“આર્ય રાજા ખરો, પણ તે યવનોના દાસત્વમાં આનન્દ માનનારો
આર્ય રાજા છે. અને વળી તે યવનોના ક્ષત્રપની સહાયતાથી મગધદેશને
જિતવાનો છે.” રાક્ષસે વળી પણ તાણો માર્યો.
“એથી મગધદેશ યવનોના અધિકારમાં જ જશે, એની શી સાબેતી? શાકલાયને પાછો સવાલ કર્યો.
“સાબેતી તો ખુલ્લી છે – એમાં શંકા જેવું કાંઈ છે જ નહિ; જે શિકારીને મદદ કરે, તે પોતાનો ભાગ પડાવ્યા વિના રહેતો જ નથી. જો આખા શિકારપર તે તરાપ ન મારે, તો મોટાં ભાગ્ય જ સમજવાં - પણ સલૂક્ષસ તો આખા શિકારની જ માગણી કરવાનો. મગધદેશપર એલેકઝાંડર કરતાં પણ એની આંખો વધારે ટાંપી રહી છે. પોતાના સ્વાર્થ પૂરતો તે મલયકેતુને પાસે રાખશે અને સ્વાર્થ સધાયો, એટલે દુગ્ધમાંથી મક્ષિકા પ્રમાણે તેને તે દૂર ફેંકી દેશે. શાકલાયન ! એલેકઝાંડરને આ દેશમાં રહેવું નહોતું, એટલે તેણે પર્વતેશ્વરનો પરાજય કરીને તેને માંડલિક બનાવ્યો અને રાજ્ય પાછું તેને જ આપી દીધું; પણ આ સલૂક્ષસ તો અહીંનો જ નિવાસી છે અને તેટલામાટે એના મનમાં ચક્રવર્તી થવાની અનિવાર્ય ઇચ્છા છે. એની મહત્ત્વાકાંક્ષા મહતી છે. રાજા ધનાનન્દ જો સ્ત્રીવિલાસી અને રંગીલો ન હોત, તો તેના હસ્તે એ સલૂક્ષસને પરાજિત કરાવીને ક્યારનેાએ મેં પંજાબ અને કાશ્મીરની સીમાથી બહાર હંકાવી કાઢયો હોત, અને સર્વત્ર મગધનું સામ્રાજ્ય વિસ્તારી દીધું હોત.” રાક્ષસે કહ્યું.
“ત્યારે હવે તેમ થવું શક્ય નથી કે શું ? મલયકેતુ પ્રથમ સલૂક્ષસની સહાયતાથી મગધનું રાજ્ય જિતે અને પછી તેને હાંકી કાઢે તો તે બની શકે તેમ છે.” શાકલાયને એક નવીન યુક્તિનું દર્શન કરાવ્યું.
એ સાંભળીને રાક્ષસ મોટેથી હસ્યો અને કહેવા લાગ્યા કે, “આપ માત્ર મારી પરીક્ષા કરવાને જ આવા પ્રશ્નો મને પૂછો છો, એમ જ જણાય છે. અરે જો સલૂક્ષસ આવી દક્ષતાથી પોતાની કાર્યસિદ્ધિનો પ્રયત્ન કરે છે, તે પર્વતેશ્વરના અને મલયકેતુના પ્રપિતામહ આવે, તોપણ પરાજિત થાય ખરો કે? કદાચિત્ તે એ પિતા પુત્ર બન્નેનાં રાજ્યોને સ્વાહા કરવાની ઇચ્છા ન કરે, તો તે તેમનાં મોટાં ભાગ્ય જ સમજવાં. યવનોનો તે વળી વિશ્વાસ કેવો? તમારું એક પણ વચન યોગ્ય હોય, એમ મને તો નથી ભાસતું.”
“ખરું છે. મને પણ ભાસે છે કે, આ આપણો વિવાદ નિરર્થક જ છે. માટે હવે આપણે એને બંધ જ કરીએ, માત્ર અત્યારે મને એટલું