કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સોણા

વિકિસ્રોતમાંથી
← સુજાતા થેરી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સોણા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ભદ્દા કુંડલકેશા →


६२–सोणा

શ્રાવસ્તી નગરીમાં એક કુળવાન ક્ષત્રિયના ઘરમાં એનો જન્મ થયો હતો. લગ્ન થયા પછી એક કુશળ ગૃહિણી તરીકે તે પ્રસિદ્ધિ પામી હતી. તેને સંપત્તિ અને સંતતિ બંને પુષ્કળ હતાં. દશ પુત્રપુત્રીઓની માતા હોવાથી લોકો તેને ‘બહુ પુત્તિકા’ પણ કહેતા. બાળકોને શિક્ષણ આપવામાં તથા સદાચારી બનાવવામાં તેણે બહુ શ્રમ લીધો હતો. એ કાર્યમાં એણે પોતાની બધી સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. એને આશા હતી કે આ પુત્રો વૃદ્ધાવસ્થામાં એની સેવા કરશે, પરંતુ એ આશામાં એને નિષ્ફળતા મળી. એના પતિએ તો પહેલેથી પ્રવજ્યા લીધી હતી. પુત્ર અને પુત્રવધૂથી સતાવાયલી સોણાને સંસારમાં શરણ લેવા યોગ્ય બીજું કોઈ સ્થાન ન જડ્યું. સંસારનાં સુખોની માયા તોડીને, જનસેવાની વ્રતધારિણી ભિક્ષુણી બનવાનો તેણે સંકલ્પ કર્યો. ભિક્ષુણીસંઘમાં દાખલ થઈને તેણે બુદ્ધદેવનું શરણ લીધું.

સુખ અને વૈભવમાં ઉછરેલી હોવાથી શરૂઆતમાં તો સંઘના નિયમો એને બહુ વસમા લાગ્યા, આ સંયમ વડે એણે એ નિયમોનું પાલન કરવાની ટેવ પાડી. પુત્રોની વર્તણુંકથી તેને કોઈક વાર ખેદ થઈ આવતો. એ ખેદ દૂર કરવાને માટે એણે ‘દ્વત્તિતાકાર’ નામનું એક વ્રત કરવા માંડ્યું. એ વ્રત કરનારને આ માનવી કાયાની બત્રીસ પ્રકારની અવસ્થાનું વારંવાર સ્મરણ કરવાનો નિયમ હતો, એકાંતમાં બેસીને એ સ્મરણ કરતી કે, શરીર કેશ, નખ, દાંત, ચામડી, હાડકાં વગેરે વગેરેનું બનેલું છે; એમાંથી લોહી, થૂંક, પરૂ, મળ, મૂત્ર વગેરે ગંદા સૂગ ચડે એવા પદાર્થો નીકળે છે, વગેરે વગેરે. એ પ્રમાણે વિચાર કર્યાથી શરીર પ્રત્યેનો મોહ છૂટી જતો અને વૈરાગ્યનો ઉદય થઇ, ચિત્તમાં જાગૃતિ આવતી. એ વ્રતથી સોણાના હૃદયનું શલ્ય દૂર થયું.

એ વ્રતની ખાતર એણે ઘણાં જાગરણ કીધાં. હવે લોકોએ એને ‘’બહુપુત્રિકા’ કહેવું છોડી દીધું અને ‘આરબ્ધવીર્યા’ નામથી બોલાવવાનું આરંભ કર્યું. એક ક્ષણની ફુરસદ મળતી તો એમાં પણ એ પોતાનું વ્રત આદરતી. એક વાર ભિક્ષુણીઓ કામ પ્રસંગે બહાર જતી હતી, ત્યારે સોણાને પાણી ઊનું કરવાનું કામ સોંપતી ગઈ. એ કામને સારૂ રસોડામાં જતી વખતે પણ તેણે પોતાનું નિત્યકર્મ છોડ્યું નહિ. આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી રહી હતી, એટલામાં બુદ્ધદેવે એક ગાથા ગાઈ કે, “ઉત્તમ ધર્મ પાળ્યા વગર સો વર્ષ સુધી જાગ્યા કરવું, તેના કરતાં ઉત્તમ ધર્મને ઓળખીને એક ક્ષણ જાગવું એ વધારે સારૂં છે.” સોણાએ દિવ્યજ્ઞાન દ્વારા એ ગાથા સાંભળી. ઉનામણામાં પાણી ગરમ કરવાનું કામ એને ઠેકાણે રહ્યું અને એના હૃદયમાં એ ગાથા સાંભળતાંવાર જ એવું પરિવર્તન થયું કે, એ અર્હંત્‌પદને પ્રાપ્ત થઈ. અર્હંત્‌પદની તો પ્રાપ્તિ થઈ પણ ભિક્ષુણીઓ પાછી આવતાં વઢશે એની એને ચિંતા થવા લાગી. થયું પણ એમજ. થોડી વારમાં ભિક્ષુણીઓ પાછી ફરી અને પાણી ગરમ નહિ મળવાથી સોણાને ઠપકો આપ્યો. સોણાએ શાંતપણે ઉત્તર આપ્યો: “બહેન ! તમારે અગ્નિની સાથે શું કામ છે. નહાવાની ઈચ્છા હોય તો બેસો હું ઊનું પાણી તમારે માટે લાવું છું.” એમ કહીને એ ચૂલા પાસે ગઈ અને પાણીમાં હાથ ઘાલી જુએ છે, તો ખખળતું પાણી તૈયાર હતું. એક ઘડામાં પાણી કાઢ્યું, પણ એટલામાં જુએ છે તો ઉનામણો ફરીથી ભરાઈ ગયો છે. કેવો ચમત્કાર ! સંઘમાં બધાને ખાતરી થઈ ગઈ કે સોણા અર્હંત્‌પદને પામી ગઈ છે. તેમણે નમ્રપણે સોણાની પાસે ક્ષમા માગી.

બુદ્ધદેવે તેની યોગ્યતાનુસાર ‘વિર્યવતી ભિક્ષુણી’ઓના વર્ગમાં તેને ઉચ્ચ સ્થાને મૂકી.

એકાંત ધર્મ સાધનાના બળે સોણાએ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું અને જન્મમરણના ફેરામાંથી સદાને માટે બચી ગઈ.