ગીતાધ્વનિ/અધ્યાય ૧૪

વિકિસ્રોતમાંથી
← અધ્યાય તેરમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૪મો : ત્રિગુણ નિરૂપણ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય પંદરમો →



અધ્યાય: ૧૪ મો
ત્રિગુણ નિરૂપણ


શ્રી ભગવાન બોલ્યા--
જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું:
જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં. ૧

આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,
સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે. ૨

મારું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;
તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે. ૩

સર્વ યોનિ વિષે જે જે વ્યક્તિઓ જન્મ પામતી,
તેનું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ,પિતા હું બીજદાયક. ૪

તમ, રજ તથા સત્ત્વ, --ગુણો પ્રકૃતિથી થયા;
તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિષે. ૫

તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષહીન, પ્રકાશક;
તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાન ને સુખે. ૬

તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;
દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં કરી. ૭


મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;
દેહીને બાંધતો તે તો નિદ્રા—પ્રમાદ—આળસે. ૮

સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;
ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ. ૯

રજ—તમ દબાવીને સત્ત્વ ઉપર આવતો;
રજોગુણ તમો—સત્ત્વ, તમ તે રજ—સત્ત્વને. ૧૦

જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઇન્દ્રિયે,
ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો. ૧૧

કર્મે પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,
રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. ૧૨

પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસે પ્રમાદ, મૂઢતા;
તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. ૧૩

સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;
ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લોક મેળવે. ૧૪

કર્મસંગી વિષે જન્મે, તમમાં લય પામતાં.
મૂઢ યોનિ વિશે જન્મે, તમમાં લય પામતાં ૧૫

કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. ૧૬


સત્ત્વથી ઊપકે જ્ઞાન, રજથી લોભ ઊપજે;
પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ. ૧૭

ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;
હીનવૃત્તિ તમો ધર્મી, તેની થાય અધોગતિ. ૧૮

ગુણો વિના ન કર્તા કો, જ્યારે દૃષ્ટા પિછાણતો,
ત્રિગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને. ૧૯

દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;
જન્મ—મૃત્યુ—જરા—દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે. ૨૦

અર્જુન બોલ્યા—

ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?
હોય આચાર શો તેનો? કેમ તે ત્રિગુણો તરે? ૨૧

શ્રી ભગવાન બોલ્યા--

જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ—તેના ધર્મો શરીરમાં
ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કરે સ્પૃહા. ૨૨

જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં.
વર્તે ગુણો જ જાણીને, રહે સ્થિર ડગે નહીં. ૨૩

સમ સુખેદુ:ખે, સ્વસ્થ, સમલોષ્ટાશ્મકાંચન:
સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં. ૨૪


સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;
સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે. ૨૫

અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;
તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે. ૨૬

અમૃત—અક્ષર—બ્રહ્મ, ને એકાંતિક જે સુખ;
તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું. ૨૭