ઘાશીરામ કોટવાલ/વાત ૧૬.

વિકિસ્રોતમાંથી
← વાત ૧૫. ઘાશીરામ કોટવાલ
વાત ૧૬.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૭. →


વાત ૧૬.

ઘા૦— ફુરસદની વખતે યશેશ્વર નામના શાસ્ત્રી સાથે વેદ વિષેની વાતે કરતો બેઠો હતો. એટલામાં તેને મળવા સારુ પેદ્રુ કરીને એક પાદરી તથા ફિરોજશાહ દસ્તુર એ બે જણ આવ્યા. તે બેઠા પછી નજદીકમાં સૈયદહુસેનુદીન કાજી રહેતા હતા, તેને boલાવી મંગાવ્યા. બાદ ઘાશીરામે શાસ્ત્રી બાવાને પૂછ્યું કે, આપણા શાસ્ત્રમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિષે લખ્યું છે તે કહો. તે ઉપરથી બોલ્યા:–

શાસ્ત્રી— આપણા ચાર વેદ છે. તેમાં પહેલો ઋગવેદ, બીજે યજુર્વેદ, ત્રીજો સામવેદ, અને ચેાથો અથર્વણ, એ રીતે છે. તેમાં પૃથ્વીના પહેલા ક૯પમાં ત્રણ નિકળ્યા. ઋગવેદ અગ્નિમાંથી નિકળ્યો, યજુર્વેદ વાયુ થકી ઉત્પન્ન થયો, અને સામવેદ સૂર્યે આપ્યો. એ વેદો શંખાસુર દૈત્ય ચોરી ગયા પછી બીજા ક૯પમાં બ્રહ્માએ કહેલા છે; તાર પછી વેદવ્યાસે વેદ લખીને તેના ચાર ભાગ કર્યા. ત્યારથી ચાર વેદ થયા. ઇતિહાસ તથા પુરાણને પાંચમો વેદ ગણે છે. ચાર વેદમાંના ત્રણ વેદમાં યજ્ઞયાગના મંત્ર, સંસ્કાર આચાર, તથા ધર્મ કહેલ છે, અને અથર્વણવેદમાં પ્રાયશ્ચિત્તના પ્રકાર તથા ધનુર્વિદ્યા બતાવેલી છે. વેદની અનેક સંહિતા એટલે વિભાગો છે, તેને શાખા કહે છે. ઋગવેદની સંહિતા સોળ છે, તેને કેટલાક પાંચ ગણે છે. યજુર્વેદની એકસો એક શાખા છે, તેની કેટલાક ૮૬ શાખા છે એમ સમજે છે. સામવેદની સંહિતા હજાર ઉપ્રાંત છે; અને અથર્વણવેદની સંહિતા નવ છે. તે શાખાઓનાં નામઃ-આશ્વલાયન, સાંખ્યાયન, કાત્યાયન, વાજસનેયી, હિરણ્યકેશી વગેરે છે. વેદ ઉપર એક ભાષ્ય એટલે ટીકા કરેલી છે તે તથા ભાગવત ઉપર જોતાં એવું માલુમ પડે છે કે અવલ સઘળો અંધકાર હતો. તેમાં માત્ર વિશ્વાત્મા રહેતા હતા. તેને માનસી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા થઇ. તે ઉપરથી ત્રૈલોક્ય એટલે સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળ ઉત્પન્ન કર્યા બાદ પુરુષ ઉત્પન્ન કર્યો. તેના મોહોમાંથી અગ્નિ નિકળ્યો; નાકમાંથી શ્વાસ નિકળ્યો, ને તેથી વાયુ પેદા થયો; આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થયો; કાનમાંથી આકાશ થયું; ત્વચામાંથી રુંવાડા નિકળ્યાં ને તેમાંથી વનસ્પતિ તથા ઝાડ થયાં. હૃદયથકી મન ને મનથી ચંદ્રમા ઉત્પન્ન થયો. ડુંટીમાં અપાન વાયુ નિકળીને તેમાંથી મોત નિકળ્યું. પ્રજાપતિથકી ઉત્પત્તિનું બીજ પેદા થયું, ને તેમાંથી પાણી થયું. આ પ્રમાણે દેવતા ઉત્પન્ન થયા ને દરીઆમાં પડ્યા, તે વખત વજનદાર હતા. ત્યારે ભુખ તથા તરસથી વ્યાકુળ થઇને એવું માગી લીધું કે, અમને કમ વજનદાર એટલે નાહાની આકૃતિના કરો કે અન્ન ખાઇએ. તે વખત તેએાને ગાયનું રૂપ બતાવ્યું. તે તેએાએ પસંદ કર્યું નહીં; બાદ ઘોડાનું રૂપ બતાવ્યું, તે પણ કબુલ કર્યું નહીં. પછી નર સ્વરૂપ બતાવ્યું તે તેઓને પસંદ પડ્યું. તે ઉપરથી પોતપોતાની જગો ઉપર જવાની તેઓને આજ્ઞા થઇ તે વખત અગ્નિ વાચા થઈ મોહોમાં પેઠો, વાયુ શ્વાસ થઈ નાકમાં ગયો; સૂર્યે દૃષ્ટિ થઈને આંખમાં પ્રવેશ કર્યો. આકાશે શ્રવણ થઇને કાનમાં પ્રવેશ કર્યો. વનસ્પતિ તથા ઝાડ રુંવાટાં થઇને ત્વચા ઉપર બેઠાં, ચંદ્રે મન થઇને હૃદયમાં પ્રવેશ કયોં. મૃત્યુ આપાન થઇને ડુંટીમાં ગયું. પાણીએ ઉત્પત્તિનું બીજ થઇને પ્રજાપતિમાં વાસ કર્યો. ત્યાર બાદ ભુખ તથા તરસે જગા માગી. તેને સઘળા દેવતાઓમાં વાસ કરવાનું ફરમાવ્યું. બાદ અન્ને પાણીની ઉત્પત્તિ કરી અને પાણીમાં આકૃતિ આવતાં જ હાલીને દોડવા લાગ્યું. તે વખતે પુરુષે, વાચાએ, શ્વાસે, દૃષ્ટિએ, શ્રવણે, ત્વચાએ, મને તથા પ્રજાપતિએ પાણીને અટકાવવાની કોશીશ કીધી; પણ તે અટક્યું નહીં. ઇંદ્રિયોના સામર્થ્યથી જો પાણી ઉભું રહે તો, અનાજનું નામ લીધાથી, તેને જોવાથી, તેનું નામ સાંભળવાથી, તેને અડકવાથી, અથવા તે ઉપર પડવાથી ક્ષુધાની તૃપ્તિ થાય. આખરે પુરુષે અપાનના યોગથી પાણીનો અટકાવ કરવા માંડ્યો, તેથી કરીને તે થંભ્યું. બાદ આત્માએ પુરુષમાં પ્રવેશ કર્યો. પછી પુરુષ એજ વિશ્વાત્મા છે એમ થઇને “અહં” એટલે “હું” એવો શબ્દ કહાડ્યો; અને સર્વાત્મા સઘળાની દેહમાં છે તેની હજી સુધી સાબેતી છે કે “તું કોણ છે” એવું કોઈ માણસ પૂછે ત્યારે “હું છઉં” એવો પ્રથમ જવાબ દે છે. આ રીતે આત્માએ પુરુષમાં પ્રવેશ કર્યા પછી એકલાને આનંદ થયો નહીં. બીજું કોઈ જોઇએ એવી તેની વાસના થઈ. તેથી મૈથુન વખત જેવી આકૃતિ હતી, તેવું પુરુષનું શરીર થયું. બાદ બે વિભાગ બરાબર થયા. તે વખત પ્રકૃતિ તથા પુરુષ બંને જૂદાં થયાં તે બંનેથી મનુષ્ય ઉત્પન્ન થયાં. પછી પ્રકૃતિએ એવું વિચાર્યું કે, હું પુરુષથી ઉત્પન્ન થવા વાસ્તે મારી સાથે પુરુષ સંગ કરે તે ઠીક નહીં. બાદ તેણે ગાયનું રૂપ લીધું. તે જોઇને પુરુષ સાંઢ થયો; તે થકી ઢોર વગેરે જાનવર પેદા થયાં. બાદ પ્રકૃતિ ઘોડી થઈ, ત્યારે પુરુષ ઘોડો થતો ને તે થકી ઘોડાં થયાં. આ પ્રમાણે સઘળાં ચોપગાં તથા જીવજંતુ, તથા પક્ષી, તથા કીડી, મંકોડી, એની મા પ્રકૃતિ ને બા૫ પુરુષ, તેઓનાં જૂદાં જૂદાં સ્વરૂપ લઇને જૂદી જૂદી ઉત્પત્તિ કરી છે. શાસ્ત્રમાં એવા બીજા કેટલાક પ્રકાર કહેલા છે; પરંતુ સદર્હુ જણાવેલા મુખ્ય છે.

