તુલસી-ક્યારો/ડોળાયેલાં મન

વિકિસ્રોતમાંથી
← પુત્રવધુની શોધમાં તુલસી-ક્યારો
ડોળાયેલાં મન
ઝવેરચંદ મેઘાણી
જગરબિલાડો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ઓગણીસમું
ડોળાયેલાં મન

મુક્ત બનેલી કંચનને સમાજપીડિત બહેનોની ઉદ્ધારક અને પ્રેરણામૂર્તિ બનાવવા-વીરાંગના બનાવવા માટે ભાસ્કર ગુજરાતનો પ્રવાસ કરાવતો હતો, ઠેકઠેકાણે ભાષણો અપાવતો હતો, સમારંભો વડે સ્વાગત ગોઠવાવતો હતો. ભાસ્કર અને કંચન જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ઊગતા જુવાનો અને કવિતા કરતા કિશોરો એમની ફરતા વીંટળાતા રહ્યા.

પ્રત્યેક શહેરમાં યુવાનોના સમૂહ પૈકી પાંચ પંદર તો એવા હોય જ છે, કે જેઓ ઘરની માતાઓ; ભાભીઓ ને બહેનોમાંથી જીવનની અદ્ભૂતતાનો સ્પર્શ મેળવી શકતા નથી. એંશી વર્ષના બેવડ વળી ગએલા બરડા પર સાંઠીઓનો તોતીંગ ભારો ઉપાડી બજારમાં તેના વેચાણની અચોક્કસ મુદ્દત સુધી રાહ જોઈ ઊભતી ડોશીના પુરૂષાર્થમાંથી તે યુવકોને રોમાંચક તત્ત્વ જડતું નથી; મરકીએ કેવળ દવાના અભાવે કોળીઓ કરી લીધેલા જુવાન ધણીને હાથે સ્મશાને દેન પાડી પાછળ રહેલાં પાંચ બાળકોની જીવાદોરી બનનારી-ત્રીશ વર્ષોનો અણિશુદ્ધ રંડાપો ખેંચનારી ગ્રામ્ય બામણીના માથાના મુંડામાંથી આ યુવકોને અલૌકિક વીરત્વની આસમાની સાંપડતી નથી. એવા પાંચ દસ કે પંદર વીશ યુવાન કિશોરો, પોતપોતાની કવિતાપોથી, ઓટોગ્રાફ પોથી અને કેમેરાની ડબીઓ લઇ પ્રત્યેક ગામે આ વીરાંગના કંચનનો વિદ્યુતમય સહવાસ મેળવવા હાજર રહ્યા. તેમણે સભા સંમેલનો ગોઠવ્યાં, તેમણે કંચનના અંબોડા માટેની વેણી કે ચોટલા માટેનું ફૂમકું મેળવી આવવા શહેરોનાં સર્વ ચૌટં પગ તળે ખૂંદ્યાં. તેમને દોડી દોડીને કંચનની તબિયત દરેક વાતે ઊઠાવી. કંચન તેમના પર ખીજાતી ત્યારે તેમણે આત્મવિસર્જનની જ ઊણપ કલ્પી હતી. કંચન ખુશાલીમાં આવી જઈ તેમની પીઠ પર ધબો લગાવતી ત્યારે તેઓ બડભાગીપણું અનુભવતા. કંચન કોઇ પહાડ ચડવા કે ઝરણાને ટપી જવા તેમનો ટેકો લેતી તો તેઓ સાફલ્યનાં શિખર સર થયાં સમજતા. તેઓ આ ક્રાંતિકારી નારીને પોતાને ઘેર તેડી જતા ત્યારે એને મહેમાન ગણીને ચહા નાસ્તાની જહેમત ઉઠાવનારી અભણ ગૃહનારીઓ પ્રત્યે કંચન 'તમે લોકો' એવું વારંવાર સંબોધન કરી ભાતભાતની 'ક્રાંતિકારી' સલાહો આપવા મંડી જતી. કોઇ કોઇ ઘેરે એને ઘરનાં બૈરાં જોડે બેસવું પડતું તો એ થોડી જ વાર બેસી પાછી પુરૂષોની બેઠકમાં ચાલી જતી ને કચવાતા સ્વરે બોલી ઊઠતી-

'એ લોકોની પાસે બેસીને તો કંટાળી જવાય છે. એ લોકો તો સાદી વાતોમાં પણ પૂછાપૂછ જ કરે છે. એ લોકો કદી સમજવાનાં જ નથી ને! એ લોકો સાથે વાત જ શા વિષયની કરવી!'

