સરસ્વતીચંદ્ર ભાગ ૪/સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.

વિકિસ્રોતમાંથી
← મિત્ર કે પ્રિયા ? સરસ્વતીચંદ્ર ભાગ ૪
સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
દેશપ્રીતિનું મનોરાજ્ય. →


પ્રકરણ ૩૮.
સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.
I pass, like night, from land to land ;
I have strange power of speech ;
That moment that his face I see,
I know the man that must hear me :
To him my tale I teach.
Coleridge's Ancient Mariner.
सुश्रुवे प्रियजनस्य कातरम्
विप्रलम्भपरिशंकिनी वचः ॥ रघुवंशम् ॥
आशाबन्धः कुसुमसदृशं प्रायशोऽह्यङ्गनानाम्
सद्यःपाति प्रणयि हृदयं विप्रलम्भे रुणाद्वि ॥
-ભવ ભૂતિ.

ગવી કન્થા ધારી કુમુદ સાધ્વીયો સાથે ગઈ અને સરસ્વતીચન્દ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા ઉપર બેસી પોતે જોયેલાં સ્વપ્નોના પોતે લખેલા ઇતિહાસ વાંચવા લાગ્યો અને પોતાના દેશનું અને દેશની વસ્તીનું કલ્યાણ શામાં છે અને કેવાં સાધનથી સાધ્ય છે તેના વિચાર કરવા લાગ્યો. વિચારે વિચારે એની સ્વપ્નસામગ્રી સહાયભૂત થઈને આખો દિવસ પ્રસન્ન ચિન્તામાં ગયો. ભોજનકાળ વિના એમાં બીજું વિઘ્ન આવ્યું નહી અને કુમુદના વિના બીજા સત્વે તેમાં વ્યવધાનશક્તિ બતાવી નહી. અપ્રત્યક્ષ રહીને પણ અત્યારે કુમુદ જે વ્યવધાનશક્તિ બતાવતી હતી તે પણ સાત્ત્વિક પ્રીતિના સંસ્કારોનાં જાગૃત સ્વપ્નો ઉત્પન્ન કરીને જ બતાવતી હતી, અને જેવી રીતે તે સ્વપ્નમાં સહચારિણી થઈ હતી તેવી રીતે આજના જાગૃત વિચારોમાં પણ માત્ર વિચારરૂપે જ સહચારિણી થતી હતી. સૂર્યાસ્તથી પાંચ છ ઘડી પ્હેલાં તેના વિચાર સમાપ્ત થયા ને તેને અન્તે પોતાની ગુફાની ઉપલી અગાશીમાં ચ્હડી ચારે પાસના સૃષ્ટિસૌંદર્યને આ પુરુષ જોવા અને ભોગવવા લાગ્યો. એ ભોગ–મેઘના ઉપર વીજળી જેવી વાણી ચમકવા લાગી.

“શરીરની શક્તિયો શરીરના ભાગથી વધે છે ઘટે છે, તેમ મનની શક્તિયો મનના ભોગથી વધે છે ઘટે છે, અને શરીર અને મનના વિવાહથી સંયુક્ત અવસ્થાને પામેલી શક્તિયો એ બેના સંયુક્ત ભાગથી વધે છે ઘટે છે. અમુક માત્રામાં ભેાગને રાખવાથી આ સર્વ શક્તિયો વધે છે ને તે માત્રાની મર્યાદા તોડવાથી એ જ શક્તિયોને એ જ ભોગ ક્ષીણ કરે છે. આ માત્રાનું તારતમ્ય અંહીના સાધુજનો જાણે છે. પ્રાચીન આર્યો જાણતા અને આજના પાશ્ચાત્ય લોક જાણે છે. એ શક્તિયોના વિકાસથી ને સદુપયોગથી લોકનું કલ્યાણ છે. સર્વ શ્રમમાં, સર્વ તપમાં, સર્વ ઉદ્યોગમાં, સર્વ સુખમાં, સર્વ દુ:ખમાં, સર્વ ભોગમાં, અને સર્વ ત્યાગમાં, યોગ્ય માત્રા રાખ્યાથી આ કલ્યાણ સધાય છે અને તોડ્યાથી અકલ્યાણ સધાય છે. મ્હારા દેશમાં આ માત્રાના અજ્ઞાને દુઃખની હોળી સળગાવી છે ને મ્હારા દેશી બન્ધુઓની સર્વ શક્તિયોને ક્ષીણ કરી દીધી છે – તે શક્તિ વધારવાને મ્હારા વિદ્વાન બન્ધુઓના અને રાજ્યકર્તાઓના સર્વ પ્રયત્ન નિષ્ફળ થાય છે તેનું કારણ આ અજ્ઞાન અને આ અશક્તિ ! એ અજ્ઞાનનો ને અશક્તિનો નાશ અશક્ય નથી. આર્ય લેાક માનતા[૧] અને પાશ્ચાત્યો માને છે કે અગ્નિ દેખાતો કે ન દેખાતો હોય તો પણ કાષ્ઠમાત્રમાં ગૂઢ રહેલો છે તે પ્રમાણે આ દેશના આર્યોમાં જ્ઞાન અને શક્તિ સ્થળે સ્થળે ગૂઢ – dormant રહેલાં છે – અલખ રહેલાં છે. તે ગૂઢ દૈવતને પ્રકટ કરવાં, અલખને લખ કરવાં, કરાવવાં, એ હવે મ્હારો અભિલાષ, મ્હારો ધર્મ, અને મ્હારો પ્રકટવાનો મહાયજ્ઞ – તે અભિલાષની સિદ્ધિને માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, એ ધર્મ-વિચારના આચાર પાળીશ, અને એ મહાયજ્ઞમાં આહુતિઓ આપીશ”