ઘા૦— (પાદ્રીની તરફ જોઇને) સીનોર પેદ્રુ ! તમારા ધર્મમાં શું છે?

પા૦— અમારું મુખ્ય ધર્મ પુસ્તક પવિત્ર શાસ્ત્ર કરીને છે. તેમાં જુના કરાર તથા નવા કરાર એવા બે મુખ્ય ભાગ છે. તેમાં જુના કરારમાં એવું લખેલું છે કે, ઈશ્વરે પ્રથમ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. પૃથ્વી રચના વિનાની તથા શુન્ય હતી અને પાણીની જગોપર અંધારું હતું. વિશ્વાત્મા પાણી ઉપર હાલતો હતો. બાદ પ્રકાશ તથા અંધકાર જૂદાં જૂદાં કર્યાં. પછી પ્રકાશને દિવસ એવું નામ આપ્યું અને અંધારાને રાત કહેવા માંડી. આ નામ પ્રમાણે પહેલો દિવસ થયા બાદ ઈશ્વરે જળમાંથી અંતરાળ ઉત્પન્ન કર્યો, ને તે અંતરાળ નીચેનું તથા ઉપરનું પાણી જૂદું જૂદું કર્યું, ને અંતરાળને આકાશ એ નામ આપ્યું. તે બીજો દિવસ થયો. બાદ ઈશ્વરના હુકમથી આકાશની નીચેનું પાણી એક જગો પર જમી ગયું ને કોરી જમીન નિકળી. તે જમીનને પૃથ્વી એવું નામ આપ્યું. એકઠા થયલા પાણીને સમુદ્ર ઠરાવ્યો. પછી પૃથ્વી ઉપર ઈશ્વરના હુકમથી બી આવનાર તરુ, ઘાસ ને ફળ આપનાર ઝાડ ઉત્પન્ન થયાં. આ ત્રીજો દિવસ થયો. ત્યાર પછી અંતરાળમાં બે મોટા પ્રકાશ કર્યા. તેમાં મોટા પ્રકાશને દિવસ ચલાવવા ને નાહાના પ્રકાશને રાત્ર ચલાવવા સારુ નીમ્યાં. અને તારા ઉત્પન્ન કર્યા. આ ચોથો દિવસ થયો. બાદ પાણીમાં જીવજંતુ તથા પૃથ્વી ઉપર પક્ષી ઉત્પન્ન કર્યાં, એટલે પાંચમો દિવસ થયો. પછી ગામનાં પશુ, જંગલનાં પશુ અને જમીન ઉપર હાલચાલ કરનાર જીવજંતુ ઉત્પન્ન કર્યાં. બાદ ઈશ્વરે પોતાની પ્રતિમા જેવો પુરુષ ઉત્પન્ન કર્યો તથા સ્ત્રી ઉત્પન્ન કરી. ત્યારે છઠ્ઠો દિવસ પૂરા થયો. સાતમે દહાડે ઈશ્વરે સ્વસ્થ રહીને આશીર્વાદ દઈને પવિત્ર કર્યા. તે સાતમો દિવસ શનિવાર છે. માણસની ઉત્પત્તિ વિષેની હકીકત એવી રીતે છે કે, પરમેશ્વરે જમીનમાંથી માટી લઇને પ્રથમ પુરુષ ઘડ્યો, ને તેના નાકમાં પ્રાણવાયુ ફૂંક્યો. બાદ પરમેશ્વરે તે પુરુષને એડનના બાગમાં મૂક્યો, અને સઘળાં ઝાડનાં ફળ ખાવાં; પણ સારું અથવા માઠું થવાના જ્ઞાનના ઝાડનું ફળ ખાવું નહીં, અગર ખાશે તો મરશે એવી આજ્ઞા કીધી. તે પુરુષનું નામ આદમ પાડ્યું, પછી તે આદમને ઘણી ઉંઘમાં નાંખીને તેની પાંશળીમાંથી એક પાંશળી કહાડી લઇ તે જગે માંસ ભર્યું, ને કહાડી લીધેલી પાંસળીની એારત બનાવી આદમ પાસે લાવ્યો, તેનું નામ ઈવ રાખ્યું. તે વખત એારત તથા મરદ નાગાં હતાં, તેને શરમ લાગતી નહીં. બાદ સાપની શિખવણીથી ઇવે જ્ઞાન વૃક્ષનું ફળ ખાધું ને પોતાના ધણીને પણ આપ્યું. તે વખત આપણે નાગાં છૈએ એવું તેઓને ભાન આવ્યું. બાદ તેઓએ અંજીરના પાતરાં તોડી તેનું વસ્ત્ર કરી અંગ ઢાંક્યું. બાદ ઈશ્વરે સર્પને એવો શાપ દીધો કે તું પોતાનું પેટ ઘસડીને ચાલશે, ને સર્વ કાળ તારે માટી ખાઇને રહેવું પડશે; અને તારે તથા માણસને હમેશ દુશ્મની રહેશે. તે તારું માથું ફોડશે; તું તેને કરડશે. બાદ ઈવને કહ્યું કે તું જણતી વખત કષ્ટ પામશે, ને તારા ઉપર તારા ધણીનો હુકમ ચાલશે. પછી આદમને કહ્યું કે, તારા કારણથી જમીનને શાપ છે તે એ કે, મહેનત કર્યા વગર તેમાંથી તને ખાવા મળનાર નથી, અને તું માટીમાંથી નિકળ્યો છે તેવો માટીમાં જશે. ત્યાર પછી આદમે પોતાની એારતનું નામ હવ્યા રાખ્યું. તેએાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. એવી રીતની હકીકત અમારા શાસ્ત્રમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ અમારા ઇસ્વી સન પહેલાં પાંચ હજાર વર્ષ થઈ છે.

