ગાંધીજીનો અક્ષર દેહ - ૧/તારીખવાર વૃત્તાંત

વિકિસ્રોતમાંથી
← આધારરૂપ સાહિત્ય ગાંધીજીનો અક્ષરદેહ
તારીખવાર વૃત્તાંત
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું →


તારીખવાર વૃત્તાંત
(૧૮૬૯-૧૮૯૬ )

(આ વૃત્તાંતમાં ગાંધીજીના જીવનની ટૂંકી પશ્ચાદ્ભૂમિકા અને એ ગાળાની એમની કેટલીક વધારે મહત્ત્વની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.)

૧૮૬૯

ઓકટોબર ૨ : પોરબંદરમાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ

૧૮૭૬

૧૨ વર્ષની ઉંમર સુધી રાજકોટની પ્રાથમિક શાળામાં શિક્ષણ
કસ્તૂરબાઈ સાથે સગાઈ

૧૮૮૧

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રવેશ.
કસ્તૂરબાઈ સાથે લગ્ન.

૧૮૮૪-૮૫

માંસાહારનો અખતરો કર્યો, પણ વડીલોને છેતરવાનું ટાળવા માટે તે છોડી દીધો.
ત્રેસઠ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ.

૧૮૮૭

નવેમ્બર : મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને ભાવનગરની સામળદાસ કૉલેજમાં દાખલ થયા.

૧૮૮૮

એપ્રિલ-મેઃ અભ્યાસમાં પોતાની જાતમાં વિશ્વાસની ખામી જણાતાં ઇંગ્લંડ જઈ કાયદાનો અભ્યાસ કરવાની સલાહ મળી; માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેવાનું વચન આપીને મા પાસેથી જવામાં સંમતિ મેળવી. ઑગસ્ટ ૧૦ : રાજકોટથી મુંબઈ ગયા, જયાં જ્ઞાતિભાઈઓની સભાએ પરદેશ જતાં રોકવા પ્રયત્ન કર્યો. સપ્ટેમ્બર ૪: વિદેશ જઈ અભ્યાસ કરવા સામે જ્ઞાતિના વડીલોનો સખત વિરોધ છતાં ઇંગ્લંડ જવા રવાના. ઑક્ટોબર ૨૮ : લંડન પહોંચ્યા. નવેમ્બર ૬ : ઈનર ટેમ્પલમાં કાયદાના અભ્યાસ માટે દાખલ થયા.

૧૮૮૮

શાકાહારી હોવાને કારણે પેદા થતી સામાજિક ઊણપોનો બદલો વાળવા માટે એક “ફક્કડ અંગ્રેજ ગૃહસ્થ” બનવા નિશ્વય કરીને વકતૃત્વકળા, ફ્રેંચ ભાષા, નૃત્ય અને પશ્ચિમી સંગીત શીખવાનું શરૂ કર્યું. પણ થોડા જ વખતમાં નિર્ણય ફેરવીને એ શીખવાનું બંધ કર્યું.

સપ્ટેમ્બર : મહિનાની આખરે લંડનની મહાન ગોદી હડતાળનો અંત લાવવામાં ફાળો આપવા બદલ અભિનંદન આપવા કાર્ડિનલ મેનિંગની મુલાકાત લીધી.
પેરિસના પ્રદર્શનની મુલાકાત લીધી (મે અને ઑકટોબર વચ્ચે કોઈ સમયે). નવેમ્બર : બ્લેવેટ્સ્કી અને એની બેસંટની ઓળખાણ કરાવવામાં આવી; પણ થિયૉસૉફિકલ સોસાયટીના રીતસરના સભ્ય બનવા ના પાડી.
ડિસેમ્બર : લંડનની મેટ્રિકની પરીક્ષા આપી પણ નાપાસ થયા. વર્ષ દરમિયાન થિયૉસૉફીની અસરને કારણે સારા પ્રમાણમાં થિયૉસૉફીનું અને બીજું ધાર્મિક સાહિત્ય વાંચવા પ્રેરાયા. જેમાં એડવિન આર્નૉલ્ડનું धि सोंग सेलेश्चिल અને धि लाईट ऑफ एशिया, મૂળ ભગવદ્ગીતા અને બાઇબલનો સમાવેશ થાય છે, ખ્રિસ્તી દેવળની પ્રાર્થનામાં હાજરી આપી અને ડૉ. જૉસેફ પાર્કર જેવા વિખ્યાત ધર્મોપદેશકોનાં પ્રવચન સાંભળ્યાં.

