તુલસી-ક્યારો/'હવે શું વાંધો છે?'

વિકિસ્રોતમાંથી
← માતા સમી મધુર તુલસી-ક્યારો
'હવે શું વાંધો છે?'
ઝવેરચંદ મેઘાણી
અણધાર્યું પ્રયાણ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ પચીસમું
'હવે શું વાંધો છે?'

સાંકડી શેરીમાં અંધારી રાતે ચાલ્યા જતાં બે નાનાં છોકરાં જેવી આ દેરભોજાઇની સ્થિતિ બની ગઇ. બેઉના પેટમાં બીક હતી, છતાં બેઉ એક બીજાની ઓથે હિંમતવાન બની રહ્યાં. ભદ્રા પોતાના હૃદયના સુંવાળા સળવળાટોને દેરના ચારિત્ર્યનો ડર દેખાડી ડારતી ગઈ, ને વીરસુતના અંતરની ભૂતાવળોને વીરસુત હાકલ્યે ગયો કે શુદ્ધ સાત્વિક રંડાપો પાળનારી આવી ભગવતી ભોજાઈને જો આંહીં જરીકે પોતાનું અપમાન થયાનો વહેમ આવશે તો એ પાણી પીવા પણ ઊભી નહિ રહે. ને એ જશે તો આ સંસારની અધારગલ્લીમાં મારો એકનો એક સાથ તૂટી જશે.

નિર્ભય બનતી જતી ભદ્રા પરોડિયાની પૂજામાં પહેલાં જે શ્લોકો મનમાં મનમાં બોલી લેતી તે હવે સુંદર રાગ કાઢીને મોટેથી ગાવા લાગી. એના પ્રભાતી સૂરો વીરસૂતનાં લોચનો ઉપર મીઠી પ્રભાત - નિદ્રાનાં મશરૂ પાથરતા થયા.

મૂંડાયેલા મસ્તક પર ભાભીના વાળના નવા કોંટા, ચારેક દિવસના 'જવેરા' જેવડા દેખાયા ત્યારે અષાઢ મહિનો ચાલતો હતો. એવા એક દિવસે વીરસુત ઉદાસીભર્યો ઘેર આવ્યો. નમતા બપોર હતા. આકાશની વાદળીઓમાં કોઇક ઢેઢગરોળી જેવી જાણે નાની વાદળીઓ રૂપી જીવડાંને ગળતી હતી, તો કોઈક પાડો ને ભેંસ જેવી ભાગાભાગ કરી સૂર્યનાં કનકવરણાં ખેતરો ખૂંદી નાખતી હતી.

આવીને એણે ઓરડામાં જતાં જતાં ભાભીના સાંધણ સીવણના ઢગલા ઉપર એક ટપાલનું કવર ફેંક્યું ને એના ચઢેલા મોંમાંથી ફક્ત ત્રૂટક જ વાક્ય પડ્યું કે : બાપુજીનો કાગળ...'

તે પછી કોણ જાણે શા યે બબડાટ વીરસુતને ઓરડે ચાલુ રહ્યા.

કાગળ વાંચીને ભદ્રાએ પાછી એની ઘડી કરી. ઘડી કરવામાં વીરસુતે ભૂલ કરી હતી તેથી મૂળ ઘડીઓ ને નવી ઘડીઓ વચ્ચે અડાબડ થઇ હતી. પરબીડીઆમાં કાગળ બરાબર સમાયો નહિ એથી ભદ્રાએ કગળ ફરી બહાર કાઢી એની અસલ ઘડીઓ મુજબ એને સંકેલ્યો, ને પછી કવરમાં મૂક્યો. સાંધણાં સાંધી રહી ત્યાં સુધી ઊઠી નહિ. વીરસુતના બબડાટો ચાલતા હતા તે તરફ કાન માંડી રહેલી ભદ્રાનું મોં ઘડીક મલકાટ કરતું હતું ને ઘડીક ઝાંખું બનતું હતું.

