પણે ગમે તે વિચાર બાંધીએ, પણ ઈબાદત–ખાનામાં ચાલતા વાદ પૂર્ણ શાન્તિથી અને નિષ્પક્ષપાતથી ચાલતા તે આ વાત સારી રીતે બતાવે છે, એટલું જ નહિ પણ અકબરના મનનું સાચું વલણ આ વાત બતાવી આપે છે, અને તે સારૂ આ આવકાર તેને પાત્ર છે. ખરી રીતે તમામ મત અને ધર્મપંથો ઉપર વિચાર કરીને દરેક ઉપર એની અનાસ્થા થઈ હતી. એ બધા મત મતાંતરોને માનવાને બદલે તેણે આ જગતના એક સર્વ શક્તિમાન્ કર્તાને ઓળખી લીધો અને સમાનભાવ સર્વેને સમાન ઈન્સાફ અને પ્રત્યેક માણસને પોતાનું માનસિક સ્વાતંત્ર્ય, બીજાની જીંદગી જોખમમાં ન આવે એવી રીતનું નુકશાન ન થાય ત્યાં સુધી–એ ત્રણ નિયમોને અમલમાં મૂક્વા સારૂ એ પોતે ઈશ્વરનો આ જગત્માં મોટામાં મોટો પ્રતિનિધિ છે, એમ માની લીધું હતું. મુસલમાનોની સાથે એ જરા સખ્તાઈથી વર્તતો, કારણ કે રાજ્યપક્ષના ધર્માધ્યક્ષો હમેશાં પરધર્મવાળાઓને હેરાન કરવા તરફ વલણવાળા હોય છે એમ તેણે જાણી લીધું હતું. પણ બધાઓનું કહેવું તે ધીરજથી સાંભળતો અને દરેક ધર્મના સ્વાર્થી ધર્માધ્યક્ષોએ પોતપોતાના ઈશ્વરના મોટા ઉદાર દૂરાવગાહી અને સર્વાભિમત ગુણોનો વિનાશ કરેલો છે, એમ જોવાથી, બધાએ માનેલા ઈશ્વરને, એમના ધર્માધ્યક્ષોને કોરે મૂકીને, એ નમ્યો.
સર્વશક્તિમાન ઈશ્વરનું સૂચક ચિન્હ સૂર્યમાં છે, એમ એ માનતો તેથી એને કેટલાકોએ જરથોસ્તીના ધર્મનો અનુયાયી કહ્યો છે. પારસીઓના ધર્મની સાદાઈને લીધે એ ધર્મ એને ઘણો મનપસંદ હતો એમાં તો કાંઈ શકજ નથી. પોતે ઘડી કહાડેલી યોજનામાં ધર્માધ્યક્ષ મંડળનો અભાવ હતો. સર્વશક્તિમાન પ્રભુએ મને બક્ષેલી ભૂમિમાં હું એનો પ્રતિનિધિ છું એમ સમજીને એણે પ્રત્યેક ધર્મનો સારો અંશ ચુંટી કહાડ્યો, કે જેથી બીજાને હેરાન કરવાના સાધનરૂપ મટીને ધર્મ બધાને સહાયરૂપ થઈ પડે. એની ધર્મ યોજનાની આ ઉદારતા એના સમકાલીનોને તો એની રાજ્યનીતિની ઉદારતા જેવીજ અગમ્ય હતી. એના અભિપ્રાય સર્વમાન્ય થવાને એનો ઉત્તરાધિકારી એના જેવોજ વૃત્તિનો હોવાનો જરૂર હતી. એ તો ત્રણે કાળમાં અશક્ય જ હતું, પરિણામ એવું આવ્યું કે એની રાજ્યનીતિ જે સાંકડી નેળમાંથી