દ્વિરેફની વાતો/જક્ષણી

વિકિસ્રોતમાંથી
← શો કળજગ છે ના! દ્વિરેફની વાતો
રામનારાયણ પાઠક
મુકુન્દરાય →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




જક્ષણી


હું ભાતું કરતી હતી, ત્યાં એમના પગ સંભળાયા. એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન હોય છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટેલતા હોય છે, એ બધું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહેઃ “ કેમ ? ” પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા. “કેમ આ શું આદર્યું છે ?"

મેં કહ્યું: “ ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું."

“ પણ ક્યાં ? શા માટે જાય છે?"

“ મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા." એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એમ કે એ શું શું કહેશે, ત્યારે ધીમે રહીને કહું કે 'જુદાં રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે. કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળ લખે છે. તે સિવાય તેમને લખવાનો માવરો થતો જ નથી.' અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશ જ ફરિયાદ કરે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી. "પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો ? આ મોતી શું કરશે ?" મેાતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી.

મેં કહ્યું: “ હિંદુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહિ કરનારને મળી રહે છે. માણસને નથી મળતું પણ કૂતરાં, કીડી, મકોડા, માછલાં, એમને મળી રહે છે. તો મને તમારી કોઇની ચિંતા થતી નથી."

"ભલે, જવાની ના નથી. પણ ક્યાં જવું છે ? "

પૂરી વણતાં વણતાં મેં કહ્યું: “ છૂપી પોલિસો અને ગુના પકડવાની વાતો લખો છો. ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો." કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે, માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે તેમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર, દખાવીને મૂકી હતી.

"તારી આંખમાંથી તો કાંઇ એક્સ -"

"ગુજરાતીમાં બોલો."

"ક્ષ-કિરણો નીકળે છે !"

મેં પૂરી તળતાં જવાબ આપ્યો "ક્ષ નહિ, એથી જરા આગળ, જ્ઞ-કિરણો નીકળે છે."

"ત્યારે એ જ્ઞ-કિરણો વડે જરા પ્રેમાનન્દનાં નાટકો કોનાં છે તે કહોને મારાં સર્વજ્ઞા બાઈ ! બિચારા ‘જ્ઞ્’ ઘણા વખતથી મહેનત કરે છે તેમને મદદ થશે. તે દહાડે આપ્યાં પણ વાંચ્યાં કેમ નહિ ?"

“ ચાલો મેં પીરસ્યું. જમતાં જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનન્દની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી તો એ પ્રેમાનન્દનાં નથી એમ સાબીત થયું કે નહિ ? હવે તમે ખુશીથી કહી શકો કે એ નાટક પ્રેમાનન્દનાં નથી."

“ હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનન્દનાં નથી ! વાહ !"

મેં કહ્યું: “ વાહ કેમ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતાં શરમાશો ? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઇએ ગાંધીજીનું મોઢું ગમે કે નહિ એ પેાતાની બૈરીને પૂછીયે લીધું, અને પ્રસિદ્ધ પણ કર્યું ! તમે તો કોઇ મહાજન વિષે મને પૂછ્યું પણ નહિં!"

“ લે હું પણ એક અગત્યના મોઢા વિષે પૂછું. ”

"પૂછે।."

"મારું મોઢું તને ગમે છે ?"

"પણ તમે મહાજન છો ?” મેં કહ્યું.

“ એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લંડનો પ્રધાન કોણ છે એ કરતાં મારો ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં તો કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહિ! ”

મેં કહ્યું: “ અને ના પાડીશ તો શું કરશો ?"

"તું જે કહીશ તે.”

“ ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહિ ગમે; અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો."

એકદમ ગંભીર થઈ પૂછ્યું: “કેમ કમળાને ઠીક નથી ? ”

મેં કહ્યું: “ કંઇ ગંભીર નથી પણ ઑપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહિ શકાય. હું એટલા દિવસ કમળા સાથે રહીશ."

