પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


આ બાવળના ઝાડ તળે જે અદ્‌ભુત ઐતિહાસિક દૃશ્યો પ્રગટ થયાં છે, તેની તે વેળા હાજર રહેનાર સિવાય બીજાને બહુ થોડી જાણ છે. મહાત્માજીએ બનતાં સુધી ‘મૂંગા’ કાર્યને જ પ્રાધાન્ય આપવાના મહામંત્ર લીધેલો છે, અને તેમનાથી બની શક્યું ત્યાં સુધી પોતાની પ્રવૃત્તિઓ વિષે વર્તમાનપત્રોમાં ખોટાખરા હેવાલો આવતા અટકાવવાની તેમણે કાળજી રાખી છે. આ જ કારણથી ચંપારણ્યમાં ‘તપાસ’ની મુખ્ય હકીકત સિવાય ત્યાંના આંતર જીવનમાં પરિવર્તન કરવા માટે મહાત્માજીએ શા શા ઉપાયો લીધા છે અને કેટલું પરિવર્તન થયું છે તેની વર્તમાનપત્રો માત્રથી ઇતિહાસ જાણનાર જગતને તો ખબર પડી જ નથી. મીલમજુરોની લડત દરમ્યાન તો મહાત્માજીનાં જે ભાષણો થતાં તેની માહીતી વર્તમાનપત્રોને ખસુસ કરીને પૂરી પાડવામાં આવતી ન હતી. આ કારણથી એ ભાષણોમાંના કેટલાક સ્મરણીય ઉદ્‌ગારો અને મજુરોને વહેંચવામાં આવતી સુબોધપત્રિકા ઉપર થતાં વિવેચનોનો કાંઈક ભાગ અહીં આપવો જરૂરનો લાગે છે. અહીં કહી દેવું જરૂરનું છે કે આ પત્રિકાઓ અનસૂયા બ્હેનની સહીથી પ્રસિદ્ધ થતી, પણ તે મહાત્માજી જ લખતા હતા. પત્રિકાઓ અક્ષરશઃ આ લખાણને અંતે છાપવામાં આવી છે. ભાષણોનો સારાંશ આ ઇતિહાસમાં જ આવી જશે.

પહેલા દિવસોમાં તે મજુરોના મન ઉપર તેમની પ્રતિજ્ઞાનું મહત્ત્વ ઠસાવવા માટેનાં જ વ્યાખ્યાન થતાં. મજૂરોની પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી: