કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વાસવદત્તા

વિકિસ્રોતમાંથી
← સુપ્રિયા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વાસવદત્તા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
પ્રભવા →


९–वासवदत्ता

પૂર્વ કાળમાં મથુરા નગરમાં વાસવદત્તા નામની એક વેશ્યા રહેતી હતી. એના અનુપમ સૌંદર્યથી મોહિત થઈ જઈને મથુરાના શેઠિયાઓના અનેક જુવાન છોકરાઓએ પોતાનું સત્યાનાશ વાળ્યું હતું. એક દિવસ બુદ્ધ ભગવાનના શિષ્ય સંન્યાસી ઉપગુપ્તને જોઈને વાસવદત્તા મુગ્ધ થઈ ગઈ. ઉપગુપ્ત બ્રહ્મચારી હતો. તેનું શરીર લાંબું અને હૃષ્ટપુષ્ટ હતું. મુખ લાવણ્યમય હતું અને વિશાળ લલાટ બ્રહ્મચર્યના પવિત્રતેજથી દેદીપ્યમાન થઈ રહ્યું હતું. પ્રેમાકાંક્ષી વારાંગના વાસવદત્તાએ તેને પોતાને ઘેર આવવાને નિમંત્રણ મોકલ્યું, પરંતુ એ જિતેંદ્રિય સંન્યાસીએ શાંત ચિત્તે જવાબ મોકલ્યો કે, “ઉપગુપ્તને માટે વાસવદત્તાને ઘેર જવાનો સમય હજુ આવી પહોંચ્યો નથી.”

જે વાસવદત્તાના સૌંદર્યરૂપ અગ્નિમાં પડીને ભસ્તીભૂત થઈ જવાને મથુરાના કરોડપતિઓ તૈયાર હતા તેજ વાસવદત્તાના સૌંદર્યની એક ભિખારીએ ઉપેક્ષા કરી !!! વાસવદત્તાએ આશ્ચર્ય પામીને વિચાર કર્યો, સંન્યાસી પાસે પૈસા આપવાના નહિ હોય માટે તે આવતાં સંકોચાતો હશે. એટલા માટે એણે ફરીથી ઉપગુપ્તને કહેવરાવ્યું કે, “વાસવદત્તાને તમારી પાસેથી સોનામહોરો જોઈતી નથી. એ તો તમારા પ્રેમની જ ભૂખી છે.” સંન્યાસીએ પહેલાંની પેઠેજ ધીરજથી એનો એજ જવાબ કહેવડાવી દીધો.

કેટલાક માસ વિતી ગયા. એટલામાં વાસવદત્તા મથુરાના એક ધનાઢ્ય પુરુષ ઉપર ખોટો પ્રેમ બતાવીને તેને ફસાવવાનો પ્રપંચ કરી રહી હતી. એવામાં સાંભળવામાં આવ્યું કે, ભારતનો એક પ્રસિદ્ધ શેઠ મથુરામાં આવ્યો છે. ધનના લોભથી એ પાપી વેશ્યાએ તેને પોતાને વશ કરવાનો યત્ન કરવા માંડ્યો અને એ માટે પેલા મથુરાવાસી યુવકની હત્યા કરીને છાણના ઢગલામાં તેના મુડદાને સંતાડી દીધું.

એનાં સગાંવહાલાએ રાજ્યમાં ફરિયાદ કરી અને પોલીસની મદદથી એ ઢગલામાંથી એ મથુરાવાસી યુવકનું શબ ખોળી કાઢ્યું. રાજાની કચેરીમાં મુકદ્દમો ચાલ્યો અને આવું પાપી નિર્દય કામ કરવા માટે, વાસવદત્તાના હાથપગ તથા નાકકાન કાપી નાખીને તેને સ્મશાનમાં નાખી આવવાનો રાજાએ સિપાઈઓને હુકમ આપ્યો.

સ્મશાનની પાસે વાસવદત્તા પડી રહી છે. હાથપગ અને નાકકાનના ઘામાંથી લોહી ધડધડ વહ્યા કરે છે. એનાં વસ્ત્ર પણ લોહીથી તરબોળ થઈ ગયાં છે. કાગડાઓ આવીને તેના શરીરને ચાંચ મારીને તેનું માંસ ખાવા આવે છે. એક દયાળુ દાસી ત્યાં બેસીને એ કાગડાઓને ઉરાડે છે. એવામાં સૌમ્યમૂર્તિ સંન્યાસી ઉપગુપ્ત ત્યાં આવી પહોંચ્યો.

