગન્ધગજના મદનું કાજળ જેવા મષીપંક નામનું કલંક તેને સ્પર્શ કરવા પામતું નથી; ચામરોનેલીલાથી કંપતો પવન તેને શાંત કરતો નથી, એવા શુદ્ધ જ્યોતિનું આમહારાજ ધ્યાન ધરે છે (પ્રસન્નરાઘવ).

કહીયે છીયે તે વાસના આવાં ચિત્તની સિદ્ધિથી જ થાય છે. વિશ્વામિત્રે ક્ષત્રિયપદ છોડી બ્રહ્મર્ષિપદ શોધ્યું તેમણે એ ઉભય પદનાં પાલક જનક મહાત્માની સ્તુતિ કેવી કરી છે તે સાંભળો.

"[૧]ज्याधातः कार्मुकस्य श्रयति करतलं कण्ठमोंकारनादः
तेजो भाति प्रतापाभिधमवनितले ज्योतिरात्मीयमन्तः ।
राज्यं सिंहासनश्रीः शममपि परमं वक्ति पद्मासनश्रीः
येषां ते यूयमेते निमिकुलकुमुदानन्दचन्द्रा नरेन्द्राः ॥

“નવીનચન્દ્રજી, અન્તે મ્હારે એટલું જ ક્‌હેવાનું બાકી રહ્યું છે કે રાજ્યાદિની ઉપાધિ વિનાના, માત્ર અર્ધાંગના યોગથી સકલાંગ ર્‌હેનાર યાજ્ઞવલ્કય અને મૈત્રેયીની પેઠે, અને વસિષ્ઠ અને અરુન્ધતીની પેઠે, સચ્ચિદાનંદમયં અદ્વૈતરસ અનુભવવો એ વિહારમઠના યેગીયોની સ્વાનુભૂતિ છે તેમાં તમારા જીવાત્મામાં ત્રસરેણુકાદ્વૈત પામવા મ્હારી મધુરીનો કલ્યાણ જીવાત્મા સર્વ પ્રકારે યોગ્ય છે. અમે તેનો અને તમારો ક્ષણવાર સહવાસ યોજીશું તેમાં તમારે સર્વથા અનુકૂળ થવું અને તે સહવાસને કાળે તમારા પરસ્પર પક્ષપાતના સંમેલનનું પરિણામ તમને જે અધિકાર આપે તે કરવા તમે સ્વતંત્ર છો, જો એ અધિકાર તમારે વિહારમઠમાં જવાનો થાય તો ત્યાં જજો અને આ મઠમાં ર્‌હેવાનો થાય તો અંહી ર્‌હેજો. પણ આ અધિકાર પરીક્ષાસંવેદન[૨]વિના જણાઈ શકતો નથી અને તમારો થોડોક પણ સહવાસ થાય તે વિના તમારા મન્મથાવતારનું અને અધિકારનું પરીક્ષાસંવેદન થવાનું નહી, માટે તેટલી રીતે તમારે અમને અનુકૂળ થવું, બીજે રૂપે હું ઉક્ત શબ્દોની પુનરુક્તિ કરું છું.”

સર૦– “સાક્ષાત્ સરસ્વતીદેવીનો ઉપદેશ કીયા અંતઃકરણ પાસે આજ્ઞાધારણ નહીં કરાવે ? પણ મૈયા, વ્યાસ જેવા પિતાના ઉપદેશ શુક મુનિને માટે અપર્યાપ્ત નીવડ્યા તેમ મ્હારા અંતરાત્માનું ભય આપના


  1. ૧. તમારા હાથના તળીયાને બાણની પણછના ઘસારાના ઘા પડ્યાછે;તમારા કંઠમાં ઓંકારનાદ છે; પ્રતાપ નામનું તમારું તેજ પૃથ્વીતલમાં પ્રકાશે છે અને અંતમાં આત્મજ્યોતિ પ્રકાશે છે, સિંહાસનલક્ષ્મી તમારુંરાજત્વ જણાવે છે ને પદ્માસનલક્ષ્મી તમારા શમને જણાવે છે: જેનામાંઅાવા અાવા ગુણ છે તે તમે નિમિકુલ રૂપ કુમુદના આનન્દચંદ્ર નરેન્દ્ર છો.( પ્રસન્નરાધવ.).
  2. ૨. પરીક્ષા કરી સત્ય જાણી લેવું. Verification,
ઉપદેશથી નષ્ટ ન થાય તો ક્ષમા કરશો. હું શુદ્ધ અન્તઃકરણપૂર્વક

માનું છું ને કહું છું કે–

"[૧]भवाद्दशीनां साध्वीनां मे च यन्मङ्गलं मतम् ।
तस्मिन्नकरुणे पापे वॄथा वः करुणा मयि ॥

“આપનાં સર્વ વચન સત્ય છે, અનિવાર્ય છે, રમણીય છે અને સૂક્ષ્મ વિચારે ધર્મ્ય પણ છે. પણ જે પ્રીતિ મ્હારા શમાભિલાષને શમની વિડમ્બના જ આપે છે તે જ પ્રીતિ કોઈક અનિર્વચનીય કારણથી મને આ દુ:ખમાં પડી ऱ्હેવા પ્રેરે છે.”

ચન્દ્રા૦– મહાત્મા ! एतद्वि परिभूतानां प्रायश्चितं मनस्विनाम् । [૨] એ પ્રાયશ્ચિત્તનો અવધિ હવે સમાપ્ત થાય છે.

સર૦– બે હૃદયને જે પ્રીતિ જોડે છે તે જ પ્રીતિ મ્હારા હૃદયમાંથી ભુસાય તો આપની આજ્ઞાનું ધારણ કરવામાં વિઘ્ન નડે નહી,

ચન્દ્રા૦- તે ભુસાવાની નથી.

[૩]अहेतु: पक्षपातो यस्तस्य नास्ति प्रतिक्रिया ।
स हि स्नेहात्मकस्तन्तुरन्तर्मर्माणि सीव्यति ॥

સર૦– જો તે ભુસાવાની નથી તો મ્હારી મૂર્ખતાનો ભોગ થયલી રંક મુગ્ધાને કરવાનો ઉપદેશ જે માર્ગથી નિષ્ફળ થાય તે માર્ગ હું કેઈ રીતે લેઉં ? જેણે દોષ કરેલો છે તેણે તે આ શમવિડમ્બના વેઠવી જ જોઈએ અને એ દોષને લીધે દુ:ખી થઈ છે તેને શુદ્ધ શમ મળવો જોઈએ. જે પક્ષપાત અને સ્નેહ આ બે હૃદયના તંતુઓને શીવે છે તે સ્નેહની પ્રતિક્રિયા નથી તો જે જીવ શમવિડંબનાને યોગ્ય છે તે વિડંબના વેઠશે, અને જે પવિત્ર જીવ શમને પાત્ર છે તેને તે મળશે – એટલે મ્હારી વાસના તૃપ્ત થશે.

ચન્દ્રા૦- તમારી જાતને શિક્ષા કરવી કે નહી તે કર્મ અને ફલના સંયોજક ઈશ્વરના હાથમાં રાખો. પણ જે જીવને શમ આપવા ઈચ્છો છો તેને તે તમે જાતેજ આપો.


  1. ૧. તમારાં જેવાં સાધ્વીનું અને મ્હારું જેને મંગલ ગણેલું છે તેના ઉપરનિર્દય થનાર પાપી જે હું તેને માટે તમે વૃથા દયા આણો છો. ( ઉત્તર રામઉપ૨થી ).
  2. ર. પરિભવ પામેલા મનસ્વીઓનું આ જ પ્રાયશ્ચિત્ત છે. ( ઉત્તર રામ )
  3. ૩. હેતુ વગરનો જે પક્ષપાત થાય છે તેની પ્રતિક્રિયા નથી. અન્તમર્મભાગોને શીવી લેનાર સ્નેહાત્મક તન્તુ તે એજ.( ઉત્તર રામ )

સર૦– આવાં ધૄત અને અગ્નિનો સંયોગ થયો એટલે ઇન્દ્રિયગ્રામનો અવિશ્વાસ જ રાખવો. સ્થૂલ પ્રીતિમાંથી સૂક્ષ્મ ની પ્રીતિ થાય તો તે પ્રકૃતિનો સ્વભાવ છે, પણ સૂક્ષ્મમાંથી સ્થૂલ થાય એ તો દુ:સહ છે.

ચન્દ્રા૦-“જે જીવ સૂક્ષ્મ શરીરનો અભિમાની છે તેને તો તે દુ:સહ હો. પણ કોઈ પણ શરીરના નિરભિમાની જીવને સુક્ષ્મ સ્થૂલ સરખાં છે. તેણે તો રાગ-દ્વેષનો મદ દૂર રાખવો એટલે થયું. એ મદ અને એ માનવગરનો જીવ સ્વભાવથી શાન્તિ પામે છે.

[૧]"रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥
प्रसादे सर्वदु:खानां हानिरस्योयजायते ।
प्रसन्नचेतसो ह्यांशु बुध्धिः पर्यवतिष्ठते ॥

“નવીનચંદ્રજી, જ્યાં ત્યાગથી શમ ન મળે પણ શમનું વિડંબન થાય ત્યાં શમ પ્રાપ્ત કરવાનો આ જ માર્ગ છે કે રાગદ્વેષ વિના ઇન્દ્રિયોને ચરવા દેવી."

સર૦–તે પછીના જ શ્લોકમાં કહ્યું છે કે

[૨]इन्द्रियाणा हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावभिवाम्भसि ॥

ચન્દ્રા૦– એ બધાં વાક્યોમાં કાંઈ વિરોધ નથી. ઈન્દ્રિયોવડે વિષયને ચરવા, પણ તે ઈન્દ્રિયોને વશ ન થવું અને રાગદ્વેષ વિનાનાં રહી આ ઉભય વિધિ પળાય તો પ્રસાદ એટલે શમ પ્રાપ્ત થાય છે. સુક્ષ્મ દેહ ઉપર રાગ અને સ્થૂલ ઉપર દ્વેષ ન રાખવો સૂક્ષ્મ દેહનો સંયોગ તો સ્વયંભૂ થઈ ગયો છે. તેનો નિર્વાહ કરવો; અને સ્થુલ દેહનો સંયોગ સ્વયંભૂ થાય તો તેનો દ્વેષ ન કરવો ને તેના ઉપર રાગી થઈ તેને શેાધવો નહી ને તેનું અસ્થાને અકાળે અધર્મે બળ થવા દેવું નહીં;


  1. ૧. રાગદ્વેષથી મુક્ત થયેલજ સ્વાધીન ઇન્દ્રિય દ્વારા વિષયોને ચરનાર નેપોતાના મનને સ્વાધીન રાખનાર પ્રસાદને પામે છે. એ પ્રસાદથી એનાસર્વ દુઃખની હાનિ થાય છે પ્રસાદ પામેલાં ચિત્તની જ બુદ્ધિ, ત્વરાથીપર્યવસ્થાન-સ્થિરતા પામે છે. ( ગીતા.)
  2. ૨. ચ૨ના૨ ઇન્દ્રિયોને જ મન વશ થાય છે ત્યારે તે મન એનીબુધ્ધિને – પાણીમાં નૌકાને પવન ખેંચે તેમ – ખેંચી જાય છે. (ગીતા.)
“કામકામી” ન થવું. અને, “કામદ્વેષી” પણ ન થવું. નદીઓ જેમ

સમુદ્રમાં વ્હેતી વ્હેતી જાતે આવે છે તેમ, કામરૂપ નદી ધર્મથી જાતે પ્રાપ્ત થાય ત્યારે સમુદ્ર પેઠે તેને અવકાશ આપવો એ જ શાંતિ, એજ નિર્મમતા અને એજ નિરહંકાર. .

[૧]आपूर्यमाणमचलप्रतिष्ठं
समुद्रमापः प्रविशन्ति यद्वुत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे
स शान्तिमाप्रोति न कामकामी ॥
[૨]विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निस्पृहः
निर्ममो निरहंकारः स शन्तिमधिगच्छति ॥"

સર૦- મને કામ પ્રાપ્ત થયો નથી.

ચન્દ્રા૦– સૂક્ષ્મ કામ થયો છે.

સર૦– પણ સ્થૂલ કામને ભોજન માટે આમન્ત્રણ કરવું તે શા માટે? એટલો રાગ શા માટે ?

ચન્દ્રા૦- બેમાંથી એક હૃદયને પણ એ રાગ નથી. એમ છતાં તે હોય કે પ્રાપ્ત થાય તો તે મધુરીને હશે એમ ધારે. પણ તમને તો તે નથી એમ ક્‌હો છો.

સર૦– તેને આમન્ત્રણ કરું તો તે પ્રાપ્ત થયો જ ગણવો.

ચન્દ્રા૦– જનક રાજા જેવો યોગ સાધવાનું મ્હે તમને કહ્યું. એવા યેાગને કાળે રાજાને ઉપાધિજન્ય અનેક ભય હોય છે તેટલાથી મહાત્માઓ એવા યોગનો અનારમ્ભ કે ત્યાગ નથી કરતા. તમારું અધર્મભય તો માત્ર સંસારે માની લીધેલા ને માની લેવડાવેલા સંપ્રત્યય વડે રચેલા ભ્રમથી જ ઉત્પન્ન થયેલું છે અને તે ભય પણ તમારી દૃઢતા ને અચલતા જોતાં પ્રમાણમાં ક્ષુદ્ર છે એવાં ભયને લેખામાં ન લેવાં તે તેને આમન્ત્રણ કર્યું ક્‌હેવાય નહી.

સર૦– ધારો કે એ યોગ સાધતાં આ ભય સત્ય પડ્યું અને આપણે યોગભ્રષ્ટ થયા તો ?


  1. ૧. સમુદ્ર નવાં પાણીથી સર્વદા ભરાતો ભરાતો પણ અચલ પ્રતિષ્ઠાવાળોર્‌હે છે તેમાં જેમ આ પાણી લઈ જનારી નદીઓ સમાય છે, તેમ સર્વકામજેમાં પ્રવેશ કરી સમાય છે તે શાન્તિને પામે છે; કામનો કામી તે શાન્તિપાળતો નથી.
  2. ૨. સર્વ કામનો ત્યાગ કરી, સ્પૃહા વિના, મમતા વિના, અને અંહકારવિના જે પુરૂષ એના જ વિષયોને પ્રારબ્ધ ભોગથી ચરે છે તે શાન્તિનેપામે છે ( ગીતા ).

ચન્દ્રા૦-“તો તેમાં હાનિ કંઈ નથી, આ અવતારમાં યોગભ્રષ્ટ થયલો મહાત્મા આવતા અવતારમાં બાકીનો લાભ મેળવશે. અર્જુનને પણ આવી જ શંકા થઈ હતી અને કૃષ્ણ પરમાત્માએ એનું સમાધાન કરેલું હતું તે તમને વિદિત હશે.

"અર્જુને કહ્યું કે–

[૧]अयति: श्रध्धयोपेतो योगाच्चलितमानसः
Χ          Χ        Χ        Χ        Χ        Χ
कच्चिन्नोभयविभ्रष्टच्छिन्नाभ्रमिव नश्यति ।

“ત્યારે તેને ઉત્તર મળ્યા કે

"[૨]पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्काश्चिदुर्गति तात गच्छति ॥
प्राप्य पूण्यकृतांल्लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एअतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धो कुरुनन्दन ॥
पूर्वाभ्यासेन तेनैव हियते ह्यवशोहि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥
प्रयत्नाद्यतमनस्तु योगी संशुद्धकिल्विषः ।
अनेकजन्मसंसिद्धस्ततो यति परां गतिम् ॥

  1. ૧. શ્રદ્ધાવાન પણ અયતિનું મન યોગથી ચળે ત્યારે ઉભયમાંથી ભ્રષ્ટ થયલોપુરૂષ છિન્ન થયેલું વાદળું ન આકાશનું ને ન પૃથ્વીનુ થાય તેમ થઈ, શું તે નાશપામતા નથી ? ( ગીતા )
  2. ર. હે અર્જુન ! આ લોકમાં કે પરલોકમાં તેનો નાશતો થતો જ નથી, બાપુ ! ક૯યાણ કરનાર કોઇ પણ દુર્ગતિને પામતો નથી જ,તેવો યોગભ્રષ્ટ જીવ પુણ્યકૃત્ લોકને પામે છે, અસંખ્ય વર્ષો સુધી ત્યાં ર્‌હેછે, અને શુચિ શ્રીમાન જનના ઘરમાં જન્મે છે અથવા તો ધીમા ન્ યોગીનાજ કુળમાં જન્મે છે આવા જન્મ લોકમાં અધિક દુર્લભ છે. હે અર્જુન !આ નવા જન્મમાં પૂર્વ દેહના જ પેલા બુદ્ધિસંયોગને એ પામે છે અને તેપછી સંસિદ્ધ થવાને ઘણો યત્ન કરે છે એ તો એ પૂર્વાભ્યાસને લીધે જઆમ એ અવશ થઈ ખેંચાય છે. યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મ જે વેદતેથી તે આગળ જાય છે, પ્રયત્નવડે યતમાન યોગી અજ્ઞાન પ્રતિબંધમાંથીમુક્ત થઈ, અનેક જન્મમાં સંસિદ્ધ થઈ, અંતે પરા ગતિને પામે છે. (ગીતા)

“નવીનચંદ્રજી, પૂર્વ જન્મના પુણ્ય કર્મથી હાલની સદ્વાસનાઓને, સદ્વૃત્તિઓને, અને જ્ઞાનને પ્રાપ્ત થયા છો તે જ સત્કર્મની પરિપાકદશા આ જન્મમાં પામશો અને આ જન્મમાં યોગભ્રષ્ટ થશો તો આવતા જન્મમાં પામશો. પડવાના ભયથી બાળક ચાલતાં શીખવાનું છોડી દેતું નથી પણ પડી પડીને ઉઠે છે તે તેથી જ ચાલતાં શીખે છે. જે ભયથી તમે ડરો છો તે જ તમને કાળે કરીને તમારી ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરાવશે. સંસાર માત્ર છોડી મુકેલા બાણની ગતિ જેવો છે તે અલખની ઇચ્છાથી વેગ બંધ પડતા સુધી ગતિમાંથી વિરત થતો નથી અને વેગ સમાપ્ત થતાં ગતિ કરતો નથી. સદ્વાસનાનો સંસાર પણ આવે છે તે તમને ફળ દીધા વગર શાંત નહી થાય અને ભયથી ડરો છો તે મિથ્યા છે.”[૧]

સર૦- આ પ્રમાણે થશે એવી શ્રદ્ધા તો દૃઢ થાય ત્યારે ખરી.

ચન્દ્રા૦- અવશ્ય એમજ. પણ

"[૨]आविर्भूतज्योतिषां योगसिद्धाः
ये व्याहारास्तेषु मा संशयोभूत् ।
भद्रा ह्येषां वाची लक्ष्मीर्निषक्ता
नैते वाचं विप्लुतां व्याहरन्ति ॥

“જે યોગદૃષ્ટિને પરમ અલક્ષ્ય લક્ષ્ય થાય છે તેને પૂર્વાપર જન્માવસ્થા લક્ષ્ય થાય તેમાં શી નવાઈ છે ? નવીનચંદ્રજી, તેવું લક્ષ્ય તમારે પ્રત્યક્ષ કરવું હોય તો તેટલો યોગ સાધો. તમને પણ યોગસિદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાની અપેક્ષા વિના તે વસ્તુ જોઈ શકશો કે જેને માટે આજ તો તમારે શ્રદ્ધા જ આવશ્યક છે. એ શ્રદ્ધા વિના જાતે શું જોવું ને કેમ જોવું તેનો માર્ગ ગુરુજી દેખાડશે.”


  1. * જૈન સંપ્રદાયમાં પણ સત્પુરૂષોની ઉર્ધ્વગતિ માની છે, ચંદ્ર પ્રભાચરિ-તમાં કહ્યું છે કે:-
    क्षीणकर्मा ततो जीवः स्वदेहाकृतिमुद्वहन
    ऊर्ध्व स्वभावतो याति वन्हिज्वालाकलापवत् ॥
    लोकाग्रं प्राप्य तत्रासौ स्थिरतामवम्लवते
    गतिहेतोरभावेन धर्मस्य परतो गतिः ॥
  2. ૧. જેને પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે તેવા મહાત્માએાનાં વાક્યયોગસિદ્ધ હોય છે. તેમાં સંશય ન કરવો, કારણ એમની વાણીમાંજ મંગલ લક્ષ્મી સિદ્ધિરૂપે વળગેલી ર્‌હે છે. તેઓ જેવી તેવી એટલે અસત્યનીવડે એવી વાણી બોલતા નથી. ( ઉતરરામ ઉપરથી.)

સર૦– [૧] मुक्तबांणगतिप्रायः संसारस्तु शरीरिणाम् એ મંત્રનું દૃષ્ટાંત આ યોગભ્રષ્ટ જનના પુનરાવર્તનમાં હશે.