૧૮૯૦

આ વર્ષની શરૂઆતમાં માંચેસ્ટરના धि वेजिटेरियन मेसेंजर અને લંડનના धि वेजिटेरियन પત્રો વિષે અને ત્યાંનાં શાકાહારી મંડળો વિષે માહિતી મળી. જોશિયા ઓલ્ડફિલ્ડ સાથે અાંતરરાષ્ટ્રીય શાકાહારી સભામાં હાજરી આપી. સાદાઈથી રહેવાનું શરૂ કર્યું; ખોરાકના અખતરા ચાલુ રાખ્યા; થોડા સમય માટે શાકાહારીઓની ક્લબ ચાલુ કરી જેમાં જોશિયા ઓલ્ડફિલ્ડ પ્રમુખ, એડવિન આર્નોલ્ડ ઉપ-પ્રમુખ અને પોતે સેક્રટરી તરીકે હતા.
જૂન : મેટ્રિકની પરીક્ષા પસાર કરી
સપ્ટેમ્બર ૧૯ : શાકાહારી મંડળમાં જોડાયા અને કારોબારી કમિટીના સભ્ય બન્યા.

૧૮૯૧

જાન્યુઆરી ૩૦: ચાર્લ્સ બ્રૅડલૉની સ્મશાનયાત્રામાં હાજર રહ્યા. એમના નાસ્તિકવાદની એમના ઉપર અસર ન પડી, ઊલટું બેસંટનું हाउ आई बीकेईम ए थियॉसॉफिस्ट (હં બ્રહ્મવિદ્યાવાદી કેવી રીતે બની) પુસ્તક વાંચતાં એના પ્રત્યેની અરુચિ મજબૂત બની.
ફેબ્રુઆરી ૨૦: શાકાહારી મંડળની સભામાં સૌથી પહેલું ભાષણ કર્યું. એમાં ડૉ. એલીસન પોતે સંતતિનિયમન વિષે શુદ્ધિવાદીઓના મત વિરુદ્ધનો મત ધરાવતા હોવા છતાં, તેમના મંડળના સભ્ય બનવાના દાવાના બચાવમાં ગાંધીજી બોલ્યા, જયારે તેઓ પોતે એ મત ધરાવતા નહોતા.
ફેબ્રુઆરી ૨૧ : धि वेजिटेरियनમાં એક લેખ લખી દારૂને “માણસ જાતનો શત્રુ, સંસ્કૃતિનો શાપ” તરીકે વર્ણવ્યો.
માર્ચ ૨૬ : લંડનની થિયૉસૉફિકલ સોસાયટીના સાથી-સભ્ય તરીકે નામ નોંધાયું.
મે ૧ : શાકાહારી મંડળોના સંયુક્ત સંઘ (ફેડરલ યુનિયન ઑફ વેજિટેરિયન સોસાયટીઝ)ની સભા માટેના શાકાહારી મંડળના પ્રતિનિધિ તરીકે નિમાયા.
જૂન ૧૦: બૅરિસ્ટર બન્યા.
કાયદાના અભ્યાસ દરમિયાન દાદાભાઈ નવરોજીનાં ભાષણોમાં હાજરી આપી, પ્રામાણિકતા અને ઉઘમના ગુણો ઉપર ભાર મૂકતાં ફ્રેડરિક પિકટના ઉપદેશથી વકીલાતના ધંધાની સફળતા અંગે એમનામાં આશા પ્રગટી.
જૂન ૧૧ : હાઈકોર્ટમાં બૅરિસ્ટર તરીકે નામ નોંધાવ્યું.
જન ૧૨ : હિંદ જવા રવાના થયા.
જુલાઈ પ-૯: મુંબઈ પહોંચ્યા અને તેમનાં માતુશ્રીના અવસાનના સમાચાર જાણતાં ભારે શોકમાં ડૂબ્યા, ઝવેરી, કવિ અને સંત રાજચંદ્ર (રાયચંદભાઈ)ને મળ્યા. જેમને પાછળથી તેઓ ધાર્મિક જ્ઞાનની શક્તિમાં ટૉલ્સ્ટૉય કરતાં પણ મહાન અને તેમના જીવન ઉપર અસર પહોંચાડનારા ત્રણ મહાપુરુષોમાંના એક ગણતા હતા. વિદેશના પ્રવાસ સામેની જ્ઞાતિની બંધીનો ભંગ કરવા બદલ નાસિકમાં પ્રાયશ્વિત્ત વિધિ કર્યો. રાજકોટ પહોંચ્યા અને તેમના ભાઈ લક્ષ્મીદાસ સાથે રહ્યા. જુલાઈ ૨૦: ફરીથી જ્ઞાતિમાં લઈ લેવામાં આવ્યા છતાં હજી પણ તેના એક વિભાગે બહિષ્કાર ચાલુ રાખ્યો. નવેમ્બર ૧૬ : મુંબઈની હાઈકોર્ટમાં એડવોકેટની સનદ મેળવવા અરજી આપી.

