પૃષ્ઠ:Akbar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.


પવિત્ર દેરાંઓ કે તમારી વહુ દીકરી સલામત રહી શકશે નહિ એમ હિંદુ પ્રજાના મન ઉપર ઠસાવવામાં મણા રાખી નહિ. આવા ભયને વશ થઈને હિંદુ લોકો આ દયાળુ અને ઉદાર મનના વીરપુરુષથી ડરીને દેખાતા આવશ્યક જુલમોને વશ થવા કરતાં જંગલનિવાસનું દુઃખ પસંદ કરતા નાઠા.

બાબરનાં વિઘ્નોમાં વળી એક ઉમેરો એ થયો કે તેના લશ્કરમાં આ વખત બેદીલી ફેલાઇ. લશ્કરનાં માણસો ઘણે ભાગે પૂર્વ અફઘાનીસ્તાનના શબર લોકો હતા. જ્યાં સુધી લડવાની આશા હતી ત્યાં સુધી તો આ લોકો પોતાના સેનાપતિની પાછળ પાછળ ખુશીથી આવ્યા. પણ પાણીપતની લડાઇથી તેમને ઉત્તર હિંદુસ્તાન તો મળ્યું હતું. દિલ્હીથી આગ્રા સુધીની કુચ તો એક ઉજ્જડ મુલકમાં થઇને કરવાની હતી. ઋતુ એવી હતી કે આખો દિવસ તાપ રહ્યા કરે. અને સને ૧૫૨૬ નો તાપ તો સાધારણ વર્ષોમાં રહેતા તાપથી વિશેષ હતો. આપણા પીસતાળીસની સાલવાળા પ્રિન્સ ચાર્લીના પહાડી લોકોની પેઠે આ લોકો પણ બબડવા લાગ્યા. એમને એમની ડુંગરની ઝુંપડીઓમાં જવાની ઉત્કંઠા થઈ. ફક્ત સૈનિકોમાંજ આ બેદીલી હતી એમ નહોતું. સરદારો પણ ફરિયાદ કરતા હતા. અને એમની ફરિયાદ આખરે બાબરને કાને ગઈ.

બાબર પોતાના વિજયથી ખુબ ખુશી થયો હતો. તાપ અને સૈનિકોની બેદીલીથી એ એટલો બધો હેરાન નહોતો થઈ ગયો કે જેથી એશીયા ખંડનો અત્યંત સુંદર, અત્યંત ફળદ્રુપ અને સર્વથી ઉંચો મુલકની જીત મેળવ્યાનો સંતોષ ઊણો રહે. પોતાની ચમત્કારિક તવારીખમાં તેણે આ વિષયમાં વીસ મોટાં છાપેલાં પાનાં ભરાય એટલી જગા રોકી છે. આરંભમાં લખે છે કે “આ એક અત્યંત રમણીય દેશ છે. આપણા દેશની પ્રમાણમાં આ એક જુદી જ દુનીયાં છે.” તરતજ પોતાનો વિજય પૂરો કરવાને માટે બધી તૈયારીઓ કરવા માંડી. “કાબુલનો રાજા” એ ઈલ્કાબ ‘હિંદુસ્તાનનો બાદશાહ’ એ ઈલ્કાબથી, નીચો ગણાયો. પાછા ફરવાની વાત જ નહતી. તેણે બધાં વિઘ્નો જોઈ રાખી સહુ સહુના ઉપાયો યોજી રાખ્યા હતા. તે એક ખરો ફલાભિલાષી માણસ હતો, અને તેથી ખરી રીતે જે તેને મોટામાં