"અલખ રહ્યાં ગુણ શક્તિ નિરંતર
દેશકાળમાં સ્થળે સ્થળે;
તે સઉ અલખ જગાવું હવે હું !

  1. १ अग्निस्तेजोमहांल्लोके गूढस्तिष्ठति दारुषु.
અલખ બનો લખ ! ભલે ! ભલે !
અલખ જગવવા હું અધિકારી !
લક્ષ્મી મ્હારી ભસ્મ કરું !
જનતા[૧] તે મુજ ભવ્ય દેહ, ત્યાં
ભસ્મ વિભૂતિ ધરી ફરું !
એ સંન્યાસ થકી પરિવ્રાજક
હું સંસાર-શ્મશાન તણો !
અલખ ખેલનો સાક્ષી બનું છું !
ભેખ રક્ત વૈરાગ્ય તણો.”

આ કવિતા ગાતાં ગાતાં સરસ્વતીચન્દ્ર ઉભો થયો હતો, ઉત્સાહમાં આવી હાથ ઉંચા કરી કરી ફરી ફરી ગાતો હતો, અને પોતે ગાય છે તે કોઈ સાંભળે છે કે નહી તેનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્વરો આકાશ સામું જોઈ ગાતો હતો. પણ એના સ્વગત-વાક્યોના[૨] આરંભકાળથી જ કન્થાધારિણી શોકગ્રસ્ત કુમુદ એની પાછળ આવી, બોલ્યા ચાલ્યા વિના, આવી, ઉભી રહી હતી, ક્ષણમાં ઉભી ઉભી આંસુ સારતી હતી તે ક્ષણમાં નીચું જોઈ વિચારમાં પડતી હતી, ક્ષણવાર સરસ્વતીચંદ્રના પૃષ્ઠભાગનું દર્શન કરી પ્રતિમાદર્શનકાળના જેવા યોગમાં લીન થતી હતી તો ક્ષણવાર નિઃશ્વાસ મુકતી હતી, અને પવનથી હાલતી કુંપળ પોતાની ડાળને વળગી ર્‌હે તેમ આ સર્વ અવસ્થામાં એમની એમ એક જ સ્થાને ઉભી રહી હતી. અંન્તે દીર્ઘ નિઃશ્વાસ મુકી, આંસુ લ્હોઈ, આગળ આવી અને સરસ્વતીચંદ્રને પગે પડી.

સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો પણ સ્વસ્થ બની પોતાને પગેથી કુમુદને ઉચી કરવા નીચે પડ્યો અને કોમળ કમ્પતી દેહલતાને હાથમાં સાહી ઉઠાડવા લાગ્યો.

“કુમુદસુંદરી !” સાધુજનોમાં આ આચાર પ્રશસ્ત નથી એવું ચન્દ્રાવલીમૈયાનું જ વાક્ય છે – માટે તમે ઉઠો.”

કુમુદ ઉઠતી ઉઠતી બોલવા લાગી “મને દીક્ષા આપો, મ્હારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો, હું હજી સંસારિણી જ છું ને આ કન્થા પ્હેરવાથી કંઈ ઉત્કર્ષને પામી નથી. આપના ચરણસ્પર્શે એક વાર મને આપના મહાસ્વપ્નમાં સહચારિણી કરી પવિત્ર કરી છે તો બીજી વાર આ પવિત્ર ઉત્કર્ષક ચરણનો સ્પર્શ કરું છું તે એવા


  1. ૧. જનસમુદાય.
  2. ર. પોતાના મનને ક્‌હેલાં વાક્ય.
અભિલાષથી કે મ્હારા ઉદ્ધારના કોઈ અતિ પવિત્ર માર્ગે આપ મને