૧૮૯૨

માર્ચ-એપ્રિલ : કુટુંબમાં બાળકોની કેળવણી પ્રત્યે આધુનિક ઢબે ધ્યાન આપવાનું શરૂ કર્યું, અને ભોજન તથા પોશાકમાં પશ્ચિમની પદ્ધતિ અખત્યાર કરી.
મે ૧૪ : સરકારી ગૅઝેટમાં જાહેર કરીને કાઠિયાવાડની એજન્સીઓની અદાલતોમાં વકીલાત કરવાની પરવાનગી આપવામાં આવી.
રાજકોટમાં વકીલાત કરવાનું મુશ્કેલ લાગતાં અનુભવ મેળવવા મુંબઈ ગયા, એક મિત્ર જોડે ખોરાકના અખતરા કર્યા. ગભરાટને કારણે પહેલો કેસ છોડી દીધો અને અરજીઓ ઘડવાનું કામ પસંદ કર્યું. શિક્ષકનું કામ શોધવાને વિવશ બન્યાં, પણ પોતે ગ્રેજયુએટ નહોતા એટલે તેમને ના પાડવામાં આવી.
મુંબઈનું કામકાજ સમેટી લઈને, છ માસ બાદ, રાજકોટમાં ભાઈ સાથે ફરીથી રહ્યા. એમની સાથે મળીને અરજીઓ અને નિવેદનપત્રો ઘડવાનું કામ કરતાં માસિક રૂ. ૩૦૦ કમાાવા લાગયા.