ઘા૦— (કાજી તરફ જોઇને ) તમારા શાસ્ત્રમાં શી હકીકત છે ?

કાજી— અમારું ધર્મ પુસ્તક કુરાન છે. તેને કલમેશરીફ એટલે અતિ ઉત્તમ વચન તથા કલામુલા એટલે ઈશ્વરી વચન એમ કહે છે. તેમાંનો મજકુર અમારા પેગંબર મહમદ થયા તેને પરમેશ્વરે પોતાની મુબારક જુબાનથી કહ્યો. તે કુરાનમાં અમારો સઘળો આચાર વિચાર લખેલ છે. તસ્મુલ નામનો આરબી ભાષામાં અમારો ગ્રંથ છે. તેમાં સૃષ્ટિની પેદાશ વિષે એવું લખેલું છે કે પ્રથમ કાંઇજ હતું નહીં. પરમેશ્વરે પ્રથમ મહમદ મુસ્તેફાનું નુર એટલે તેજ પેદા કીધું તે તેજે બાર વર્ષ સુધી પરમેશ્વરની પ્રાર્થના કરી. બાદ તે તેજના પરમેશ્વરે ચાર ભાગ કીધા-૧ આનંદભુવન, ૨ કલમ, ૩ સ્વર્ગ, ને ૪ આત્મા. બાદ તે ચાર ભાગમાંથી બીજા ચાર ભાગ કર્યા. તેમાં પહેલામાંથી મહમદ થયા; બીજામાંથી બુદ્ધિ થઈ ત્રીજામાંથી લજ્જા ઉત્પન્ન થઇ ને ચોથામાંથી પ્રીતિ નિકળી. ત્યાર પછી કલમને આનંદભુવન ઉપર લખવાનો હુકમ થયો. તે ઉપરથી “લા ઈલ્લા ઈલલ્લાહ” એ પ્રમાણે કલમે ચારસો વર્ષ સુધી લખ્યું. બાદ “મહમદ રસુલુલ્લાહ” એમ લખવાનો હુકમ થયો. તે વખત “લા ઇલા ઇલલ્લાહ મહમદ રસુલ ઈલ્લાહ” એ રીતે લખ્યું. તેને અર્થ એ છે કે, પરમેશ્વર શિવાય બીજું કોઈ પૂજ્ય નથી, ને મહમદ એ પરમેશ્વરનો પેગંબર છે. તે પ્રમાણે લખતાં જ કલમની જુબાન ચીરાઇ ગઇ. તેથી કરીને હમણા પણ કલમને ચીર પાડ્યા વગર અક્ષર નીકળતો નથી. એ પ્રમાણે કલમની જુબાન ચીરાયા પછી આનંદ ભુવન ઉપર ૧૮૦૦૦ બુરુજ ઉત્પન્ન થયા ને દરેક બુરજને ૧૮૦૦૦ થાંભલા ઉભા થયા; તે દરેક થાંભલાને ૧૮૦૦૦ કંગેારા થયા; તે દરેક કંગોરેથી બીજે કંગોરે જવાને ૭૦૦ વર્ષ લાગે છે. દરેક કંગોરે ૧૮૦૦૦ કંદીલ કોરેલાં છે. તે એક એક કંદીલ એટલું મોટું છે કે, તેમાં આપણી પૃથ્વી સાત તબકની તથા આનંદભુવન તેમાંના સઘળા પદાર્થ સુદ્ધાં રહેલી છે. તે પણ જેમ જંગલમાં એક વીંટી પડી હોય તે પ્રમાણે રહેલા છે. આ પ્રમાણે થયા પછી ચાર દેવદૂત ઉત્પન્ન કર્યા. તેમાં એક નરરૂપ, બીજો વાઘરૂપ, ત્રીજો ગર્દભરૂપ, ને ચોથો ગાયરૂપ થયો ! તે ચારેના પગ પાતાળે ને ડોક આનંદભૂમિને લાગ્યા બાદ ચારેને આનંદભૂમિ ઉંચકવાનો હુકમ થયો. તે ઉપરથી તે ઉંચકવા લાગ્યા; પણ ઉંચકાયું નહીં. તે વખત ભૂમિ તથા આનંદભુવનમાં જે હશે, તે ઉપર તમારો અધિકાર ચાલશે, એવું તે ચાર દૂતોને પરમેશ્વરે ફરમાવ્યું. ત્યારબાદ પાછું આનંદભુવન ઉંચકવાની આજ્ઞા કીધી. તે કારણથી ફરીથી તે દૂતોએ ઘણી કોશીશ કરી; પણ ઉંચકાયું નહીં. ત્યારે પરમેશ્વરે તેએાને પ્રાર્થનાનો એક મંત્ર શિખવ્યો. તેનો જય તે દૂતોએ કરતાં જ આનંદભુવન તેએાથી ઉંચકાવા લાગ્યું. બાદ આનંદભુવન નીચે એક મોતી પેદા થયું. તેથી કરીને એક લખવાની પાટી પેદા થઈ; તેની ઉંચાઈ સાતસો વર્ષ સુધી ચાલીને જાય એટલી છે, ને પહોલાઈ ત્રણસો વર્ષના રસ્તા જેટલી છે. તે પાટી ઉપર લખવાની આજ્ઞા કલમને થઇ તે પાટી ઉપર પેદા થયલા પદાર્થ તથા પાછલા પ્રલયકાળ આવશે ત્યાં સુધી ઉત્પન્ન થનાર સઘળા પદાર્થોનાં નામ તે પાટી ઉપર લખ્યાં. બાદ પાટી મગરુર થઇ હાલવા લાગી, ને મારી બરાબર જગતમાં કોઇ નથી, એવું તેના મનમાં અભિમાન આવ્યું. તે ઉપરથી સર્વનો કર્ત્તા હું છઉં એવો ગેબી અવાજ થયો. તે વખત પાટીનો ગર્વ ઉતર્યો. બાદ મોતને આજ્ઞા થવા પછી તે ફેલાઈ ગયું. તેનું નામ કુરશી રાખ્યું. તેની નીચે એક બીજો મોતીનો દાણો પેદા થયો, તેની લંબાઈ તથા પોહળાઈ ૫૦૦ વર્ષના રસ્તા જેટલી હતી. બાદ તે મેાતી ઉપર પરમેશ્વરની નજર પડતાં જ તેનું પાણી થઈ ગયું. પછી ચાર દિશાના વાયુ ઉત્પન્ન થયા. તેમાંથી ધુમાડા સહિત અગ્નિ પેદા થયો. ધુમાડો જૂદો થઇને કુરશી તથા પાણીની દરમ્યાન નિરાધાર રહ્યો. તે ધુમાડાના સાત કકડા થયા, તેમાંના એકમાંથી પાણી, બીજામાંથી ત્રાંબુ, ત્રીજામાંથી લોહડું, ચેાથામાંથી રૂપું, પાંચમામાંથી સેાનું, છઠ્ઠામાંથી મોતી અને સાતમામાંથી માણેક ઉત્પન્ન થયાં ને તે સાત ભાગમાંથી સાત આસમાન પેદા થયાં. એક