ગુજરાતનો જય/સળગતો સ્વામીભાવ

વિકિસ્રોતમાંથી
← સ્વામીની ભૂલ ગુજરાતનો જય
સળગતો સ્વામીભાવ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
પૌરુષની સમસ્યા →



10
સળગતો સ્વામીભાવ

પાટણમાં સર્વાધિકારીના પ્રાસાદમાં વીરમદેવ સૂતો હતો. લવણપ્રસાદ એના ઓરડામાં આવ્યા ત્યાંસુધી રાતાચોળ હતા; પણ વીરમનું મોં નિહાળતાં એના વૃદ્ધ હૃદયને એક નબળે ખૂણેથી દુર્બલ વાત્સલ્યનો અવાજ ઊઠ્યો. એના મનમાં એકમેકની વિરોધી લાગણીઓ બોલતી થઈ. ધોળકું એ પાટણ નથી, ધોળકામાં પાટણની પાયમાલી ઊભી થવા દેવી નથીઃ એ સૂત્ર વણિક મંત્રીઓએ ધોળકાવાસી રાણા-રાણકીથી લઈ રંગરેજના હૃદય સુધી સતત ઘૂંટાવ્યું હતું. પણ ધોળકાના ક્ષત્રિય ધણી વાઘેલ કુળમાં પોચી લાગણી પ્રવેશતી હતી તે શું ખરે જ સારું હતું?

વીરમને વદને દૃષ્ટિ ફરતી ગઈ તેમ તેમ લવણપ્રસાદની પાંપણો ભીની થતી ગઈ. આ છોકરો રાણકપદનો વારસદાર છે. એને કોઈ નાવારસ તો નહીં ઠેરવે? ગાદીનો સ્વામીભાવ લવણપ્રસાદના કલેજામાં કેટલીક નબળી વાતો મૂકવા લાગ્યો. પણ એણે પોતાના બિરદને એથી પણ વધુ મોટા અવાજે હોકારતું સાંભળ્યું. પોતે આ ખંડેરોનાં ભીંતડાં ફગાવી દઈને નૂતન ગુજરાતનું નિર્માણ કરવા બેઠો હતો તેવું તો સ્પષ્ટ ભાન એ સૈનિક-હૃદયને નહોતું, પણ જે ધરતીનું ધાન ખાઈને પોતે જીવતો હતો તેના પ્રત્યે એને ભક્તિ હતી. એ ભક્તિ એક શ્રદ્ધાળુની હતી. સાગરતીર પર્વતની પૃથ્વી પાછી ન જિતાય ત્યાં સુધીનો સંન્યાસ એના અંતરને ભગવા રંગે રંગી રહ્યો.

ચોમેર પાટણ સૂતું હતું. ઘોરતા નગર પર એણે નજર ફેરવી. કોઈ અફીણી ઊંઘતો હોય તેવું એને સૂતેલું પાટણ લાગ્યું. દૂર સરસ્વતી વહેતી હતી. એનો પ્રવાહ પણ પુરાતો હતો. યુગો સુધી જે પાણી પોતાની છાતીએ નૌકાઓ રમાડતાં તે પાણી પ્રતિદિન છીછરાં બનતાં હતાં. સરસ્વતીની નગ્નતા ઉઘાડી પડતી હતી. સરસ્વતીનું એ કંગાલ સ્વરૂપ જનતાની આંતરિક અધોગતિનું જ પ્રતીક હતું. પાટણ ભાંગતું હતું તેને ભોગે જ ધોળકા ને ખંભાતની આબાદાની જામતી હતી. લવણપ્રસાદની પીઠ પાછળ જ નહીં, મોઢામોઢ પણ એ મર્મબોલ કહેનારા મળતા હતા, કે આણે પુત્રને ખટવવાનો જ બધો ખેલ માંડ્યો છે !

બીજી બાજુ આ શ્રાવક ભાઈઓ પણ હદથી જ્યાદે પ્રભાવ જમાવતા નહોતા શું? તેમના પેટમાં... પાપ...

ના રે જીવ, ના, એ કલ્પના આજથી ન કરવી ઘટે. હજુ તો એમની પાસેથી કંઈક કામ લેવાનાં બાકી છે. હજુ તો ગુર્જરીનાથને आसमुद्र्क्षितीश કરવાનો છે. મારા જ પેટમાં કદાચ પાપ ઊપડતું હશે ! વીરમ આંહીં જ ભલે રહ્યો. ધોળકાનો ગાદીધણી એ બને કે નયે બને, પણ મહારાજ ભીમદેવની નજરે તો એને નાખી શકીશ ! એનું પ્રારબ્ધ કદાચ વધુ જોર કરવાનું હશે...

ભાંગ્યાતૂટ્યા મનોભાવને એણે જલદી જલદી કોઈ ચોરની પેઠે સંતાડી દીધા.

કુમાર વીરમદેવ કાયમને માટે દેશવટે આવ્યો છે એવી જાણ પાટણમાં સારી પેઠે પ્રસરી ગઈ. એ ધોળકાના શાસકોનો અળખામણો બન્યો છે તે જ કારણે પાટણની કેટલીક ટોળીઓને એનાં પર વહાલ વરસવા લાગ્યું હતું. એ દિન-પ્રતિદિન પાટણવાસીઓનો કૃપાપાત્ર બનતો ગયો. પાટણના દ્વેષભાવ ઉપર એનું આવવું ઘી બનીને રેડાતું રહ્યું. અમુક કુટુંબોમાં એના આદરમાન ટાણે ને કટાણે, દિવસે ને રાત્રિએ થવા લાગ્યાં. કુમારના એવાં સ્વાગત જે જીવતાં માનવ-શરીરો વડે થઈ રહ્યાં હતાં તેનાથી લવણપ્રસાદ અજાણ રહ્યો હતો કે જાણતો છતાં અબોલ રહ્યો હતો તે કળવું કઠણ હતું. પણ વીરમદેવ પટ્ટણીઓનો પ્રેમ સંપાદન કરી રહેલ છે તે એને ગમતું હતું. તે વાતથી આજારી ભીમદેવને પોતે એક અથવા બીજી રીતે વાકેફ કરતો જ રહ્યો. પાટણની ગાદી એને લલચાવતી હતી કે પૌત્ર પરનું વાત્સલ્ય એને નબળો પાડી રહ્યું હતું તે તો એ પોતે પણ નક્કી નહોતો કરી શકતો. બાકી તો ખરું કારણ એક જ હતું: લવણપ્રસાદ વૃદ્ધ બનતો જતો હતો.

'નહીં નહીં,' એનો સદાત્મા બોલતો હતો, 'ગુર્જર દેશનો સીમાડો સાગરને તીરે દોરાય નહીં ત્યાં સુધી તો વસ્તુપાલ-તેજપાલની સત્તા મારે વેઠવી જ ઘટે. વીરમને તેમણે ધોળકા છોડાવ્યું તે ઠીક જ કર્યું, ઠીક જ કર્યું, બીજું બની જ ન શકે.' આમ મન પર એ વારંવાર ભાર મૂકીને ઠસાવવા લાગ્યો.