ચન્દા૦- એમ જ. દ્વા સુપર્ણા[૨] આદિ શ્રુતિ છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી ક્‌હેલાં છે. સંસારસમષ્ટિ [૩] જેવા ઈશનો ઉપાધિ છે તેમ વ્યષ્ટિ [૪]ના સંસાર અનીશના ઉપાધિ છે. બાણની ગતિ જેવા એ સંસાર ગણવા, બાણ જેવાં સંસારીનાં ને સંસારનાં નામરૂપ ગણવાં, ધનુષ્ય જેવું પ્રથમ અવતારમાંના જન્મનું કારણ અલખના વાસનાસ્વરૂપને ગણવા, અને એ સ્વરૂપની શક્તિને મુક્તિ ગણવી. એ ઉપાધિથી ઉપહિત ઈશ અભેાક્તા છે ને અનીશ ભોક્તા છે. જ્યાં સુધી બાણની ગતિ છે ત્યાં સુધી ભોક્તાની ભુક્તિ છે. અનીશ યોગથી ઈશની સાથે સામ્ય પામે ત્યાં સુધી તેના ભોગસંસાર પ્રવાહરૂપ ધરે છે ને એ વાસના સ્વરૂપ શાન્ત થાય એટલે પ્રવાહરૂપ પણ શાંત થાય. જે યોગભ્રષ્ટ થયા વિના સંસિદ્ધ થાય છે તેમની બાણગતિ ત્વરિત હોય છે ; યોગભ્રષ્ટની ગતિ વધારે કાલ ટકે છે પણ ત્વરિત હોય છે; પામર જીવની ગતિ મન્દ મન્દ પુનરાવર્તન પામનારી હોય છે. એવા જીવ

[૫]नद्यां कीटा इवावर्तादावर्त्तान्तरमाशु ते
व्रजन्तो जन्मनो जन्म लभन्ते नैव निर्वृतिम् ॥

“સંસારકર્મનો પરિપાક થતા સુધી તેમની આ દશા ર્‌હે છે, પ્રવાસીના પગ સ્વગ્રામ આવતાં ત્વરિત ઉપડે છે તેમ કર્મપરિપાક પામનારની ગતિ પણ ત્વરિત થાય છે અને તેથી જ યોગભ્રષ્ટ કે યોગસિદ્ધ ઉભયની ગતિ ત્વરિત છે. એ ગતિની ત્વરા વધે તેમ તેમ એના ભોગ સૂક્ષ્મતર થાય છે અને હોલાતી વાટ હોલાતાં હોલાતાં અતિશય પ્રકાશ ધરે છે તેમ તેમ આ ભાગ સૂક્ષ્મતમ થાય છે ને તેમ થાય ત્યાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થયું ગણવું અને તેમાંથી વાસનાક્ષય થાય છે. માટે નવીનચંદ્રજી, યોગમાંથી ભ્રષ્ટ થનારના ભોગ પણ કલ્યાણકારક છે એવો અલક્ષ્યાલક્ષ્યનો એક સિદ્ધાંત છે, વિષય જેમ વિષયીને ખેંચે છે તેમ સદ્વસ્તુના પૂર્વાભ્યાસમાં પણ એવી શક્તિ છે કે સાધુઓ તેનાથી ખેંચાય છે. ह्रियते ह्यवशो हि सः II એક વૃક્ષ ઉપર ઈશ ને અનીશ ઉભય છે, ભોગી અનીશ અને સાક્ષી


  1. ૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૦૦.
  2. ૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૨૫.
  3. ૩. The macrocosm
  4. ૪. The microcosm.
  5. પ. નદીમાં એક વમળમાંથી બીજામાં કીડાઓ ત્વરાથી જાય તેમ તેઓ એક જન્મમાંથી બીજામાં જતા નિવૃતિ પામતો જ નથી; પંચદશી
ઈશની એક દૃષ્ટિ થતાં ઈશ અનીશને આમ આકર્ષે છે અને સ્વસમાન

કરે છે. એનું નામ ઈશ્વરની કૃપા. એનું નામ ઉભય પક્ષીની મિત્રતા. આગન્તુક મિત્રનો સ્વર સાંભળી, અન્નપર બેઠેલો મિત્ર જેમ આતુરતાથી અન્નનો ત્યાગ કરતો નથી પણ કોળીયા ત્વરાથી ભરી લે છે અને આવેલા મિત્રને મળવા દોડે છે તેમ જ સૂક્ષ્મ પ્રીતિના ભોગી અનીશ સાધુએ ઈશને જોઈ ભોગને સુક્ષ્મતર કરે છે. નવીનચંદ્રજી, તમને જે માર્ગ દર્શાવ્યો છે તે કલ્યાણકારક જ છે ને મધુરીની મધુર કલ્યાણી મતિ તેમાં તમને અપૂર્વ સાહાય્ય આપશે એમ સર્વ સાધુજનની શ્રદ્ધા છે. નવીનચંદ્રજી, તમારી પ્રીતિ બાણની પેઠે ધનુષ્ય ઉપરથી છુટી ચુકી છે ને તેના પ્રતિરોધનો પ્રયત્ન મિથ્યાદમ્ભ છે. એ દમ્ભરૂપ અભિમાનનો ત્યાગ કરી, કલ્યાણ આશય ધરી, પ્રાપ્ત પ્રવાહમાં પ્રવૃત્ત થાવ, અને સર્વ જન જેનું મોદન કરે છે તે આશયને કલ્યાણરૂપ જ સમજો.

"विगतमानमदा मुदिताशयाः
शरदुपोढशशाङ्कसमत्विषः ।
प्रकॄतसंव्यवहारविहारिणस्
त्विह सुखं विहरन्ति महाधियः ॥"

સરસ્વતીચંદ્ર પોતાને દીક્ષામાં મળેલા શ્લોકના આ ઉપયોગથી ચમક્યો અને જિજ્ઞાસાથી પ્રેરાયો.

મૈયા, આ શ્લોકમાંનો વ્યવહાર કીયો, ને આશય કીયો, અને શશાંકનું ઉપમેય શું ?”

ચન્દ્રા૦– ચાતુર્માસમાં જગતના પોષણને અર્થે વૃષ્ટિ કરવા વાદળાં આકાશમાં ઉભરાય છે અને ચંદ્રનું દીર્ધકાળસુધી આચ્છાદન કરે છે તે પ્રમાણે મહાત્માઓનાં સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રથમ જાતે સુબદ્ધ સુપુષ્ટ થાય છે અને પછી, જગતના કલ્યાણને અર્થે ક્રિયાવૃષ્ટિ કરે છે ત્યાં સુધી એ અલખના સ્ફુલિંગરૂપ એ મહાત્માઓ પ્રચ્છન્ન ર્‌હે છે અને તે પછી જ શરદ્ ઋતુના સકલ ચંદ્ર જેવા થાય છે. તેમની કૃપાનાં કાર્યનું અનુભવી જગત તેમના આશયને પુણ્ય ગણવા જેટલો વિશ્વાસ તે પછી જ રાખે છે અને તેમના આશય લોકમુદિત ત્યાર પછી જ ગણાય છે. જે જે સદ્વસ્તુ એમની આશપાશના પ્રવાહમાં આવે છે તેની સાથે જ તેઓ શુદ્ધ ઉત્કૃષ્ટ વ્યવહાર રચે છે, તેમાં ન્યૂનતા રાખતા નથી અને ભાવી અને અપરોક્ષ વ્યવહારની કામના રાખતા નથી. આ લખ વ્યવહારમાં પોતાના મુદિત આશયના પ્રેર્યા એ મહાત્માઓ લોકના કલ્યાણ ભણી પ્રવૃત્ત થાય છે. તમોગુણનું ફળ આલસ્ય છે; રજસનું ફળ સકામ પ્રવૃત્તિ છે; અને સત્ત્વનું ફળ આવી નિષ્કામ લોકોપકારક પ્રવૃત્તિ છે.

સર૦– નિસ્ત્રૈગુણ્યના માર્ગ ઉપર જનારને તો નિષ્કામ પ્રવૃત્તિ પણ નિરર્થક.

ચન્દ્રા૦– અલખ પરમાત્મા સાથે અદ્વૈતનો અનુભવ કરનાર આત્માની જ સ્થિતિ નિસ્ત્રૈગુણ્ય છે; પણ જ્યાં સુધી કારણ શરીર શીર્ણ થયું નથી ત્યાં સુધી ત્રણે શરીર ત્રિગુણાત્મક છે. સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મતમ કરનાર ગુણ સાત્વિક છે; સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય ત્યારે જ અન્ય વાસનાઓનો ક્ષય થાય છે અને કારણશરીર માત્ર લોકોપકારક સાત્ત્વિક વાસનારૂપે સ્ફુરે છે અને એ વાસનામાં વસતા મુદિત આશયની પ્રેરેલી પ્રવૃત્તિનું આસ્વાદન જગત કરી શકે છે.

સર૦– એ આશય કેવા હોય છે ને એ પ્રવૃત્તિ કેવી થાય છે? કંઈ પણ પ્રવૃત્તિમાં ન પડનારને કાંઈ હાનિ છે?