અસમાનમાંથી બીજા આસમાનમાં જવાને ૫૦૦) વર્ષનો રસ્તો છે. પાણી ઉપર ફીણ આવ્યું. તેમાંથી લાલ માટી પેદા થઈ. તે ઠેકાણે હાલ અમારી પવિત્ર જગા મક્કા છે. તે માટી પાથરી દેવાનું ચાર દૂતોને કહ્યું, તે વખત પૃથ્વી થઇ. તે પાણી ઉપર તરી. તે ડગમગે નહીં તેસારુ તે ઉપર એક પર્વત મૂક્યો. તેને અમે કોહેકાફ કહીએ છૈયે, અને હિંદુઓ મેરુ પર્વત કહે છે. તે પર્વતની પ્રદક્ષિણા કરવાને બે હજાર વર્ષ લાગે છે. પૃથ્વીમાં પહેલાં સાત દિવસ ઉત્પન્ન થયા. તેમાં રવિવારને દિવસ આનંદભુવન ઉંચકનારા દૂતો થયા. સોમવારે સાત આસમાન થયાં. મંગળવારે સાત તબકની પૃથ્વી થઇ. બુધવારે અંધકાર ઉત્પન્ન થયું. ગુરુવારે જમીન ઉપરની સઘળી ઉત્પત્તિ થઇ. શુક્રવારે સૂર્ય, ચંદ્ર અને તારા થયા ને તેએા ગતિમાન થયા. શનિવારે પરમેશ્વર નિરાંત કરી બેઠા. બાદ સ્વર્ગમાંના ચાર દૂતોને પૃથ્વી ઉપરથી એક મુઠ્ઠી ભરીને માટી લાવવાનું કહ્યું. તે ત્રણ જણ લાવ્યા નહીં. ચોથો માટીને પહેલા આસમાનમાં લાવ્યો. ત્યાં વરસાદ થયો, તેથી તે માટી બે વર્ષે નરમ થઇ. તેની ગાર બની. ચોથે વર્ષે તે માટીનો લાંબો આકાર થયો. બાદ છઠ્ઠે વર્ષ ફૂલી ગઇ. આઠમે વર્ષ તેનું પુતળું થયું. તે આદમ થયો. ત્યાર બાદ ચાળીસ દિવસે તે પુતળાને ઈંદ્રિયો થઇ. બાદ નાકમાંથી પ્રાણાત્મા પુતળામાં પેઠો, તેવી તેણે આંખો ઉઘાડી. બાદ તેને માંસ, ચામડું, હાડકાં તથા ત્વચા થયાં. તે વખત પહેલા આસમાન ઉપરના સઘળા દૂતો તેને પગે લાગ્યા. એક અજાજીલ કરીને દૂત હતો તે ફક્ત પગે લાગ્યો નહીં. તે ઉપરથી પરમેશ્વરે તે દૂતને સેતાન બનાવ્યો. ત્યારબાદ આદમને છઠ્ઠા આસમાનમાં લઇ ગયા. ત્યાં પેાતાની યોનિને કોઇ બીજાએ જોઇ નહીં, તેથી તેને સારું લાગ્યું નહીં. તે વખત તેને ઉઘાડી દીધો, ને એક દૂતની પાસે તેની ડાબી કુખમાંથી પાંસળી કહડાવી; તેની હવ્યા બનાવી. બાદ આદમને જાગૃત કર્યો. તેની સાથે હવ્યાનું લગ્ન કરીને બંને જણને સ્વર્ગભુવનમાં રાખ્યાં, અને સઘળા પદાર્થ ખાવા; પણ ઘઉંના ઝાડ પાસે જવું નહીં ને તેના દાણા ખાવા નહીં, એવી તેઓને આજ્ઞા કરી. ત્યાર પછી સેતાન મેારની મદદથી સ્વર્ગમાં જઇને સાપના મોહમાં પેઠો. બાદ તે સાપની શિખવણીથી હવ્યાએ ઘઉંના ત્રણ દાણા લીધા. તેમાંનો એક દાણો પોતે ખાધો, ને બાકીના બે દાણા આદમને આપવા લાગી, તે તેણે લીધા નહીં. ત્યારે તેને એક દારુનો પ્યાલો પાયો. તે બેશુદ્ધ થયા પછી ઘઉંના બે દાણા મોહોમાં ઘા૯યા. તે આદમના ગળામાં ઉતર્યા ન ઉતર્યા તેટલામાં તેના માથા ઉપરનો મુગટ નીચે પડ્યો ને તે પણ સિંહાસન ઉપરથી પડી ગયો ને બંને નાગા થઇ ગયાં. તે વખતે બંને જણાંએ અંજીરના ઝાડ પાસે જઇને તેનાં પતરાં લઇને તે થકી પોતાનાં શરીર ઢાંક્યા. તે ઉપરથી ઈશ્વરે તે ઝાડને આશીર્વાદ દીધો. બાદ બંને જણ ઘેલાં થયા, વાસ્તે તમે વેર ભાવે રહેશો, એવો તેઓને શાપ દીધો; અને મોર, સાપ તથ સેતાનને પૃથ્વી ઉપર વસવાનું ફરમાવ્યું; અને આદમને સિંહલદ્વીપમાં મોકલ્યો. હવ્યાને ખુરાસાન, મેરને સિસ્તાન, સાપને ઈસ્પીહાન ને સેતાનને દમાવદના પહાડ ઉપર મોકલ્યાં. સાપને ઉંટની પેઠે ચાર પગ હતા, તે તેની પાસેથી લઇને પેટ ઘસડીને ચાલવું ને માટી ખાવી એવો શાપ દીધો. આદમ સિંહલદ્વીપમાં ૪૦ વર્ષ, ને કોઈ કહે છે કે ત્રણસો વર્ષ સુધી ગમગીન રહ્યો. તેનાં આંસુ પડ્યાં તેમાંથી ખજુર, લવેંગ ને જાયફળ થયાં. હવ્યા પણ પેાતાની જગેાપર રડ્યા કરતી હતી. તેના આંસુથી ત્યાં મેંદી, ગળી, સુરમો અને મેાતી થયાં બાદ જબ્રાઇલ ફિરસ્તો આદમને જાત્રા કરવા સારુ લઈ ગયો. તે નિકળીને ચાલ્યા ને જે જે જગે પગ મૂક્યો, તે તે જગે ગામ વસ્યું; ને જે ઠેકાણે મુકામ કર્યો ત્યાં શહેર વસ્યું. તે સિંહલદ્વીપથી નિકળીને મક્કે ગયા; ત્યાં સુધીમાં ત્રીસ પગલાં થયાં. ત્યાંથી તેઓ એક પહાડ ઉપર હવ્યા હતી ત્યાં ગયા. તેની મુલાકાત થયા પછી જબ્રાઈલે તેના બંને હાથ ઉપર પાંચ પાંચ પાંખ હતી, તે પાંખથી આદમની પીઠ થાબડી, તેથી માણસ પેદા થયા.

