પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"દયાથી પૂરેલું, નહિ પ્રણયહીણું ઉર રહે!

[અનુષ્ટુપ]

"દયા ને પ્રેમને વ્હાલી! ના વિશ્લેષ બની શકે,
"પ્રેમહીણી દયા ક્યારે ના અસ્તિત્વ ધરી શકે.

"પ્રેમની વૃદ્ધિમાં નિત્યે, દયાની વૃદ્ધિ સંભવે,
"પ્રેમ જો નાશ પામે તો, દયા ના જીવતી રહે.

"સ્વીકાર્યો ત્યાગ મેં વ્હાલી! સ્વાર્થ ને મમતા તણો,
"વિશ્વબંધુત્વનો ક્યારે, ત્યાગ ના સુગતે કર્યો.

"સદા સંસારનો સ્નેહી, દુઃખી દુઃખ વિષે થતો,
"કાપવા સંકટો એનાં અધિકારી બની રહ્યો.

[શાર્દૂલવિક્રીડિત]

"મેં કીધો તપ નિષ્કારણ વડો તેં ના નિષેધ્યો જરી,
"સિદ્ધિ સદ્ય મળે મને ઉર થકી એ એક ઇચ્છા કરી;
"ને આંદોલન એ ઉદાર ઉરનાં, એ ભવ્ય સદ્ભાવથી,
"સિદ્ધિ સાધી શક્યો અવશ્ય સખિ! હું તે ના શકું વીસરી.

વસંતતિલકા

"જેણે જગજ્જન તણાં સહુ કષ્ટ કાપ્યાં,
"સંતાપના અવનવા ઉપચાર આપ્યા;
"તેણે તને અહહ! દૂર પડી દુભાવી,
"તે પૂર્ણ આ ઉરતણો અપરાધ વ્હાલી!

[મંદાક્રાન્તા]

"કિન્તુ તારું અનુકૂળ અહો! જોઉં છું ચિત્ત જ્યારે
"શાંતિ મારા વ્યથિત ઉરમાં થાય છે શીઘ્ર ત્યારે;