આપ્યા બાદ જવાબદાર સાંસ્થાનિકો તેમનું બૂરું શી રીતે ઇચ્છી શકે ? તેઓ હિંદી મજૂરોને
દાખલ કર્યા પછી તેનાં સ્વાભાવિક પરિણામોમાંથી છટકી શી રીતે જઈ શકે?
[ મૂળ અંગ્રેજી ]
धि नाताल मर्क्युरी, પ-૯-૧૮૯૫
[દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને મતાધિકાર આપવાની તરફેણ કરતી ગાંધીજીની દલીલો વિષે ચર્ચા કરતાં અનેક વર્ષો સુધી હિંદુસ્તાનમાં રહી ગયેલા મિ. ટી. માર્સ્ટન ફ્રાંસિસે ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠી તારીખે नाताल मर्क्युरीને લખ્યું હતું. એમાં એમણે જણાવ્યું હતું કે જોકે હિંદુસ્તાનમાં હિંદીઓ મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપી શકતા હતા અને વિધાનપરિષદમાં સભ્ય થઈ શકતા હતા છતાં આ બાબત એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તેઓ યુરોપિયન સભ્યોને લધુમતીમાં મૂકી શકતા નહોતા અથવા પોતે સર્વોચ્ચ અધિકાર ગ્રહણ કરી શકતા નહોતા. એમણે કહ્યું કે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હમેશાં એક સનદી આઈ. સી. એસ. અમલદાર રહેતા અને વિભાગના કમિશનર, ગવર્નર, વાઈસરૉય, ભારતમંત્રી, અને છેવટે બ્રિટિશ લોકસભા હિંદની મ્યુનિસિપાલિટીઓ અને ધારાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ મૂકી શકતાં. આનો ગાંધીજીએ નીચે મુજબ જવાબ આપ્યો :]
તંત્રીશ્રી,
नाताल मर्क्युरी
સાહેબ,
હિંદી પ્રશ્નન વિષેના મિ. ટી. માર્સ્ટન ફ્રાંસિસના પત્રના જવાબમાં હું થોડા વિચારો જણાવવાની ધૃષ્ટતા કરી રહ્યો છું.
હું માનું છું કે હિંદની મ્યુનિસિપાલિટીઓનું તેમ જ વિધાન પરિષદનું પણ આપના પત્રલેખકે કરેલું વર્ણન તદ્દન સાચું નથી. એક દાખલો આપું તો, હું નથી માનતો કે કોઈ હિંદની મ્યુનિસિપાલિટીનો પ્રમુખ સનદી રેવન્યુ અધિકારી હોવો જ જોઈએ. મુંબઈ કૉર્પોરેશનના હાલના પ્રમુખ એક હિંદી સૉલિસિટર છે.
મેં કદી એવો દાવો કર્યો નથી અને આજે પણ કરતો નથી કે મતાધિકાર અહીં છે એટલો જ વ્યાપક હિંદમાં પણ છે. મારે માટે એમ કહેવું પણ ફોગટ છે કે હિંદમાંની વિધાનપરિષદો અહીંની વિધાનસભાના જેટલી જ પ્રતિનિધિત્વવાળી છે. પરંતુ હું જે કાંઈ આગ્રહપૂર્વક કહેવા માગું છું તે એ છે કે હિંદમાં મતાધિકારની મર્યાદાઓ ગમે એટલી હોય છતાં તે ચામડીના રંગના ભેદભાવ સિવાય સૌ કોઈને અપાયેલો છે એ હકીકતની ના પાડી શકાય એમ