દોજખ એટલે નરકલોક પેદા કર્યું, તેનું અદ્ભૂત વર્ણન કરેલું છે, તેમાંનું થોડુંક કહું છું. તે નરકલોકમાં ૧૯ દૂત ઉત્પન્ન કર્યા છે. તે એક એકની એકેકી બાજુએ, ૭૦૦૦૦ સિત્તેર હજાર હાથ છે. તે એક એક હાથને ૭૦૦૦૦ સિત્તેર હજાર પંજા છે. દરેક પંજાને ૭૦૦૦૦ આંગળાં છે. દરેક આંગળા ઉપર એક એક સાપ છે. દરેક સાપની લંબાઈ ૭૦૦૦૦ વર્ષના રસ્તા જેટલી છે ને એક એક સાપના માથા ઉપર એક એક વીંછી છે. તે જ્યારે એક ડંખ મારે છે ત્યારે ૭૦ વર્ષ સૂધી માણસ તરફડ્યા કરે છે; તે ૧૯ દૂતની ડાબી બાજુને હાથે એક એક આંગળી ઉપર એક એક અગ્નિનો થાંભલો છે. નરકલોકને સાત દરવાજા છે. તે દરેક દરવાજા ઉપર સદરહુ દૂતોમાંના એક એકને ઉભો રાખેલો છે.

ઘા૦— દસ્તુરજી–તમારા શાસ્ત્રમાં શી રીતે છે ?