ચહાનો વખત થયે ચહા બનાવીને પોતે અંદર આપવા ગઈ ત્યારે એ ત્યાં ઊભી રહી. વીરસુતનું મોં મધમાખોએ ચટકા ભર્યા જેવું જાણે સોઝી ગયું હતું. ને એવા મોંએ વીરસુતની શકલ આખી બદલાવી નાખી હતી. એ મુખમુદ્રા કોઇ કૉલેજ ભણાવતા પ્રૌઢ પ્રોફેસરની કે કોઇ જીવનભગ્ન, હતાશ કટુતાભર્યા માનવીની નહિ, પણ રિસાઈને બેઠેલા કોઈ એક કિશોર બાળકની હતી. ચહા પી લીધા સુધી યે એ કશું ન બોલ્યો ત્યારે ટ્રે ઉપાડતી ભદ્રાએ જ વાતનો પ્રારંભ કર્યો 'બાપુજીનો કાગળ મેં વાંચ્યો ભૈ!'

'ઠીક.' વીરસુત એટલું બોલી પોતે ઉતારી નાખેલાં ચશ્માં ચઢાવવા લાગ્યો, જાણે એનું કશુંક વાંચન ખોટી થતું હતું. પણ ભદ્રાના ધ્યાનમાં હતું કે એની નજીક એકે ય ચોપડી, છાપું કે પરીક્ષાનો જવાબપત્ર પડ્યો નહોતો.

'જવાબ કશો લખ્યો ભૈ?' ભદ્રાએ બોલતે બોલતે ચહાની ટ્રે બે હાથમાં ઝાલી હતી તેને, પૂજાનો થાળ કે પીરસણાનો ખૂમચો ઉપાડે એ રીતે પોતાના ડાબા હાથની હથેળીમાં ખભાને ટેકે ઉપાડી લીધો.

'જવાબ શું લખવો છે? તમે કહો તે દિવસની ગાડીમાં...'

એથી વધુ આગળ ન વધી શકેલું વીરસુતનું વાક્ય, માર્ગમાં રોદો આવે ને જેમ ભાર ભરેલ ગાડું ઊથલી પડે તેમ અટકી ગયું.

'મને લાગે છે ભૈ, કે અનસુ સંતાપતી હશે ને યમુના બેનનું બાપડીનું પાછું ઠેકાણું નહિ રહ્યું હોય. એ જ ખરૂં કારણ હશે. બાપુજીએ નીચે જે ટાંક મારી છે તેનું કશું ય એવું...'

ભદ્રા પણ વાક્ય પૂરું કરી ન શકી. એને લાગ્યું કે દેરનો અત્યારનો ગુસ્સો સસરાજીએ કાગળમાં નીચે મારેલી ટાંકને આભારી હશે. એ નીચે મારેલી ટાંક આ હતી કે 'ગામલોકોને મોંએ પણ કાંઈ હાથ દેવાતો નથી ભાઈ ! ભદ્રા તારા ઘરમાં એકલાં રહે તેની આપણાં જ્ઞાતિજનોને આંહીં બેઠે પણ ચિંતા થાય છે. આપણી ફરજ લોકાપવાદને વધુ કારણ ન આપવું તે છે.'

'મને કારણનું કાંઈ નથી.' મોં પર તો તોબારો ચડ્યો હતો તેને જ સુસંગત એવા અવાજે આ શબ્દો વીરસુતે ઉચ્ચાર્યા; ને ચોપડી લેવા એના હાથ ત્યાં બેઠે બેઠે આંબી શકે એવું ન હોવાથી એણે પોતાની હથેળીની રેખાઓ વાંચવી શરૂ કરી દીધી.

