સિંધુડો/નવ કહેજો!

વિકિસ્રોતમાંથી
← વીર જતીન્દ્રનાં સંભારણાં સિંધુડો
નવ કહેજો!
ઝવેરચંદ મેઘાણી
ઝંખના →


નવ કહેજો!

રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ :

જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ -
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’

દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ,
એ સુખ, જીવનઆધાર :

એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ-
એ સુભટ કાજ કો' નવ કહેજો : ‘પ્રભુ દે એને વિશ્રામ !’

ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ:

વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ-
એ સુભટ કાજ કો' નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’

જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો' જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય;

ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ-
એ સુભટ કાજ કો' નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’

વનવનમાં વદન હસવતી
કો' સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય :

સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ-
એ સુભટ કાજ કો' નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
[૧૯૨૮-૨૯]