બીજાને ભાગે પોતાને ફાયદો કરવાના નિશ્ચયવાળા થતા હતા. આ ગેરબંદોબસ્તનાં પરિણામ અકબરને પણ ઘણા વખતથી ખમવાં પડતાં હતાં, અને આ વખતે તેને હમેશને માટે અંત લાવવાનો તેણે નિશ્ચય કર્યો.
અકબરની ગુજરાત ઉપરની સવારી એના રાજ્યનું સહુથી વધારે પ્રસિદ્ધ પરાક્રમ છે. તેણે એવો નિશ્ચય કર્યો હતો કે એની ગોઠવણમાં અથવા તો તે ગોઠવણ પાર ઉતારવામાં કાંઈ પણ ચૂક થવી જોઈએ નહિ. હિંદુસ્તાનના મોટા ભાગનો એ રાજ્યકર્તા થયા ત્યાર પછી પહેલીજ વાર આ વખતે પોતાના અમીરો અને સામંતો તરફની, આ સવારીમાં જે વખત લાગવાનો સંભવ હતો તે દરમિયાન, તેને નિર્ભયતા લાગી હતી. સને ૧૫૭૨ ના સપ્ટેમ્બરમાં તે પોતાના લશ્કરની સાથે ફતેહપુર સીક્રીથી ઉપડ્યો અને જેપૂરથી અઢાર માઈલ ઉપર આવેલા સંગનેરને રસ્તે ઓક્ટોબરના મધ્યમાં અજમેર પહોંચ્યો. ત્યાં પેલા ફકીરની દરગાહની યાત્રા સારૂ બે દિવસ થોભ્યો અને રસ્તાની તપાસ રાખવાને દશ હજાર ઘોડેસ્વારનું એક સૈન્ય આગળ મોકલીને બાકીના બધા લશ્કરની સાથે તે જોધપુરની ઈશાનમાં પોણોસો માઈલ ઉપર આવેલા નગોર ઉપર ચાલ્યો. નગર પહોંચતાં તેની પાસે એક દૂત આવ્યો. તે એવા સમાચાર લાવ્યો કે તેનો એક પુત્ર–જે આગળ દાનીઆલને નામે ઓળખાયો તે–જન્મ્યો છે. ત્યાં તેણે પોતાના લશ્કરને જોઇતી ચીજો પૂરી પાડવાનો બંદોબસ્ત કરવામાં તેર દિવસ ગાળ્યા, અને ત્યાંથી ઝપાટાની સાથે આગળ વધતાં, નવેમ્બરમાં સરસ્વતી ઉપર આવેલા પાટણ આગળ પહોંચ્યો અને ત્યાંથી બીજે મહીને અમદાવાદ આવ્યો. આ બે સ્થળો વચ્ચેની એની મુસાફરીમાં ગુજરાતના સાર્વભૌમનો હક ધરાવતા સુલતાનની પ્રકૃતિ એણે સ્વીકારી હતી પણ તેની સત્તા માત્ર નામની જ હતી. તે વખતમાં ગુજરાતના મુખ્ય નગર અમદાવાદ આગળ અકબરે “પશ્ચિમ હિંદુસ્તાનના બાદશાહ” તરીકે પોતાનો ઢંઢેરો પીટાવ્યો.
પણ પોતાની સત્તા છોડી દેવાને નારાજ એવા ઘણા નાના સરદારોની સાથે કામ પાડવાનું હજી અકબરને બાકી રહ્યું હતું. આમાં ભરૂચ, વડોદરા, અને સુરતના હાકેમોનો સમાવેશ થતો હતો. તેથી અમદાવાદના મુલકમાં