૧૮૯૩

અપ્રિલ : દાદા અબદુલ્લા ઍન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકામાં કાનૂની કામ માટે આમંત્રણ આપતાં જલદીથી તે તક ઝડપી લઈ ડરબન જવા રવાના થયા. એક વર્ષમાં પાછા ફરવાનો વિચાર રાખી પત્ની અને બાળકને રાજકોટમાં છોડી ગયા.
મે : લગભગ મહિનાની આખરે નાતાલ બંદરે પહેાંચ્યા. જ્યાં હિંદીઓ પ્રત્યે રાખવામાં આવતા બૂરા વર્તાવથી તેમને આઘાત લાગ્યો.
મે-જૂન : આવ્યા બાદ બીજે કે ત્રીજે દિવસે ડરબનની અદાલતની મુલાકાત લીધી, પાઘડી ઉતારવાનું કહેવામાં આવતાં તેમણે તે સ્થળ છોડી જવાનું પસંદ કર્યું. એ બનાવ વિષે છાપાંને લખ્યું: “વણનોતર્યા મહેમાન” કહેવાયા, પણ એનાથી ભારે પ્રસિદ્ધિ થવા પામી. એ પછી સાત આઠ દિવસ બાદ અસીલના કામે પ્રિટોરિયા ગયા. ટ્રેનની અને ધોડાગાડીની મુસાફરી દરમિયાન એમને રંગના ભેદભાવનો બહુ કડવો અનુભવ થયો.
રંગદ્વેષના “રોગને નિર્મૂળ કરવાની લડત ચલાવવા અને એ કાર્ય અંગે કષ્ટો સહન કરવાનો નિશ્ચય કર્યો, વકીલ અને ધમેપદેશક બેકરે રંગદ્રેષ પ્રચલિત હોઈ એ અંગે ચેતવણી આપી અને એક ગરીબ બાઈની વીશીમાં તેમને માટે રહેવાનો પ્રબંધ કર્યો.
બેકરની પ્રાર્થનાસભામાં હાજરી આપી અને મિ. કોટ્સ, એક કવેકર પંથી, અને મિસિસ હેરીસ તથા મિસિસ ગેબ જેવાં ખ્રિસ્તીઓની ઓળખાણ કરાવવામાં આવી, જેઓ મિત્ર બની ગયાં. પ્રિટોરિયામાં પહેલા અઠવાડિયા દરમિયાન શેઠ તૈયબ હાજી ખાનને મળ્યા. અને ટ્રાંસવાલમાંના હિંદીઓની હાલત વિષે હિંદી મેમણ વેપારીઓની સભા આગળ ભાષણ આપ્યું. હિંદી વસાહતીઓની ફરિયાદોનો ઉકેલ શોધવા માટે એક મંડળ સ્થાપવા સૂચના કરી અને તેમાં મદદ કરવા ખુશી બતાવી. પ્રિટોરિયાના વસવાટને લઈને એમને ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટમાંની હિંદીઓની સામાજિક, આર્થિક અને રાજદ્વારી હાલતનું ઊંડું જ્ઞાન મળ્યું.

જ્યારે એમને પ્રેસિડંટ ક્રૂગરના ઘર નજીકના ફૂટપાથ ઉપરથી લાત મારીને ફેંકી દેવામાં આવ્યા ત્યારે હિંદીઓને ફૂટપાથનો ઉપયોગ કરતાં રોકનારા નિયમનનો તેમને અનુભવ થયો, પણ દબાણ છતાં ગોરા હુમલાખોર ઉપર કેસ માંડવા એટલા કારણસર ના પાડી કે પોતાની અંગત ફરિયાદો માટે તેઓ કોર્ટનો આશરો લેવા માગતા નહોતા.

ઑગસ્ટ ૨૨-સપ્ટેમ્બર ૨ : પ્રાણપોષક આહારના અખતરા ચલાવ્યા. આ સમય દરમિયાનના મિ. કોટ્સ અને બીજા ખ્રિસ્તી મિત્રોના સતત સંપર્કને લઈને ખ્રિસ્તી ધર્મ વિષેનાં પુસ્તકોનો અભ્યાસ કરવા તથા એમની જોડે ચર્ચા કરવા એમને ઉત્તેજન મળ્યું, પરંતુ બાઇબલ અને ખ્રિસ્તી ધર્મ વિષેની તેમણે કરેલી વ્યાખ્યા સ્વીકારવાનું તેમને મુશ્કેલ લાગ્યું.

