સર્વમાન્ય ધર્મ

વિકિસ્રોતમાંથી
સર્વમાન્ય ધર્મ
શ્રીમદ્ રાજચંદ્ર



સર્વમાન્ય ધર્મ

ધર્મ તત્ત્વ જો પૂછ્યું મને, તે સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર... (૧)

ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન
અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ... (૨)

સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ;
દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ... (૩)

પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહિ આજ્ઞા ય;
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય... (૪)

સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ;
સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ... (૫)

એ ભવ તારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ;
ધર્મ સકળનું એ શૂળ મૂળ, એ વિણ ધર્મ સદા પ્રતિકૂળ... (૬)

તત્વ રૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે;
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, 'રાજચંદ્ર' કરુણાએ સિદ્ધ... (૭)