ચન્દ્રા૦- વ્યષ્ટિ અથવા વ્યક્તિનું વાસનાબીજ અને કારણશરીર તેના સર્વ જન્મજન્માંતરમાં એકજ ર્‌હે છે. મૃત્યુથી, સ્થૂલ શરીર બદલાય છે, સૂક્ષ્મ શરીર વિકાસ પામે છે, અને કારણશરીર પ્રથમ વિકાસ પામે છે અને સદ્વાસનાઓના ઉદય પછી હ્રાસ પામતું જાય છે. સૂક્ષ્મ શરીર અને કારણશરીર મૃત્યુથી નાશ પામતાં નથી. સ્થૂલ શરીર બદલાય છે એટલે શૂન્ય થતું નથી પણ પંચભૂત રૂપ સ્વયોનિમાં પાછું ભળે છે ને સૂક્ષ્મ શરીરની આશપાસ નવું સ્થુલ શરીર વીંટાય તો વીંટાય. સંસારીઓમાં એમ મનાય છે કે મરે તે શૂન્ય થાય – તેનો નાશ થાય. નાશ કશાનો થતો નથી. વસ્તુમાત્ર સ્વયોનિમાં પરિપાક પામી આવિર્ભાવ પામે છે. રુના તન્તુ તણાઈને સૂત્ર થાય, સૂત્રસમૂહ અન્ય પરિપાક પામી પટ થાય, પટ જીર્ણ થઈ ફાટી જાય, અને અંતે તિરોધાન પામે એટલે સ્વયોનિમાં ભળે. સ્થૂલ શરીર પણ એવીજ ગતિને પામે છે અને તેની ગતિ ગર્ભાધાનથી આરંભાઈ દેહદાહાદિકાળે સ્વયોનિમાં લીન થાય છે. વનસ્પતિના દેહ કેવળ સ્થૂલ છે તેનાં બીજમાં તેમના સુક્ષ્મ દેહ તિરોહિત ર્‌હે છે અને કૃષિકર્માદિને બળે એ બીજમાંથી અન્ય સ્થૂલ દેહને આવિર્ભાવ આપવાની શક્તિનું ધારણ કરે છે. પાશવયોનિમાં સૂક્ષ્મ દેહ જાતે આવિર્ભાવ પામે છે, અને વૃક્ષાદિની પેઠે તેમનાં બીજમાં અંતર્હિત રહી સ્થૂલ કામાદિને અને સંતતિને ઉત્પન્ન કરે છે, એટલું જ નહી પણ વનસ્પતિમાં જેમ સૂક્ષ્મ દેહ અંતર્હિત રહી સ્ફુરે છે તેમ પશુ આદિમાં વાસનાદેહ અંતર્હિત રહી સ્ફુરે છે, અને આવિર્ભૂત સૂક્ષ્મ દેહના કોકડામાં વીંટાઈ મૃત્યુ પછી પુનર્જન્મ ધરે છે. મનુષ્ય જાતિમાં આ ત્રણે દેહ સંપૂર્ણપણે આવિર્ભાવ પામે છે, સ્થૂલ દેહનાં અવસ્થાચક્રની ગતિથી તેમ પોતાની શક્તિથી મનુષ્યનો સૂક્ષ્મ દેહ સૂક્ષ્મતર થાય છે અને કારણશરીર પોષાય છે. સ્થૂલ શરીરમાંથી આવિર્ભાવ પામેલું – નીકળેલું - સૂક્ષ્મ શરીર પોતાના પૂર્વ સંસ્કારના સંગ્રહને સાથે રાખે છે. અન્ન બફાય અને તળાય તેમ અનેક સંસ્કારોના પરિપાકથી સૂક્ષ્મ શરીર, સિદ્ધાન્ન જેવું, સૂક્ષ્મતર અને સિદ્ધ થાય ત્યાં સુધી, વાસનાશરીર વધ્યાં કરે છે. પણ સૂxમ શરીરની સિદ્ધ દશા થતાં તૃપ્ત થતું વાસનાશરીર કૃષ્ણપક્ષના ચંદ્ર પેઠે હ્રાસ પામવા માંડે છે. એ શરીરનો હ્રાસ થવા માંડ્યો ત્યાં સૂxમ શરીરે આ ઉપાર્જિત કરેલી શક્તિની પ્રવૃત્તિ, આશપાશના સંસારના કલ્યાણને અર્થે સુપુષ્પની સુગન્ધ પેઠે, વિસ્તાર અને વિકાસ પામે છે, એ વિસ્તાર અને વિકાસથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય છે, અને સંસારના કલ્યાણમાં ખેંચાતી વાસના, અહંતા મમતા છોડી, માન-મદ-ના અવચ્છેદથી મુક્ત થઈ સમષ્ટિરૂપ સ્વયોનિમાં ભળે છે ને શાંત થાય છે. વાસના શરીર શાંત થયું એટલે તેલ ખુટી દીવા ભભુકીને શાંત થાય છે અને વાટ કોયલારૂપે પડી ર્‌હે છે તેમ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થઈ શાંત થાય છે અને સ્થૂલની દશા વાટના જેવી થાય છે. આવા પરિપાક વિના અતૃપ્ત વાસનાની શાન્તિ જણાય તો તેને અલખવાદીઓ સૂક્ષ્મ શરીરનું પૂતનીકરણ અથવા પૂતીકરણ અને કારણશરીરની આત્મહત્યા ક્‌હે છે - કારણ એ ઉપમાન - ઉપમેયનાં સર્વ વિશેષણ સમાન જ છે અને તેમની સ્તુતિનિન્દાનાં નિદાન એક છે. છિન્નઅભ્ર પેઠે ઉભય લોકમાંથી ભ્રષ્ટ થવાની અર્જુનની જે શંકા વીશે મ્હેં તમને કહ્યું તે છિન્નાભ્રતા આવા પૂતનીકરણાદિથી થાય છે. આવી છિન્નાભ્રતા પામેલો જીવ સૃષ્ટિને આરંભે જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી ફરી નીકળે છે ને ક્યાં જવાનો છે તે વાત અંધકાર જેવી થાય છે. તેને માટે જ શ્રુતિવાક્ય છે કે કેવળ વિદ્યાના બળથી વાસનાને નષ્ટ કરનાર આત્મઘાતી અન્ધતમ તિમિરમાં પ્રવેશ કરે છે આવી શ્રુતિ છે અને માટે જ સ્થૂલ શરીર પોતાના વિપાકથી જ શીર્ણ થાય તે ધર્મ્ય છે તેમ સૂક્ષ્મ અને કારણ શરીર અસિદ્ધ દશામાં નહી પણ સર્વત: સંસિદ્ધ થઈ સર્વ કર્મવિપાકને અન્તે જાતે


૧. The inner organism is made subtler ર. ક્‌હોવડાવવું. જ સ્વયોનિમાં પ્રાપ્ત થાય તે જ આશય મુદિત છે, લક્ષ્યધર્મપ્રતિપાદિની શ્રુતિયો તમે જાણી હશે તે સર્વ આ જ આશયને વ્યષ્ટિનો હિરણ્મય કોશ [૧] ગણે છે. પુરુષમાં પુરુષ અતિરોહ પામે છે અને અમૃતત્વને ઈશાન [૨] થાય છે તે આ જ આશયથી. જીવની પુલિંગસ્થિતિ[૩] મુદિત છે તે આ જ આશયથી અને સંપૂર્ણ અલખ પરાવરમાંથી જે લખ સંપૂર્ણતાનું આદાન કરતાં છતાં પણ અલખની સંપૂર્ણતા જ શેષ ર્‌હે છે[૪] તે લખ સંપૂર્ણતા પણ આ જ આશયની સિદ્ધિથી થાય છે. અસિદ્ધ દશામાં અધીર વૈરાગ્યને બળે એ આશયમાંથી નિવૃત્ત થવાથી શમ પ્રાપ્ત થતો નથી પણ તમોગુણ ઉજ્જૃંભણ પામે છે નવીનચન્દ્રજી, શુદ્ધ શમ પામવાનો અધિકાર કેવા વિધિથી પ્રાપ્ત થાય છે તે તમને કહી દીધું.

સર૦– निस्त्रैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः એ વાક્યમાં તો વિધિ જ અવિહિત છે.

ચન્દ્રા૦– મુદિત આશયથી પ્રવાહપ્રવૃત્તિ પામનારને માટે જે વિધિ અને નિષેધ છે તે એ આશયમાં દાડિમના કળીયા પેઠે સમાયલા ર્‌હે છે. તે આશય જાતે સ્વતઃ શુદ્ધ હોય છે. એ આશયની ગતિ નિસ્ત્રૈગુણ્ય માર્ગમાં જ છે. જાતે સ્વયંભૂ વિધિનિષેધરૂપ એ આશયના વિધિનિષેધ દર્શાવવામાં શ્રુતિ અનુચરકૃત્ય કરવા તત્પર છે અને શાસ્ત્ર અસમર્થ છે. એ આશયના વિધિનિષેધ પવનના પ્રવાહ પેઠે આત્મત્થિત છે અને પવનથી કે ચંદ્રથી ઉત્થાન પામતા જલતરંગ જેવા પરબલાકૃષ્ટ થતા નથી માટે જ તેમને માટે વચન છે કે તેમનો को विध्ः को निषेधः

સર૦– એવા આશયમાંથી કીયા અને કેટલા આશય અલખયેગીને પ્રવૃત્ત કરે છે ?

ચન્દ્રા૦– મનુષ્ય પોતાના દેહના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનું કૃત્ય અવચ્છિન્ન હોય છે, કારણ દેહનાં સુખ અનન્ત થતાં નથી. પરમાત્મદર્શનને માટે પ્રવૃત્ત થનારને માર્ગે આમરણાન્ત પ્હોંચે છે પણ તે માર્ગ જ્ઞાની જનોએ શોધી દર્શાવેલા છે અને નેત્ર ઉઘાડે તેને જડે એવા છે. પરંતુ લોકકલ્યાણના માર્ગ લોકસંખ્યાના જેટલા અસંખ્ય છે; ભિન્ન ભિન્ન અનેક સુખી દુ:ખી જનોની વૃત્તિઓ અને વાસનાઓ જેવા એ માર્ગ ની સર્વતોમુખ અને અનન્ત છે, નવીનચંદ્રજી, એવા માર્ગ તમ


  1. ૧. ત્રીજો ભાગ પૃ. ૧ર૦.
  2. ર. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
  3. ૩. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
  4. ૪. ત્રીજો ભાગ પૃ. ૧રર-૩.

જેવાં ચતુર વિદ્વાન્ રસિક જ્ઞાનિ ઉદાત્ત હૃદયોના મનોરથ જ જાણી દેખાડી શકે છે. દ્રવ્ય, અધિકાર, આદિ શક્તિયોવાળામાં આ મનોરથ જાગે છે ત્યારે અદ્ભુત રૂપ ધરે છે. એવા મનોરથ ધરનાર મહાશય મનની ઇયત્તાને ચંદ્રાવલી તો શું પણ સમર્થ ગુરુજી વિષ્ણુદાસ કે સ્મૃતિ કે શ્રુતિ કઈ પણુ તુલિત કરી શકે એમ નથી. તેમને તેમ તુલિત કરવાનું સાધન જ નથી.

[૧]वासरगम्यमनूरोरम्बरमवनी च वामनैकपदा ।
जलधिरपि पोतलङ्घ्यः सतां मनः केन तुलयामः ॥

એનું કારણ એ જ કે મનુષ્ય પોતાને માટે મનોરથ બાંધે છે તેના કરતાં અનેકધા સંધાન પામેલા તેમને માટે સજજનોએ બાંધેલાં મનેરથ વિભુ હોય છે.

[૨]नाल्पीयसि निबध्नन्ति पदमुन्नतचेतसः ।
येषां भुवनलाभेऽपि निःसीमानो मनोरथाः ॥

એવા પરોપકારી સજ્જનોના મનોરથ, કોનું કલ્યાણ કરવું, કોનું કલ્યાણ કરવું, તે કેમ કરું, ક્યારે કરું, ઇત્યાદિ ચિન્તાઓ રૂપ પાંખો ઉપર બેસી અપ્રતિહતપણે ફર્યા કરે છે.

