અંદરની ઉંમરના નારાયણ સ્વામી અને નાગાપન તેમણે પોતાની જીંદગીનો ભોગ દીધો, તડકા સહન કર્યા, પણ તે પાછા હઠ્યા નહિ.
આપણે યાદ રાખવાની જરૂર છે કે એ જ લડાઇની અંદર જે સ્ત્રીઓએ કોઇ દિવસ મજુરી નહિ કરી હતી તે સ્ત્રીઓ ફેરી ફરવાને નીકળી હતી, અને જેલની અંદર ધોબણનું કામ કર્યું હતું.
આ દાખલાઓનો વિચાર કરતાં એવો કયો મજુર આપણામાં હશે કે જે પોતાની ટેકને જાળવવા ખાતર સાધારણ અગવડ સહન કરવાને તૈયાર ન હોય ?
અમે જોઇએ છીએ કે માલિકોએ સૂચનાપત્ર કાઢ્યાં છે તેમાં ક્રોધના આવેશમાં આવી જઇને કેટલીક ન છાજે એવી વાતો લખેલી છે, કેટલીક વાતોને જાણ્યે કે અજાણ્યે વધારી છે, અને કેટલીકને મરોડ આપવામાં આવ્યો છે. ક્રોધની સામે આપણાથી ક્રોધ તો થાય જ નહિ. તેમાં આવેલી ગેરમુનાસબ હકીકત સુધારવી, એ પણ ઠીક જણાતું નથી. માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમાં આવેલાં લખાણોથી દોરવાઇ પણ ન જવુ, તેમ ખીજાઇ પણ ન જવું, મજુરોના સલાહકારોની ઉપર કેટલાક આરોપો મુકાયલા છે તે ખરા હશે તો તેનો જવાબ અહીંઆ આપવાથી ખોટા ઠરવાના નથી. તે ગેરવાજબી છે એમ અમે જાણીએ છીએ. અહીં જવાબ આપીને ગેરવાજબીપણું સિદ્ધ ન કરતાં અમારા ભવિષ્યના વર્તન ઉપર તેની સાબીતીનો આધાર રાખશું.
આવતી કાલે આ પ્રસંગને લગતું કંઇક વિચારશું.