એણે મુક્ત કરી હતી તેજ નેળમાં એના મરણ પછી ધીમે ધીમે પાછી ભરાઈ પડી; અને એની ધર્મનીતિ એની જ સાથેજ શાન્ત થઈ. તેના ઉત્તરાધિકારીમાંના બે ઉદાસીન વૃત્તિના મુસલમાન હતા; તેમના વખત પછી પ્રતાપી અને ડાહ્યા અકબરે જમાવેલી બધી શ્રેષ્ઠતાનો નાશ કરવાને સારૂ ધર્મદ્વેષે પોતાની સત્તા જમાવી; તથા પરિણામે, મોઘલવંશના આત્મારૂપ બનેલું સમાનભાવનું નીતિ ધોરણ શિથિલ પડવાથી, અકબરની, સર્વને સરખો ઇન્સાફ આપવાની અને સર્વને માટે સમાનભાવની અમર્ત્ય નીતિને નવે અવતાર લાવનારી બીજી પ્રજાના રાજ્યને દાખલ થવાનો માર્ગ થયો.
ઉપરના વિસ્તારમાં હું એમ જણાવી ગયો છું કે બીજાની જીંદગી જોખમમાં ન આવતી હોય ત્યાં સુધી અકબર સહુના વિચાર પ્રમાણે સહુને સ્વતંત્રતાથી ચાલવા દેતો. આનું એણે હિંદુઓના સતી થવાના રીવાજના સંબંધમાં એક સ્પષ્ટ દૃષ્ટાંત આપ્યું. આ રીવાજ હિંદુઓમાં એટલા લાંબા વખતથી ચાલતો હતો કે એને અનુસરીને ન વર્તે તો બીચારી વિધવા પોતે જાતેજ પોતાના ઉપર કલંક વ્હોરી લે છે એમ મનાતું. ગમે તેમ હોય પણ મરવું કોઈને વ્હાલું નથી હોતું તેથી પોતાના સદ્ગુણની પીછાણવાળી પણ મિથ્યા વિચારનો ભોગ થઈ પડવાને નારાજ એવી ઘણી વિધવાઓ પોતાના સ્વામિની ચિતા, ઉપર ચઢવાને સ્પષ્ટ રીતે પોતાની અનિચ્છા દેખાડતી. પછી એમ બનતું કે ધર્માધ્યક્ષો, પરલોકમાં તને ભયંકર દુઃખ પડશે એવી ધમકીઓ આપીને અથવા ધર્મશાસ્ત્ર સંબંધી એના મન ઉપર અસર કરે એ બોધ કરીને એની અનિચ્છા દૂર થાય એટલે સુધી સમજાવતા. આવા કર્મોથી અકબરના દયાર્દ્ર મનને ધિઃકાર છૂટતો તેથી તેણે એનાથી જેટલું બન્યું તેટલું કરીને આ રીવાજ બંધ પાડવાની કોશીશ કરી. રજપુતાનાના રાજાઓને આ રીવાજ ઉપર ઘણો આદર હતો. કોઈ વિધવા પોતાના મનથી સતી થવા ઇચ્છતી હોય તો આવા ધર્મના એક કાનુનરૂપ થઇ પડેલા અને લાંબા વખતથી ચાલી આવેલો હોવાથી ઘણું માન પામેલા રીવાજની વચમાં કોઇનાથી આવી શકાતું નહિ. આ રીવાજના અટકાવનો હુકમ કહાડતાં પહેલાં તેને લાગ્યું કે મારાં દાખલ કરવા માંડેલાં ઉદાર ધોરણો અંતઃપુર સુધી પહોંચી જવા જોઇએ;