ગુલાબસિંહ/તરંગ ૫:અમરશહર

વિકિસ્રોતમાંથી
← રક્તબીજની બેહેન ગુલાબસિંહ
અમરશહર
મણિલાલ દ્વિવેદી
પ્રેમની કિંમત →


પ્રકરણ ૬ ઠ્ઠું.

અમરશહર.

“અહો ! આનંદ ! આનંદ ! મારા જીગર ! મારા પ્રાણ ! — તારો હાથ, તારા અધર, પુન પાપ્તઃ થયા ! એટલું એક વાર કહે કે મારા ઉપરનો પ્રેમ બીજીને અર્પી તેં મને તજી ન હતી. બોલ, ફરી બોલ, નિત્ય તેનું તે બોલ — તો બાકીની બધી વાતની હું તો માફી આપી શકીશ.”

“ત્યારે તો તું મારે માટે શોચમાં પડી હશે ખરી !”

“શોચ ! – તું તો એમજ જાણતો હતો કે કાંઈ નહિ હોય ! તેં મને વાપરવા માટે સુવર્ણ આપવા જેટલું ઘાતકીપણું કર્યું ! પણ જો, — પેલું રહ્યું તે તારૂં સુવર્ણ, અસ્પૃષ્ટ, તેમનું તેમ !”

“નિર્દોષ બાલા ! ત્યારે આ મરશહર જેવા નગરમાં તેં ધાનપાણી માટે શું કર્યું ?”

“જે કર્યું તે પ્રમાણિકપણે, લાજ સાચવીને કર્યું છે. પણ મારા પ્રાણના પ્રાણ ! જે વદનને તું એકવાર સર્વ કરતાં સુંદર ધારતો હતો તેનાજ શપથ આપી કહું છું કે બોલ એ વદન હજી તને તેવું ને તેવું લાગે છે ?”

“ખરેખર પ્યારી ગોપિકા ! એમાં પૂછે છે શું ? નિત્યે નવી નવી સુંદરતા હું તો તેમાં દેખું છું. પણ તું શા માટે પૂછે છે ?”

“અહીંઆં એક ચીતારો છે — ઘણો મહોટો માણસ છે — એવો મહોટો કે જ્યાં જુઓ ત્યાં એનું જ મહત્ત્વ છે, એનું જ બધાં માને છે — જીવનને મરણ જાણે એના હાથમાં જ છે. તેણે મને મારૂં ચિત્ર લઈ લેતા સુધી બેસવાના બહુ મહોર આપ્યા છે. એ ચિત્ર તો બાદશાહ પાસે લેઈ જવાનું કહે છે, તેને કાંઈ ધંધો કરવો નથી, માત્ર પોતાની હોશયારી બતાવવી છે. વિચાર પ્યારા ! તારી ગોપિકાની કેવી કીર્તિ થશે ! અને વળી એ બિચારો તો મને પરણવા પણ તૈયાર છે – પોતાની પરણેલીને છેડો ફાડી આપીને પરણવા તૈયાર છે; પણ અય નિમકહરામ ! હું તો તારી વાટ જોતી બેઠી છું.”

એવી વાત ચાલે છે ત્યાં બારણું ધકેલાયું, તે ઉઘડતાની સાથે એક પુરુષ અંદર આવ્યો.

બંદો !”

“કોણ ! લાલાજી ?-હાં-રામરામ ! ફરી પણ પાછો તુંનો તુંજ મારો પ્રતિસ્પર્ધિ થયો છે કે ? પણ બંદાને કોઈના ઉપર વૈર નથી, દોસ્ત ! મારે તો મારો દેશ–મારા બીરાદર — તેનીજ પ્રીતિ છે; મારા દેશની સેવા કર, તો આવી કાન્તિ ઉપર તું આશક થયો તે ગુનો માફ કરવા તૈયાર છું.”

આવી વાત બંદો કરતો હતો તે વખતે મુસલમાનોનાં ટોળે ટોળાં રસ્તામાં ભેગા થઈ બંદાને બુમ પાડતાં હતાં, પેલી ગોપિકાનું દર્શન કરવા આતુરતાથી વિનતિ કરતાં હતાં. વચમાં વચમાં દીન ! દીન ! એમ પોકાર થતા હતા — શાહબુદ્દીનનું નામ વિજયના ધ્વનિમાં કોઈ કોઈ બોલી પડતું હતું. લાલાજી આ બધું તોફાન જોઈ, ધ્વનિ સાંભળી ને ચમક્યો, કે બંદાએ આ શું તોફાન ઉઠાવ્યું છે ! મહારાજ પૃથ્વીરાજ શી નિદ્રામાં પડ્યા છે, કે આ લોકો આટલે સુધી આવી શક્યા છે ! જે મોહજાલમાં લાલો ફસ્યો હતો તેવીજ મોહજાલમાં આખા ભારતનો ભૂપ આ સમયે ગાઢ નિદ્રા લેતો હતો એની લાલાને થોડી જ ખબર હતી. કુસંપથી નીર્વીર્ય થઈ ગએલાં પોતાનાં બાલકોનું ખપ્પર ભરવાને સંયોગતા રૂપે ચંડિકા પ્રકટ થયાની વાત લાલાના લક્ષમાં ન હતી. બંદાએ બારીએથી ડોકું બહાર કાઢ્યું એટલે વળી ગર્જના વૃદ્ધિ પામી. બંદાએ કહ્યું લાલાજી આપણા પરમમિત્ર છે, પણ લાલાજી એટલો શબ્દ સાંભળતાં આખા ટોળામાં એ નામની જ ગર્જના વ્યાપી રહી.

લાલાએ મનમાં વિચાર કર્યો આ મહોટા રાજ્યવિપ્લવની ધમાલમાં જ જો મને પ્રવૃત્તિ મળી શકે એમ હોય, રક્તબીજની કારી દૃષ્ટિમાંથી છૂટવાનો આજ માર્ગ હોય તો મારે આમ કે આમ બધુ એકજ છે.

લાલાજી ! તારા ભાગ્યનો ઉદય થયો–” તું પણ આ રાજ્યની એક મહોટી અમીરાતનો ધણી થશે” એમ બંદાએ લાલાનો ખભો ઠોકીને કહ્યું, ને ઉમેર્યું “ ઉઠ, હવે દિલ્લી જવાને થોડી વાર છે.”

દિલ્લી ! પ્યારા મને દિલ્લી દેખાડો” પેલી ગોપિકાએ કહ્યું “મેં એ નગરની બહુ મહોટી મહોટી વાત સાંભળી છે, ત્યાં ઘણું જોવાનું છે, ચાલો આપણે જઈએ. યોગિનીપુરની જોગણીઓ કરતાં હું હઠું એવી નથી.”

“જઈશું ! પ્યારી સમય આવવા દે” લાલાજીએ શાન્ત મુદ્રાથી ઉત્તર આપ્યું.

* *****
તરંગ પાંચમો સમાપ્ત.