પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૧

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૦ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૧
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૨ →


[૧૧]

દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા ? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય ? અમરબાઈ ચિંતામાં પડ્યાં.

આ સંસારને તજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં, પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ એક બાળ રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.

"કોણ છે આ દેવીદાસ !” અધિકારીઓ તપાસ કરતા, "અરે આ તો પેલો દેવલો રબારી, બે છોકરાંનો બાપ બનીને પછી જગ્યા બાંધી બેઠો છે.”

વાત સાચી હતી. ગીરકાંઠાના મુંજિયાસર ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાય, ભેંસ, બકરાં, ગાડર અને ઊંટ : માલધારી ની એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામટાં ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.

ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતાં બંધાયાં. લોકોનો અવરજવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.

બહુ નાની વયમાં જયરામગરજીનું ત્યાં આવવું થયું હતું, વખત જતે જતે એ જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિન્દુ ચેલાની વચ્ચે એકાત્મતા તે એટલી બધી આવી ગયેલી કે જયરામગરજીનું નામ પણ 'જયરામશાહ' બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુમુસલમીન સંસ્કારોનો 'અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદ્રષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા ! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા — હશે તો જગતને એની જાણ નથી. ખેર ! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયામહેણું આ જયરામશાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાને પિતા બની પછી જ જગતનાં દુખ્યાંભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.

પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝુંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એ સાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું દેવાએ આ ચોડવડા પાસેની પોતાની ઝૂંપડી સન્મુખ વાવ્યું.

જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમ જ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મકિયા બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય-જીવનનું મંગલ મુરત એક વૃક્ષારોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે.

લોકસેવાની દીક્ષા ત્યારે દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઊપડ્યો.

અક્કેક પરકમ્મા પૂરી થયે એ ઝુંપડીએ આવીને એકાદ બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. પચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યાં તેમ જ ભયાનક અનુભવ કરાવ્યા. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી. દેવાને અઢાર ભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દ્રષ્ટિમાં ગંભીરતાનાં અંજન આંજનારું અનંત આકાશ રાત્રીદિવસ એની જોડે રંગાની ભાષામાં વાતો કરતું હતું. એવી તો સાત પરકમ્માઓ દેવાઓ પૂરી કરી. સાતમી વાર, કહેવાય છે કે, લોહલંગરી નામના કોઈ સાધુએ પોતાની ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે 'દેવા ! દેવોના દાસ ! વાવડી ગામની હદમાં શ્રી દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વલદાનની સમાત છે, ત્યાં જઈ જગ્યા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ કરજે.'

એ રીતે દેવાએ — દેવીદાસે — પરબ-વાવડીની જગ્યા સ્થાપી, અને અપરિગ્રહવત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે ગામગરાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈ એ લીધું જાણ્યું નથી; કેમ કે લોકવાણીએ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે—

[દોહો]

કે'ને ખેતર વાડિયું,
કે'ને ગામગરાસ,
આકાશી રાજી ઊતરે,
નકળંક દેવીદાસ.

[કોઈ સેવકોને ખેતર-વાડીઓ હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું જ વ્રત હતું.]

ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથ દડી ગયા, તે બનાવને આ ગ્રામ્યમાતા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધળી શ્રદ્ધા હતી.

પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.

એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. તે દિવસે પ્રભાતે પલાયન કરીને તેનાં ગામડાંમાં તેમ જ ખેતરોવાડીઓમાં એણે વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં પારકી વહુદીકરીને રાખવાના અપરાધ કારણ સંતને રાજે પકડી મગાવ્યો છે.

એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખ હોય છે. એટલે અમરબાઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં ત્યાં એમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, 'અમર મા ! આ ખટપટમાં શીદ પડ્યાં ? આવા ભેખથી તે સંસાર શું ખોટો?'

અનેકોએ કહ્યું કે, 'રબારો જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો'તો ને આજ સુધી? પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા કેમ ન બનાવી દીધા ?'

ગામડાંને ચોરે ને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે, 'આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો ! ભસ્મ કર ડાલે ! માલૂમ ?'

અમરબાઈને ન સતાવ્યાં ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખેાઈઓ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને માગે 'અમર મા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશે હોંશે વહોરાવ્યા. તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : “હેં અમર મા ! દેવીદાસ બાપુને સપારડા લઈ ગયા એ સાચું ?”

“સાચું, ભાઈ !”

“તયેં હાલોની, અમે સંધાય લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએ. આપણે એ સપારડાં માથે એક મોટું કટક લઈ જાયે.”

"હા, હા, હાલો સરવે.” બધાં જ રામબાળકો કિકિયારી કરી ઊઠ્યાં.

“તમને દેવીદાસ બાપુ આટલા બધા વહાલા કેમ લાગે, છે હેં બચ્ચાં ?" અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડ્યાં આવનાર બાળકોને પૂછતી.

"કેમ વા'લા લાગે છે? કહું? ઊભાં રો' કહું ! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાડવાં વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં ? એટલે વા'લા લાગે છે.”

"અને બચ્ચાંઓ !” અમરબાઈ હસીને સમજાવતાં, “આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો ? પછી મોટપણે ઓળકોળાંબે કેમ કરી રમશો ?”

"હા, એ સાચું," છોકરાં જાણે નવીન સત્ય સમજી ગયાં. “ત્યારે તે પછે દેવીદાસ બાપુ આપણને શા સારુ વા’લા હોવા જોવે ?"

"પણ ભાઈ,” અમરબાઈ એ છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું : “તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને ?”

"હા, એ પણ સાચું,” છોકરાં નવું સત્ય સમજતાં.

એ નિર્દોષ નિઃસ્વાર્થ ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી.

એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર-સિદ્ધિનો જે અભાવ એને થોડી વાર પહેલાં ખૂંચ્યો હતો, તે ખૂંચતો મટી ગયો. અમરબાઈ એ આ વન-બાળ જેવી સાદી સ્નેહ-લાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.