પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્મમાં જે અકર્મ જુએ છે અને અકર્મમાં જે કર્મ જુએ છે તે લોકોમાં બુદ્ધિમાન ગણાય. તે યોગી છે અને તે સંપૂર્ણપણે કર્મ કરવાવાળો છે. ૧૮.

નોંધ: કર્મ કરતો છતાં જે કર્તાપણાનું અભિમાન નથી રાખતો તેનું કર્મ અકર્મ છે, અને જે કર્મનો બહારથી ત્યાગ કરતો છતાં મનમાં મહેલ બાંધ્યા જ કરે છે તેનું તે અકર્મ પણ કર્મ છે. જેને પક્ષઘાત થયો છે તે ઇરાદાપૂર્વક – અભિમાનપૂર્વક – રહી ગયેલું અંગ હલાવે ત્યારે હલે છે. આ માંદો પોતાનું અંગ હલાવવારૂપ ક્રિયાનો કર્તા બન્યો. આત્માનો ગુણ અકર્તાનો છે. જે મૂર્છિત થઈને પોતાને કર્તા માને છે તે આત્માને માનો પક્ષઘાત થયો છે, ને તે અભિમાની થઈ કર્મો કરે છે. આ પ્રમાણે જે કર્મની ગતિ જાણે છે તે જ બુદ્ધિમાન યોગી કર્તવ્યપરાયણ ગણાય. 'હું કરું છું' એમ માનનારો કર્મવિકર્મનો ભેદ ભૂલી જાય છે, ને સાધનના સારાસારનો વિચાર નથી કરતો. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. એટલે જ્યારે મનુષ્ય નીતિમાર્ગ છોડે છે ત્યારે એનામાં હુંપણું છે જ એમ કહી શકાય. અભિમાનરહિત પુરુષનાં બધાં કર્મો સહેજે સાત્વિક હોય છે.

૪૭