લેઈ જાવ, અને જેમાં સંસાર કે સાધુજન કોઈ દોષ ન દેખે અને મ્હારું કલ્યાણ થાય એવું ફળ આપો. સંસારને આ૫ શ્મશાન ગણો છો તો હું પણ તેને શ્મશાન જ ગણું છું, પણ મ્હારા શોકને બળવાની ચિતા તેમાં સળગતી નથી ને એક વાર સળગી તો આ પવનને ઝપાટે વધારે લાગવાને ઠેકાણે હોલાઈ ગઈ ! મ્હારો દુર્ગન્ધી શોક એ ચિતા ઉપર એવો ને એવો પડેલો દેખાય છે ! મ્હારા શોકને, મ્હારા વિકારને, અને મ્હારાં કલંકને હવે આપ ભસ્મરૂપ કરો અને મને માત્ર એ ભસ્મની પેઠે જ આપના સહવાસમાં ઉડવાની શક્તિ આપો ! એ વિના વધારે જીવન મ્હારે હવે નથી જોઈતું.”

એને વાંસે હાથ મુકી સરસ્વતીચંદ્ર ક્‌હેવા લાગ્યો, “કુમુદસુંદરી! તમારો શોક તમને પાવન કરે છે તે પ્રત્યક્ષ કરો. આ મ્હારા હાથનો ને તમારા શરીરનો સ્પર્શ બે દિવસ ઉપર આપણને વિકારથી ભરતો હતો તે બેને અત્યારે પ્રકૃત અવસ્થામાં ર્‌હેવા દે છે – આ તમારા શોકનું શુભ પરિણામ આપણે બે જણ આપણા સૂક્ષ્મ અદ્વૈતને બળે અનુભવીયે છીયે. એથી વધારે ફળ આ શોક આપે એમ નથી માટે તેને હવે નિષ્કારણ ગણી ત્યજો. કાલ પ્રાતઃકાળે ચંદ્રકાન્ત અત્રે આવે છે ને મ્હારે તમારે કંઈપણ એકાન્ત વાર્તા કરવાનો પ્રસંગ તે પછી ન્યૂન થશે. માટે, શોકને સમાવી દેઈ, મળી વેળાનો ઉપયોગ કરો તો સારું ”

કુમુદ ઉચું જોઈ બ્હાવરી બની બોલીઃ “ચંદ્રકાંતભાઈ ભલે આવે. આપણે શી વાત કરવી તે મને કંઈ સુઝવાની નથી.”

સર૦- તમે શાંત સ્વસ્થ થઈ બેસો તો હું સુઝાડું.

કુમુદ૦– આપ બેસો એટલે હું બેસીશ.

સર૦- ચાલો. બે જણ બેઠાં. પ્રથમ ક્‌હો કે સાધુજનોએ તમને શો ઉપદેશ કર્યો ?

કુમુદ૦– તેઓ મ્હારા સ્વામીને સ્વામી ગણતાં નથી તો તેમના ઉપદેશ શા કામના ?

સર૦- પણ તે સ્વામી હોય તો શા વિધિ આવે પ્રસંગે પાળે છે ?

કુમુદ૦- સંસારી જન સાધુ થાય તે કાળે તેની પાસે સંસારનું સ્નાન કરાવે છે; ને એમનો સંપ્રદાય આવે પ્રસંગે તે શબનો સ્પર્શ કરનારને જ સ્નાન કરાવે છે. સ્થૂલ શરીર પાછળ સાધુજનો શોક કરતા નથી. વિધવાઓ પતિના સૂક્ષ્મ શરીરને અમર ગણી તેના સ્થૂલ શરીરના મૃત્યુને માત્ર ક્ષણિક વિયોગરૂપ ગણે છે અને સ્થૂલ શરીરના કોઈ પણ અંશનો ક્ષય કરતી નથી. કેશકલાપ અને કરકંકણને પતિસંયોગના સંસ્કારોનાં સ્મારક ગણી, પતિના જીવની પઠે જાળવી મૂકે છે; અને બાકીના કૃત્રિમ અલંકારોને તો તેઓ સંયોગકાળે પણ પહેરતાં નથી તો વિયોગમાં તેનો ત્યાગ બાકી રહેતો નથી. આમરણાંત બાહ્ય શોકનો ત્યાગ કરવો એ સાધુ જીવનનું રહસ્ય ગણાય છે અને અંતઃશોકને પતિના સૂક્ષ્મ શરીરના યોગ વડે શમાવે છે. તેમની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતથી આ યોગ વૈધવ્ય કાળની સાથે જાતે પ્રાપ્ત થાય છે ને પ્રાપ્ત કરવો પડતો નથી. એમના વચનમાં શ્રદ્ધાથી અને આપની આજ્ઞાથી તેમનું વચન પાળી આ કન્થા મેં ધારી છે."

