૬૭. હિંદી મતાધિકાર
દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજને વિનંતી
હિંદી મતાધિકારના પ્રશ્નને અખબારો સાથેનો એનો સંબંધ છે તેટલા પૂરતું આખા સંસ્થાનને, ખરું પૂછો તો આખા દક્ષિણ આફ્રિકાને ખળભળાવી મૂકયું છે. એટલા માટે આ અપીલ અંગે ક્ષમાયાચના કરવાનું બિનજરૂરી બની જાય છે. દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજ આગળ હિંદી મતાધિકારનું હિંદી દૃષ્ટિબિંદુ, શકય એટલું ટૂંકામાં રજૂ કરવાનો આ એક પ્રયાસ છે.
હિંદીઓને મતાધિકારથી વંચિત કરવાની તરફેણ કરતી કેટલીક દલીલો આ રહી :
(૧) હિંદીઓ હિંદુસ્તાનમાં મતાધિકાર ભોગવતા નથી.
(૨) દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓ, સૌથી નીચલા વર્ગના હિંદીઓના પ્રતિનિધિ છે;
હકીકતમાં, તેઓ હિંદુસ્તાનના ઉતાર છે.
(૩) મતાધિકાર શી ચીજ છે તે હિંદીઓ સમજતા નથી.
(૪) હિંદીઓને મતાધિકાર એટલા ખાતર મળવો નહીં જોઈએ કે સ્થાનિક દેશી લોકો
જેઓ હિંદીઓના જેટલા જ બ્રિટિશ પ્રજાજનો છે તેમને મતાધિકાર અપાયો નથી.
(૫) સ્થાનિક દેશી વસ્તીનાં હિતો જોતાં હિંદીઓને મતાધિકારથી વંચિત રાખવા જોઈએ.
(૬) આ સંસ્થાન ગોરાઓનો દેશ થશે, અને રહેશે અને નહીં કે કાળા માણસોનો; અને
હિંદી મતાધિકાર તો યુરોપિયનોના મતને પૂરેપૂરો ગળી જશે અને હિંદીઓને રાજ
દ્વારી દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન આપશે.
હું આ વાંધાઓની એક પછી એક ચર્ચા કરીશ.
૧
વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે હિંદીઓ હિંદમાં ભોગવતા હોય તેના કરતાં વધારે ઊંચા ખાસ હકોનો દાવો કરી નહીં શકે અને તેમણે તે કરવો નહીં જોઈએ તેમ જ એમને હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર મળેલો નથી.
હવે, પ્રથમ વાત એ છે કે હિંદીઓ તેઓ હિંદમાં જે ખાસ હકો ભોગવે છે તેના કરતાં વધારે ઊંચા એવા ખાસ હકો અહીં મેળવવાનો દાવો કરતા નથી. એ વાત ખ્યાલમાં રહેવી જોઈએ કે હિંદમાંની સરકાર અહીં જે ઢબની સરકાર છે તે ઢબની નથી. એટલા કારણસર એ વાત ચોખ્ખી જ છે કે બંનેની વચ્ચે કશી સરખામણી હોઈ ન શકે. આના જવાબમાં કદાચ એવું કહેવામાં આવે કે હિંદીઓએ, તેમને હિંદુસ્તાનમાં અહીં છે તેવા પ્રકારની સરકાર મળે ત્યાં સુધી થોભી જવું જોઈએ, પરંતુ આ જવાબ ચાલી શકે એવો નથી. એ જ સિદ્ધાંત મુજબ, એવી દલીલ કરી શકાય કે, નાતાલ આવતા કોઈ પણ માણસને તો જ મતાધિકાર મળી શકે જો તે જે દેશમાંથી આવ્યો હોય તે દેશમાં એ જ રીતે અને એ જ સંજોગો નીચે મતાધિકાર