'એ તો હું બાપુજીને કહીશ ભૈ ! કે તમે મારી પ્રતમ્યા જે રીતે સાચવી છે તે તો સગી માના જણ્યા જેવી... તમે... તો... મને આંહી કશી ફાળ ફડક ઓછી હતી ભૈ! પણ મારા પિયરિયાનાં પિત્રાઇઓ ત્યાં આપણે ગામ રહેવા આવેલ છે ખરાં ને ભૈ, એમનો મૂવાનો એવો સ્વભાવ છે વાંકું જોયાનો. એ વગર બીજું કોઇ બોલે તો નહિ. શરશતી કાકી વાતવાતમાં બોલ્યા હોય તો કોણ જાણે. બાકી રેવતી મામી કે લક્ષ્મી ભાભુ તો મને બરાબર જાણે છે, એ તો પોતાની જીભ કચરી નાખે તેવાં છે; હશે ભૈ, કોક બોલે તેનું તો કશું નહિ, પણ મારા માવતરને કેવાં ફફડાવ્યાં હશે ! સારું થજો બોલનારનું. બીજું શું?'

બોલતી બોલતી ભદ્રાની આંખો ઊંચે સીલીંગની અંદર જાણે કે આંકા પાડતી હતી.

'પણ મેં કહ્યું ખરું ને ભૈ, ખરું કારણ એ નહિ જ હોય. એ તો બાપુજીને મારી અનસુએ ને કાં યમુના બેને અકળાવ્યાં હશે. મેં અનસુને પોરની સાલ જવેરા વાવી દીધાં હતા ને, તે આ વખતે પણ મેં અહીં એક વાટકી વાવ્યા ત્યારે જ મને થતું'તું કે અનસુ બાપુજીને રંઝાડી રહી હશે. એને મા તો શું સાંભરે બૈ! નાનું બાળક તો જેની જોડે હળે તે એની મા; પણ એને બરડામાં હાડકું વધે છે ને, તેની પીડા જ ઊપડી હશે. હાડકા માથે ચોળતી તો હું પોતે જ ખરીને, એટલે બાપુજીને બાપડાને ક્યાંથી ખબર કે ક્યાં કેટલું દબાવીને કઇ રગ ઉપર ચોળવું ! ચોળવાનું તેલ પણ ખૂટી ગયું હશે, ને હું મૂઈ કોઈને કહી યે નથી આવી કે તેલમાં શી શી જણશ કકડાવવાનું મારી બાએ મને કહેલું. એટલે સૌ મૂંઝાયા હશે.'

આટલા લંબાણથી વાતની વિગતમાં ઊતરવાની ભદ્રાએ કોઇ કોઇ વાર વૃત્તિ થઈ આવતી. પણ એ જ્યારે કોઈ વાતની વિગતમાં ઊતરી પડે ત્યારે એનો સ્વભાવ જાણનારાં નિકટનાં સંબંધી શ્રોતાઓ સમજી જતાં કે વાતની વિગતે ચડવાનો એ પ્રયત્ન ગવૈયા પોતાના ગળાના તંગ બનેલા સ્વરતંતુઓને ઠેકાણે લાવવા જે રાગડા કાઢવાનું મંથન કરે છે તેને મળતો હતો. ભદ્રાને અનસુ એવી તો સાંભરી આવી હતી કે જો આટલી વિગતથી વાત કરવામાં એ ન ચડી ગઈ હોત તો અધરાત સુધી એનું રુદન વિરમત નહિ.

આ રહસ્યના અણજાણ વીરસુતે ધારાબંધી વાત કહ્યે જતી ભદ્રાને હોંકારો તો દીધો નહિ, પણ સામું સરખું ય ન જોયું. વાત પૂર થઈ એટલે એણે પૂછ્યું, 'બોલો, કયા દિવસનું લખી નાખું?'

'પરમ દિવસનું લખો ભૈ ! ના રહો, પરમે તો બુધવાર આવે છે. આપણે દેર ભોજાઇ દેખી પેખીને બુધવારે જુદા નહિ પડીએ. વળતે દા'ડે ગુરુવારે નહિ ને શુકરવારે...'

'આજે રાતે શો વાંધો છે?' વીરસુત કેમ જાણે ભદ્રાને કાઢી મૂકવા માગતો હોય તેવા તોછડા સુરે બોલી ઊઠ્યો.