સરસ્વતીચંદ્ર- "પ્રિયજનના મૃત્યુને ક્ષણિક વિયોગ ગણી તેઓ એકવેણી કેશકલાપ રાખે છે ને કેશનો ત્યાગ કરતાં નથી એવું મારા સમજ્યામાં છે. વિયોગકાળે એવી એકવેણી રાખવાનો સંપ્રદાય મેઘદૂતમાં છે[૧] તે અહીં પળાય છે."

કુમુદસુંદરી - "તે સત્ય છે. સાંસારિણીઓ નથી સમજતી વિયોગના ધર્મ ને નથી સમજતી સંયોગના મર્મ. દુષ્ટ સંસાર પતિવત્સલા પત્નીને વરધેલી ગણી વખોડે છે ને દંપતીની પ્રીતિ જરી પણ પ્રકાશ પામે તો તેને સ્ત્રીચરિતના ચાળા ગણે છે ! સાધુજનો એથી ઊલટા માર્ગને પ્રમાણે છે. મને તો કંઈ સમજણ ન પડતાં આ કન્થા ધારી અહીં આવી છું. મારા કેશ છે કે નહીં તેનો હું વિચાર કરતી નથી. મારા અંતઃશોકમાં ડૂબી બહારના વિધિની વાત ભૂલી જાઉં છું."

સરસ્વતીચંદ્ર- "તેથી જ તમે સાધુતાને પામો છો. તમે સાધુ છો."

કુમુદસુંદરી- "જો આપનો એવો વિશ્વાસ હોય તો મારો શોક સરી જશે."

સરસ્વતીચંદ્ર- "હું માનું છે તે કહું છું."

કુમુદસુંદરી - "આપના જેવા સાધુજનમાં અન્ય સંભાવના સર્વથા અયોગ્ય છે તે મારા શોકે મને પળવાર કરાવી."

સરસ્વતીચંદ્ર- "તો વિચાર આરંભો અને છેલ્લો નિર્ણય કરી કહો કે આપણે હવે કેવી રીતે ર્‌હેવું છે ને કેવો આચાર પાળવો


  1. आद्ये बद्धा विरहदिवसे या शिखा दाम हित्वा
    शापस्यान्ते विगलितशुचा तां मयोद्वेष्टनीयाम ।
    स्पर्शक्लिष्टामयमितनखेनासक्त् सारयन्तीं,
    गण्डाभोगात्कठिनविषममेकवेणीं करेणा। ॥
છે? કાલ સવારે ચંદ્રકાન્ત આવશે તેની પાસે હું તો પ્રકટ જ છું

પણ તમારે ગુપ્ત કે પ્રગટ રહેવું અનુકૂળ છે?"

કુમુદસુંદરી - "આપના મિત્ર આપના જેવા જ સાધુજન હશે. પણ મારા ચિત્તમાંથી સંસારની લજ્જા ને સંસારનો ભય ખસતો નથી. મને મરેલી કલ્પનાર માતાપિતા મને જીવતી અહીં આમ રહેલી જાણશે તો મારે માટે શી શી કલ્પના નહીં કરે? અતુલ મનોબળથી આપ જાતે શુદ્ધ રહી મારી વિશુદ્ધિનું પોષણ કરી રહ્યા છો તે કોણ માનશે ? આપણને આશ્રય આપનાર સાધુજનોની કેટલી અપકીર્તિ થશે? આ પરંપરાએ અનેક પ્રશ્નો મારા હૃદયમાં ઊઠે છે ને મને કંપાવે છે. મારાં માતાપિતા આ સર્વ જાણી કેટલાં દુખી થશે ને પોતાની પ્રતિષ્ઠાનો કેવો નાશ થયો માનશે તે વિચારુ છું ત્યારે તો હૃદય કોઈ રીતે કહ્યું નથી માનતું. મારા દુખી સસરાજી કેટલા દુખી થશે તેની કલ્પના તો કરી પણ જાય એમ નથી. સંસાર દુષ્ટ કુમુદને મૂએલી જાણે તેમાં જ સર્વનું કલ્યાણ છે."

સરસ્વતીચંદ્ર - "તમે કહો છો તે સત્ય છે ને તે પ્રમાણે કરવાનો માર્ગ તો એટલો જ છે કે ચાહો તો પરિવ્રાજિકાશ્રમમાં ને ચાહો તો ચંદ્રાવલીમૈયા પાસે તમારે આયુષ્ય શેષ ગાળવું ને આપણે ચન્દ્રકુમુદની કેવળ દ્રષ્ટિની જ પ્રીતિથી સંતોષ માનવો."

કુમુદસુંદરી - "હરિ ! હરિ ! તું જે કરે તે ખરું."