૧૮૯૪

એપ્રિલ : એમના અસીલ દાદા અબદુલ્લાનો કેસ તૈયાર કરતાં સમજાયું કે વકીલાતના કામમાં સાચી બીનાઓ અથવા સત્યનું મહત્ત્વ સર્વોપરી છે. કોરટબાજીની મૂર્ખાઈ વિષે ખાતરી થતાં ઝઘડાનો તડજોડ કરીને નિકાલ આણ્યો. તેમન ધંધાકીય રોકાણ પૂરું થતાં ડરબન પાછા ફર્યા. વિદાય સમારંભ વખતે नाताल मर्क्युरीમાં નજીકના ભવિષ્યમાં આવનારા મતાધિકારથી વંચિત કરનારા કાનૂન વિષેની જાહેરાત જોઈ અને હાજર રહેલા હિંદી વેપારીઓને એનો સામનો કરવા આગ્રહ કર્યો. તેમની લડતની દોરવણી આપવા તેમણે એમને એક મહિનો વધુ રહી જવા સમજાવ્યા. આ એક ભાવિ ઘડનારો નિર્ણય હતો – આ ગાળામાં ધાર્મિક પુસ્તકોના ગંભીર અભ્યાસ પાછળ મંડયા, ટૉલ્સ્ટૉયના धि किंग्डम ऑफ गॉड ईस विधिन यु (વૈકુંઠ તારા હૃદયમાં છે) પુસ્તકે એમના ઉપર ભારે પ્રભાવ પાડયો, ઇંગ્લંડમાંના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર કર્યો. રાયચંદભાઈ જેવા હિંદના ધાર્મિક વિચારકોને પણ લખ્યું, હિંદુ ધર્મ વિષેના સવાલોના એમના જવાબોએ તેમની શ્રદ્ધા દૃઢ બનાવી.

મે ૨૨(?): આગેવાન હિંદી વેપારીઓની એક સભાએ ભેદભાવ કરનારા કાનૂનો સામે આંદોલન ઉપાડવા કમિટી બનાવી.

જૂન ૨૭: હિંદીઓની અરજી રજૂ કરવામાં આવે ત્યાં સુધી મતાધિકાર કાનૂન સુધાર વિધેયકની વિચારણા મુલતવી રાખવાની વિનંતી કરતા તારો નાતાલ વિધાનસભાના અધ્યક્ષ, વડા પ્રધાન રૉબિન્સન અને ઍટર્ની જનરલ એસ્કમ્બને મોકલ્યા. વિધેયક ઉપરની ચર્ચા બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી.

જૂન ૨૮ : વિધેયકનો વિરોધ કરતી અને તપાસ કમિશન નીમવા વિનંતી કરતી ૫૦૦ હિંદીઓની સહીની અરજી વિધાનસભાને રજૂ કરી.

જૂન ૨૯: વડા પ્રધાનની ડેપ્યુટેશન સાથે મુલાકાત લીધી, અને એમને વિનંતી કરી કે હિંદીઓની ફરિયાદ વધારે ઝીણવટથી રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે.

જુલાઈ ૧ : ફિલ્ડ સ્ટ્રીટમાંની હિંદીઓની સભામાં હાજરી આપી અને તેમાં ભાષણ આપ્યું. જુલાઈ ૩ : નાતાલના ગવર્નર પાસે પોતાની આગેવાની નીચે એક ડેપ્યુટેશન લઈને ગયા અને વિધાનસભામાં ત્રીજા વાચનમાંથી પસાર થયેલા મતાધિકાર વિધેયકને મંજૂરી નહીં આપવા વિનંતી કરી.

જુલાઈ ૫: દાદાભાઈ નવરોજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. એમાં એમને એવી વિનંતી કરી કે તેઓ દક્ષિણ આફ્રિકાના હિંદીઓ તરફથી ઈંગ્લંડમાં વચ્ચે પડીને મદદ કરે.

