કારીગરોને તેમના જુલાઈના દર ઉપર ઓછામાં ઓછા ૫૦ ટકા જેટલો વધારો મળવો જોઇએ અને જો હાલની સ્થિતિ કાયમ રાખવાને બદલે તે સુધારવા ચાહતા હોઈએ–કારીગરો વધારે તન્દુરસ્ત, સુઘડ, શિક્ષિત અને સુખી થાય એમ ઈચ્છતા હોઈએ,–તો તો આ મોંઘવારીના વધારા ઉપરાંત બીજો ખાસ જાથુકનો વધારો તેમને અપાવવા જોઈએ. નહિ તો હવાવાળાં ઘરો, રાત્રિશાળાઓ, વાચનાલયો, દવાખાનાં, કક્લબો વગેરે જરૂરની સગવડો માટે મીલો તરફથી બંદોબસ્ત થવો જોઈએ.
કારીગરોને મોંઘવારીને લીધે તેમના જુલાઈ મહિનાના દર ઉપર ઓછામાં ઓછા ૫૦ ટકા જેટલા વધારાની જરૂર છે એમ નીચેની હકીકત ઉપરથી ખાત્રી થશે:—
કારીગરોને મળવાના વધારાની ગણત્રી તેમના ૧૯૧૭ના જુલાઈ મહિનાના પગાર ઉપર થાય છે, અને એ મહિનામાં તેમને સરેરાસ રૂ. ૨૨ મળ્યા હતા એમ ભાઈ અંબાલાલ તરફથી જણાવવામાં આવ્યું હતું. હવે કારીગરોના એ જ મહિનાના ખરચના અંદાજ તપાસતાં જણાય છે કે એ રૂ. ૨૨ તે વખતમાં પણ તેમના ગુજરાન માટે પુરતા ન હતા. એ અંદાજની વિગતો આપતાં પહેલાં એટલું જણાવવાની જરૂર છે કે કારીગરોના મોટા ભાગનાં કુટુંબ અવિભક્ત અને મોટાં છે અને તે છ, સાત કે તેથી પણ વધારે માણસોનાં બનેલાં હોય છે. પરંતુ તેવાં કુટુંબોના અંદાજ તપાસતાં પહેલાં કારીગરોની રહેણી ઠીક સમજાય તે માટે બાપ, મા, છોકરો અને છોકરી એમ ચાર