'એમ કંઈ ઘર રેઢું મેલીને ચાલી નીકળાય છે ભૈ ! હજુ બધું ઢાંકવું ઢૂંબવું છે, હજી સાંધવાન તૂંનવાના કપડાં બાકી છે, હજુ મેં નવાં મગાવેલાં અનાજને સાફ કરાવી વાળ્યાં નથી, ચૂલા તૂટી ગયા છે. તે નવા નખાવવા મેં એક ઠાકરડીને તેડાવી છે તે હજુ આવી નથી, હજુ રસોયાની તજવીજ કરવાની છે; એમ કાંઈ ઘરને રઝળતું મૂકીને ચાલી નીકળાય છે ભાઈ! ઘર છે, ધરમશાળા થોડી છે?'

કહીને ભદ્રાએ ચહાની ટ્રે પોતાના થાકેલા ડાબા હાથ પરથી જમણા હાથની હથેળી પર જમણાં ખભે ચડાવી.

'ઘર છે, ધર્મશાળા નથી,' એ શબ્દો પર આવતાં વીરસુતનાં મોંમાંથી રહ્યા સહ્યા કર્કશ શબ્દો પણ વિલય પામી ગયા. જાણે કે નદીમાં ઓચીંતુ પૂર આવ્યું ને વેકુરીમાં ઊભેલાં છોકરાં નાસી ગયાં. એણે ચશ્માંને નાક ઉપર સરખાં કરવાને બહાને બેઉ કાચ આડે હાથ છાવરી લીધા. પણ ભદ્રા વિધવા હતી ખરીને, એટલે સર્વને ભોટ લાગે તેવી અદાથી ચાતુરી ને સમયવર્તી સાવધાની તેણે કેળવી લીધી અહ્તી. એણે દેરની હથેળી પાછળનાં ચશ્માંના કાચ ને તેની યે પાછળ રહેલી આંખોમાંથી દડ દડ વહેતી અશ્રુધારા કળી લીધી.

એણે દેરનાં આંસુનું કારણ સસરાના કાગળની નીચે ટાંક મારેલા વાક્યમાં કલ્પી લીધું, પણ એ વિષયને રોળી ટોળી નાખવા મથતો એનો સ્વર આ ઘરમાં પહેલી જ વાર ઉગ્ર બન્યો :-

'રસોયાને તો ખોળી કાઢો ! એ મૂવાને શું ખબર હશે કે તમને તુવેરદાળમાં કોકમ નથી ભાવતું ને લીંબુ જ ભાવે છે. એ તો મૂવો એની જીભના સ્વાદ સામે જોઇને રાંધણું કરશે, ને તમે મોં ફાડીને બોલશો ય નહિ કે તમારે શાક દાળમાં મીઠું વધુ જોવે છે ! એ મૂવો ખાખરા બનાવી જાણતો હશે કે નહિ. મારે એને બતાવવું તો પડશે ને!'

'મારે રસોયો રાખવો જ નથી. રસોડાની બધી ચીજો ઠેકાણે કરી જજો.'

'ત્યારે ?'

'ફળ દૂધથી ચલાવી લઈશ.'

'ચલાવ્યાં એ ઓ ! એવા છંદ કરવાના નથી. કહી રાખું છું.'

'તમારે શા માટે કહેવું જોવે?'

'ચૂલા માટે!'

એટલું બોલી ભદ્રા ત્યાંથી જરાક બહાર ખસી; ત્યારે વીરસુતનો સ્વર ઊઠ્યો, 'આંહી કોઈની જરૂર જ ક્યાં હતી ? શા માટે આટલા દિવસ રહીને મને બધી વાતે પરવશતા શીખવી ? હું મારું ગમે તેમ ફોડી લેતાં શીખી ગયો હોત ને ! ફાવે ત્યાં જઈને ખાઇ પી લેત, ફાવે ત્યાં સૂઈ રહેત, ફાવે તે રીતે આનંદ મેળવી લેતે.'

