બીજી શી વસ્તુની આશાથી તે કૃતઘ્ન થયો હશે ? સ્ત્રીના મોહમાં તો નહિ સપડાયો હોય ? પણ સ્ત્રીનો મોહ ક્યાંથી હોય?”
સ્ત્રીનો પ્રશ્ન આવતાં જ રાક્ષસ કિંચિત્ સ્તબ્ધ થઈ ગયો અને થોડીક વાર પછી એકદમ દીર્ઘ નિઃશ્વાસ નાંખીને આત્મગત બોલવા લાગ્યો કે, “શાબાશ ! શત્રુઓ, શાબાશ !! જો મારા ધારવા પ્રમાણે થયું હોય, તો ખરેખર તમને ધન્યવાદ જ ઘટે છે ! જેને દુષ્ટ મુરાના મંદિરમાં મેં મારી દૂતિકા તરીકે રાખી હતી, તે દુષ્ટ દાસી દ્વારા જ તમે હિરણ્યગુપ્તને ફોડ્યો હશે - જો એમ જ હોય, તો મારું શસ્ત્ર તમે મારી છાતીમાં જ ભોક્યું, એમાં અણુમાત્ર પણ શંકા નથી. પત્રો વિશે તો આ ભેદ જણાયો, પણ રાજઘાતનો ભેદ શો હશે ?”
રાક્ષસને એ વિચારસાગરમાં તણાતો છોડીને આપણે હવે આર્ય ચાણક્યના દર્શનનો લાભ લઈશું.
મિત્રનો મરણસંકટમાંથી છૂટકો કરવા માટે રાક્ષસ મારી આજ્ઞાનો સ્વીકાર કરશે જ અને ચન્દ્રગુપ્તને મગધનો રાજા માનીને તેના મંત્રિ૫દને પણ વિભૂષિત કરશે.” એવી ચાણક્યને પૂરેપૂરી આશા હતી. પણ તે આશા સમૂલ નષ્ટ થઈ ગઈ, “એની સત્ય નિષ્ઠા સમક્ષ અને નન્દનિષ્ઠા સમક્ષ આપણા કપટકૌશલ્યનું જરા પણ બળ ચાલનાર નથી,” એ તેને સારી રીતે દેખાઈ આવ્યું અને તેથી હવે પછી શો ઉપાય કરવો, એ વિશેના તે મહા ગંભીર વિચારમાં પડી ગયો. “રાક્ષસને છૂટો તો ન જ મૂકવો જોઈએ. કારણ કે, જો તે છૂટો રહેશે, તો અવશ્ય કોઈ બીજા રાજ્ય સાથે મળીને ચન્દ્રગુપ્તના નાશનો ઉપાય યોજવાનો જ. નવ નન્દોનો મેં નાશ કર્યો, તેથી કાંઈ પૃથ્વી નન્દહીન થઈ નથી ગઈ. ચન્દ્રગુપ્તનું ઉચ્ચાટન કરીને જો એ પુનઃ નન્દનું અધિષ્ઠાન કરવાનો વિચાર કરશે, તો અવશ્ય એને કોઈપણ નન્દ નામધારી કુમાર અથવા તો વૃદ્ધ પુરૂષ મળી આવશે. અત્યાર સુધીના પરાજયથી ક્રોધિષ્ટ થએલો રાક્ષસ એ સર્વ ઉપાયોની યોજના કરવામાં કદાપિ પાછી પાની કરવાનો નથી જ. ત્યારે એને પાછો પોતાને સ્થાને લાવવા માટે શી યુક્તિ યોજવી? અત્યાર સુધીના બધા પ્રયત્નો તો વ્યર્થ ગયા. પર્વતેશ્વર તારી મુદ્રાવાળાં પત્રો દેખાડે છે અને હમણા સુધીનો જે બનાવ બન્યો છે, તે જોતાં આ લોકોનો