ગીતાધ્વનિ/અધ્યાય ૫

વિકિસ્રોતમાંથી
← અધ્યાય ચોથો ગીતાધ્વનિ
અધ્યાય પાંચમો : જ્ઞાનદશા
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય છઠ્ઠો →



અધ્યાય ૫ મો
જ્ઞાનદશા

અર્જુન બોલ્યા–
કહો સંન્યાસ કર્મોનો, યોગનોયે કહો તમે;
બેમાંથી એક જે રૂડો, તે જ નિશ્ચયથી કહો. ૧

શ્રીભગવાન બોલ્યા–
કર્મસંન્યાસ ને યોગ બંનેય શ્રેયકારક;
બેમાંહી કર્મનો યોગ કર્મસંન્યાસથી ચડે. ૨

જાણો તે નિત્ય-સંન્યાસી રાગ-દ્વેષ ન જે વિષે;
દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે ૩

સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ ક્હે,પંડિતો નહીં;
બેમાં એકેયને પૂરો પામતાં ફળ મેળવે. [૧]

જે સ્થાન મેળવે સાંખ્યો, યોગીયે તે જ પામતા;
એક જ સાંખ્ય ને યોગ દેખે જે, તે જ દેખતા. ૫

પણ દુ:ખે જ સંન્યાસ પામવો યોગના વિના;
મુનિ જે યોગમાં યુક્ત, શીઘ્ર તે બ્રહ્મ મેળવે. ૬

યોગયુક્ત, વિશુદ્ધાત્મા, જીતેલો મન—ઇન્દ્રિયો,
સર્વ ભૂતતણો આત્મા, તે ન લેપાય કર્મથી. ૭


જુએ, સુણે, અડે, સૂંઘે, જમે, ઊંઘે, વદે, ફરે,
શ્વાસ લે, પકડે, છોડે, ખોલે-મીંચેય આંખને. ૮

ઇન્દ્રિયો નિજ કર્મોમાં વર્તે છે એમ જાણતો,
માને તત્ત્વજ્ઞ યોગી કે “ હું કશું કરતો નથી.” ૯

બ્રહ્માર્પણ કરી કર્મ છોડી આસક્તિને કરે,
પાપથી તે ન લેપાય, પાણીથી પદ્મપાન-શો. ૧૦

શરીરે, મન-બુદ્ધિએ, માત્ર વા ઇન્દ્રિયે કરે,
આત્માની શુદ્ધિને કાજે યોગી નિ:સંગ કર્મને. ૧૧

યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે;
અયોગી ફળનો લોભી બંધાતો વાસના વડે. ૧૨

સૌ કર્મો મનથી છોડી, સુખે આત્મવશી રહે
નવદ્વારપુરે દેહી; ના કરે કારવે કંઈ. [૨] ૧૩

ન કર્તાપણું, ના કર્મો સર્જતો લોકનાં પ્રભુ;
ન કર્મફળયોગેય, સ્વભાવ જ પ્રવર્તતો. ૧૪

લે નહીં કોઈનું પાપ, ન તો પુણ્યેય તે વિભુ;
અજ્ઞાને જ્ઞાન ઢંકાયું, તેણે સૌ મોહમાં પડે. ૧૫

જેમનું આત્મ–અજ્ઞાન જ્ઞાનથી નાશ પામિયું,
તેમનું સૂર્ય-શું જ્ઞાન પ્રકાશે પરમાત્મને. ૧૬


જેની આત્મા વિષે બુદ્ધિ, નિષ્ઠા, તત્પરતા, મન,
ધોવાયાં જ્ઞાનથી પાપો, તેને જન્મ નહીં ફરી. ૧૭

વિદ્વાન વિનયી વિપ્રે, તેમ ચાંડાળ્ને વિષે,
ગાયે, ગજેય, શ્વાનેયે જ્ઞાનીને સમદૃષ્ટિ છે. ૧૮

અહીં જ ભવ તે જીત્યા, સ્થિર જે સમબુદ્ધિમાં;
નિર્દોષ સમ છે બ્રહ્મ, તેથી તે બ્રહ્મમાં ઠર્યા. [૩] ૧૯

ન રાચે તે મળ્યે પ્રિય, નહીં મૂંઝાય અપ્રિયે;
અમૂઢ, સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ, બ્રહ્મમાં ઠર્યો. ૨૦

વિષયોમાં અનાસક્ત જાણે જે આત્મમાં સુખ;
તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ[૪] ભોગવે. ૨૧

કાં જે ઇન્દ્રિયના ભોગો દુ:ખકારણ માત્ર તે,
ઊપજે ને વળી નાશે[૫], જ્ઞાની રાચે ન તે વિષે. ૨૨

કામ ને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી,
અહીં જ જે સહી જાણે, તે યોગી, તે સુખી નર. ૨૩

પ્રકાશ, સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યાં,
થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મનિર્વાણ પામતો. ૨૪

પામતા બ્રહ્મનિર્વાણ ઋષિઓ ક્ષીણપાપ જે,
અસંશયી, જિતાત્મા ને સર્વભૂતહિતે મચ્યા. ૨૫


કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી,
રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્વાણ પાસમાં. ૨૬

વિષયોને કર્યા દૂર, દૃષ્ટિ ભ્રૂ-મધ્યમાં ધરી,
નાકથી આવતાજાતા પ્રાણાપાન કર્યા સમ, ૨૭

વશેન્દ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષપરાયણ,
ટાળ્યાં ઇચ્છા—ભય—ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા. ૨૮

મ’ને સૌ ભૂતનો મિત્ર, સર્વ—લોક—મહેશ્વર,
યજ્ઞ ને તપનો ભોક્તા જાણી તે શાંતિ પામતો. ૨૯


  1. [બેમાંએકેયને—બે પૈકી એકમાંયે. ઘણા એમ અનુવાદ કરે છે કે “ એકેય પામતાં પૂરો, બંનેનું ફળ મેળવે.” આ બરાબર નથી લાગતું. કારણ, ફળ તો એક આત્મજ્ઞાન અથવા મુક્તિ જ છે.માટે બંનેનું ફ્ળ મેળવે, એમ કહેવામાં ભ્રમ ઉત્પન્ન થાય છે. પાંચમા શ્લોકમાં આ સ્પષ્ટ છે.]
  2. [મોઢું, બે આંખ, બે કાન, બે નસકોરાં, બે મળ્દ્વાર—આવા નવ દરવાજાવાળા નગરે = શરીરમાં .]
  3. [ઠર્યા—સ્થિર થયા.]
  4. [આત્મામાં જે સુખ રહ્યું છે તે. ]
  5. [નાશે= નાશ પામે.]