આજ પણ તેમના મનમાં આ વિચાર કેવી રીતે ઘૂમે છે તે જણાઈ આવે છે. એમની દૃષ્ટિમાં સર્વોપરિ સત્તાવાળો પુરૂષ ઈશ્વરના આસન ઉપર બેસે છે. એની મરજી અનુસાર એમનાં સુખ દુઃખ ઘડાય છે. ઉત્સવના દિવસોમાં એ લોકો એમ ધારે છે કે આ સર્વસત્તાવાન રાજા પોતાની બાદશાહીનો દમામ બતાવશે અને ભવ્યતા પ્રદર્શિત કરનાર ભબકો પોતાની આસપાસ ઉપજાવશે. અકબર આ બધું બરાબર સમજતો અને તે પ્રમાણે વર્તતો.
મહોત્સવના દિવસોમાં એ કેવો ચિત્તગ્રાહક ભબકો રાખતો તે જાણવાને અઇન સિવાય બીજાં પણ સાધનો છે. દેશી ઈતિહાસકારો એના પાંચ હજાર હાથીઓની, બાર હજાર અસ્વારીના ઘોડાની, દરબાર ભરવાનાં દીવાનખાનાં, ભોજનશાળા, કસરતશાળાઓ તથા શયનગૃહોની ગોઠવણોની, ઉમદા કાપડના અને જાત જાતના ઉંચા રંગદાર તંબુઓવાળા મુસાફરીના સરંજામની, વાત લખે છે. તેઓ વર્ણન કરતાં લખે છે કે બાદશાહ પંડે મોટી ધામધુમના દિવસોમાં ચારે તરફથી ખુલ્લા એક ઉમદા તંબુમાં અત્યંત મૃદુ મખમલની બે એકર જમીન ઉપર બીછાવેલી બીછાતના મધ્ય ભાગમાં પોતાના અમીરોની સલામો લેતો બેસતો. પછી લોકોના દેખતાં ગરીબ લોકોમાં વ્હેંચવાને સારૂ કેટલીક વસ્તુઓની સાથે બાદશાહની તુલા થતી. બાદશાહની ઉમરના વરસ જેટલાં ઘેટાં બકરાં અને કેટલાંક પક્ષીઓ તેના ઉછેરનારને અપાતાં. સંખ્યાબંધ નાનાં પ્રાણીઓને પણ છૂટાં કરવામાં આવતાં. અને બાદશાહ પંડે પોતાના હાથે બદામ અને નાનાં ફળ પોતાના માનકારીઓમાં વ્હેંચતો.
ધામધુમવાળે મોટે દિવસે અકબર રત્નોથી ઝગઝગતો પોતાના તખ્ત ઉપર વિરાજતો અને તેની આસપાસ ભબકાદાર પોષાકવાળા એના મુખ્ય અમીરો બેસતા. પછી તેની નજર આગળ થઈને માથે અને છાતી ઉપર માણેક અને બીજાં કિંમતી રત્નોવાળાં આભૂષણોથી અલંકૃત હાથીઓ–ભબકાદાર સરંજામવાળા ઘોડાઓ, ગેંડા, સિંહ, વાઘ, દીપડા, શીકારી ચિત્તા, શીકારી ચિત્તા, અને બાજ એક પછી એક પસાર થતા; અને અંતે દમામી પોષાકવાળા પોતાના ઘોડેસ્વારો નજર નીચે થઈ ચાલ્યા જતા. આ માત્ર કલ્પનાચિત્ર છે એમ સમજવાનું નથી. હૉકીન્સ, રો, ટેરી, વગેરેએ અકબરના