ઓઝા દંપતી અમારાં સ્નેહીં હતાં.

જગતમાં પત્ની વિનાના સ—ધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર કે તેને માટે શબ્દ પણ નથી જડતા. પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હેાય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃકા વિયેાગના શૃંગારનું, વિધવા કરુણાનું. પુરુષ પરણ્યો ન હોય તે। ? વાંઢો, પરણ્યા પછી ! વળી પછી શું-પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તેનું નામ જ નહિ, રાંડ્યા પછી વિધુર. બિચારો કોઇ પણ રસનું આલંબન નહિ! વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હાય તો બાયલો, એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય. અને સદાને માટે સ્ત્રીનું સૌન્દર્ય, સ્વાતંત્ર્ય હરી લેનારો. ધણી એટલે જ મૂર્ખ. વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફા મારનાર, સ્ત્રી મળે તો પાછો ધણી અને ન મળે તો વાંઢો. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તે ? તો શું ‘કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય ? અથવા થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઇએ પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ !

સ્ત્રી ન હોય તો થઈ શું ગયું ? શું તમને ખાવા નથી મળતું ? પહેરવા નથી મળતું ? પૈસા નથી મળતા ? શું નિરાધાર થઈ ગયા? તમને શી ખોટ છે ? ઉલટું વિ-ધુર એટલે થોડો વખત ધુરા-ધોંસરી નીકળી ગઇ !’ મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના તેને અડવું લાગે છે. હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે સાથે એક મકરાણી અધમણની જામગ્રીવાળી દેશી બંદૂક લઇ સાથે આવતો હતો. મેં કહ્યું: "જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઇ ભો જેવું નથી." જમાદાર કહેઃ “એ બોજસે ઠીક ચલા જાતા હૈ.” પ્રેમાનન્દ કહે છે તેમ ધણી સુરભિસુત છે. તેને ધોંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી.

મંદવાડમાંથી ઊયા પછી ઓઝાનો છોકરો એક દિવસ જમવા બેઠો હતો. જમી રહ્યો, કમળા કહેઃ ઊઠ મોં ધોઉં,’ કીકો ઊભો થયો અને રડવા લાગ્યો. કહે: 'ચલાતું નથી, પગમાં કૈંક થાય છે, કાંટા વાગે છે.' બેઠેલાં બધાં હસી પડ્યાં. તેને પગે ખાલી ચઢી હતી. સ્ત્રી જાય છે તેથી બીજું કાંઇ થતું નથીઃ હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તે લોકો હસે છે.

સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે ! બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે.

હવે કરવું શું ? શાસ્ત્રકારોએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રોષિતભર્તૃકા, વિધવા, સર્વના કાર્યોનો વિધિરસના સિદ્ધાન્ત ઉપર ઠરાવેલો છે, પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું ? નાહવું નહિ? પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું ? ચ્હા ન પીવી? ખરાબ કરીને પીવી? બહાર ખાવું ? ઘેર ખાવું ? હજામત ન કરવી ? વાળ ન ઓળવા? ઑફિસમાં વખતસર ન જવું ? રાતે દીવો ન કરવો ? ખુરશીમાં ઊંધવું ? રાતે જાગી દિવસે ઊંધવું ? શું કરવું ને શું ન કરવું ? ખરેખર, જગતે પુરુષની ધણી જ ઉપેક્ષા કરી છે.

અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં. ઊંઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફૂરે છે; મને નીચેનું કાવ્ય સ્ફૂર્યું.

कश्चिद् भर्त्र्यां स्मरसि रसिके स्वं हि तस्वा: प्रियेति *[૧]

તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો:

ધણિયાણીને સ્મરછકનિ તું વ્હાલી તેની હતી તે

તમને આમાં દોષ લાગશે. પણ મોતી તો આ સમજી ગઇ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું.

પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યો ગયા. જરા મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહેઃ "અહો ! સાહેબ ઘણે દિવસે આવ્યા ? આવા દૂબળા કેમ પડી ગયા ? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ?" હું તેની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું.

મેં કહ્યું: "હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસેા."

'જે દી' નવરો દીનોનાથ' તે દી' મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાંને બાફીને છાલ કાઢી નાખીએ એवो ધોળો, અને તેની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે, કાછીઓ સૂરણ બટાટાં ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધી બાંધેલાં હતાં. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા. અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઇ પરસેવાથી ચોંટી ગયું હતું. ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહિ પણ દાંતની બે હરોળ જેવું, અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું, અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઇ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામાં જ તેને કપાળે અને બરડે થાબડ્યો હશે - કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો.

મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહેઃ “ મહારાજનો સ્વભાવ બહુ સારો." મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઇ આવ્યા અને કાંઇ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું, અને પછી અમારી બેની સામે પગ પર પગ ચઢાવી બેસીને, પગનાં તળિયાં પર, ડોલતાં ડોલતાં હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા:

“ મારો તો જીવ મોટો. અમે તરવાડી કોઇ દિ' લોભ ન કરીએ. આ શેઠ છે તે શેઠ, એ પંડ્યા, એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અરધા ભાર ઓછા લોટાનું લાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે; ભલે ને અહીં નોકર હોઇએ, પણ નાતમાં સઉ સરખા, એમ કોઇની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચેાવચ્ચ સભળાવી દઇએ. હું તો શેઠ હોય તો ય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી લઈ માગી ખાતાં કાંઇ શરમ ઓછી જ લાગવાની હતી, કેમ હેં ?”

મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો: “ આ પંડ્યા તમારી નાતના છે.”

“ હા સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણુાય. એ તો કન્યા કોઇ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યાં. મારી ભાણેજને આ સગે હાથે ચાંદલો કર્યો છે પણ મારા લગ્ન માટે તેણે બે વેણેય કોઇને કહ્યાં નથી."

મેં રેવાશંકર સામું જોઇને કહ્યું: "બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે ! એમને જક્ષણીની વાત કહું?" રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠ્યાઃ “ જક્ષણી કોણ ?”

મેં કહ્યું: “ મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત મહામાયા જોઇ લ્યેા. રાતે અધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જો માનતા માનીએ તો ફળે એવાં છે !”

"ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓ ને !”

મેં કહ્યું: “ અરે ! અરે ! એ શું બોલ્યા ! એ તો કોઇને મળતાં જ નથી. બસ દિવસ આખો। ધરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ? અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહિ ને માંગ્યો તો આંધળો છોકરો આપ્યો.બોલો !"

હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિન્તા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કંઈક હેઠો બેઠો અને બોલ્યાઃ “ પણ મારા નસીબમાં તેા છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે. પણ કન્યા જરા નાની છે. પણ નાની છે પણ રૂપાળી બહુ છે હોં ! અને નાની છે પણ મુઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે મારા સારું શું લાવ્યા ? અને પાણી મગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે !" છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેનાં શીકરો ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા અને મને અને રેવાશંકર બન્નેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે.

મેં કહ્યું: "ત્યારે તો તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી.”

મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યાઃ “ તમે વૈદું જાણો છો ? ”

"ના".

"હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાઇડી પરણ્યા હતા, તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ ”—નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘદૃષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાત ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું~~“બૈરી નાની તે વૈદને પૂછીને તેમણે ટોપરું ખવરાવ્યું, તે બૈરી તો માટી આવડી થઈ !” મહારાજે ડાબા હાથના પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેકવ્યો. "હું એક વાર સાંભળું તે ભૂલું નહિ. મેંય ખવરાવવા માંડ્યું છે. પણ હજી ઊંચી નથી થઇ. ઓમ કાઠુ કર્યું છે, પણ દીઠે નીચી લાગે.”

