નિહારિકા/એક પ્રશ્ન

વિકિસ્રોતમાંથી
← પ્રેમ કે કામ ? નિહારિકા
એક પ્રશ્ન
રમણલાલ દેસાઈ
ભાગ્યવાન →


એક પ્રશ્ન


૦ કવ્વાલી ૦

જગના ફિલસૂફ, જરા ઊપજે,
મને મૂંઝવતો કંઈ પ્રશ્ન કરું.
તુજ જ્ઞાનતણી મહાજ્યોતિ સમીપ,
હું અજ્ઞ ઘડીભર બેસી ઠરું.

જનના હૃદયે ક્યમ હાસ્ય નથી ?
નયને ક્યમ સ્મિત વિલાસ નથી ?
મનમસ્તી તણો જરી ભાસ નથી.
કઈ નાવ થકી ભાવસિંધુ તરું ?

અહ રૂપકલાધર, થોભ જરા,
નીરખું ગગને કંઈ રંગઝરા;
ઉરમાં ઊછળે રસના ઊભરા.
ફલકે નથી રંગ ! હું ક્યાં ચીતરું ?

ધનપાલ, ગણી ધનના ઢગલા,
ખીલતી હસતી તુજ મુખકલા;
કથ, એ ધનના રણકાર નીચે
મહેતાબની આહ હું શેં વીસરું ?

શૂરવીર, ચઢી રણરંગ ઝૂઝે,
તુજ હાકથી માનવ જાત ધ્રૂજે;

પણ વીર, બતાવ, કદી ઊગતું
રુધિરે થકી પોષિત કલ્પતરું ?

અય ઇલ્મી, કબૂલ કરું કીમિયો,
તુજ હાથ છુપાય સુવર્ણઝરો;
પણ હૈયું જલાવી ઉડાડું હું ખાખ—
એ અંતરરાખ ક્યહાં હું ભરું ?