અખેગીતા/કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ

વિકિસ્રોતમાંથી
←  કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા અખેગીતા
કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ
અખો
કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા →


કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ

રાગ ધન્યાશ્રી

એમ એ નાટક ચાલ્યું જાયજી,જેહના સ્વામી તમો પ્રભુ રાયજી
કૈવલ્ય ઈશ્વર ભૌતિક રાયજી, અણછતો ઉભો મધ્યે જીવ થાયજી

પૂર્વછાયા

અણછતો જીવ થાય ઉભો, તે જાય હરિને જાણવા;
નરને ઓઅછાયો કેમ કળે, તે હીંડે બુધ્યમાં [૧] આણવા. ૧

જેમ છો તેમ તમે પ્રભુજી,કાયા માયાને રવેં આપ;
બિંબ-પ્રતિબિંબ થાયે દર્પણે, તેમ તમારો તે વ્યાપ[૨]. ૨

કૈવલ્યપદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વરપદ છે અનંત;
મોટું સામર્થ્ય માયા-કેરૂં, જ્યાં ઉપજે મિથ્યા જંત. ૩

તે જંત બહુ કામના, રસના માટે જીવ;
દેહ-આસક્તિ તેને અતિઘણી જાણે આયુ વધે થૈયે શિવ. ૪

તે પિંડને બહુ પરભવે[૩], અને કરે તે કર્મ ક્લેશ[૪];
ચિરંજીવ [૫] થાવા હીંડે, મોટો મન ઉદ્દેશ[૬]. ૫

ભૂત ભવિષ્ય વાત લહેવા, ઘણું માન [૭] ને કોડ[૮];
ઈશ થાવાને આશ મોહોટી, સાધે પિંડ મનમોહોડ[૯]. ૬

સિધ્ધિકાજે તે કરે, અતિ ઘણા ઉપાય;
અહંતા વાધે અતિ ઘણી, તેણે જીવજાડેરો[૧૦] થાય. ૭

માયા સાધે મનવડે, જાણે એજ પરમાત્મપદ.
મમતાતણાં તેણે પડલ ચડે, તેમ તેમ વાધે મદ. ૮

એહવા પ્રકાર અજાતપણા, સાધે જીવ અપાર;
નાટકમાં નર નાચ નાચે, એમ સરાહે સંસાર, ૯

કહે અખો પદ-મૂલગે [૧૧], પહોંચે નહિ એ જંતને;
મર્મ મૂલગો તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. બુદ્ધિમાં
  2. ફેલાવો
  3. સાચવે
  4. કર્મસંબંધી દુઃખ
  5. દીર્ઘજીવી
  6. હેતુ
  7. અભિમાન
  8. હોંસ
  9. મનને રોકીને
  10. સ્થૂળ
  11. મૂળરૂપ પદે