મેં કહ્યું: “ ત્યારે બીજી બાઇડી જોઇએ છે ?”

"ના, ના, બીજી આવી ન મળે. જક્ષણી માતાને કહીને ઝટ મોટી થાય એમ કરો. અને મારે ઘેર બૈરી સુખી થાય હોં. જુઓ કશું કામ છે? રાંધું પણ હું, તેને દાળ ચોખા વીણવા પડે. અને હું રસોયો ખરો પણ બાર વાગે છુટ્ટો. ગામમાં નીકળે તે મને કોઇ રસોયો ન જાણે. હુજામત તો હેરકટિંગમાં જ કરાવવાનો. આઠ આના તો લે આઠ આના. ને માથામાં તેલ અત્તર પોમેટમ. મહિનામાં એક બે વાર નાટક સીનેમા તો ખરાં જ. બૈરી દુ:ખી ન થાય હોં." મહારાજે ઘણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું: “ ત્યારે હું જાણી માતાનાં દર્શન કરવા આવું?”

મેં કહ્યું. “ના, એમ નહિ. એમ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઇને વળગે. તમે એમના માટે રોજ્ ખાવાનું મોકલતા જાઓ.”

મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું: “ એ રાત્રે તો જમતાં નથી. સવારે છોકરો મોકલીશ એટલે પહેલાં તેની સાથે મોકલજો. સાંભળો. ફક્ત ચાર રોટલી. ભાત દાળ, શાક નહિ. ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. મફત ખાતાં નથી. પણ વખતસર કરવું."

મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.

હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ધર ઉઘાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ધરની કૂંચીઓ અમો બન્ને પાસે રહે છે.

ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામે આવી. પણ આખા ઘરમાં માત્ર એ જ બરાખર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ. ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ પણ, એમ ને એમ પડેલી. ટેબલ પર પણ ધૂળ અને કાગળદાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી એમની એમ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા હશે !

મેં બધું વાળીને સાક્ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું. રસ્તાના થાક અને આ ધૂળ! મનમાં થયું લાવ માથે નાહી લઉં. માયું છોદ્યું. ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઇ કમાડ ઉધાડ્યું. આ કોણ !

એક ઘણો જ કદરૂપો માણસ, કાળા કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ્, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટર્લી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઇ. મેં કહ્યું: “ અલ્યા કોણ છે ? કેમ આવ્યો છે ? ”  "જક્ષણી માતા ! ખમા કરો ! સેવકના ઉપર મહેર કરો."

મેં કહ્યું: “ પણ હું જક્ષણી કે દા'ડાની ? "

“ હંમેશ નીકળતો પણ ધર બહારથી બંધ; આજ જ તાળું નથી એટલે દરશન કરવા આવ્યેા છું. મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કહેસો એ માનતા માનીશ."

“ ભાઈ, તને કોઈકે ભરમાવ્યો છે. હું જક્ષણી નથી," કહી મેં કમાડ બંધ કરવા માંડ્યું. તે અંદર આવવા લાગ્યો અને કહે: “ માતા, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામું તો જુઓ ! ” હું ચીડાઇ ગઈ. "વળી તું ખાવાનું મોકલનાર કોણ? જાય છે કે નહિં કે આ ધોકણું લગાવું !" અને અંદરથી મોતી ઘુરકી. મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઇ પાછું મૂક્યું. તે વળી બક્યો “ માતાજી, મારા નસીમમાં બૈરી છે. મારે નવી નથી જોઈતી. તે ઝટ મોટી થાય એટલું કરો. " હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધેાકણું લીધું, “ હરામખોર ” કહી મારવા જતી હતી ત્યાં "ચંડી, કોપ ન કરો" કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી, એ અંદર પેઠા. મને કરી કહ્યું: “ ચંડી, પ્રસન્ન થાઓ !"


  1. * कश्चिद् भर्तु: स्मरसि रसिके त्वं हि तस्य प्रियेति! મેઘદૂત