[૩] सन्तोऽपि सन्तः क्व किरन्तु तेजः
क्व नु ज्ज्वलन्तु क्व ननु प्रथन्ताम् ।
विधाय रुद्धा ननु वेधसैव
ब्रह्माण्डकोणे घटदीपकल्पाः ॥

  1. ૧. આકાશમાં અરૂણ એક દિવસમાં પ્રવાસ કરી ર્‌હે છેઃ પૃથ્વીને વામને એક પગલે ભરી દીધી; સમુદ્રનું લંઘન પણ નૌકા કરે છે પણ સત્પુરૂષોના મન શાનીવડે શાનીસાથે તોળીયે ? પ્રકીર્ણ
  2. ૨. મ્હોટાં ચિત્તવાળાએાને ભુવનલાભ થાય તે પણ તેમના મનોરથોની હદ આવતી નથી, તેઓ અલ્પ પદાર્થમાં પોતાના પદને બન્ધન પામવાદેતા નથી. પ્રકીર્ણ
  3. ૩. જેટલા સત્પુરૂષો છતમાં છે તેમની વાત કરીયે તો પણ તેઓ પોતાનું તેજ કયાં વેરે ? ક્યાં જ્વલમાન થાય ? કયાં વિસ્તારવિકાસ પામે, વારૂ? તેમને બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે ખરો પણ દીવો સળગાવી તેને ઘડામાં રુંધી રાખીયે તેમ એ બ્રહ્માએ તેમને ઉત્પન્ન કરી બ્રહ્માણ્ડરૂપ ખુણામાં કેદ કરી રાખ્યા છે ને પોતાનું તેજ બહાર ક્‌હાડવા દેતો નથી. બાકી એ સત્પુરૂષોની જ્વાલાઓ તો બ્રહ્માંડ ભેદીને પણ 'ચાલે તો બ્હાર નીકળું નીકળું' કરી ર્‌હેલી છે. (પ્રકીર્ણ )

પરોપકારના મનોરથના વિષય આવા સીમવિનાના અને અસંખ્ય છે તેની મર્યાદા માત્ર પરોપકારી જનની અવસ્થા વડે વધે છે ઘટે છે. જનક જેવા રાજા શુક મુનિનું તેમ ઇન્દ્રનું કલ્યાણ કરવા સમર્થ હતા ત્યારે ચન્દ્રાવલી માત્ર રંક મધુરીનું કલ્યાણ કરવા આટલો પ્રયાસ કરી શકે છે ને વધારે કરવા તેની શકિત નથી. આ જ નવીનચંદ્રજી કોઈ ઉચ્ચ પદ ઉપર હોય તે કેટલાનું કલ્યાણ કરી શકે?”

સરસ્વતીચંદ્રે નિઃશ્વાસ મુક્યો.

ચન્દ્રા૦—“તમારી દશા બદલાશે તેમ ધનલોભીના લોભ પેઠે તમારા પરોપકારી મનોરથ બદલાશે.

[૧]परिक्षीणः कश्चिःस्पृहयति यवानां प्रसृतये
स पश्चात्सपूंर्णो कलयति धरित्रीं तृणसमाम् ।
अतश्चानैकान्त्यान्दुगुरुलघुतयार्थेषु धनिनाम्
अवस्था वस्तूनि प्रथयति च संकोचयति च ॥

પોતાની અવસ્થા પ્રમાણે પરોપકારીના મનોરથ ન્હાના મ્હોટા હોય છે. જેમ કે રંક ગાય જાતે કંઈ પરોપકાર કરવા અશક્ત છે પણ તેનું દહન કરનારને આનંદથી અમૃત આપે છે અને દોહકની અનેકધા કામધેનુ થાય છે. જતા આવતા સર્વ પથિકજન, કૃમિગણ, પથિગણ આદિ ઉપર ઉપકાર કરી શકનાર વૃક્ષ છે – તે દોહનની અપેક્ષા રાખ્યા વિના સામીપ્ય માત્રથી જ ઉપકાર કરે છે. મૂળથી મુખસુધીનો પ્રદેશ ઉપર વસનાર આવનાર સર્વ પ્રાણીને નદી ઉપકૃત કરે છે, પોતાની પાસે કોઈ ન આવે પણ પોતે જ ઉપકાર્ય જનોના પ્રદેશના શિર ઉપર ચ્હડી ઉપકાર કરતો જાય એ મેઘનું કૃત્ય નદીના કૃત્ય કરતાં વિશેષ છે. મેઘ તો વર્ષમાં ચાતુર્માસથી જ વર્ષે પણ ચન્દ્રના ઉપકાર તો બારે માસ છે. ચન્દ્રના ઉપકાર કલાવાન્ વૃદ્ધિક્ષયના પાત્ર છે, પણ સૂર્યના ઉપકાર તો સર્વદા સમાન અમેય છે. મેઘ, ચન્દ્ર, ને સૂર્ય સ્વયુગે ઉપકાર કરનારનાં ઉત્તરોત્તર દૃષ્ટાંત


  1. કોઈ મનુષ્ય દ્રવ્યાદિથી હીન અને દરિદ્ર થાય છે ત્યારે માત્ર જવની મુઠી ઈચ્છે છે; એવો વખત આવે છે કે એને એ માણસ પાછળથી આખી પૃથ્વીને તૃણ જેટલી ગણે છે, માટે દ્રવ્યવાન જનોનાં દ્રવ્યના વધારે એાછાપણા પ્રમાણે અનેક પરિણામ થાય છે અને તેથી જણાય છે કે મનુષ્યની અવસ્થા વસ્તુઓને ન્હાની મ્હેાટી કરેછે. ભર્તૃહરિ.

છે.[૧]નવીનચંદ્રજી, એ સર્વ પપકારીયોનો આશય તેમની અવસ્થા પ્રમાણે સંકોચવિકાસ પામે છે–તેમાં અલખનાં યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.

[૨]छायावन्तो गतव्यालाः स्वारोहाः फलदायिनः
मार्गद्रुमा महान्तश्च परेषामेव भूतये ।।

નવીનચંદ્રજી, સંસારની સમૃદ્ધિથી શૂન્ય અને સંસારના વ્યવહારના અજ્ઞ પણ સદ્વિધામાં, સદ્રસમાં, અને સદ્ગતિમાં સમૃદ્ધ અને વ્યૂઢ એવા આ ગિરિરાજ ઉપરના સાધુસમાજના આશય, મહારાજ મણિરાજને જેવા પ્રિય છે તેવા, તેની રંક અજ્ઞ પ્રજાને પણ પ્રિય છે – પ્રિય છે તે એટલા માટે કે તેમાં તે સર્વને વિશ્વાસ છે અથવા–

[૩]विष्वक्तपोवनकुमारसमर्प्यमाण-
श्यामाकतण्डुलहृतां च पिपीलिकानाम् ।
श्रेणीभिराश्रमपयथाः प्रथमानचित्र-
पत्रावलीवलयिनो मुदमावहन्ति ॥

નવીનચંદ્રજી, જે આશ્રમમાં આમ કીડીયોને અન્ન આપી તૃપ્ત કરવાનો રમણીય મુદિત આશય પ્રવર્તે છે ત્યાં એવી આપ જેવા ચન્દ્ર શું મ્હારી ચકોરીને તૃપ્ત શાંત કરવાની ના પાડશો ?

સર૦– તેના આશય પણ ઉચ્ચ જ હશે.


  1. ૧. रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः
    एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥
  2. ૨. માર્ગ ઉપરના વૃક્ષ અને મહાત્માઓ પારકાના ક૯યાણને માટે જ જીવે છે, તપ્ત પથિકને માટે તેમની પાસે છાયા છે – તે તપ્ત જનને આકર્ષે છે, તેમનામાં સર્પ કે એવા ભયંકર ગુણ કે પદાર્થ નથી કે જેને લીધે તેમની પાસે આવેલા શરણાર્થી પસ્તાય, તેઓ જાતેજ ઉગેલા હોય છે – તેમને માટે કોઈ માળીને કે ખેડુને ચિન્તા કરવી પડી નથી, અને કોઈની પાસે ઉપકાર લીધા વિના તેએા ફળદાતા થાય છે. (પ્રકીર્ણ )
  3. ૩. આશ્રમોના માર્ગોમાં કીડીયો ઉભરાતી ચાલે છે; તપોવનના કુમારો સામાના ચોખા તમને માટે વેરે તે ચોખા લઈ આ કીડીયોની હારો આ માર્ગો ઉપર ચોપાસ ચાલે છે અને વિસ્તાર પામતાં ચિત્ર પત્રાવલીએાનાં કુંડાળાં જેવી આ હારો લાગે છે: એવા રમ્ય આશ્રમમાર્ગ આનન્દભેાગ આપે છે. (પ્રકીર્ણ)

ચન્દ્રા૦–“તે તો એક જ વાત ઝંખે છે ને તેને નિઃશ્વાસે નિઃશ્વાસે આપને વિષયે એક જ ઉદ્ગાર થાય છે કે,

[૧]दह्यमानेन मनसा दैवादेव विहाय माम् ।
लोकोत्तरेण सत्वेन जगत्पुण्यैः स जीवति॥

નવીનચંદ્રજી, તમને ક્‌હેવાનું સર્વ કહી ચુકી છું, મ્હારી વિજ્ઞપ્તિ સ્વીકારવી તે તમારા હાથમાં છે. જેવા તમે હૃદયથી સાધુજન છો તેવી જ મધુરી છે. ઉભય હૃદયમાં સાધુજનનાં રહસ્ય સ્ફુરે છે.