સરસ્વતીચંદ્ર - "નિરાશ ન થશો. મેં તમારા મતનું લક્ષ્ય સાધવાનો એક માર્ગ બતાવ્યો."

કુમુદસુંદરી - "આપણે ઘણો વિચાર કરી કર્યો હતો કે આપ કહો છો એવું આયુષ્ય માત્ર બે વર્ષ સુધી ગાળવું. ને તે પછીનું આયુષ્ય જુદી રીતે ગાળવું. હવે આપ કાંઈ જુદો જ માર્ગ બતાવો છો. મારું કોઈ નથી. આપ કહેશો તેમ કરવા હું તૈયાર છું."

સરસ્વતીચંદ્ર - "હું દ્વૈધીભાવ રાખી બોલતો નથી. આપણાં ખરાં નામ વિનાની આપણી સર્વ કથા સુન્દરગિરિ ઉપર પ્રસિદ્ધ થઈ ગઈ છે ને જેકાળે મારું નામ પ્રકટ થશે તે કાળે તમારું પણ વગર કહ્યે પ્રસિદ્ધ થવાનું. મને તમને જાણનાર સ્નેહી જનોને અનુમાન કરવાનું કાંઈ બાકી નહીં રહે ને તમારાં માતા પિતા તમને ઓળખી કાઢશે ને મારા સમાગમમાં રહેલાં જાણી, તેમની જે મનોવ્યથા તમે ટાળવા ઇચ્છો છો, તે વ્યથાને તેઓ પામશે. મને પોતાને સંસારનું કે કોઈનું ભય નથી. સાધુજનો આપણું જે અદ્વૈતને માને છે તેને સ્વીકારી બે વર્ષ પછી પ્રસિદ્ધપણે તમારું પાણિગ્રહણ કરી મુંબાઈનગરીમાં જઈને પ્રકટપણે રહીશું તો તેમ કરવા સર્વ સાધન મ્હારી પાસે છે ને મ્હારા પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ તો તે વિના બીજી કોઈ પણ નથી. તેમાં મને ભય નથી પણ આવો લાભ છે, ને તમારાં માતાપિતાને મ્હેં કહ્યું તે ભય છે. આ માર્ગોમાંથી જે તમને પ્રિય તે મને પ્રિય થશે.

કુમુદે નિઃશ્વાસ મુક્યો. “આપની વાસના પ્રાયશ્ચિત્તશોધનમાં જ સમાપ્ત થાય છે.”

સર૦– આટલું અદ્વૈત અનુભવ્યા પછી આ દ્વૈતશંકા શા માટે કરો છે ? એક માર્ગે અનેક ફળ મળતાં હોય તો શા માટે લેવાં નહી ? મારી વાસના કે પ્રીતિ કે જે ક્‌હો તે તમે પ્રત્યક્ષ કરી છે તો હવે તેમાં શા કારણથી શંકા રાખો છે ? પ્રીતિની સિદ્ધિ સાથે પ્રાયશ્ચિત્તની પણ સિદ્ધિ સાથે સાથે થઈ જતી હોય તો શા માટે ન શોધવી ? તમારો વિશ્વાસ ખોવા જેવું કાંઈ નવું કૃત્ય મ્હેં કર્યું મને સાંભરતું નથી.

કુમુદ૦- તો આ પ્રાયશ્ચિત્તનું નામ દેવું પડતું મુકો અને એનો સંકલ્પ પણ તમારા મનમાંથી દૂર જાય તેને જ ગમે તો પ્રાયશ્ચિત્ત માનો ને ગમે તો મારા ઉપર પ્રીતિ કે કૃપા કરી માનો. મ્હારે માટે આટલું દુષ્કર કરો.

સર૦– એ પણ રમણીય કહ્યું અને હું તેમ વર્તવા પ્રતિજ્ઞા લેઉં છું. તમારી પ્રીતિના બળ આગળ, આટલામાં હવે મને કંઈ દુષ્કર નથી.

કુમુદ૦– આજ સુધી એમ થતું હતું કે બે વર્ષ પછીનું આયુષ્ય કેવી રીતે ગાળવું તે વિચારવાને બે વર્ષ ઘણાં છે ને તે વિચારવાની આજથી શી ઉતાવળ છે. હવે આજથી જ એ વાત વિચારવાની આતુરતા આપે ઉત્પન્ન કરી છે.

સર૦- જો હું પ્રકટ થાઉં છું તો તમારો સંબંધ ગમે તો પ્રકટ કરવો પડશે ને ગમે તો ગુપ્ત રાખવો પડશે. તે બેમાંથી શું કરવું એ પ્રશ્નને અંગે આ બધા ભવિષ્યનો વિચાર કંઈક પ્રાપ્ત થયો તે તમને પુછ્યો.

