લાવવો શેઠીયાઓના હાથમાં છે. મજુરો માગે છે તેટલા સારૂ ૩૫ ટકા ન આપવા એવી શી હઠ? મજુરોને હું બધું સમજાવી શકું જ એમ શા સારૂ મનાય છે ? હું કહું છું, કે જે ઉપાયો મેં લીધા છે તે ઉપાયથી જ મજુરો હાથમાં રહી શક્યા છે. હવે હું તેઓની પ્રતિજ્ઞા તોડવાના ઉપાયો રચું ? રચું તો મારું ડોકું ધડથી તેઓ નોખું કાં ન કરે ? મારો ઘણોએ વાંક શેઠીયાઓ કાઢે છે, એમ હું સાંભળું છું. હું નિશ્ચિત છું. મારો વાંક ન હતો એમ કોઈ દહાડો શેઠીયા જ પાછા કબૂલ કરશે. તેઓની સાથે મને ખટાશ થનાર નથી, કેમકે હું ખટાશમાં ભાગ લેનાર નથી. ખટાશને પણ મેળવણી તો જોઇએ જ. મારી પાસેથી મેળવણી નહિ મળે. પણ આપ કેમ ભાગ લેતા નથી ? આપનાથી આવી જંગી લડત જોયા કરાય જ નહિ.’
પણ આ મસલતોનું પરિણામ કાંઈ ન આવ્યું. મહાત્મા ગાંધીજીની પત્રિકા નીકળતી હતી તેની સામે માત્ર પત્રિકા લખવાની જ ખાતર મીલગ્રુપની પત્રિકાઓ પણ નીકળતી હતી. તેમાં આવતી સત્યથી વેગળી હકીકતો અને અઘટિત વાક્યપ્રયોગો વિષે લખી તે પત્રિકાઓને સ્થાયી સ્વરૂપ આપવાની જરૂર નથી. મહાત્મા ગાંધીજીએ પણ તેની અવગણના કરી છે. મજૂરોને કામ પર ચઢવાનું સમજાવવાને, પ્રતિજ્ઞા તોડવાને અનેક તરકીબ થતી; તેઓને ભૂખમરાનો મ્હોટો હાઉ બતાવવામાં આવતો; પણ તેઓ પોતાના સલાહકારો પાસે આવીને તે બાબત ફરીયાદ કરતા અને તરત તેમના મનનું સમાધાન થતું. તા. ૧૨મી માર્ચને દિવસે સ્થિતિમાં ફેરફાર થયો. અત્યાર સુધી તો