દસ્તુ૨જી— અમારે પેગંબર જરતોસ્ત ઉર્ફે ઝરોસ્તર ઇરાન દેશમાં પેદા થયો. તેણે ઝદઅવસ્તા કરીને ગ્રંથ લખેલો છે. તે અમારું શાસ્ત્ર છે. તે ઉપરથી તથા બન્દેહશ નામના ગ્રંથ તથા બીજા કેટલાક ગ્રંથો છે તે ઉપરથી માલુમ પડે છે કે, પ્રથમ શુદ્ધ તેજમાંથી હોર્મજ, એટલે પરમેશ્વર થયો. તેણે એક વર્ષમાં સૃષ્ટિ છ મરતબે ઉત્પન્ન કરી. પહેલી વખત એટલે શીરુના બે મહીનામાં પરલોક ઉત્પન્ન કર્યું. બીજી મરતબે પાણી ઉત્પન્ન કર્યું. ત્રીજી મરતબે પૃથ્વી બનાવી. ચોથી વખત ઝાડ કર્યાં. પાંચમી વખત પશુ તથા જીવજંત બનાવ્યાં. છઠ્ઠી મરતબે માણસ ઉત્પન્ન કર્યાં. આ છ વખતોને અમે ગંબાર કહીએ છીયે. અમારો મુખ્ય ધર્મ એ છે કે, અગ્નિ એ પરમેશ્વરરૂપ છે ને સૂર્ય ઈશ્વરનો દૂત છે, માટે તેનું પૂજન કરવું. અમારા મૂળ ગ્રંથોનો ઘણો ભાગ નાશ થઈ ગયો, તેનું કારણ એ કે, અમારું રાજ લાંબી મુદત સૂધી ઈરાનમાં હતું ને અમારા ધર્મનું નામ માગી ધર્મ હતું. તે ધર્મ આસરે ૧૨૦૦ વર્ષ સુધી ઘણી મજબૂત અવસ્થામાં તે દેશમાં રહ્યો. બીજા ધર્મવાળા લોકો સાથે અમારી જાતના બાદશાહને હમેશા લડાઈ ચાલ્યા કરતી. આખરે ઈસવી સન ૬૪૧ માં નાહાવેદના મેદાનમાં અમારા એઝદેઝર્દ બાદશાહે દોઢ લાખ ફોજ એકઠી કરીને મુસલમાની ધર્મના લોકો સાથે લડાઈ કરી. તેમાં અમારી તદ્દન હાર થઇ, સઘળું રાજ ગયું. મુસલમાન લોકોએ અમારાં ઘરબાર તથા અગિયારીઓ લૂટીને તેનો નાશ કર્યો. જે જે ઠેકાણેથી અમારા ગ્રંથો તેએાને હાથ આવતા હતા, તે તે જગાએ તેને બાળી નાંખતા. મહમદી ધર્મ જે પાળવાનું કબુલ કરતા નહીં તેનાં બૈરાં, છોકરાં સુદ્ધાંને તેઓ કતલ કરી નાંખતા હતા. તે વખત અમારા ધર્મના લોક સીસ્તાન, ખુરાસાન તથા બીજે કેટલેક ઠેકાણે તથા પર્વત તથા રાનમાં જેને જે રસ્તો સુઝ પડ્યો, તે તરફ નાશી ગયા. ત્યાં પણ તેની પાછળ મુસલમાનો લાગ્યા. તે વખત રહી ગયેલા અમારી જાતના લોકો ઝાઝમાં બેસીને કોંકણ કાંઠે આવવાને ઘણે ઠેકાણે ઉતરવાની મહેનત કીધી. આખરે સજાણ કરીને ઉત્તર કોકણમાં જગ્યા છે, ત્યાંના રાજા સાથે કરારનામું કરીને ત્યાં રહ્યા. પછી પ્રથમ આતસબેહેરામ એટલે અગ્નિકુંડ તે જગાએ શુદ્ધ કર્યો. આતસબેહેરામ શુદ્ધ કરવાને એક હજાર ને એક જાતના અગ્નિ જોઇએ; સજાણની અગિઆરીમાંનો અગ્નિ ઇરાનથી લાવ્યા હતા. બાદ સજાણથી આતશબેહેરામ ઉઠાવી ઉદવાડે લઈ જઈને ત્યાં સ્થાપના કરી ને ત્યાં હજી સૂધી છે. અમારી તમામ જાતના લોકોનો એક જ પંથ હતો. થોડા વર્ષ પછી શાલની ગણતરી કરતાં હિસાબમાં તકરાર પડવાથી બે તડ થયાં. એક રસમી ઉર્ફે શેનશાહી ને બીજું કદમી એટલે ચુડીગર. તેમાં કદમીના ફિરકામાં ઘણા લોક છે. બેઉ ફિરકાવાળાઓમાં જમવા જમાડવાનો તથા લગ્ન કરવાનો વ્યવહાર છે. તે એક આતશબેહેરામના દેવળમાં દર્શન કરવા જાય છે અને રસમીનો કદમી ને કદમીનો રસમી થાય છે. અમારા આચાર્યોને દસ્તુર કહે છે. ઉપાધ્યાયનું કામ કરનાર લોક બીજા છે, તેને મોબેદ કહે છે. તે સઘળા હમેશ સફેદ કપડાં વાપરે છે, કાળાં કપડાં પહેરતા નથી; કેમકે અમારા પેગંબરે એવું કહેલું છે કે, હોરમજ એટલે પરમેશ્વર જે વખત સફેદ અને શુદ્ધ તેજમાંથી નિકળ્યા, તે વખત અહરીમાન નામનો દૈત્ય અંધકારમાંથી પ્રગટ થયો, ને તેની કીર્તિ તથા સ્વભાવ અંધકાર જેવાં હતાં. પરમેશ્વરે સદ્ગુણરૂપી છ દૂત પેદા કર્યા. તો અહરીમાને દુર્ગુણુરૂપી દૂત પેદા કર્યા. તે કારણથી હોરમજ અને અહરીમાન એ બે વચ્ચે વાદ ચાલ્યો. એક સારાં પશુ, વૃક્ષ, પક્ષી ઉત્પન્ન કર્યાં, ત્યારે બીજાએ ખરાબ પેદા કર્યાં. આ પ્રમાણે તરફેનોના હાથથી સૃષ્ટિની રચના થઇ છે. અહરીમાનનો રંગ અપવિત્ર ગણાય છે.

