ગયા જિલ્લાની દક્ષિણમાં જે વનભૂમિ છે તેનો એક
ભાગ અતિ પ્રાચીન કાળમાં બંકહાર દેશના નામથી
પ્રસિદ્ધ હતો. એ દેશમાં નાલ નામના એક ગામડામાં એક પારધીના
ઘરમાં ચાપાનો જન્મ થયો હતો. ચાપાએ જ્યારે યૌવનમાં
પ્રવેશ કર્યો, ત્યારે ઉપક નામના એક સંસારત્યાગી ભિક્ષુએ (બૌદ્ધ
અથવા જૈન ધર્મનો નહિ) ચાપાના પિતાના ઘરમાં ભિક્ષા સારૂ
આશ્રય લીધો હતો. એ પ્રકારના ભિક્ષુઓને આજીવક કહેતા હતા.
આજીવક ઉપક, ચાપાના ઉપર પ્રેમથી આસક્ત થઈ ગયો અને
તેના પિતાની રજા માગીને તેની સાથે પરણ્યો. ઉપકે સંન્યસ્તાશ્રમનો
ત્યાગ કરીને ઘણા દિવસ સુધી મૃગ પકડનારા વ્યાધનું
કામ કર્યું. પાછળથી ઉપક બૌદ્ધ ધર્મ ગ્રહણ કરીને થેર–સાધુ થયો.
ચાપા પણ થેરી–સાધ્વી બની. થેરીગાથામાં ર૯૧થી ૩૧૧ સુધીના
શ્લોક તેના રચેલા છે. એમાં એણે પોતાના પતિની કથા કહી છે.