ભદ્રાના ધીરાં ધીરાં પગલાં ખંડની સુંવાળી ફરસબંધીને જોરથી દબાવતાં દબાવતાં ચાલ્યાં ગયાં ને એ પોતાના ખંડમાં પગના અંગુઠા ઉપર ઊભી ઊભી કાન માંડી રહી. વીરસુતના ખંડમાં રૂદન નીચોવાતું હતું.

એકાદ કલાક પછી ધબધબ પગલે વીરસુત એકાએક રસોડાના દ્વાર પર આવ્યો, અને રાંધણું ચડાવતી ભદ્રા એનું આક્રમણકારી સ્વરૂપ જોઇ શકે તે પહેલાં તો એનાં મોંના શબ્દો સંભળાયા:

'તો પછી એમને બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!'

ભદ્રાએ એ શબ્દો સાંભળ્યાં પછી જ દેરના મોં સામે જોવાની હીંમત કરી. એ મોં પર ગુસ્સો નહોતો; ભય, ચિંતા ને કચવાટ હતાં. એ મોં વીરસુતનું નહોતું રહ્યું, જાણે નાનો દેવુ વીરસુતની મુખમુદ્રામાં પ્રવેશીને અણુએ અણુએ વ્યાપી ગયો હતો.

એટલું બોલી એ ઊભો રહ્યો. એના ચહેરાની નસોમાંથી લાલ લાલ રંગજાને નીંગળતો હતો.

ભદ્રા આભી બની ગઈ હતી તે બદલાઇ જઈને હસું હસું થઇ રહી. 'બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!' એ વાક્યની ખૂબી તો જો મૂઈ! એક મારી નાનકી અનસુને પણ આંહી ન લાવવા દેનારો આ દેર શું ઘરના બધાંને માટે આંહીં રહેવાની વાત મશ્કરીમાં કરે છે? કે ગંભીરપણે ? કેમ જાણે પોતે સૌને તેડાવી તેડાવી ઊંધો વળી ગયો હોય! મૂંઝાયેલી ભોજાઇ તરફથી કશો હોંકારો ન મળ્યો, ફક્ત ભદ્રાના હાથમાં જે ચીપિયો હતો તે જમીન પર હળવે હળવે પછડાઈને કોઈ વાજિંત્રના તાર પેઠે ધ્રુજતો રહ્યો. એ ચીપિયો પછાડતી પછાડતી ભદ્રા વારંવાર ઊંચેથી નીચે ને નીચેથી ઊંચે દેરના મોં સામે જોઈ રહી.

"આંહીં કંઈ હવે તો જગ્યાનો સંકોચ નથી.' પોતાની જાણે જ બોલવું ચાલુ રાખતા વીરસુતે 'હવે' શબ્દ પર સહેજ મચરક દઈને આગળ ચલાવ્યું: 'જ્યેષ્ટારામ મામાને રાખવા માટે ઓ પેલું આઉટહાઉસ રહ્યું ઘર પછવાડે. ને બાપુજીને તમારી ખબર રાખતા બેસવું હશે તો દીવાનખાનું ય હવે તો ખાલી છે.' ફરી પાછો 'હવે' શબ્દ, કથરોટમાં બાજરાના લોટનો લૂવો મસળાય તેમ મસળાયો; 'મારે કંઇ દીવાનખાનામાં કોઈ મહેમાનને ખાવા પીવા બોલાવવો નથી. ને આવશે તો પાછલી પરશાળમાં બેસશું ને હવે તો કોણ આવવાનો હતો ! સૌ આવનારાઓને આકર્ષણ જોઈતું હતું.'

એ છેલ્લા શબ્દો બોલતો હતો ત્યારે વીરસુત ભદ્રા સામે નહિ પણ બાજુના પાણીઆરા પર નવી જ ચમક મારતા માટીના ગોળા તરફ ને એ ગોળા ઉપર ઢાંકેલા પીતળનાં માંજેલાં બુઝારાં તરફ જોતો હતો. પાણીઆરાને એનું પોતાનું અનોખું રૂપ મળ્યું હતું. અગાઉ કંચનના સમયમાં પાણીઆરા પર અજીઠાં ટૂથબ્રશ અને ત્રણદિવસનાં કોહેલાં દાતણ પડ્યાં રહેતાં ને લીલના પોપડા બાઝ્યા રહેતા.