જુલાઈ ૬ : હિંદીઓએ વિધાનપરિષદ આગળ મતાધિકાર વિધેયકનો અસ્વીકાર કરવાને દબાણ કરતી બીજી અરજી રજૂ કરી.

જુલાઈ ૭: મતાધિકાર વિધેયક વિધાનપરિષદમાં ત્રીજા વાચનમાંથી પસાર થયું.

જુલાઈ ૧૦: ગવર્નરને એવી વિનંતી કરતી અરજી કરી કે સમ્રાજ્ઞી ઉપરની હિંદીઓની અરજી પહોંચે ત્યાં સુધી શાહી સરકારને સમ્રાજ્ઞીની સંમતિ માટે વિધેયક મોકલવાનું મુલતવી રાખવામાં આવે.

જુલાઈ ૧૭ : સંસ્થાન મંત્રી લૉર્ડ રિપનના નામની ૧૦,૦૦૦ હિંદીઓની સહીવાળી એક લાંબી સામુદાયિક અરજી નાતાલના ગવર્નરને આપવામાં આવી. જાહેર કાર્ય ચાલુ રાખવા માટે નાતાલમાં સ્થિર થઈને રહી ગયા.

ઓગસ્ટ ૨૨ : ભેદભાવભર્યા કાનૂનો સામે એકધારું આંદોલન ચલાવવા માટે નાતાલ હિંદી કૉંગ્રેસની સ્થાપના. એના પ્રથમ મંત્રી થયા. સંસ્થાનમાં જન્મેલા હિંદીઓના મંડળ (કોલોનિયલ બૉર્ન ઇન્ડિયન્સ ઍસોસિયેશન)ની સ્થાપના પણ કરી.

સપ્ટેમ્બર ૩ : નાતાલ વકીલ મંડળ (નાતાલ લૉ સોસાયટી)ના વિરોધ છતાં સર્વોચ્ચ અદાલતે નાતાલની અદાલતોમાં વકીલાત કરવાની પરવાનગી આપી.
અદાલતમાં પાઘડી ઉતારવાનું કહેવામાં આવતાં અદાલતના રિવાજ સાથે સંમત થવા માટે તથા “વધારે મોટી લડતો લડવા” માટે પોતાની શક્તિનો સંચય કરવા તેનું પાલન કર્યું.

સપ્ટેમ્બર ૧૯ : દક્ષિણ આફ્રિકામાં ઘણુંખરું એમના પહેલા જ એવા ગોપી મહારાજના કેસમાં ઊભા રહ્યા અને જીત્યા. પણ વકીલાતની કારકિર્દીને જાહેર કાર્યથી ઊતરતે સ્થાને મૂકી દીધી.

નવેમ્બર ૨૬ : ગૂઢવાદી ખ્રિસ્તી વિચારધારા (એસોટરિક ક્રિશ્ચિયાનિટી)નું સાહિત્ય વેચવાના એજન્ટ બનીને તેમાં એમનો રસ વધી રહ્યો છે એવું દર્શાવ્યું.

ડિસેમ્બર (૧૯મી પહેલાં): નાતાલની વિધાનસભાના સભ્યોને દસ્તાવેજી પુરાવા સાથેનો ખુલ્લો પત્ર મોકલ્યો.

ડિસેમ્બર ૧૯: નાતાલના યુરોપિયનો જોગ એવો એક વિનંતીપત્ર મોકલ્યો કે તેમણે હિંદી વસાહતીઓના પ્રશ્નનો તરફ સહાનુભૂતિભર્યું વલણ રાખવું.

૧૮૯૫

એપ્રિલ: ડરબન નજીકના ટ્રેપિસ્ટ મઠની મુલાકાત લીધી, જ્યાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી ચાલતા શાકાહારના રિવાજે એમને ખૂબ જ પ્રભાવિત કર્યા.