[૨]प्रियप्राया वृत्तिर्विनयमधुरो वाचि नियमः
प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ।
पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसम्
रहस्यं साधूनामनुपधि विशुद्धं विजयते ॥

નવીનચંદ્રજી, તમે આવા સાધુજન છો, સાધુજનના આશય સમજો છો, મધુરીનું દુઃખ આ હૃદયથી જોવાતું નથી, હું પણ કંઈક વિરક્ત છું તે મ્હારાં વ્રતનો ત્યાગ કરી એ મધુરીને માટે આપની પાસે આવી છું અને એને માટે ક્‌હો કે મ્હારા પોતાના શમસુખને માટે ક્‌હો પણ આ સ્ત્રૈણ હૃદયે માજીનું મન્દિર મુકાવી મને તમારી પાસે આણી છે. સમસ્ત સાધુમંડળનું માન રાખીને, કે મધુરીની દયા કરીને, કે આ


  1. ૧. બળતા ઝળતા મન વડે એણે મ્હારો ત્યાગ કર્યો તે માત્ર દૈવના બળાત્કારથી જ; એવો ત્યાગ કરી એ કાંઈ જાતે પળવાર પણ જીવે એમ છે? છતાં એ જીવે છે તે તો પોતાના લોકોત્તર સત્ત્વને લીધે અને જગતનાં પુણ્યને બળે જીવે છે. (ઉત્તરરામ ઉપરથી)
  2. સાધુજનોનું રહસ્ય સર્વથા વિજયથી વર્તે છે, તે કેવું છે માટે એમ વિજય પામે છે? તેમનાં હૃદયની વૃત્તિ પ્રિયગુણોથી છલાછલ ભરાયલી હોય છે, તેમની વાણીમાં નિયમ હોય છે તે વિનયથી મધુર હોય છે, તેમની બુદ્ધિ સ્વભાવથીજ ક૯યાણી - જીવોને માટે કલ્યાણકારક - હોય છે, તેમના પરિચયમાં નિન્દાપાત્ર પદાર્થ તો લેશ હોતો નથી. જગતના રસ આગળ ઈષ્ટ હોય છે તો પાછળ બગડે છે ને પાછળથી ઈષ્ટ થાય તો પ્રથમ દશામાં વાંધા ભરેલા હોય છે, પણ સાધુજનના નિર્દોષ સાત્વિક પ્રીતિકર રસ તો પ્રથમ કે પછી, આગળ કે પાછળ, સર્વદા સર્વથા વિપર્યય વિનાના જ ર્‌હે છે. સાધુજનોનું નિષ્કપટ, નિર્દોષ વિશુદ્ધ રહસ્ય હોય છે તે આ જ ! અને તે જ વિજયથી પ્રવર્તે છે. ( ઉત્તરરામ.)
મ્હારા હૃદયના ઉદ્ગાર સત્ય માનીને, કે આપની ઉદાર દક્ષ બુદ્ધિની પ્રેરણાથી,

મ્હારી રંક વિજ્ઞપ્તિ સ્વીકારો. વધારે ક્‌હેવાની મ્હારામાં શક્તિ નથી. સત્યનો બલવત્તર બોધ કરવા જેટલું મ્હારામાં જ્ઞાન નથી, ધર્મનું શુદ્ધતર તારતમ્ય ક્‌હાડવાની મ્હારામાં બુદ્ધિ નથી, રસરહસ્ય વધારે પ્રદીપ્ત કરવાનો આ હૃદયનો અભ્યાસ ઘણા કાળના વૈરાગ્યથી કટાઈ ગયો છે, અને મ્હારા હૃદયને ને મ્હારી પ્રવૃત્તિને આશ્રય આપી શકનાર વિહારપુરી આપનું અનુચરત્વ કરે છે તે આપની પાસે આવા વિષયમાં પ્રવૃત્ત થાય એવું ઇચ્છવાનો મને અધિકાર નથી. નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઉભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતાં શરમાતી નથી.”

આટલું બોલતાં બોલતાં ચન્દ્રાવળી ગળગળી થઈ ગઈ. તેના નેત્રમાં આંસુ ભરાયાં. દાંત ભીડી, ઉંચે શ્વાસે, ઉંચી આંખે, હાથ જોડી તે ઉભી રહી. અનેક વિચારો અને વૃત્તિયોથી અમુઝાતો સરસ્વતીચંદ્ર પળવાર વિચારમાં પડી ઉત્તર શોધવા લાગ્યો. ત્યાં ચન્દ્રાવલીના હૃદયનો ઉત્કમ્પ સ્પષ્ટ દેખાયો, ભરાયલાં આંસુ ગરવા લાગ્યાં, ઓઠ ઉઘડવા લાગ્યા.

“સાધુજન ! વિહારપુરી વિના બીજા કોઈ પુરુષના સામું આ આંખોએ આજ સુધી ઉંચું જોયું નથી તે તમારા મુખચન્દ્રની મધુર દયાદ્રતાનો પ્રકાશ જોતી ઉભી છું. મને શી આજ્ઞા છે ?”

સરસ્વતીચન્દ્ર હજી વિચારમાં જ હતો – એનાં નેત્ર એના હૃદય સામે વળ્યાં હતાં.

“સાધુજન, શી આજ્ઞા છે?” ફરી ચંદ્રાવલીએ પુછયું.

સરસ્વતીચંદ્ર ચમકી ઉઠ્યો હોય તેમ એણે અચીન્તયું ઉંચું જોયું. નીચેથી ઉંચું જોયું તેટલામાં એની આંખમાં આંસુ આવી પણ ગયાં ને સુકાઈ પણ ગયાં. અતિનમ્ર વદનકાન્તિ કરી, હાથ જોડી તે બોલ્યો.

"મૈયા, મને પુત્ર જાણ્યો ને પુત્રને ઉપર જે ક્ષમા, વત્સલતા, અને ઉદાર ચિન્તાવૃત્તિ માતા રાખે તેવી આપે મ્હારા ઉપર રાખી. માતાજી, આપની આજ્ઞા તોડવાનો મને અધિકાર નથી. શુદ્ધિ અને બુદ્ધિનો સમાગમ યોજી જે સૂક્ષ્મ ભેદવાળી યોજના આપે આટલી આટલી દીર્ધ દૃષ્ટિથી રચી છે તેને હું અનુકૂળ થઈશ, અને જે મધુરીને આપ મ્હારી ક્‌હો છો, તેનું અભિજ્ઞાન થશે તો તેના કલ્યાણનો માર્ગ તેને દર્શાવીશ.” “ને તમારા કલ્યાણનો માર્ગ તે તમને દર્શાવે તો તે પણ તમે જોશો” – ચન્દ્રાવલીએ કંઈક અટકતાં અટકતાં કહ્યું.

“ઉભયનાં વિચાર ને વૃત્તિનો સમાગમ દૈવ કરાવશે તેવો કરીશ.” સરસ્વતીચંદ્ર બોલ્યો.

"સાધુજન, તમારું કલ્યાણ થજો. હું તમારી પવિત્ર સેવામાં કોઈ રીતે કામ લાગું એવું કંઈ ક્‌હેવાનું બાકી છે?”

સર૦– “મ્હારે કોઈને કંઈ પણ આ વિષયમાં ક્‌હેવાનું થશે તો તે આપને જ ક્‌હેવાનું થશે.

[૧]आश्वासस्नेहभक्तिनां त्वमेवालम्बनं महत् ।
प्रकृष्टस्येव धर्मस्य प्रसादो मूर्तिसञ्चरः ॥

આપે મને પ્રકૃષ્ટ ધર્મનું તારતમ્ય સૂક્ષ્મ ભેદ કરી શીખવ્યું છે. આજ સુધી મ્હારી બુદ્ધિ અસંતુષ્ટ ર્‌હેતી અને હૃદય તપ્ત ર્‌હેતું તેને આપે અતિ વત્સલતાથી તૃપ્તિ અને શક્તિના માર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. જે વસ્તુ હું ગુરુજીને પુછી શકત નહી અને જે મને ક્‌હેવામાં વિહારપુરીજી સંકોચ પામતુ તે વસ્તુનું આપે મને જ્ઞાન આપ્યું છે અને અંતે જે અનાથ હૃદયનો મ્હેં વિનાકારણ ક્ષોભ કરેલો છે તેને શાન્તિ આપવામાં આપનું જ સાહાય્ય છે એ મ્હારાં સર્વે કલ્યાણ કરતાં ગુરુતર કલ્યાણ કર્યું છે. આપે મને અને મ્હારા આશ્વાસ્ય જનને પરમ આશ્વાસન આપ્યું છે. આપના હૃદયમાં ઉભય ઉપર ગુરુ પ્રીતિ સ્ફુરે છે અને આપનાં સુપ્રસિદ્ધ વ્રત છોડવી આ પ્રતિકૂળ પ્રવૃત્તિમાં આપને પ્રેરે છે. પરમ અલક્ષય અને તેની લક્ષ્ય વિભૂતિ ઉભયની આ આપ ભક્તિસાધના કરો છો. આપ આથી સૂક્ષ્મ ધર્મના પ્રસાદરૂપ ભાસો છો તેવાં જ સૂક્ષ્મતમ રસના પ્રસાદરૂપ છો.

[૨]प्रीतिवैराग्यविद्यानां त्वमेवालम्बनं महत् ।
प्रकृष्टस्य रसस्येव प्रसादो मूर्तिसञ्चरः ॥

  1. ૧. દુ:ખી જન ઉપરના અનુરાગ તે આશ્વાસન, વયમાં અને જ્ઞાનાદિમાંબાળક ઉપર તેમ સમાન જન ઉપરનો અનુરાગ તે સનેહ; અને પૂજયજનઉપરનો અનુરાગ તે ભકિતઃ– એ ત્રણ વસ્તુનો તું જ મ્હોટો આધાર છે.પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષવાન્ ધર્મનું મૂળ કારણ આ ત્રણ અનુરાગ છે તે કારણોનો મ્હોટો આધાર તું જ છે - તેને કાર્યભૂત પ્રકૃષ્ટ ધર્મના પ્રસાદનીમૂર્તિ પણ તું જ જાણે હોય એવી તું છે, એ ધર્મના પ્રસાદનો કારણરૂપે તેમકાર્યરૂપે સાક્ષાત્કાર તું જ કરાવે છે. ( ઉત્તરરામ ઉપરથી )
  2. ૨. પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યાને મ્હોટો આધાર તુંજ છે – જાણે કે પ્રકૃષ્ટ૨સના પ્રસાદની મૂર્તિ તુંજ છે.

પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યા – એ ત્રિપુટીના અપૂર્વ સમાગમથી ઉભરાતા રસ જગતમાં સંપૂર્ણપણે જોવામાં આવતો નથી, જગતના મ્હોટા ભાગને તો તેની કલ્પના પણ નથી. મૈયા, આવી સદ્વસ્તુઓની સંપત્તિના સમાગમનું સ્થાન આપનામાં હોવાથી એ સંપત્તિને બળે અપૂર્વ રસનો પ્રકર્ષ અને પ્રસાદ આપે આજ મને પ્રત્યક્ષ કરાવ્યો છે. ધર્મ અને રસનાં એવાં રૂપનો એકત્ર સમાગમ આપે આપનામાં મને પ્રત્યક્ષ કરાવ્યો છે તે જ મ્હારા ઉપર આજ સુધી કોઈએ ન કરેલી કૃપા કરી છે તેના બદલામાં હું શું કરી શકું?”

ચન્દ્રા૦- નવીનચંદ્રજી, આત્મશ્લાઘા સાંભળવાનું એક કાળે મ્હારે આવશ્યક હતું. હવે તે આવશ્યક નથી. મ્હારા સ્વભાવને તે અનુકૂળ નથી. પણ તમારા જેવા સાધુજનના ઉદ્ગાર હૃદયમાંથી જ નીકળે છે અને એવાં હૃદયની પ્રસન્નતાનું હું નિમિત્ત થાઉં એટલું ફળ મને ઈષ્ટ છે. પણ હવે તેનો વધારે લોભ તે અતિલોભ થાય. વળી આપણા આ સમાગમનું પ્રયોજન કૃપા કરી તમે સફળ કર્યું છે તે જ બદલાથી મને સંતોષ થયો છે. હવે તો જે પ્રવૃત્તિમાં પડવા તમે સ્વીકાર્યું છે તે પ્રવૃત્તિમાં તમારી ઉદારતા અને દક્ષતા સફળ થાવ અને મધુરીના અને તમારા પવિત્ર આશય સિદ્ધ થાવ એ આશીર્વાદ છે.