'ને દેવુને ત્યાં શા સારૂ સડતો રાખ્યો છે ભૈ !' પાણીઆરાના બુઝારાં પર પોતાનું પતિબિંબ જોવા પ્રયત્ન કરતો કરતો એ બોલતો રહ્યો: 'મારું બગડ્યું છે તો ઠીક, પણ એ છોકરાનું ભાવિ શું કામ બગાડો છો બધાં?'

'બધાં નો ઉલ્લેખ કરનારો વીરસુત ભદ્રામાં વધુ ને વધુ હાસ્યની લાગણી ઉપજાવતો હતો. છોકરો આંહી આવ્યો હતો ત્યારે જ મને તો સાચોસાચ ખબર પડી, કેટલો બીકણ, કેટલો બધો દબાયેલો, ને કેટલો રાંક થઇ ગયો છે! આંહીં અમદાવાદમાં ભણે તો કાંઇક પાણીવાળો તો થાય. બાપની સાથે કાંઇક જીવ પણ મળે. અત્યારે તો હું એને દુશમન જેવો જ લાગું ને!'

એટલું કહીને એ પાછો ચાલ્યો, ચોગાનમાં જઇ ઊભો રહ્યો, ને વળી પાછો બોલ્યો, 'અનસૂને ય કોઇક વૌદ્ય દાક્તર પાસે આંહીં જ તપાસાવી શકાયને ! ત્યાં બેઠાં બેઠાં અનસૂથી કંટાળતા હોય તેમાં હું શું કરું ? આંહીં બાલમંદિર પણ બંગલાથી દૂર નથી.

એટલું કહીને એણે માળીને બોલાવ્યો, આજ્ઞા કરી, 'જા તું પાછળનું આઉટ-હાઉસ ઉઘાડીને ભાભીને બતાવ. જોઈ લેજો ને પછી કહેજો, મામા ત્યાં રહી શકે કે કેમ?'

પછી પોતે આખા બંગલામાં તેમ જ બંગલા ફરતું ચક્કર લગાવ્યું, પાછો આવ્યો ને કમ્પાઉન્ડમાં ઊભો ઊભો જ બબડવા લાગ્યો;

'આંહીં તો જગ્યા ઘણી પડી છે. દેવુને ભણવાની પણ ઓરડી ઓ રહી! છતાં જો જવાનું બહાનું જ જોતું હોય તો ખુશીથી જાઓ. કોઇ રોકતું નથી - રોકી કોણ શકે? એ તો હું રહીશ એકલો, પડ્યો રહીશ આ ભૂતખાનામાં.'

'ભૂતખાનામાં' એ છેલ્લો શબ્દ જ્યારે ઉચ્ચારાયો ત્યારે વીરસુત પોતાના ખંડમાં પહોંચી ગયો હતો. દીવાનખાનાની બાંધણી બીજા ખંડો કરતાં વિશેષ પડઘાદાર હોવાથી 'ભૂતખાનું' શબ્દ હજુ એ ખંડમાં જાણે ઘૂમરીઓ ખાઈ રહ્યો હતો. ભદ્રા રસોડે બેઠી બેઠી, ચૂલા તરફ જોઇને ખૂબ હસતી હતી, અષાઢના ઘેરાયેલ દિવસે રસોડામાં અંધારું પાડ્યું હતું, એ અંધારે ભદ્રાના મૂંડેલા ચહેરા પર ચૂલાનો તાપ એવો તો ઉઠાવ પામી રહ્યો હતો કે એ લાલિમા કોઈ સીનેમાનો ઉદ્યોગપતિ ન જોઇ જાય એવું આપણાથી ઇચ્છી જવાય.