કુમુદ૦- હું તે મ્હારી જાતને અને જીવનને ગુપ્ત રાખવા જ ઇચ્છું છું. જગત મને મુવેલી જાણે નહી તો મ્હારે જીવવાનો સંદેહ સમજવો. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે પ્રકટપણે રહી કેવળ સૂક્ષ્મ પ્રીતિનો સંબંધ રાખીશ તો પણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતાને અને સસરાજીને દુઃખ થશે તે જેવાની સહનશક્તિ મ્હારામાં નથી — તે જોવા કરતાં મરવું સારું.

સર૦– વાણી અને સ્ત્રી બેની સાધુતાને માટે આ દેશના જન ભવભૂતિ જેવાના કાળથી શંકાશીલ અને દુર્જન જણાયા છે [૧] તેમ હજી પણ જણાશે એવી તમને બ્હીક લાગે છે.

કુમુદ૦– એ બ્હીક ખેાટી નથી.

સર૦– કાળ આવ્યે એ બ્હીકનો ઉપાય કરીશું.

કુમુદ૦– આપની છાતી એટલી ચાલતી હશે. મ્હારી તો રજ પણ ચાલવાની નથી.

સર૦- આપણા લોકને સ્ત્રીનાં સાધુચરિત સમજાવવા આપણે પ્રયત્ન કરીશું.

કુમુદ૦– તેમ કરવા જતાં આપ રાફડાની ધુળમાં ડટાઈ જશો ને સ્વપ્નમાં એ ધુળ પાસે જવાનાં સાધન હતાં. તેમાંનું એક પણ આ જાગૃતમાં મ્હારી પાસે આવે એમ નથી. મારું હૃદય તો એ કલ્પનાથી જ કમ્પે છે. અમે અબલાજાતિ સ્વભાવથી બ્હીકણ છીયે તેથી સારું કામ પણ ગુપ્તપણે કરી સ્વસ્થ રહીયે છીયે ને તેને પ્રકટ કરવાથી ડરીયે છીયે.

સર૦– એ અનુભવ આજ તમે કરાવો છો તે ક્‌હો કે તમારા હૃદયને કીયા માર્ગથી સ્વસ્થતા મળશે ? જ્યાં મ્હારી બુદ્ધિ નકામી છે ત્યાં તમારા હૃદયને પુછવામાં કાંઈ બાધ નથી ને તેના વિના બીજા કોઈને પુછવાનું ઠેકાણું નથી.

કુમુદ૦- શું કરવામાં મ્હારી છાતી નહી ચાલે તે હું જાણું છું, પણ શું કરવામાં ચાલશે તે સુઝતું નથી. આપ લોકનું કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકશો - પણ તે, લોકમાં પ્રકટ થયા વિના, બને એમ નથી. એ કલ્યાણકાર્યમાં આપ પ્રવૃત્ત થાવ ત્યારે મ્હારા સહવાસ વિના સ્વસ્થ રહી શકવાના નથી ને એવે કાળે આપની સર્વ ન્હાની ન્હાની વાતોની સંભાળ રાખવાને આપને કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ જ્ઞાતિબહાર થશો, લોકની નિન્દાના પાત્ર થશો, ને આપે લોકને પ્હેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી નાંખશે. હું એવું ઇચ્છું છું કે આપ સંસારમાં પ્રકટપણે


  1. यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जनः
ર્‌હો ને લોકનું કલ્યાણ કરો – પણ મ્હારો સહવાસ આપે સ્વીકારવાથી

એ વાત આપને નિષ્ફળ થશે ને મ્હારો સહવાસ ત્યજવાથી આપના મનનું સ્વાસ્થ્ય થવાનું નથી ને આપના વિના મ્હારી પોતાની દશાની તો વાત જ શી પુછવી ? મ્હારી ઇચ્છા એવી છે કે આપ ચન્દ્રકાંતભાઈ જોડે જઈ મુંબાઈમાં પ્રકટપણે ર્‌હો ને મ્હારા જેવી પણ અકલંકિત અખંડિત કોઈ અન્ય સહચારિણીને ભાગ્યશાળી કરો ને મ્હારા ક્ષુદ્ર દુષ્ટ શરીરને આ ગિરિરાજના ખડકોની કોઈ ઉંડી ખેામાં કે પેલા સમુદ્રમાં બહુ જ સમાસ મળશે ! મ્હારે માટે હવે સંસારમાં કોઈપણ સ્થાન ખાલી નથી ને મ્હારા શબને માટે કોઈ પણ સ્થાન ન્હાનું પડે એમ નથી. ઓ મ્હારા વ્હાલા ! હું કહું છું એ જ સત્ય છે ને સર્વને માટે કલ્યાણકારક છે. હું તમને છેલા પ્રણામ કરી લેવાની આજ્ઞા માગું છું ને ઉઠું છું. મ્હેં આપને ઘણા દુઃખી કર્યા છે તે સર્વથા ક્ષમા કરો એવા આપ ઉદાર છો. ઓ મ્હારા વ્હાલા – મને ઉઠવા દ્યો ! આ એક કામમાં મ્હારી છાતી ચાલે છે !

