તીલવાર સુધી નાઠો. અકબરના મદદગારે બેરામને ભેટીને હરાવ્યો, ત્યારે અકબર પણ બેરામની શોધમાં જ હતો. તે આ વખત બેરામની પાછળ પડ્યો અને એને એવી દશામાં આણ્યો કે બેરામ એને શરણ થયો અને માફ માગી. પછી એણે કરેલી મોટી સેવાઓ સંભારીને અકબરે એને માફી બક્ષી અને ખરચીમાં એક મોટી રકમ આપી મક્કાને રસ્તે મોકલ્યો. બેરામ ગુજરાત સુધી સહીસલામત પહોંચ્યો. ત્યાંના સૂબાએ એને સારો આવકાર આપ્યો અને ત્યાં હિંદુસ્તાન છોડવાની તૈયારી કરતા હતો તેવામાં—એક લોહાની અફઘાન–જેનો બાપ મચ્છીવાડાની લડાઈમાં મરણ પામ્યો હતો તેણે એને મારી નાંખ્યો.
દરમિયાન અકબર દિલ્હી આવ્યો હતો. (તા. ૯ મી નવેમ્બર સને ૧૫૬૦) ત્યાં તેણે થોડા દિવસ આરામ લીધો અને પછી જે જે મુલકોને એકત્ર કરી એક મોટું રાજ્ય બનાવવાનો એણે નિશ્ચય કર્યો હતો તે તે મુલકો જીતવાની અને એકતન્ત્ર કરવાની પોતે ઘડેલી યોજનાઓ અમલમાં મૂકવા આગ્રે ગયો. ખરૂં જોતાં અકબરનું રાજ્ય એ અર્થમાં એનું રાજ્ય આ વખતથી શરૂ થયું. તેનો અતાલીક જેણે રાજ્યની તમામ સત્તા પોતાના એકલાના હાથમાં રાખી હતી તે ગયો અને દેશનું ભવિષ્ય હવે આ બાદશાહની બુદ્ધિ ઉપર જ આધાર રાખી રહ્યું.
પ્રકરણ ૧૧ મું.
અકબરના રાજ્યનો ઇતિહાસ.
પાણીપતની લડાઈની તારીખથી ગણતાં અકબરના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અને તેના સ્વાયત્ત રાજ્યના પહેલા વર્ષમાં હિંદુસ્તાનની સ્થિતિ સંક્ષેપમાં નીચે પ્રમાણે હતી. પશ્ચિમમાં ગ્વાલીયર અને અજમેરનો સમાવેશ કરતાં અને પૂર્વમાં લકનૌ તથા જોધપુરની હદ સુધી અલ્લાહાબાદ સમેત અને અયોધ્યાના બાકીના ભાગ સાથે જે પ્રદેશને આપણે હાલ વાયવ્ય પ્રાંતો કહીએ છીએ–તે તથા પંજાબ એટલું અકબરને તાબે હતું. બનારસ, ચન્નર, અને બંગાળા તથા બિહારના ઇલાકા હજી સૂરવંશના સુલતાનોના અથવા બીજા