પોતાના વર્તમાનમાં જનસુખની વૃદ્ધિ કરી એ તો નિર્વિવાદ છે. મિ. ઓલ્ફસ્ટને સૂચવેલ માર્ગ ઉપર જવામાં તે વખતના હિંદુ જનસમાજના બંધારણનાં અગત્યનાં ધોરણોનો નાશ થવાનો સંભવ હતો. ગામના મુખીને પડતા મૂકી ખેડુતો સાથે પરબારો વ્યવહાર ચલાવવાનો યત્ન કરવામાં અકબર એ સ્થિતિની અણી ઉપરજ આવ્યો હતો. યોગ્ય વખત ગયે એ સમજી ગયો કે લગભગ કાયદા જેટલું જોર ધરાવતા રીવાજો સાથે એણે બહુ બીકથી અને સાવધાનીથી વર્તવું જોઈએ; અને તેથી તેણે પોતાની આજ્ઞા રદ્દ કરી.
મહેસુલ, રાજ્યકોશ અને ચલણની બાબતમાં અકબરનો મુખ્ય સલાહકાર રાજા ટોરમલ હતો. તેને વિષે પૂર્વના પ્રકરણમાં કેટલુંક કહેવાયલું છે. એ અગાધ શક્તિવાળો અને કસી જોયેલી પ્રમાણિકતાવાળો હતો. મુસલમાન બાદશાહના દરબારમાં રહેલો છતાં એ ખરો હિંદુ રહ્યો હતો અને પોતાના ધર્મની બધી ક્રિયાઓ શ્રદ્ધાથી કરતો. એક વખત અકબર સાથે પંજાબ જતાં વિદાય થવાની ઉતાવળમાં એ પોતાના દેવ ભૂલી ગયો. નિત્ય પૂજન કર્યા વિના એ બીજું કાંઈ પણ કામ કરતો નહિ, તેથી તે કેટલાક દિવસ સુધી ખાધા પીધા વિનાજ રહ્યો અને આખરે બહુ મુશીબતે અકબર એને દીલાસો આપી શક્યો.
અકબરના લશ્કરનો મોટો ભાગ ઘોડેસ્વારનું લશ્કર હતું. યુદ્ધરચનામાં હાથીઓ પણ અગત્યની સ્થિતિ ધરાવતા. હાથીઓની હાજરીથી બાદશાહે હાજર છે એમ નિયમસર સમજાતું. ખરી રીતે હાથી ન હોય તો બાદશાહ હોયજ નહિ એવી સમજણ હતી. ગયા પ્રકરણમાં બાદશાહના એક પરાક્રમી શત્રુએ આવી સર્વવ્યાપી સમજણથી કરેલી સુખદ ભૂલનું દૃષ્ટાંત આપ્યું છે.
વિંંધ્ય પર્વતની ઉત્તરના રાજ્યના અકબરે બાર પ્રાન્તો પાડ્યા હતા. આ બધા ઉપર માત્ર બાદશાહનાજ તાબામાં રહી અકેક સુબો રાજ્ય કરતો. જ્યાં સુધી સદ્વર્તન રાખે ત્યાં સુધી એ અધિકાર એ ભાગવતો અને દરેક બાબતમાં બાદશાહના હુકમો પાળવાને તે બંધાયલો હતો. તેના તાબામાં ફૌઝદાર નામના સ્થાનિક લશ્કરી અમલદારો રહેતા અને તેમના હાથમાં ચોકીયાત અને લશ્કર બન્નેના અધિપતિનાં કર્તવ્યો હતાં. આ રીતે પોતપોતાનાં