અખેગીતા/કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ

વિકિસ્રોતમાંથી
←  કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઈશ્વરનું સ્વરૂપ-સદ્દ્ષ્ટાંત અખેગીતા
કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ
અખો
કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ →



કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ


રાગ ધન્યાશ્રી

વળિ કહું પૂરણપદ નિર્વાણજી,
જ્યાંહાં ન પહોંચે મન ને વાણજી,
ત્યાંહાં નવ હોએ ઉત્પત્ય [૧] હાણજી[૨]
સ્વસ્વરૂપની જ્યાંહાં જે જાણજી[૩]. ૧

પૂર્વછાયા

સ્વસ્વરૂપની જાણ એહેવી, જ્યહાં[૪] જાણણહારો સ્વેં[૫] રહે;
અણછતું તે છતું થાયે, છતો [૬] બ્રહ્મ-અગ્નિ[૭] દહે. ૧

ભાઇ સિધ્ધાંતનું સિધ્ધાંત એહજ, મહાનુભાવની[૮] સ્થિતિ જ્યહાં;
આકાશથી આઘેરૂં જે પદ, તે કહ્યું ન જાએ પરૂં[૯] અહીં[૧૦]. ૨

વેત્તા[૧૧] વિણ વેદ્યા[૧૨] વિના, પૂરણપદ નિર્વાણ [૧૩]
જેને ગ્રાહ્યગ્રાહકભાવ નહિ, જાણ્યવિહોણી[૧૪] જાણ. ૩

તેને ઉપમા દીજે કશી [૧૫], જો તેવડે સર્વ કોય;
જે કહીએ તે અણછતું [૧૬], ભાઇ તે તો તેહ ન હોય. ૪

દૃષ્ટાંત ઉપમા જે જે દીજે, તે તો સર્વ રહે ઓહરૂં [૧૭];
શું કરે એ બુધ્ય[૧૮] બાપડી, જો ચાલ્યાથી દસ ડગલાં પરૂં[૧૯]. ૫

જેમ આકાશમાં ઉડે વિહંગમ[૨૦], એકથી એક આધા વટે[૨૧];

બળ દેખાડે બહુ પરે[૨૨], શિરે[૨૩] સામર્થ્ય તે ઘટે. ૬

જેમ અગમ અગાધ અનંત અંબરા[૨૪], તેમ વસ્તુ અનંત અપાર;
તેને શ્યા સરીખો કહે કવિજન,કહેવું બુધ્ધિઅનુસાર. ૭

જેમ મૃતકની[૨૫] ગત જાણે મૃતક, જે જન જીવિતિયો[૨૬] ટળ્યો;
તેમ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે જ્ઞાતા, જે અંતરમાં પાછો વળ્યો. ૮

ભાઇસાને સમજે સંત શૂરા, પણ કર ગ્રહીને નથી આલવા;
એ તો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. ૯

તો કહે અખો સહુકો સુણો, અકળ કળા મહંતને;
મરી જીવ્યાનો મર્મ લેવા, સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. ઉત્પત્તિ
  2. નાશ
  3. જ્ઞાન
  4. જ્યાં
  5. પોતે
  6. પ્રતિત થતો કલ્પિત પ્રપંચ
  7. બ્રહ્મના જ્ઞાન રૂપ અગ્નિ
  8. મોટા સામર્થ્યવાળા જ્ઞાનની
  9. દૂર
  10. આહિં
  11. જાણનાર
  12. જાણ્યા
  13. માયા ને માયાનાં કાર્યો જ્યાં શાંત થયાં છે એવું.
  14. જાણ્યા વિનાની
  15. કઈ
  16. કલ્પિત
  17. સમિપ
  18. બુદ્ધિ
  19. દૂર
  20. પક્ષી
  21. જાય
  22. પ્રકારે
  23. સરવાળે-પરિણામે
  24. અકાશ
  25. મુએલાની
  26. જીવવાથી