આટલું બોલતી બોલતી આંસુથી ઉભરાતી રોતી કુમુદ ઉઠી હતી તે પાછી ફરી અગાશીના દાદર ભણી જવા લાગી. સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ ઉભરાયાં, આ કરુણ દર્શન તે વધારે વાર જોઈ શક્યો નહી, ને, ધર્માધર્મની સર્વ શંકાઓને ગુફાની બ્હારના ખડકો ઉપર ફેંકી દેઈ, કુમુદને પાછળ જઈ એને પોતાની બાથમાં લેઈ લીધી, ને અગાશીના મધ્ય ભાગમાં એને છાતી સરસી ડાબી એના આંસુ લ્હોવા લાગ્યો, ને આંસુ લ્હોઈ એને છાતીથી જરીક દૂર કરી એનું મુખ પોતાના મુખ સામું ધરી પુછવા જાય છે ત્યાં કુમુદ શબ જેવી થઈ પૃથ્વી ઉપર ઢળી પડી ને સરસ્વતીચંદ્ર પોતાના હાથમાં ઝીલી લીધી ન હત તે અગાશીની બ્હાર વીસ હાથ નીચે પડી જાત ને એ નાજુક બાળા ચુરેચુરા થઈ જાત.

સરસ્વતીચંદ્ર હાથમાંની બાળાના મુખઉપર પોતાના મુખને નિઃશંક લટકાવતો લટકાવતો અને તેનાં બીડાયલાં નેત્રમાં પોતાનાં નેત્રની અશ્રુધારા સારતો સારતો ક્‌હેવા લાગ્યોઃ “ઓ મ્હારા ચન્દનવૃક્ષ ! ઓ મ્હારી કુમુદ ! હવે કાંઈ વિચારવાનું રહ્યું નથી, ત્હારે વિચારવાનો કંઈ પણ શ્રમ લેવાનો બાકી નથી ! સંસારના સર્વ પ્રકારોથી તું પોતાને મુક્ત થઈ સમજ – મને કોઈનું ભય નથી, હું કોઈ સાધુધર્મનું ઉલ્લંઘન કરતો નથી ! એવા ભય વિના, એવા ઉલ્લંઘન વિના, હું સર્વ રીતે ત્હારો છું અને સર્વાવસ્થામાં લોકકલ્યાણ કરવાને સમર્થ છું - તેમાં ત્હારો સહવાસ વિધ્નરૂપ નથી એટલું નહી પણ ત્હારું અદ્વૈત મ્હારા મંગલ કાર્યમાં આવશ્યક છે ! ત્હારું આયુષ્ય ત્હારે માટે નહી – પણ મ્હારે માટે અને મ્હારા સદભિલાષોની સિદ્ધિને માટે આવશ્યક છે ! ઓ મ્હારી કુમુદ ! તું હવે ઉચ્છાસ પામ ! હું ત્હારો જ છું ! તું મ્હારી જ છે ! પવિત્ર સાધુજનોએ, દિવ્ય સિદ્ધાંગનાઓએ, અને ચિરંજીવીના દર્શનાધિકારે જે વાત સિદ્ધ કરી છે તેમાં રજ પણ શંકા ન કરીશ !”

આ શબ્દોમાંના આશ્વાસનથી કે એ બોલનારના શબ્દોચ્ચાર સાથે નીકળતા શ્વાસથી, એના હૃદયના અંતર્ભાગના સ્પર્શથી કે પ્રાણવિનિમયથી, એની પ્રીતિના સંપૂર્ણ વિકાસથી કે પોતાના કરમાઈ જતા આશા-પુષ્પ ઉપર પડતી મેઘવૃષ્ટિથી, કુમુદ જાગૃત થઈ, સરસ્વતીચન્દ્રના સ્કન્ધ ઉપર પોતાના હસ્ત ટેકવી એના જ કંઠના આધારથી, નીસરણી ઉપરથી પાછે પગલે બાળક ઉતરે તેમ, સરસ્વતીચન્દ્રના હાથમાંથી નીચે ઉતરી એના સામી ઉભી રહી, ને હાથ દૂર લેઈ આંસુ લ્હોઈ બોલવા લાગી.