એપ્રિલ ૬ : હિંદી તડ-જોડ (ઇન્ડિયન આરબિટ્રેશન)ના મામલામાં અસંતોષકારક ચુકાદા વિરુદ્ધ બ્રિટિશ હિંદી વેપારીઓની કમિટી મારફતે હાઈ કમિશનરને અરજી કરી.

મે (૫મી પહેલાં): હિંદી વસાહતી વિધેયકમાંની ગિરમીટની નવી શરતો કરવા બાબતની કલમો વિરુદ્ધ નાતાલ વિધાનસભાને અપીલ કરી મે (૧૪મી બાદ): પંચના ચુકાદામાં હિંદીઓના વેપારી અધિકારોને અદાલતોની દયા ઉપર છોડી દીધા હતા એ અન્યાય વિરુદ્ધ લૉર્ડ રિપનને ફરીથી અપીલ કરી.

જૂન ૧૭: ગિરમીટિયા મજૂર બાલાસુંદરમનો કોર્ટમાં બચાવ કર્યો અને તેને છોડાવ્યો. આ કેસને લઈને ગિરમીટિયા મજૂરો સાથે સંપર્કમાં આવ્યા.

જૂન ૨૬ : વસાહતી વિધેયકમાંની ગિરમીટિયા મજૂરો ઉપર અસર કરતી કલમો વિરુદ્ધ વિધાનપરિષદને અરજી કરી.

ઓગસ્ટ ૧૧ : ગિરમીટ મુક્ત હિંદીઓ ઉપર ૩ પાઉંડની લાઈસન્સ ફી નાખવા સામે વિરોધ દર્શાવતી એક લાંબી અરજી ચેમ્બરલેનને મોકલી. લૉર્ડ એલ્જિનને અા કામમાં દરમિયાનગીરી કરવા અથવા વધુ હિંદી મજૂરીને લાવતાં રોકવા વિનંતી કરી.

સપ્ટેમ્બર ૧૨ : ચેમ્બરલેને નાતાલ સરકારને એ વાતની જાણ કરી કે સમ્રાજ્ઞીની સરકારે મતાધિકાર વિધેયકને હાલના સ્વરૂપમાં મંજૂર કરવાની ના પાડી છે.

સપ્ટેમ્બર ૨૫, ૩૦: ગાંધીજીએ અખબારોને લખીને એ વાતનો અસ્વીકાર કર્યો કે નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ એ એક ગુપ્ત સંસ્થા છે અથવા તે પોતે એના પગારદાર નોકર છે. પરંતુ એમણે એ વાતની જવાબદારી સ્વીકારી કે એના બંધારણનો ખરડો એમણે જ તૈયાર કર્યો હતો.

ઑકટોબર ૨૨ : લોકોને ફરજિયાત લશ્કરી સેવામાંથી મુક્ત કરતી સૈનિક ભરતી સંધિમાં “બ્રિટિશ પ્રજા” શબ્દોનો અર્થ માત્ર તે ગોરાઓને જ લાગુ પડે છે એવો કરવા સામે વિરોધ દર્શાવતો તાર બ્રિટિશ હિંદી રક્ષા સમિતિ તથા જોહાનિસબર્ગના હિંદીઓએ ચેમ્બરલેનને મોકલ્યો.

નવેમ્બર ૧૮ : નાતાલ સરકારે મતાધિકાર વિધેયકનો એક નવો જ ખરડો બ્રિટિશ સંસ્થાન મંત્રીને મોકલ્યો. એશિયાઈ કાનૂનના ટેકામાં યુરોપિયનોએ લેડીસ્મિથ, સેલિસબરી, બેલેર વગેરે જગ્યાએ સભાઓ ગોઠવી.

નવેમ્બર ૨૬ : સૈનિક ભરતી સંધિમાં રહેલા ભેદભાવ સામે ગાંધીજીએ ચેમ્બરલેન ઉપર એક વિનંતીપત્ર મોકલ્યો.