આમ પરિભ્રમણ ચાલવા લાગ્યું. પણ એ લાંબા પરિભ્રમણમાં ભાસ્કરને ન રૂચે તેવી કેટલીક વાતો પણ બનતી ગઇ. ભાસ્કર વિસ્મય પામતો હતો કે કંચન આ નવા નવા મળી જતા જુવાનો કિશોરો જોડે વધુ ને વધુ આનંદ કેમ અનુભવતી હતી, ભાસ્કરને આગળ અથવા પાછળ અન્ય લોકો સાથે વાતો કરતો રાખી પોતે આ જુવાનો કિશોરો જોડે કેમ ચાલતી હતી, એટલું જ નહિ પણ ભાસ્કરને 'અમે જરીક જઈ આવીએ' એટલું જ ફક્ત કહીને, અથવા કશું જ કહ્યા વગર છાનીમાની કંચન આ સ્થાનિક જુવાનો જોડે ફરવા જોવા કેમ નીકળી પડતી હતી; પોતાથી દૂર બેસતા યુવકોને ખુરસી સહિત પોતાની નજીક ખેંચી કેમ બેસારતી હતી; પોતે જે સોફા પર બેઠી હોય તે પર પોતાની બાજુમાં આ યુવકોને ખેંચી લેતી અથવા એ લોકો જે હીંડોળે બેઠા હોય તેની બાજુમાં જઈ પૂર્ણ બેપરવાઈથી કેમ બેસી જતી. આવે આવે તમામ પ્રસંગે ભાસ્કરને ઝંખવાણા પડી જઈ જુદા બેસવું પડતું.

પ્રથમ પ્રથમ તો ભાસ્કરે તકેદારી અને ચાલાકી રાખી રાખી આવા કઢંગા દેખાવો થતા અટકાવવા યત્ન કર્યો. પોતે ચોક્કસ અનુમાન બાંધીને કંચનનો આવો વર્તાવ રોકવા લાગ્યો; પણ પછી તો વાત પોતાના કાબૂ બહાર ચાલી જતી જોઇ પોતે મોંયે ચડી સલાહ સૂચના દેવા લાગ્યો. એના જવાબમાં કંચન ફક્ત એટલું જ પૂછતી કે 'પણ એમાં શું થઇ ગયું? એમાં શો વાંધો છે?'

ભાસ્કર કક્ત એટલો જ ખુલાસો કરી શકતો કે 'તું એમાં શું સમજે? એથી અસર ખરાબ થાય. જુવાનોનાં મન નબળાં પડે.'

'પણ મને તો એ સાવ સ્વાભાવિક લાગે છે!'

'તારી વાત જુદી છે. હું તો બીજાઓની વાત કરૂં છું'

થોડા દિવસ ગયા બાદ 'તારી વાત જુદી છે' એ વાક્ય પર છેકો લાગી ગયો ને ભાસ્કરે સૂચક તેમજ ગર્ભિત શૈલીએ કહેવા માંડ્યું , 'માનસિક અધોગતિ ક્યારે થાય તે કોણ કહી શકે છે?'

'પણ તમે જ કહેતા હતા કે એવા લાગણીવેડા વળી શા?'

'તે તો હું મારા સંબંધમાં કહેતો હતો. બધાં કાંઈ એટલા મનોનિગ્રહવાળા હોતા નથી.' અને આ ડહોળાએલા વાતાવરણનું એક પરિણામ એ આવ્યું કે ભાસ્કર અને કંચનને વીરનારી, ક્રાંતિકાર, બહાદુર ઇત્યાદિ જે બિરદો વડે જાહેરમાં બિરદાવતો હતો તે કરવાનું તેણ બંધ પાડ્યું ને પ્રવાસમાં બેઉ વચ્ચે ઠંડાશ જન્મતી ગઈ. બીજાઓને મોંયે ભાસ્કર કંચનના સંસ્કારોની ખામીઓ પણ કથતો થયો.

એક દિવસ એક ગામે કંચન એને ઊંઘતો મૂકી ચાણોદ-કરના।ળીના રેવા-ઘાટ પર રાત્રિની ચાંદનીમાં લટાર ખેલવા અન્ય નારીપૂજક યુવકો સાથે નીકળી પડેલી. પાછળથી ભાસ્કર જાગી ગએલો. કંચન પાછી આવી ત્યારે એણે પોતાનો ઊંડો કચવાટ જાહેર કર્યો ને એણે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે 'આવું વર્તન મારાથી નહિ સાંખી શકાય. તું તો હદ બહાર સ્વતંત્રતા લેવા લાગી છે.'

થોડી વાર કંચન સ્તબ્ધ બની ઊભી. એ ખસીઆણી પડી ગઈ. સ્વતંત્રતા લેવી એટલે શું ! હદ બહાર એટલે શું ! આવું નહિ સાંખી શ્કાય એટલે શું ! ત્યારે પોતે સ્વતંત્ર છે ને ભાસ્કર પોતાની સ્વાતંત્ર્યભાવનાનો પૂજક છે એ શું ભ્રમણા હતી!

'આમ હોય તો પછી મારે તને તારા કાકા પાસે જંગબાર મોકલી દેવી પડશે.'

ભાસ્કરનાં ભવાં આ બોલતી વખતે ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યા હતાં. આવી આંખો અગાઉ ક્યારે થઇ હતી? ક્યારે જોઇ હતી? કંચન યાદ કરવા લાગી : બે જ પલમાં એને યાદ આવ્યું. પોતાના પતિ વીરસુતને માર મારતી વેળા બસ આવી જ આંખો ભાસ્કરે ધારણ કરી હતી. યાદ આવતા વેંતે એ ધાક ખાઇ ગઇ. એનાથી ભાસ્કરની આંખો સામે ન જોઇ શકાયું. એ બીજીબાજુ જોઇ ગઇ.