“ક્ષમા કરજો ! વિચાર ન પ્હોચવાથી હું આ દશાને પામી હતી. હું મૂર્છાવશ ન હતી પણ વિચારવશ હતી ને આપનું ક્‌હેલું સાંભળ્યું પણ ખરું ને વિચાર સુઝ્યો છે પણ ખરો. આપના યોગને પામી, આપની સેવાનો અધિકાર પામી, આપના દુઃખનું કારણભૂત થનારી આત્મહત્યાને હવે હું શોધવાની નથી. સાધુજનો જે સત્ય ધર્મ પાળે છે તે ધર્મને માની હું સત્ય બોલવા, અને છું તેવી જગતની આંખે દેખાવા, હવે તત્પર છું. જો સનાતન ધર્મ પ્રમાણે આપણું અદ્વૈત છે, જો આપણે વરણવિધાન વિના હૃદયના વિવાહથી વરી ચુકેલાં છીયે અને એ વરણ આટલું અનિવાર્ય નીવડ્યું છે, જો આપ મ્હારા હૃદયના સ્વામી છો, તો પછી પૃથ્વી જેવી હું જ્યાં દૃષ્ટિ કરીશ ત્યાં દ્યૌ જેવા આપને જ દેખીશ ! માતાપિતા કરતાં અને એમનાં સુખદુ:ખ કરતાં પતિવ્રતાને મન સ્વામી જ વિશેષ છે, તો હું પણ એ ધર્મને અનુસરીને કંઈ પણ અન્ય વિચાર ન કરતાં, લોકલજજાને કે કૃત્રિમ શાસ્ત્રોને ન સ્વીકારતાં, સર્વ શાસ્ત્રનું શાસ્ત્ર આપણી પ્રીતિ છે તેને જ વશ થાઉં છું ! એ પ્રીતિ પિતાએ જ ઉત્પન્ન કરી છે, લોકવ્યવહારથી ભુલ ખાઈ આપેલું દાન ન આપ્યું ગણી મ્હારા કન્યાશરીરનું એ જ પિતાએ અન્યત્ર દાન કર્યું તે દાનના લેનાર પ્રતિ મ્હારો ધર્મ સમાપ્ત થયો છે, અને હૃદય તો પિતાએ મૂળ પ્રકટ કરેલા યજ્ઞની વેદી ઉપર જ હોમાયું છે – અને આપના જેવા આટલા મનોબળવાળા સાધુજન એ હોમને ધર્મ્ય ગણે છે ! – તે હવે હું કાંઈ વિચારતી નથી ! આપના સન્મિત્ર પાસે મ્હારાં નામ રૂપ પ્રકટ કરો ને આપને અંહી સુધી શોધવા આવનાર મિત્ર આપના જેવા જ સજ્જન હશે અને કંઈપણ સદ્વિચાર બતાવશે. મહારું સર્વ આયુષ્ય આપની સૂક્ષ્મ પ્રીતિથી તૃપ્ત થશે ને સ્થૂલ પ્રીતિના સ્થૂલ ભોગની વાસનાને આપના આશ્રયથી હું દૂર રાખી શકીશ ! મ્હારા હૃદયમાંથી પ્રીતિનો વૃક્ષ ઉખાડી શકતી નથી ને કોઈ ઉખાડી શકે એમ નથી. આપની છાયાની પેઠે, ચુડુબોધિની ધર્મપત્ની પેઠે, સૂર્ય પૃથ્વીને રાખે છે તે પૃથ્વીની પેઠે, હું આપનો ધર્મસહચાર કરીશ ! સંસાર ક્‌હેશે તે સાંભળી રહીશ, પિતામાતાનાં દુ:ખ જોઈ રોઈ રહીશ, પણ મ્હારો ધર્મ તો આ દેખું છું તે જ પાળીશ. ઓ મ્હારા પ્રાણનાથ ! આપ હવે મ્હારા સર્વ વિચારનો ત્યાગ કરી કેવળ લોકકલ્યાણના જ વિચાર કરો. આપના હૃદયમાં જે દેશ અને લોક વસી રહ્યા છે તેમની હું સપત્ની નહીં થાઉં – પણ એ દેશ અને લોકની સેવાને અર્થે આપ જે યજ્ઞ માંડશો તેમાં હું આપની સહધર્મચારિણી થઈશ ! આજની રાત્રિ એ યજ્ઞના વિધિ સમજાવવામાં ગાળો. પ્રાત:કાળે ચંદ્રકાન્તભાઈ પાસે વગર શંકાએ મને બેલાવજો ! આ સિદ્ધમન્દિરની પવિત્ર છાયાઓ મ્હારા હૃદયને સ્પર્શ કરતી અત્યારે હું અનુભવું છું ને એ સ્પર્શના તાત્પર્યના બોધને આપનો ચિન્તામણિ પ્રકટ કરશે. તે આપણા સંસ્કારોને શુદ્ધ કરશે. આપણા વ્યવહારનો નિશ્રય તે આપના તટસ્થ મિત્રને જ સોંપજો !”