નિહારિકા/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
નિહારિકા
પ્રસ્તાવના
રમણલાલ દેસાઈ
નિહારિકા →


પુનર્મુદ્રણની પ્રસ્તાવના

‘નિહારિકા’નું પુનર્મુદ્રણ પ્રસિદ્ધ થાય છે તેથી અંગત રીતે આનંદ જ થાય. આ પ્રસંગે એટલું નોંધતાં હર્ષ થાય છે કે ટૂંક સમયમાં ભાઈસાહેબનાં કાવ્યોનો બીજો સંગ્રહ પણ પ્રસિદ્ધ થશે. કવિ તરીકે એમનું સ્થાન ક્યાં આવ્યું ? એમણે કરેલા છંદપ્રયોગો, રસસર્જનના અખતરા, કવિતા અને સંગીતનાં સુભગ સમશ્રણમાંથી વિકસેલી ભક્ત-કવિઓના સમયથી ચાલી આવેલી પ્રણાલિકાને માર્ગે જ કરેલાં ગેય કાવ્યોના વિવિધ પ્રકારનાં સર્જન અને વિધ-વિધ વસ્તુની છણાવટ, મારા મત પ્રમાણે બારીક વિવેચન માગે છે. એમનું કવિ તરીકે યોગ્ય મુલ્યાંકન થાય એટલું જ ઈચ્છીશ.

૫-૧૦-૫૬
ભાગલપુર (બિહાર)
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘નિહારિકા’ મારાં પ્રકાશનોમાં ચોથો કાવ્યસંગ્રહ છે. ઇલા- કાવ્યો, કાવ્યમંગલા અને ગંગોત્રીને જે અપૂર્વ સત્કાર મળ્યો તેથી, કવિતાનાં પુસ્તકોનું પ્રકાશન માથે પડે છે, કવિતાસંગ્રહોનું વેચાણ બિલકુલ થતું નથી એ માન્યતા ખોટી પડી, અને ગુજરાતને માથેથી બેકદરદાનીની એટલી નામોશી ઓછી થઈ.

‘શંકિતહૃદય’ નાટકમાંનાં ગીત શિક્ષિત સમાજમાં ખૂબ લોકપ્રિય થયા છતાં શ્રી. રમણલાલની કાવ્યરચનાથી ગુજરાત કોણ જાણે કેમ, અજાણ્યું જ રહ્યું. નવલકથા અને નવલિકાના સફળ લેખક તરીકે એમનાં લખાણો માટે પડાપડી કરનાર તંત્રીઓને શ્રી. રમણલાલ કવિ પણ છે એ ખ્યાલ સુધ્ધાં ન આવ્યો. ૧૯૩૪ની આખરે એક દિવસ વાતવાતમાં મેં સહેજ પૂછ્યું કે ‘તમે છંદોબદ્ધ કવિતા કેમ નથી લખતા ?’ એમણે તુર્ત જ મને ‘ધૂમકેતુ’ અને ‘જલિયાંવાલા’ સંભળાવ્યું. શ્રી સુન્દરમ્‌નું ‘ધૂમકેતુ’ કાવ્ય મારા મનમાં તાજું જ હતું. શ્રી. રમણભાઈનાં કલ્પના અને નિરૂપણ મને ખૂબ ગમ્યાં અને ‘જલિયાંવાલા’ ની છેલ્લી કડી તો કૅમ્પથી ઘેર આવતાં ફેરવી ફેરવીને અનેક વાર મનમાં યાદ કરી. ત્યાર પછી વચ્ચે સંજોગો બદલાયા અને હાથમાં લેવા ધારેલું પ્રકાશન છેક ૧૯૩૫ આખરે ગુજરાત સમક્ષ મૂકી શકું છું.

શ્રી. રમણભાઈએ છંદોબદ્ધ કાવ્યો કરતાં લયબદ્ધ સંગીત- કાવ્યો વધારે લખ્યાં છે. એમનું રુચિતંત્ર જ સંગીતપ્રિય છે અને છંદરચનામાંથી પણ કોઈ કોઈ વાર સંગીતપ્રધાન રચના તરફ ઢળી જાય છે. પરંતુ બંને પ્રકારમાં કલ્પનાની ભવ્યતા અને પ્રસાદ એકસરખાં ભર્યા છે. સુકોમળ પ્રેમાળ દિલનો ગૂઢ ચિંતનમાં પણ ઊર્મિ આવેશ તરફ વધારે ઝોક હોય છે; શ્રી. રમણભાઈ પહેલેથી જ શ્રી. ન્હાનાલાલની કાવ્યસમૃદ્ધિના પ્રશંસક હોઈને ‘નિહારિકા’માં સંગ્રહાયેલી એમની કૃતિઓમાં વિચાર કરતાં ઊર્મિનું પ્રાધાન્ય વિશેષ લાગે અને પરિણામે અત્યારની નવી કવિતાથી એ જુદી પડી આવે, એમ બનવા સંભવ છે.

પરંતુ એનો નિર્ણય અને મૂલ્યાંકન કરવાનું કામ વિવેચકોને માટે રહેવા દઈ, ‘નિહારિકા’ને ગુજરાત સમક્ષ મુકતાં મિત્રધર્મ અદા કર્યાનો આત્મસંતોષ માની લઉં છું.

મૂળશંકર સોમનાથ ભટ્ટ