ઘા૦— આ વાત તો ઘણી જ લાંબી છે. હશે, એક સવાલ પૂછીને કચેરીમાં જાઉંછું. પાદ્રી સીનોર, તમારી જાતમાં બાયડી બીજો ધણી કરી શકે છે કે નહીં ?

પાદ્રી— હા, કરી શકે છે. અમારા તથા દસ્તુરજીના ધર્મમાં વિધવા ઓરતને એક મુવા પછી બીજો ને તે મુવા પછી ત્રીજો, એ રીતે ઘણા ધણી કરવાની કોઇ મનાઇ કરેલી નથી.

શાસ્ત્રી— (હસીને પ્રપંચથી) અમારું શસ્ત્ર જુઓ, કેવું ઉત્તમ છે ? સ્ત્રીનો ધણી મુવા પછી તેણીએ સતી થવું, એ તેનો મુખ્ય ધર્મ કહેલો છે. પણ તે તેથી ન બને તો તેણીએ બ્રહ્મચર્ય પાળવું ને દેવની સેવામાં ઉંમર પૂરી કરવી. પાદ્રી તથા દસ્તુરજીની જાતની ઓરતોને પશુ પ્રમાણે એક પછી એક નવો ધણી કરવો એવું છે, એમાં શું ધર્મ રહ્યો ?

પાદ્રી— (થોડા ગુસ્સામાં આવીને ) સૌને પોતાનો ધર્મ સારો લાગે છે; પણ પરમેશ્વરની પાસે મુખ્ય ઇનસાફ છે. તેની પ્રીતિ સઘળા ઉપર સરખી છે; તેને ત્યાં પક્ષપાત નથી. ખરું ખોટું સમજવાની બુદ્ધિ તેણે માણસ માત્રને આપી છે. તે દ્વારે જોતાં તમારું આચાર શાસ્ત્ર પક્ષપાતથી ભરેલું દેખાય છે. કારણકે, નામના બ્રાહ્મણ હોય એટલે થયું. પછી તેનાં આચરણ ગમે તેવાં હોય. તેને સઘળા પગે લાગે છે. બ્રાહ્મણ બીજી જાતની ઓરત સાથે વ્યભિચાર કરે તો તેને ગામબહાર કહાડવો એ મોટી સજા થઇ; ને જ્યારે બ્રાહ્મણી સાથે બીજી જાતનો સખસ કુકર્મ કરે ત્યારે તે બંનોએ દેહાંત પ્રાયશ્ચિત્ત કરવું. બ્રાહ્મણને દ્રવ્ય જડે તો તેણે જ લેવું; બીજી જાતના આદમીને જડે તો નીમે સરકારમાં આપવું ને નીમે બ્રાહ્મણને આપવું. કોઇ બ્રાહ્મણનો વંશ જાય, તો તેની માલ મીલકત બ્રાહ્મણોને વહેંચી આપવી ને ધણી પોતાના મોતથી મરે તો તેની સ્ત્રીએ આત્મહત્યા કરવી. જો ઓરત મરણ પામે તો પુરુષે જોઇએ તેટલી સ્ત્રીઓ કરવી. આ કયા ગામનો ઈનસાફ છે, તે અમારી અક્કલમાં આવતું નથી. જ્યારે અમારા ધર્મની એારતનાં આચરણ શાસ્ત્રી બાવાના મત પ્રમાણે પશુવત છે ત્યારે અમારા મત પ્રમાણે શાસ્ત્રી બાવાના ધર્મશાસ્ત્રને ધર્મશાસ્ત્ર કહેવું, બિલકુલ શોભતું નથી. દસ્તુર— પાદ્રી સીનોર – એટલી ભાંજગડ શું કરવા જોઇએ? આફ્રિકા ખંડમાં કેટલાક લોકો છે; તેઓની પાસે વેદ પુરાણ કાંઈ જ ન છતાં તે જંગલી લોકોમાં એવી ચાલ છે કે, ધણી મરે તો તે સાથે સ્ત્રીને, અને સ્ત્રી મરે તો તે સાથે પુરુષને દાટી નાંખવાં. તેમાં કાંઇ સરખાઇ છે તેવો ધર્મ બ્રાહ્મણોની પોથીમાં લખ્યો હોત તો પછી, ઉત્તમ શાસ્ત્ર એ નામ તેના ગ્રંથને શોભત. પણ તેમ કાંઈ નથી. મને થોડું સંસ્કૃત માલુમ છે; તે કારણથી હિંદુ લોકના જૂના ગ્રંથ મારા જોવામાં આવ્યા છે. તે ઉપરથી તો એવું સિદ્ધ થાય છે કે, વિધવા સ્ત્રીઓએ પુનર્વિવાહ કરવાની તેઓને આજ્ઞા છતાં ફકત બ્રાહ્મણ લોકોએ, સ્ત્રીઓએ બીજો ધણી કરવો નહીં, એવું પોતાના મનથી જ શાસ્ત્ર કહાડેલું છે.

ઘા૦ — કેમ શાસ્ત્રી બાવા, આ શું કહે છે, સાંભળો ;-

શા૦— દસ્તુર કેહ છે તેવો શાસ્ત્રાર્થ નિકળે તો ઘણું તો શું; પણ કોટમાંની જનોઈ તોડીને તેના પગ ઉપર મૂકું, આટલી પ્રતિજ્ઞા કરું છું.

દ૦— ઠીક છે, હું આપનો (વિદ્યાર્થી) છૌં, ને તે બતાવ્યા પછી એક સવાલ કરું છું, તેનો જવાબ આપ કૃપા કરીને આપો.

શા૦— જે કાંઈ પૂછવાનું હોય તે પૂછો : મારી બુદ્ધિ પ્રમાણે હું જવાબ દેવાને તૈયાર છું.

