દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજકોટના સુધારા–૧

વિકિસ્રોતમાંથી
← રાજાઓ અને ચક્રવર્તી સત્તા દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટના સુધારા
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજકોટના સુધારા →






૮૨
રાજકોટના સુધારા

રાજકોટના ના. ઠાકોર સાહેબને તથા દરબારશ્રી વીરાવાળાને અજાણ્યે પણ એક વાર દૂભવ્યા પછી એ રાજ્યમાં દરબારની કારવાઈઓની ટીકારૂપે કશું કહેતાં મેં મારી કલમને આજ લગી રોકી છે. પણ રાજકોટની પ્રજા જેણે દાખલારૂપ શિસ્તનું પાલન કર્યું છે તેના પ્રત્યેની મારી ફરજ વિચારતાં, તાજેતરમાં રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલા સુધારાઓ વિષે બે શબ્દ લખવાનો મારો ધર્મ થઈ પડ્યો છે. મારો અભિપ્રાય મારે જણાવવો એવી પ્રજાજનો આશા પણ રાખે છે.

મારે દુઃખની સાથે કહેવું પડે છે કે આ સુધારાઓ મરહૂમ ઠાકોર સાહેબનું કર્યુંકારવ્યું ધૂળ મેળવે છે. મરહૂમ ઠાકોર સાહેબે આપેલો પૂર્ણ મતાધિકાર જે છેલ્લાં ૧૫ વર્ષથી પ્રજાને આશીર્વાદ સમાન હતો તે ખેંચી લેવામાં આવ્યો છે, અને તેને બદલે મતાધિકારને સારુ મિલકત ધરાવવાની તથા રાજ્યના વતની હોવા વિષેની કડક શરતો મૂકવામાં આવી છે. ચૂંટાયેલા પ્રમુખની જગાએ દીવાનને સ્થાયી પ્રમુખ બનાવ્યા છે. મૂળ પ્રજાપ્રતિનિધિ સભા જે આખી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેતી તેમાં હવે ૪૦ ચૂંટાયેલા અને ૨૦ નીમેલા સભ્યો રહેશે. ચૂંટાયેલા સભ્યોમાં વળી લઘુમતીઓના વાડા અને ગોળ હશે. આમ કહેવાતી બહુમતી ખરી રીતે લઘુમતી થઈ રહેશે. સુધારાઓની સ્વાભાવિક દિશા પ્રજાકીય અંકુશના ઉત્તરોત્તર વધારો હોય. અહીંયાં તો કશા પણ વાજબી કારણ વગર પ્રજાકીય અંકુશનું તત્ત્વ સારી પેઠે ઘટાડવામાં આવ્યું છે. મૂળ સભાને કાયદા કરવાની વિશાળ સત્તા હતી, તે સત્તાઓ ઘટાડવામાં આવી છે.

એવી ચોકસ જાહેરાત કરવામાં આવી હતી કે ના. ઠાકોર સાહેબના અંગત ખરચની રકમ નક્કી કરવામાં આવશે. જાહેર થયેલા સુધારાઓમાં આ જાહેરાત પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ કરવામાં આવ્યું છે. તા. ૨૬મી ડિસેમ્બરવાળી જાહેરાતમાં શક્ય તેટલી વિશાળમાં વિશાળ સત્તા આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સુધારાઓ વાંચીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે પ્રજા પાસે હતી તે સત્તા પણ ખૂંચવી લેવામાં આવી છે. એટલું જ નહિ, પણ પ્રજા પાસે રહેવા દેવામાં આવેલી સત્તાઓને પણ જેટલી બની શકી તેટલી મર્યાદિત કરવામાં આવી છે. એક શબ્દમાં કહીએ તો ઠાકોર સાહેબની એટલે કે દીવાનની ઇચ્છા એ જ રાજકોટ સર્વોપરી કાયદો ગણાશે.

આ લખતાં મને દુઃખ થાય છે. જે કરુણ કાંડને સારુ મારી હિંસા જવાબદાર બની તેને આ સુધારાઓ છેલ્લો અંક હશે કે કેમ એ પણ હું જાણતો નથી. ઉપવાસ એ એવો ઉપાય છે જે કેવળ નિષ્ણાતો જ લઈ શકે. તેનાથી ચળવળની ગતિ અટકે તો પણ સારાને સારુ અટકે છે. હિંસાનો અલ્પમાં અલ્પ સ્પર્શ પણ તેને વણસાવી નાખે છે. હું કબૂલ કરી ચૂક્યો છું કે ઉપવાસ ચાલુ હતો તે દરમ્યાન ઠાકોર સાહેબની કારવાઈઓ સામે ના. વાઈસરૉયને મેં કરેલી વિનંતી હિંસારૂપ હતી અને તેથી ઉપવાસ વણસ્યો. મને લાગ્યું હતું કે મારો પસ્તાવો જાહેર કરીને મેં તેનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું, અને પરિણામે ના. ઠાકોર સાહેબ તથા દરબાર વીરાવાળા અને મારી વચ્ચે મીઠા સબંધ સ્થપાઈને રાજકોટની પ્રજાને માટે નવું અને ઉજ્જ્વળ પાનું ખૂલશે. મારા જાહેર પશ્ચાત્તાપ પછી ભરવામાં આવેલો દરબાર એ પશ્ચાત્તાપના શુભ પરિણામ ઉપર મહોરરૂપ હતો એમ લાગ્યું હતું. હું જોઉં છું કે આમ માનવામાં મેં થાપ ખાધી હતી. માણસની પ્રકૃતિ ઘડીવારમાં બદલાતી નથી. રાજકોટની પ્રજાની હું ક્ષમા માગું છું.

મેં કરેલા પશ્ચાત્તાપનું મને દુઃખ નથી. મને ખાતરી છે કે જે નીતિદૃષ્ટિએ વાજબી હતું તે રાજકીય દૃષ્ટિએ પણ બરાબર જ હતું. મારા પશ્ચાત્તાપે રાજકોટની પ્રજાને બૂરા હાલમાંથી બચાવી લીધી. કોમી કલહ અટક્યા. મને વિશ્વાસ છે કે રાજકાટની પ્રજાને અંતે એનું છે તે મળ્યે જ છૂટકો છે. દરમ્યાન આ સુધારાઓ જે મારી નજરે નર્યા અનિષ્ટરૂપ છે તેને જરી જવા દેવા રહ્યા. જે કોઈ રાજકોટવાસીમાં સ્વાભિમાનનો છાંટો સરખો હોય તેમણે તેમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ. જો તે મારું માને તો તે રાહ જુએ, પ્રાર્થના કરે અને અક્ષરશઃ કાંતે. તેઓ જોશે કે એમ કરીને તેઓ અહિંસાને એકમાત્ર સાચે માર્ગે રાજકોટમાં સાચી સ્વતંત્રતાના કાંતનારા નીવડશે.

અલાહાબાદ, ૨૦-૧૧-૩૯
હરિજનબંધુ, ૨૬-૧૧-૧૯૩૯