સર૦- મ્હારા હૃદયમાં આજ સુધી કોઈક બલવાન અધિકાર વ્યાપ્ત રહ્યો હતો તેમાંથી મને પ્રથમ મુક્ત કરનાર ઉષા[૧]દેવી તે આપ છો. હું આપની સ્તુતિ કરતો નથી, પણ કાલે જે જોયું અને સાંભળ્યું તેનો આજ અનુભવ થયો તે આપના જ પ્રકાશથી થયો છે. આજ હું અંધકારમાંથી મુક્ત થયો તે જ આપના આશીર્વાદની સિદ્ધિ.

ગઈ કાલ વિષ્ણુદાસ નિરીક્ષા કરવા નીકળ્યા હતા ને ચન્દ્રાવલી ઉભી દીઠી ત્યાં સર્વ બાવાઓએ અલખગર્જના કરી હતી, યદુનન્દનનો જય પોકાર્યો હતો અને ચન્દ્રાવલીનો જય પણ પોકાર્યો હતો. વિષ્ણુદાસજી પોતે ચન્દ્રાવલી પાસે ગયા હતા અને તેનું કુશળ પુછી, રાસલીલા જોવા જવા આજ્ઞા કરી, બેટની અને માતાના મન્દિરની અને નૈવેદ્યાદિની અવસ્થા પુછી લીધી હતી. રાસલીલાપ્રસંગે વિષ્ણુદાસજી ન હતા પણ વિહારપુરીએ સાધુજનોને રાસરહસ્યનો ઉપદેશ સમજાવ્યો હતો. એ ઉપદેશ થઈ ર્‌હેતા સુધી ચન્દ્રાવલી એક ચિત્તથી શ્રવણ અને ધ્યાન ધરી ઉભી હતી અને સાધુઓના આગ્રહથી તે સર્વે સ્ત્રીપુરુષોમાં અગ્રભાગે


  1. ૧. સૂર્યોદય પ્હેલાંનું મળસ્કુ, પ્રભાત.
વિહારપુરી સામી જ ઉભી હતી. ઉપદેશ કરી રહી વિહારપુરીએ સર્વ

સાધુઓને આશીર્વાદ દીધા અને પ્રણામ કર્યા, તે પ્રસંગે ચન્દ્રાવલીને પણ પ્રણામ કર્યા, અને સ્ત્રી પુરુષ સર્વ સાધુઓએ તે ક્ષણે આનન્દ અને ઉત્સાહથી ચન્દ્રાવલીમૈયાનો અલખ જગવ્યો ને જય પોકાર્યો. આ સર્વ ચિત્ર સરસ્વતીચંદ્રે વિસ્મયથી પ્રત્યક્ષ કર્યું હતું પણ એ ચિત્રનું માહાત્મ્ય તેના હૃદયમાં એ જ સમજાયું અને સાધુજનોના એવા પક્ષપાતના આ ઉત્તમ પાત્રને ચરણે પડવા અત્યારે તેનું નમ્ર દીન થયેલું હૃદય તત્પર થયું. ચન્દ્રાવલીએ હવે પોતે જવાની આજ્ઞા માગી તેના ઉત્તરમાં એ આ સ્ત્રીને માટેના પૂજ્યભાવનો અનુભવી બની બોલ્યો.

“મૈયા, આપના હૃદયના અમૃતોદ્ધારથી હું એવો તૃપ્ત નથી થયો કે હવે તેની તૃષા નથી એમ હું કહું. પણ જે કૃપા આપે આ જીવ ઉપર કરી છે તેની મર્યાદા કેટલી રાખવી એ આપના પોતાના અધિકારની વાત છે. હું તો માત્ર હવે આપને વન્દન કરવામાં જ મ્હારું કલ્યાણ માનું છું. વસિષ્ઠ જેવા વિહારપુરીજીનાં અરુંધતી જેવાં ચન્દ્રાવલી – તેમના સમાગમનો અધિકારી હું આજ થયો અને ઉષા [૧] દેવી પેઠે આપે મ્હારો અંધકાર નષ્ટ કર્યો તો મ્હારે ક્‌હેવાનું એટલું જ બાકી ર્‌હે છે કે –

[૨]यया पूतम्मन्यो निधिरपि पवित्रस्य महसः
पतिस्ते साधूनामपि खलु गुरूणां गुरूतमः ।
त्रिलोकीमङ्गल्यामवनितललीनेन शिरसा
जगद्वन्द्यां देवीमुषसमिव वन्दे भगवतीम् ॥

સરસ્વતીચંદ્રે ચન્દ્રાવલીને ચરણે પડવાનું કર્યું ત્યાં એ સાધ્વીના પરપુરુષ સ્પર્શના ત્યાગી કરકમલે આ પુરુષનાં શરીરને પોતાને ચરણે પડતું અટકાવ્યું અને એ ઉભો થતાં એ બોલી.

“નવીનચન્દ્રજી, આ ગિરિરાજનાં યોગીઓ આવા પ્રણામ યદુનન્દનને જ કરે છે - ગુરુજી પણ એવાં પ્રણામ પોતાને થવા દેતા નથી તો હું તો


  1. ૧. સૂર્યોદય પ્હેલાંનું પ્રભાત, મળસ્કું.
  2. ર ત્હારો પતિ મ્હોટામાં મ્હોટા સાધુઓમાં પવિત્ર તેજનો નિધિ છે તે પણત્હારાથી પવિત્ર થયો મનાય છે; ત્રિલોકની તું મંગલકારિણી છે, તું જગતનીવન્દ્ય છે, ઉષા દેવી જેવી ભગવતી ! પૃથ્વીતળ ઉપર ત્હારું મસ્તક નાંખીતે વડે તને નમું છું. ( ઉત્તરરામ ઉપરથી )
કોણ માત્ર ? સર્વથા હવે કાલાતિપાત થાય છે માટે તમે હવે તમારા પુણ્ય

વિચાર કરો અને હું જાઉં છું–”

ચન્દ્રાવલી ગઈ સરસ્વતીચંદ્ર તેની પુઠ પાછળ દૃષ્ટિ નાંખી રહ્યો. એ દૃષ્ટિમાં એનું ધ્યાન હતું એટલામાં એનું મુખ બોલવા લાગ્યું–

“The reason firm, the temperate will,
Endurance, foresight, strength, and skill;
A perfect woman, nobly plann'd,
To warn, to comfort and Command.”[૧]

એના મનમાં ભાષા ઉદય પામી.

“સુન્દરગિરિ ! કેવાં સુન્દર મનુષ્યને તું આશ્રય આપેછે? ચન્દ્રાવલી ! જે કાળે તમારા જેવી આર્યાઓ આ નિમ્નદેશમાં પ્રકાશતી હશે, જે કાળે વિદ્યા, રસ, અને પવિત્રતાના સંગમનાં તીર્થ આ દેશને ઉચ્ચદશાના અનુભવ કરાવતાં હશે, આજની અશિક્ષિત સૌભાગ્યદેવીની પ્રેમાસ્પદ શુદ્ધ સુન્દરતા આવી સૂક્ષ્મ –શરીરની સમૃદ્ધિઓ સાથે ગંગાયમુના જેવો સંગમ પામતી હશે – તે કાળ ગયો જ ! આર્યદેશ અધોગતિને પામ્યો તે તેથી જ!”

“ચન્દ્રાવલીમૈયા ! મ્હારી દીક્ષાના મંત્રનું રહસ્ય તમે વળી જુદું જ સમજાવ્યું !”

“She has shown me the evolution of the individual soul from its first flash to its last goal ! And ' she challenges me to verify its truth by the practice of Yoga ! And if we believe in Western science upon mere faith, on the ground that it is open to verification if we want, can I refuse some similar reception to so proud a production of my own countrymen ? And she has shown me the place of love in the economy of Nature. She has shown me how ' life is real – life is earnest !” She has carried me through the transmigration scheme in a novel but tangible way. And she has done it all to console


  1. ૧. વર્ડ્ઝ્ વર્થ.
and sweeten a sweet life like my Kumud's and to

settle, into some realistic practical form, a dreamy vagabond like myself ! – My Kumud ! - Ah ! I feel fired by thy name !”

“હા ! કુમુદ-કુમુદસુન્દરી ! ચન્દ્રાવલીમૈયાની આ સર્વ કૃપા ત્હારે માટે, મ્હારાં પ્રાયશ્ચિત્તનો અવધિ સમીપમાં દેખાય છે, પણ... પણ...'

આકાશમાં વનલીલાનો સ્વર સંભળાયો
[૧]અજબ સલુણી સખી મૃગનયની તું !
“ત્હેં મોહન વશ કીધો રે !”

સરસ્વતીચંદ્ર ચમક્યો. બુદ્ધિધનના ઘરમાં કુમુદસુન્દરી સાથે ગાળેલી ઘડી સાંભરી ને શરીર કમ્પવા લાગ્યું.

“સ્થૂલ શરીરનો વિશ્વાસ શો ? ચન્દ્રાવલીનો અભિપ્રાય ઈંગ્રેજ કવિના જેવો લાગે છે.

[૨]“The same love that tempts us into sin,
"If it be true love, works out its redemption !”

“જે ધૈર્યે તે કાળે રક્ષણ કર્યું તે આજ સહાયભૂત નહી થાય ? તે કાળે અવસર સૂક્ષ્મ હતો, પરગૃહમાં પ્રતિષ્ઠાને ભય હતું અને અન્ય ભય હતું - આ સ્થાને સાધુજનો એવાં સર્વ ભયને નષ્ટ કરે છે – ત્યાં તો ધર્મનું જ આ ભય ! એ ભયને પણ ચન્દ્રાવલી લેખતાં નથી, તેમને મન તો હું જ કુમુદનો પતિ છું અને પ્રમાદ જાર છે.

My associations cannot accept this reasoning even though ethically the lady has an unaswerable case for truth in the argument that all Hindu marriages are null and void ! The law, however, is not with her. The construction of our vast Society and the hard facts of life in it, make it only vastly and extremely perilous to admit her argument in practice.


  1. ૧. લૌકિક
  2. ૨. Lytton's Lady of Lyons
Alas, that what seems so sound to unprejudiced

reasoning and to the unartificial but artistic conscience of refined natural instincts, should have so totally lost its once sublime and august position from the ethical pantheon of our modern Hinduism ! Blessed be these few sacred remnants of those days of the spiritual light and purity of my country” !