દ૦— શાસ્ત્રીબાવા ! પરાશરસ્મૃતિ, મનુસ્મૃતિ તથા મહાભારત એ ગ્રંથો ઉપર આપની શ્રદ્ધા છે કે નહીં?

શા૦ — હા. એ ત્રણે ગ્રંથ અમારે પગે લાગવા જોગ છે. અહીં સૂધી મેાટા જોસથી બોલવું થયા પછી દસ્તુરજીએ પોતાના સીપાઇને ચીઠ્ઠી લખી આપીને પારાશર સંહિતા તથા યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, એ ગ્રંથો લાવવા મોકલ્યો, ને મહાભારત, એ ગ્રંથ કોટવાલના ઘરમાં હતો, તે શાસ્ત્રીબાવાએ લાવીને દસ્તુરજીની રુબરુ મૂક્યો. તે ઉપરથી દસ્તુરજીએ તે ગ્રંથમાંથી અધ્યાય શેાધી કહાડી નળ દમયંતીનું આખ્યાન વાંચી બતાવ્યું.

દ૦— અરે શાસ્ત્રીબાવા ! સ્ત્રીએ પુનર્વિવાહ કરવાને ખરે તમારા શાસ્ત્રે અટકાવ કરેલો છે એમ કહે છો; પણ નળ રાજા ગુમ ગયો, તે વખત તેની પટરાણી દમયંતીના પુનર્વિવાહ કરવાની તૈઆરી કરી હતી, એવું તેના બાપ ભીમકરાજાએ પોતાના ઘરશાસ્ત્રીથી અયોધ્યા જઈને ત્યાંના રાજા ઋતુપર્ણને કેમ કહ્યું? ને સ્ત્રી પરણવા સારુ તે શા વાસ્તે આવ્યો?

શા૦— દમયંતીનાં ખરેખરાં બીજીવાર લગ્ન કરવાનાં નહોતાં, એ તો નળરાજાની શોધ લગાડવા સારુ એ યુક્તિ કરી હતી. દ૦— શાસ્ત્રીબાવા ! કાંઈ વિચાર કરીને બોલો. સ્ત્રીનો પુનર્વિવાહ કદી થતો જ નથી, એવું કહેનાર અયોધ્યાના રાજાની પાસે કોઈ શાસ્ત્રી અથવા પંડિત હતા કે નહીં ? ને તે રાજા શું બેવકુફ હતો કે?

શા૦— બીજા તમારા ગ્રંથો સીપાઈ લાવ્યા છે, તેમાંથી જે કાઢવાનું હોય તે કાઢો; પછી હું બધાનું એકદમ ખંડન કરું.

દ૦— યાજ્ઞવલ્કય સ્મૃતિમાંથી વ્યવહાર પ્રકરણ કહાડીને ઋણાદાન પ્રકરણ વાંચ્યું: તેમાં મરેલાં માણસ ઉપર કરજ આપેલા વિષે જે લખ્યું છે; તેમાં મરનાર માણસની એારતને જે કોઈ લે, તેણે મરનારના તરફનું કરજ આપવું એવું યાજ્ઞવલ્ક્ય ઋષિનું વચન વાંચી બતાવ્યું ને પારાશર સ્મૃતિમાંથી:–

नष्टे मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ
पंचस्वापत्सु नारीणां पतिरन्योविधीयते १

આ વચન કહાડીને મોહોડા આગળ મૂક્યું ને બોલ્યો કે, અરે શાસ્ત્રીબાવા ! પારાશર ઋષિના વચનમાં ધણી ગુમ થયા પછી તેની ખબર ન મળે, તે મરે, તે બેફિકર થાય, તે નામર્દ માલુમ પડે, અથવા પતિત થાય એવે પ્રસંગે એારતે બીજો ધણી કરવો એવો અર્થ છે. તે પ્રમાણે નળરાજા ગુમ થયો હતો, તે વખત દમયંતીનાં ફરી લગ્ન કરવાનું ઠરાવેલું, એ ખરું એવું અયોધ્યાના રાજાના સમજ્યામાં આવ્યું.

શાસ્ત્રી— એમાં શું સિદ્ધ કર્યું? એારતે બ્રહ્મચર્ય પાળવું, એવું બીજા ઘણા ઋષિઓએ કહેલું છે.

દ૦— કયા કયા? તે ઋષિનાં નામ કહી બતાવો.

શા૦— હું તેનાં નામ તમારે સારુ લખી લાવ્યો નથી.

દ૦— આપને માલુમ નથી તો તે હું બતાવું છું. ધર્મશાસ્ત્ર લખનારા મુખ્ય ભાનુ, ગૈાતમ, શંખલિખિત અને પરાશર વગેરે ઋષિઓ હતા. મનુએ પોતાના ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે, જૂદા જૂદા યુગોના જૂદા જૂદા ધર્મ છે; ને પારાશર સંહિતામાં:–

कृते तु मानवाधर्मा स्त्रैतायां गौतमाःस्मृताः
द्वापरे शाखलिखिताः कलौ पाराशराःस्मृताः

આ વચન આપ વાંચીને અર્થ કરશો એટલે, પારાશરઋષિ શિવાય બીજા ઋષિનાં વચન કળિયુગમાં ઉપયોગી નથી, એવું ઉઘાડું જણાશે.

શાસ્ત્રી— પાખંડ મતવાળા સાથે ભાંજગડ કરવી કામની નથી. હવે સાંજ પડી સંધ્યાનો સમય થયો; વાસ્તે, કોટવાલ સાહેબ, રજા લઉંછું.

પાદ્રી— કોટવાલ સાહેબ, પ્રતિજ્ઞા પ્રમાણે શાસ્ત્રી બાવાની જનોઈ દસ્તુરજીના પગ ઉપર મૂકાવી રજા આપવી જોઈએ.

એ પ્રમાણે પાદ્રી બોલ્યા પછી કોટવાલ સાહેબે મજાકમાં હસી કહાડીને સઘળાને રજા આપી.

--¤¤¤¤¤¤¤¤--