ડિસેમ્બર ૧૬ : धि इन्डियन फ्रॅन्चाईझ : एन अपील टु एवरी ब्रिटन इन साउथ आफ्रिका (હિંદી મતાધિકાર : દક્ષિણ આફ્રિકાના દરેક અંગ્રેજને એક અપીલ) એ પુસ્તિકા પ્રગટ કરી.

૧૮૯૬

જાન્યુઆરી ર૩: નાતાલની અદાલતમાં ગુજરાતી દુભાષિયા તરીકે નિમાવા માટે ગાંધીજીએ અરજી કરી.

જાન્યુઆરી ૨૭: લંડનના टाइम्स પત્રે ગાંધીજીનો ઉલ્લેખ આ રીતે કર્યો: “દક્ષિણ આફ્રિકામાંના પોતાના હિંદી સાથી પ્રજાજનો માટેના તેમના પ્રયાસો તેમને આદરને પાત્ર બનાવે છે.”

ફેબ્રુઆરી ૨૬ : ઝૂલુલૅન્ડના ગવર્નરને કસબાનાં ગામોનાં નિયમનો વિરુદ્ધમાં અરજી મોકલી.

માર્ચ ૩: વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા મતાધિકાર વિધેયકનો નવો ખરડો નાતાલના સરકારી ગૅઝેટમાં બહાર પડયો.

માર્ચ ૫: કસબાનાં ગામોના નિયમનો વિરુદ્ધની અરજીને સરકારે નામંજૂર કરી દીધી. માર્ચ ૧૧ : કસબાઓ અંગેનાં નિયમનો વિરુદ્ધ ગાંધીજીએ ચેમ્બરલેનને વિનંતીપત્રો મોકલ્યા.

એપ્રિલ ૨૭ : પોતપોતાના દેશોમાં સંસદીય મતાધિકાર નહીં ધરાવતા લોકોને મતાધિકારથી વંચિત કરવા માટેનું એના સુધારેલા સ્વરૂપનું મતાધિકાર વિધેયક નાતાલ સંસદમાં રજૂ થયું. એ વિધેયકની વિરુદ્ધમાં પિટરમેરિત્સબર્ગની વિધાનસભામાં નાતાલના હિંદીઓએ અરજી કરી.

મે ૬ : મતાધિકાર વિધેયક બીજા વાચનમાંથી પસાર થયું.

મે ૭ : ગાંધીજીએ ચેમ્બરલેનને તથા હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની બ્રિટિશ કમિટીને એવી મતલબના તાર કર્યા કે જ્યાં સુધી હિંદીઓનો વિનંતીપત્ર રજુ નહીં થાય ત્યાં સુધી મતાધિકાર વિધેયકને અથવા તેના ઉપરના કોઈ પણ સુધારાને મંજૂરી આપવામાં નહીં આવે.

મે ૧૩ : વિધાનસભામાં મતાધિકાર વિધેયકનું ત્રીજું વાચન પૂરું થતાં તે પસાર થયું.

મે ૨૬ : ડરબનની હિંદી કોમના પ્રતિનિધિઓએ, હિંદ જવા તૈયાર થયેલા ગાંધીજીને એવો અધિકાર આપ્યો કે “તેમણે હિંદમાં રાજયના સત્તાધારીઓ, લોકનેતાઓ અને જાહેર સંસ્થાઓને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ જે હાડમારીઓ ભોગવી રહ્યા છે તે રજૂ કરવી.”

જૂન ૨ : નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ તરફથી માનપત્ર અપાયું.

જૂન ૪: કૉંગ્રેસ હૉલમાં મળેલી વિદાયસભામાં ગાંધીજીને ડરબનના હિંદીઓએ માનપત્ર આપ્યું.

જૂન ૫ : ગાંધીજી હિંદ જવા રવાના.