પાયાની કેળવણી/૩૭. મ્યુનિસિપાલિટીઓ અને પ્રાથમિક કેળવણી

વિકિસ્રોતમાંથી
← ૩૬. મારી અપેક્ષા પાયાની કેળવણી
૩૭. મ્યુનિસિપાલિટીઓ અને પ્રાથમિક કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૮. કૉંગ્રેસ પ્રધાન મંડળો અને નવી તાલીમ →


૩૭
મ્યુનિસિપાલિટીઓ અને પ્રાથમિક કેળવણી

[મ્યુનિસિપલ કોયડા’ એ પ્યારેલાલના લેખમાંથી]

મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડની શિક્ષણ પ્રવૃત્તિ વિષે પ્રશ્નો પુછાયા ત્યારે ખેડા જિલ્લાના એક ભાઈએ ફરિયાદ કરતાં કહ્યું : લોકલ બોર્ડ તરફથી ચાલતી પ્રાથમિક નિશાળમાં વર્ધાની યોજના દાખલ કરવાનું અમને તો બહુ ગમે. લોકલ બોર્ડે એ માટે રાજી છે. પણ ઇસ્પેકટરો અને કેળવણી ખાતાના મોટા અમલદારો હજુ જૂની ઘરેડમાં જ ચાલવા માગે છે. તેમને વધુયોજનાના સિદ્ધાંત વિષે આસ્થા પેદા થઈ નથી. આ મુસીબત અમારે કેવી રીતે દૂર કરવી ?”

ગાંધીજી : “એથી મને આશ્ચર્ય નથી થતું. કેળવણી ખાતાના મોટા અમલદારોને વયોજના વિશે એકદમ આસ્થા બેસી જાય તો મને આશ્ચર્ય થાય ખરું. એ આસ્થા તો અનુભવે આવશે. તે દરમ્યાન હું એટલું જ કહી શકું કે જયાં ઇચ્છા હોય ત્યાં રસ્તો નીકળે છે. કેળવણી ખાતાના પ્રધાન કેળવણી ખાતાના વડાને વર્ધાયોજનાનો અમલ કરનાર સંસ્થાઓને બનતી મદદ કરવાનું ફરમાન આપે એમાં કશી કાયદાની મુશ્કેલી હોય એમ હું નથી માનતો. મધ્ય પ્રાંતના પ્રધાનમંડળને કેળવણી ખાતા પાસે ધાર્યું કરાવવા કશી મુસીબત આવી નથી. પણ કંઈ કાયદાની મુશ્કેલી દેખાઈ આવે તો તેનો કાયદેસર ઇલાજ થઈ શકે એમ છે.”

સ૦ – “આપણી પ્રૌઢશિક્ષણની યોજનાઓમાં ધ્યેય અક્ષરજ્ઞાનનો પ્રચાર કરવાનું હોવું જોઈએ કે ‘ઉપયોગી જ્ઞાન’ આપવાનું? સ્ત્રીઓની કેળવણીનું શું ?”

ગાંધીજી : “જેઓ આધેડ વયના થયા છે ને કંઈક ધંધો કરે છે તેમને મુખ્ય જરૂર વાંચતાંલખતાં શીખવાની છે. જનસમૂહની નિરક્ષરતા એ હિંદુસ્તાનનું પાપ છે, શરમ છે, અને તે દૂર કરવી જ જોઈએ. બેશક અક્ષરજ્ઞાનપ્રચારની પ્રવૃત્તિ મૂળાક્ષરના જ્ઞાનથી શરૂ થઈને ત્યાં જ અટકવી ન જોઈએ. પણ મ્યુનિસિપાલિટીઓએ એકીસાથે બે ઘોડે સવાર થવાનો લોભ ન કરવો, નહીં તો આઘા જઈને પાછા પડવા જેવું થશે. સ્ત્રીઓની નિરક્ષરતાનું કારણ પુરુષોની પેઠે કેવળ આળસ અને જડતા નથી. તેથી વધારે મોટું કારણ તે અનાદિકાળથી સ્ત્રીને હલકી ગણનારી સામાજિક રૂઢિ છે. પુરુષે તેને પોતાની મદદગાર અને સહધર્મિણી બનાવવાને બદલે તેને ઘરનું વૈતરું કરનારી અને પોતાના ભોગવિલાસનું સાધન બનાવી છે. તેને પરિણામે આપણા સમાજનું અધું અંગ જૂઠું પડી ગયું છે. સ્ત્રીને પ્રજાની માતા કહેવામાં આવી છે એ વર્ણન સાચું છે. તેના પ્રત્યે આપણે જે મહાઅન્યાય કરેલો છે તે દૂર કરવી એ આપણું તેના પ્રત્યેનું તેમ જ પોતા પ્રત્યેનું કર્તવ્ય છે.”

કપડવંજના એક ભાઈએ પૂછયું : “આપે અમુક વિષષો વિષે જુદે જુદે પ્રસંગે જુદા જુદા અભિપ્રાયો બતાવેલા છે, એનો દુરુપયોગ કરીને અમારા વિરોધીઓ અમારી અત્યારની નીતિનો વિરોધ કરે છે. એ સ્થિતિમાં અમારે શું કરવું?”

ગાંધીજીએ કહ્યું : “એ અભિપ્રાયોમાં જે પરસ્પર વિરોધ છે તે માત્ર આભાસ છે, ને એની વચ્ચે મેળ સહેજે સાધી શકાય એમ હોય છે. સુરક્ષિત નિયમ એ છે કે જે વચન કાળક્રમે છેલ્લું હોય તેને અગાઉ- નાં બધાં કરતાં વધારે પ્રમાણભૂત માનવું ને તેને અનુસરવું. પણ મારું કોઈ પણ વચન, પછી તે હમણાંનું હોય કે પહેલાંનું, પણ તમારા હૃદય ને બુદ્ધિને ન ગમે ત્યાં સુધી એ તમને બંધનકર્તા ન ણાવું જોઈએ. એનો અર્થ એવો નથી કે મારું દૃષ્ટિબિંદુ ખોટું હતું. પણ જે દૃષ્ટિબિંદુ તમે સમજી કે ગ્રહણ કરી ન શકો તેનો સ્વીકાર કરવો એ અયોગ્ય ગણાય છે.”

સેગાંવ, ૭-૨-'૩૯

ह० बं०, ૨૬-૨-'૩૯