“હું પતિ કે પ્રમાદ પતિ એ પ્રશ્ન પ્રમાદના મરણથી શાન્ત થાય છે. આ સાધુલોકના શાસ્ત્રથી કે પાશ્ચાત્ય શાસ્ત્રથી કે રાજકીય ન્યાયશાસ્ત્રથી કુમુદનું પાણિગ્રહણ અધર્મ નથી. પણ મને તેની વાસના નથી. કુમુદસુંદરીની અત્યાર સુધીની રમણીય પવિત્ર ચિત્તવૃત્તિના ચિત્રમાં આ પાણિગ્રહણથી કલંક બેસે તે તો દુ:સહ જ. સર્વથા સ્થૂલ શરીરને દૂર રાખી સૂક્ષ્મ શરીરનો જ સમાગમ રચવો, અને કુમુદસુંદરી પરિવ્રાજિકામઠમાં અથવા ચન્દ્રાવલી પાસે આયુષ્ય ગાળે, એ ચિત્ર જ રમ્ય છે."

“પણ... આ...વિચાર કરવાનો મને શો અધિકાર છે? મ્હેં તો તેનો અપરાધ સંપૂર્ણ કર્યો. એ અપરાધ ધોઈ નાંખવાનો માર્ગ માત્ર એટલો જ કે એ અપરાધનું બલિદાન થયેલી શરીરિણીને જે માર્ગે શાન્તિ મળે તે માર્ગે આપવી. એ માર્ગ રમણીય છે કે નહીં, ધર્મ્ય છે કે નહી, એ વિચારનો અધિકાર મને નથી – તેને છે. અથવા અલખકામતન્ત્ર પ્રમાણે તો આ વિચારનો અધિકાર કુમુદને સોંપી મ્હારે તટસ્થ ર્‌હેવું એ પણ ધર્મ નથી. એ તન્ત્ર પ્રમાણે તો એ દુ:ખી હૃદયનું પરિશીલન કરી, તેની અનેક ગુફાઓમાં ગુપ્ત રહેલાં મર્મ શોધી, એ શોધથી જે માર્ગ જડે તે લેવો એ જ મ્હારો ધર્મ છે. અર્જુનનું રક્ષણ કરવા શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞાનો ત્યાગ કરી ચક્ર લીધું હતું તે જ રીતે સંસારના ધર્મની અવગણના કરવાથી એ અનાથ હૃદયનો ઉદ્ધાર થાય એમ હોય તો તે કરવો એ મ્હારો ધર્મ !”

“અતિતીવ્ર ધર્મ : શું તું કુમુદને સંસારમાં નાંખવા મને પ્રેરશે ? શું તેને પુનર્વિવાહિત કરાવવા તું મને આગળ કરશે ? અથવા બુદ્ધિધન અને સૌભાગ્યદેવી જેવાંની વત્સલતાની ભોગિની શું એવાં હૃદયની પ્રીતિ ભુલી જશે ? અથવા ! – તે ગમે તેમ હો ! પ્રમાદ ગમે તેવો હો ! પણ એના મરણના ત્રાસકારક સમાચાર એને મ્હોડે ક્‌હેનાર હું જ થઈશ ? એ સમાચારથી એને દુઃખ નહી થાય ? કેવું દુઃખ થશે ? તે મ્હારાથી કેમ જોવાશે ? દુષ્ટ હૃદય ! એ જોવાનું કે ન જોવાનું - તે વિચારવાનો તને શો અધિકાર છે ? સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! સુન્દરગિરિના વિચિત્ર માર્ગ તને શા શા ધર્મ નહી દેખાડે ?”

“અથવા – ર્‌હો – હું એ દુ:ખ ખમવાને પણ આ સમાચાર કુમુદસુન્દરીને સંભળાવું – તો – તો – અંતે કદાચિત્ એ દુ:ખ ભુલે અને સ્થૂલ વિવાહ ઇચ્છવાના લોભમાં પડે... અથવા... પતિમૃત્યુથી પોતાને સ્વતંત્ર થયલી માની... વિવાહના લાભ જેટલું ધૈર્ય પણ... ન રાખે... તો તો અધોગતિ નહી ? ... તે કાળે મ્હારું મનોબળ શું ? મ્હારો અધિકાર શો ? મ્હારો ધર્મ શો? તે વિચારવાની તે કાળે મ્હારી શક્તિ શી ? અથવા મધુરી કુમુદસુન્દરીને ઠેકાણે બીજી કોઈ સ્ત્રી નીકળી અને તે છતાં મોહમાં પડી મ્હારે ક્‌હેવું પડે કે–

[૧]“इदमुपनतमेवं रुपमाक्लिष्टकान्ति
प्रथमपरिगृहीतं स्यान्नवेत्यव्यवस्यन् ।
भ्रमरइव निशान्ते कुन्दमन्तस्तुषारं
न खलु सपदि भोक्तु नैव शन्कोमि भोक्तुम् ॥

“તો મ્હારે શું કરવું ?”

“પ્રમાદના સમાચાર તો નહી જ કહું. તે સમાચાર તેણે નથી જાણ્યા ત્યાં સુધી એ પતિવ્રતા પોતાના મન ઉપર અંકુશ રાખશે. તે સમાચાર ન જાણવા છતાં પણ એનું મન ચલિત થશે તો... તો... હું તો સમાચાર જાણું છું ને જે પ્રવૃત્તિ બીજી રીતે બાધશુન્ય છે ને કરેલા અપરાધને ધોવાને માટે ધર્મરૂપ છે તેમાં વશે કે કવશે પડવું એ જ પ્રાયશ્ચિત્ત ! સમાચાર તો હું નહી જ કહું !”

“No. That shall not be, and that for the simple reason that I cannot bear to see thy soul in anguish.


  1. ૧. જેની કાન્તિ ક્લિષ્ટ નથી તેવું આ રૂપ મ્હારી પાસે આણ્યું છે તેનો સ્વીકાર પ્રથમ થયો હશે કે નહી તે નિર્ણય નથી થઈ શકતો અને પ્રાતઃકાળે હિમથી ભરેલા કુન્દપુષ્પમાંના ભ્રમરથી નથી તેમાં ર્‌હેવાતું ને નથી તે મુકાતું તેમ હું પણ આ રૂપનો સહસા ભેાગ કે ત્યાગ બેમાંથી એક પણ કરી શકતો નથી. શાકુન્તલ.
Sweet angel at my helm ! I shall neither crush thee

with news which can only make thee writhe, nor insult thee with idle conceptions of what thou art not, but shall see thee as soft and sweet and pure as thou always hast been. And if my love believes thee to be that, what fear can my heart harbour from thee and thy soul? Ah ! Whither am I drifting ? Sweet Kumud”!

“My soul is an enchanted boat
That, like a sleeping swan, doth float
Upon the silver waves of thy sweet singing,
And thine doth like an angel sit
Beside the helm conducting it.”[૧]

“ગુણસુન્દરીના હૃદયની પ્રતિમા ! સૌભાગ્યદેવીના પવિત્ર પક્ષપાતના પાત્ર ! તું જે માર્ગે મને પ્રેરીશ તે સુન્દર અને ધર્મ્ય જ હશે ! ત્હારી વાસનાનું ગાન મ્હારા કાનમાં સંભળાય છે અને તે પવિત્ર જ છે!”

એના કાનમાં સંભળાયલું ગાન આજ ફરી સંભળાવા લાગ્યું: ચક્ર પેઠે ચારે પાસ ફરવા લાગ્યું.

“વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે !
X    X    X    X    X    X    X
લખ્યા લેખ મિથ્યા નહી થાયે,
સંસારિણી જોગણ થઈ જાયે ! વાંસલડી૦
જોગીડા ! તું સમશ્યામાં ગાજે,
જોગણ આવી સાંભળશે સાંજે ! વાંસલડી૦
મોરલીમાં સ્નેહભર્યું વાજે,
અવ્યક્તનું વ્યંગ્ય બધું ગાજે. વાંસલડી૦
વાંસલડીમાં લખનું અલખ વાજે,
મ્હારા ત્હારા અદ્વૈતને ગાજે ! વાંસલડી૦
અલખ તુજ સૂક્ષ્મ સનાતન જે,
કુમુદને તું તેમાં પરોવ્યાં જજે ! વાંસલડી૦
હું, તું, ને અલખ સનાતન, એ

  1. ૧. Shelly.
ત્રણે રાસ અદ્વૈતમાં જ રમે ! વાંસલડી૦
હૃદય આ અલખ રસે નાવ જ છે,
નાવિક તેમાં ચતુર તું સાવધ છે : વાંસલડી૦
જિવ્હાને દાંતની ભીતિ તે શી ? .
કુમુદને સ્પર્શ નહી જ શશી ! વાંસલડી
જામે જ્યાં જગતમાંહી રાતલડી,
પ્રદક્ષિણ[૧] એકાંત કરતો શશી, વાંસલડી૦
પ્રભા એની ચોમગ ચળકે જયાં,
રંક કુમુદ જ વિકસે ત્યાં. વાંસલડી૦
નહી ચંદ્ર ભોગ કુમુદને ધરે,
કુમુદ એના શીલનથી જ હસે; વાંસલડી૦
એવો યોગ સાધુજનોને ગમે,
એવે સમે શમદમ સાથે રમે, વાંસલડી૦
સુન્દરગિરિ સુન્દર યોગ રચે,
મ્હારા ત્હારા હૃદયનો રાસ મચે, વાંસલડી૦
સંસાર આ અધર્મ ને ભ્રષ્ટ પડ્યો,
છુટ્યાં ત્યાંથી, ઉદ્ધાર ઈશે ઘડ્યો. વાંસલડી૦
સંસાર એ છોડી, છુટ્યાં બે છીયે;
જવું પાછાં તેમાં નથી કદીયે. વાંસલડી૦
સુન્દરગિરિ સન્તસમાગમ દે;
લતાકુંજ એકાંત આશ્રમ દે, વાંસલડી૦
વિકારથી શૂન્ય વિહારો વહે,
પવન પેઠે ધીર ને શાંત સરે, વાંસલડી ૦
વ્હાલા ચન્દ્ર ! ત્યાં હું સુગન્ધ વહું,
વિકસું ને સચેતન હૃદય ધરું, વાંસલડી૦
પાંખડીયો આ ફરફર થાતી ખીલે;
રસિકના સૂક્ષ્મ રસોને ઝીલે ! વાંસલડી૦
અખંડ સચન્દ્ર એ રાત રહો !
અલખ પ્રીતિ કુમુદની અચળ રહો. વાંસલડી૦”

રાધેદાસ ચન્દ્રાવલી જોડે વાત કરવામાં રોકાયો હતો.તે પાછો આવ્યો એટલે આ સૃષ્ટિ શાંત થઈ.


  1. પ્રદક્ષિણા