પૃષ્ઠ:Akbar.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.

તેનો પ્રથમ સહાયક દૌલતખાં ભરાઈ પેઠો હતો ત્યાં આગળ આવી પહોંચ્યો. મીલવત તરતજ વશ થયું. પછી જાલંદર દુઆબમાં થઈ તે લખે છે તેમ દૃઢ નિશ્ચય રૂપ પેંગડામાં પગ મુકી અને સર્વશક્તિમાન પ્રભુ ઉપર વિશ્વાસ રૂપી લગામ હાથમાં લઈ, તે સતલજ સુધી વધ્યો અને રૂપર આગળ તે નદી ઓળંગી ત્યાંથી અંબાલાને રસ્તે સીરાસવાને સામે કિનારે જમના નદી ઉપર આવ્યો. ત્યાંથી બે મજલ સુધી નદીને કિનારે કિનારે નીચાણમાં કુચ કરી બીજી મજલે તે દિલ્હીથી–વાયવ્ય કોણમાં–તેપન માઈલ ઉપર આવેલી પાણીપતની રણભૂમિ આગળ પહોંચ્યો. ત્યાં તે થંભ્યો અને છાવણી નાંખી. તા. ૧૨ મી એપ્રીલ સને ૧૫૨૬.

નવ દિવસ પછી બ્રાહીમ લોદીએ બાબરની ગણતરી પ્રમાણે એક લાખ લશ્કર લઈ તેની ખાઈથી રક્ષિત થયેલી છાવણી ઉપર હલ્લો કર્યો. બાબર લખે છે કે સૂર્ય એક કાઠી જેટલે ઉંચે આવ્યો તે વખતે પહેલો હલ્લો થયો. અને મધ્યાહ્ન સુધી લડાઈ ચાલી. પરિણામમાં બાબરના દુશ્મનોએ સખત હાર ખાધી. આ લડાઈ દરેક રીતે નિર્ણયકારક હતી. બહાદુરીથી લડતાં લડતાં બ્રાહીમ મરાયો. અને આખુ હિંદુસ્તાન વિજેતાને પગે આવી પડ્યું. તેજ દિવસે બાબરે દિલ્હી અને આગ્રાનો કબજો લેવાને પોતાનું લશ્કર મોકલ્યું. અને તા. ૨૪ મી એપ્રિલ અને ૪ થી મેને દિવસે અનુક્રમે આ બે કાર્યો સિદ્ધ થયાં.

પ્રકરણ ૫ મું.


હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.

વાયવ્ય પ્રાંતમાંના બે મોટાં મથકોના ધણી થઈને એક રાજ્યનીતિજ્ઞ પુરુષની દીર્ધદષ્ટિથી બાબરે હિંદુસ્તાનનું યથાસ્થિત અવલોકન કર્યું. તેને તરતજ માલુમ પડ્યું કે હું ઉત્તર હિંદુસ્તાન એકલાનોજ માલીક થયો છું. અયોધ્યા, જુઆનપુર અને પશ્ચિમ બિહારના અગત્યના જીલ્લાઓ ઇબ્રાહીમની સામે થયા હતા. અને એ બાદશાહે આ હુલ્લડખોરો સામું લશ્કર મોકલ્યું