કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શુભા (સોનીની કન્યા)

વિકિસ્રોતમાંથી
← ચાપા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શુભા (સોનીની કન્યા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શુભા જીવકંબવનિકા →


८०–शुभा (सोनीनी कन्या)

એક સોનીની કન્યા હતી. તેનો નિવાસ રાજગૃહમાં હતો. એ ઘણી સૌંદર્યવતી હોવાથી એનું નામ શુભા પાડવામાં આવ્યું હતું. એની બુદ્ધિ ઘણી તીવ્ર હતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તૃષ્ણા પુષ્કળ હતી. એક દિવસ બુદ્ધદેવ રાજગૃહમાં પધાર્યા ત્યારે શુભા એમનાં દર્શન કરવા સારૂ ગઈ અને પ્રણામ કરીને એક બાજુએ બેસી ગઈ. બુદ્ધદેવને નીતિસંબંધી એના ઊંંચા વિચારો તથા વિકસિત જ્ઞાનની ખબર પડી એટલે એમણે એને ધર્મોપદેશ આપ્યો. ઘરમાં રહીનેજ એણે ઘણો વખત સાધના કરી, પરંતુ સંસારની જંજાળ ધાર્મિક ઉન્નતિમાં બાધક જણાતાં મહાપ્રજાપતિ ગોતમી પાસે દીક્ષા લઈને સાધ્વી બની.

એ પ્રસંગનું વર્ણન કરતાં એ પોતે રચેલી ગાથામાં કહે છે કે, “યૌવનમાં ધોળા વસ્ત્ર પહેરીને એક વાર હું ધર્મકથા સાંભળવા ગઈ હતી. મારા અપ્રમત્ત ચિત્તમાં એ સમયે સત્યનો ઉદય થયો. મારા મનમાં બધાં કામ અને ભોગ પ્રત્યે દારુણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારમાં યાત્રા કરતાં જેટલી વિપત્તિઓ નડવાનો સંભવ હતો તેનો મેં વિચાર કર્યો અને એ સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ. પછી મેં જ્ઞાતિ, દાસ, ગામ, ખેતરો અને ભોગની બધી સામગ્રીઓનો ત્યાગ કર્યો. જેટલું તજવા લાયક હતું તે બધાનો ત્યાગ કરીને પ્રવજ્યામાં પ્રયાણ કર્યું. શ્રદ્ધાપૂર્વક સંન્યાસિની વ્રત પાળ્યાથી સુંદર સદ્ધર્મ શીખી. મારી વિપુલ સંપત્તિ સામું મેં ઝાંખ્યું પણ નહિ. સોનારૂપાનો એક વાર ત્યાગ કર્યા પછી કયો સાધુપુરુષ એના તરફ ફરીથી ઝાંખે છે ? સોનારૂપાથી કદી ચિત્તને શાંતિ મળતી નથી. શ્રમણને ચિત્તમાં (ધર્મરૂપી) વિત્ત મળે છે, તેની સરખામણી આર્યધર્મમાં બીજા કશા સાથે થાય એમ નથી. ❋ ❋ જે લોકો ધન વડે છકી ગયેલા અને મોટા છે, તેના મનમાં ઘણો ક્લેશ રહે છે, કેમકે ધનના લોભને લીધે બધા એકબીજા ઉપર શત્રુરૂપે આક્રમણ કરે છે. જે લોકો ભોગવિલાસમાં નિમગ્ન છે, તેમને બહુ દુઃખ વેઠવાં પડે છે. મૃત્યુ, કેદખાનું, વેદનાઓ, શોક, આફત અને વિલાપ એ બધું તેમને વેઠવું પડે છે. હે જ્ઞાતિબંધુઓ ! તમે શત્રુરૂપ થઈને મારા ચિત્તને ભોગવિલાસમાં શા માટે ફસાવવા માગો છો ? માથું મૂંડાવી હું પ્રવજ્યા કરૂં છું, ભિક્ષુણીઓના જેવાં ચીર પહેરું છું, ઘેરઘેર ભિક્ષા માગીને જે કાંઈ મળે છે તેથી નિર્વાહ કરું છું. મારાં લૂગડાંમાંયે થીંગડાં વાગેલાં છે. આ પ્રમાણે હું ગૃહહીન સંન્યાસિની બની છું. મોટા ઋષિઓ મર્ત્યલોક તથા સ્વર્ગલોક બન્નેના ભોગવિલાસોનો ત્યાગ કરે છે. મુક્તચિત્ત અને ક્ષેમમય થઈને તેઓ ખૂટે નહિ એવું સુખ પામે છે, માટે મને ભોગમાં ફરીથી મગ્ન ન થવા દો, એથી આ ભવસાગરમાંથી મારૂં પરિત્રાણ નહિ થાય. કામવાસનાઓ શત્રુ છે, હણનારી છે અને સળગતા અગ્નિની પેઠે બાળી નાખનારી છે. ❋ ❋ ❋ મોહવશ થઇને કામરૂપી કીચડમાં આ પૃથ્વીમાંનાં ઘણાં સ્ત્રી પુરુષો પડે છે. તેમને ખબર નથી કે જન્મમરણનો ક્ષય શાથી થાય છે; કામવશ થઈને મનુષ્યો દુર્ગતિને માર્ગે જાય છે અને એમ કરીને પોતાને હાથે પોતાના પગ ઉપર કુહાડો મારે છે.” આ પ્રમાણે બહુ વિસ્તારથી મધુરી વાણીમાં કામનાઓ અને ભોગ વિલાસથી મનુષ્યને કેટલી હાનિ પહોંચે છે તેનું વર્ણન કરી ફરીથી સંસારબંધનમાં ન ફસાવાનો નિશ્ચય કર્યો અને એકાગ્ર ચિત્તે લાગલગાટ ધર્મની સાધના કરી. આઠમે દિવસે ભગવાન બુદ્ધે એને એક વૃક્ષ નીચે તપસ્યા કરતી જોઈ. પોતે ઘણાજ પ્રસન્ન થયા અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “જુઓ ! પેલી સોનીની કન્યા શુભા વૃક્ષના મૂળ આગળ ધ્યાનમાં નિમગ્ન થઈને બેઠી છે. ધર્મને લીધે તેણે શાંતિ પ્રાપ્ત કરી છે. જગતનાં બધાં દુઃખ એ વીસરી ગઈ છે. ઉત્પલવર્ણાની પાસે દીક્ષા લઈને એણે પ્રવજ્યા ધારણ કર્યે આઠમો દિવસ છે. ધર્મ અને ત્રિવિદ્યાથી ભૂષિત થયેલી વિનયી શુભાને જુઓ ! આજ તેનું મૃત્યુ દૂર ગયું છે. અત્યાર સુધી દાસી હતી, હવે એ મુક્ત, જિતેંદ્રિય નિર્મળ ભિક્ષુણી બની છે. એનાં બંધનો છૂટી ગયાં છે. હવે પાપહીન બની ગઈ છે.” એમ કહેવાય છે કે બુદ્ધ ભગવાનને મુખે આવી પ્રશંસા સાંભળીને ઇંદ્ર આદિ દેવતાઓ પણ ઘણા પ્રસન્ન થયા. તેમણે સુવર્ણકારદુહિતા શુભાની પૂજા કરી.