હુમાયુ એજ વિચારનો વારસ થયો હતો અને તે વિચારને બીજા કોઈ વિચાર સાથે સંબંધ ન કરાવતાં એના પિતાએ મેળવેલું તે એણે ગુમાવ્યું. અલબત આખરે તેણે કાંઈક ભાગ પાછો મેળવ્યો પણ તે પણ વિજ્યાસક્ત વીર તરીકેજ. એના પૌત્રેજ જમીનમાં મૂળ નાંખ્યાં કે જે મૂળ ઊંડાં ગયાં, ઊગી નીકળ્યાં–અને જેનાં જીતાયેલી પ્રજાને સુખ અને સંતોષરૂપી–ઉમદા ફળ મળ્યાં
આટલા વસ્તુના પૂર્ણ વિસ્તાર માટે આ આગળનાં પાનાં લખાયલાં છે. મને લાગે છે સ્વાભાવિક રીતે જ આ પુસ્તકના ત્રણ ભાગ થઈ જાય છે. હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવાના વિચારને પુખ્ત કરનાર અને આખરે તેની જીત મેળવનાર બાબરમાં પહેલો ભાગ રોકાયેલો છે. તે પ્રશંસાપાત્ર વીર પુરુષ હતો અને તે ગમે તે કાળમાં પ્રસિદ્ધિ પામ્યો હત. જ્યારે તે અડતાળીસ વર્ષની અપક્વ વયે મરી ગયો ત્યારે તે એક એવો લેખ મુકી ગયો છે કે જે વાંચવામાં આ ઓગણીસમા સૈકાના અંતમાં પણ રસ પડે અને બોધ મળે. એને માટે વધારે જગ્યા રોકવાનું મને વધારે અવશ્ય લાગ્યું છે તે એમ કે પૌત્રનાં કાર્યોમાં પિતામહનો જુસ્સો વેગ અને લક્ષણની સહજ ઉદારતા વાંચનાર લક્ષમાં લેવાને ચૂકે નહિ. હુમાયુ કે જેના ચરિત્રનો વાજબી રીતે પહેલા ભાગમાં સમાવેશ થવો જોઈએ તેના સંબંધમાં–તેની પડતીનું કારણ સ્પષ્ટ કરવાને તથા હિંદુસ્તાનમાંથી નાસતાં સિંધમાં જન્મેલા આ પુસ્તકના નાયકનું નાનપણ વર્ણવવાને જેટલું જરૂરનું લાગ્યું એટલુંજ લખ્યું છે.
આ ગ્રંથના બાકીના બે ભાગમાં અકબર વિષે લખાયલું છે. પણ અહિંયાં પણ મારા વિષયના મેં પેટા ભાગ પાડેલા છે. અવશિષ્ટ બે ભાગમાંના પહેલા ભાગમાં તે કાળના મુસલમાન ઇતિહાસ લખનારાઓના લેખમાંથીજ તેમને પ્રમાણ માની તેના વખતના રાજકીય બનાવોનું વર્ણન કર્યું છે. છેલ્લા પ્રકરણમાં અકબરનું એક મનુષ્ય તરીકેનું શબ્દચિત્ર આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. અઈ–ની–અકબરી–અને બીજા ગ્રંથોનાં લખાણોને આધારે રાજ્યવ્યવસ્થાકાર તરીકે, વળી જે રાજ્યનીતિ કેટલેક દરજ્જે આપણને (ઇંગ્રેજોને) વારસામાં મળી છે તે નીતિના યોજનાર અને પ્રવર્તાવનાર