સંન્યાસીને જોતાં વારજ ઘાયલ થયેલો ભાગ ઢાંકી દેવાને વાસવદત્તાએ દાસીને હુકમ કર્યો. ઉપગુપ્તે કરુણામય સ્વરે તેની ખબર પૂછી ત્યારે વાસવદત્તાએ ઊલટી ચિડાઈ જઈને કહ્યું: “એક દિવસ આ દેહ કમળની માફક પોતાના સૌંદર્ય વડે ચારે તરફ સૌને મોહમુગ્ધ કરતો હતો અને એ વખતે હું તમારા પ્રેમની ભિખારણ હતી. એ વખતે આ દેહ મણિમુક્તાથી તથા બારીક મલમલની સાડીઓથી વિભૂષિત હતો. આજે જુલમી રાજાની આજ્ઞાથી હું ઘાયલ થઈ છું. લોહીથી કપડાં મેલાં થઈ ગયાં છે. તમે હવે શા સારૂ આવ્યા ?”

બ્રહ્મચારીએ ઉત્તર આપ્યો “બાઈ ! હું કાંઈ ભોગની ઈચ્છાથી તારી પાસે આવ્યો નથી. દેહનું લાવણ્ય તેં ખોયું છે, પણ તેના કરતાં વધારે ઉત્તમ સૌંદર્ય આપવાને માટે હું તારી પાસે આવ્યો છું.

“તું જ્યારે ચોતરફ લાલચથી ઘેરાયેલી હતી, જ્યારે સંસારની ક્ષણિક ભોગલાલસા તારા હૃદયમાં પ્રબળ હતી, ત્યારે મારા ધર્મનો ઉપદેશ તારા મનમાં કદી વસી શકત નહિ, એટલા સારૂ હું જાણી જોઈને એ દહાડે તારી પાસે આવ્યો નહિ. એ વખતે તું ક્ષણભંગુર રૂપના અભિમાનથી ફુલાઈ ગઈ હતી. જગતત્રાતા “તથાગત” (બુદ્ધદેવ) ના પવિત્ર ઉપદેશ ઉપર એ વખતે તેં કદી ધ્યાન આપ્યું નહોતું, માટે આજ હું એ ઉપદેશ સંભળાવવા તારી પાસે આવ્યો છું.

“હાય ! અસ્થાયી બાહ્ય સૌંદર્ય અને ભોગવિલાસમાં તલ્લીન થઈ જવાનું આ કેવું શોચનીય પરિણામ આવ્યું !! સુંદર હૃષ્ટપુષ્ટ દેહનું સૌંદર્ય તને છેતરીને સત્યાનાશને માર્ગે લઈ ગયું છે; પણ વાસવદત્તા યાદ રાખજે કે, એક બીજું સૌદર્ય એવું છે કે જેનો કદી નાશ થતો નથી. પ્રભુ બુદ્ધદેવનો અમૃતમય ઉપદેશ સાંભળવાથી તારા હૃદયને એવી પવિત્ર શાંતિ મળશે તથા એ હૃદય એવું સુંદર બનશે કે, આ જગતમાં ઇંદ્રિયોના ભોગવિલાસથી જે ક્ષણિક સુખ મળે છે, તે એ ચિરકાળના શાશ્વત સુખ આગળ કાંઈજ વિસાતમાં નથી.”

ઉપગુપ્તનો આ મધુર ઉપદેશ સાંભળવાથી વાસવદત્તાનું હૃદય શાંત થયું. આધ્યાત્મિક આનંદને લીધે એ શરીરની વેદના ભૂલી ગઈ. જગતમાં જે પ્રમાણે દુઃખની વેદના છે તે જ પ્રમાણે બીજી તરફ એ દુઃખ કરતાં પણ વધારે મોટી શાંતિ આપનાર આધ્યાત્મિક જ્ઞાન છે.

બુદ્ધધર્મનો આશ્રય લેવાથી આખી જિંદગી પાપાચરણમાં ગાળનાર વારાંગના વાસવદત્તા પણ શાંત ચિત્તે મૃત્યુ પામી.