ગુજરાતની ગઝલો/ત્યાગ

વિકિસ્રોતમાંથી
← અમારી ગુનેહગારી ગુજરાતની ગઝલો
ત્યાગ
[[સર્જક:|]]
૧૯૪૩
સનમને સવાલ  →


૨૪ : ત્યાગ


હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહીં !
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશે નહીં !

ના આંસુથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના, એ વાત છોડી કેદની,
સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું;
“શું એ હતું? શું આ થયું?” એ પૂછશે કોઈ નહીં.

કૈં છે ખુશી, કૈં છે નહીં, દિલ જાણતું જે છે તે છે !
જ્યાં જ્યાં ઠરી દિલની ખુશી, ત્યાં ત્યાં ખુશી દિલ છે નેકી.
પેદા કર્યો તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું,
એ ભૂંસવા જે છે ખુશી તો પૂછવું એ કૈં નથી.

છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી.
આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશે નહીં.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવાડજો !
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં.
છે શું ફૂલો, શું ઈશ્કને શું સૌ તમે જાનારને?
આ માછલું દરિયાતણું તે ઊર્મિઓ ગણતું નહીં!

મુજ ઊર્મિ એ તમ વારિધિ, તમ વારિધિ મુજ ઊર્મિ છે;
જે હિકમતે આ જે બન્યું તે જાણશે કોઈ નહી.

શું પૂછવું ? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી;
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.